Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટૉરન્ટો

કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : ૪૩° ૩૯´ ઉ. અ. અને ૭૫° ૨૩´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી ૨૭.૯૫ લાખ (૨૦૨૧) તથા મહાનગરની વસ્તી ૬૨.૦૨ લાખ (૨૦૨૧) છે. તેના બંદર દ્વારા મુખ્યત્વે અનાજ, માંસ અને પશુઓનો વ્યાપાર કરવામાં  આવે છે. ટૉરન્ટો બંદર ઉપર વર્ષે સરેરાશ ૧.૮૦ લાખ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. તે ઑન્ટેરિયો સરોવરને કિનારે આવેલું હોવાથી તેની આબોહવા પર આગવી અસર થાય છે. શિયાળાનું તાપમાન વારંવાર ૦° સે.થી પણ નીચું જાય છે; પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઠંડામાં ઠંડા મહિના હોય છે. ત્યાં ભારે હિમવર્ષા ભાગ્યે જ થાય છે. જુલાઈ–ઑગસ્ટ ભેજવાળા મહિના હોય છે. તેમાં તાપમાન ૩૦° સે.ની આસપાસ રહે છે.

ટૉરન્ટો શહેર

કૅનેડાના સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળા રાજ્યની આ રાજધાની હોવાને લીધે તેનું અર્થતંત્ર વૈવિધ્યપૂર્ણ છે. અહીં ખનિજો, ઇમારતી લાકડું, પાણી, જળવિદ્યુત અને ખેતપેદાશો જેવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળે છે. વીજળીનાં સાધનો, લોખંડ-પોલાદ, હવાઈ જહાજ, ખેતીનાં સાધનો, ખાદ્ય પદાર્થો પર પ્રક્રમણ, મુદ્રણ અને પ્રકાશન, કાગળ, રબરની બનાવટો વગેરે વિવિધ ઉદ્યોગો આ નગરમાં વિકસ્યા છે. અહીં ૫,૭૦૦ જેટલાં કારખાનાં છે, જે વાર્ષિક સરેરાશ ૭ અબજ યુ.એસ. ડૉલરનો માલ ઉત્પન્ન કરે છે. તેનું શૅરબજાર ઉત્તર અમેરિકાનું ચોથા નંબરનું મોટું શૅરબજાર ગણાય છે. અહીંનો મધ્યસ્થ બજારવિસ્તાર સરોવરની નજીક છે. વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારતોમાંથી ત્રણ અહીં આવેલી છે. વિશ્વમાં ઊંચા ગણાતા ટાવર પૈકીનો એક સી.એન. ટાવર (ઊંચાઈ ૫૩૩ મી.) આ વિસ્તારમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાંથી સ્થળાંતર કરી આવેલા લોકોએ તેને ઉત્તર અમેરિકાનું ગીચ વસ્તીવાળું નગર બનાવ્યું છે. અહીંની કુલ વસ્તી પૈકીની 2/3 વસ્તી ભૂતકાળમાં ઇંગ્લૅન્ડથી સ્થળાંતર કરી આવેલી પ્રજાની વારસદાર છે. ઉપરાંત ઇટાલિયન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ચીની અને ગ્રીક લોકો પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં વસ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધસામગ્રીની વધેલી માગને લીધે ટૉરન્ટોનું ઔદ્યોગિક વિસ્તરણ થયું હતું. અહીં અનેક જોવાલાયક સ્થળો અને પ્રવાસન-કેન્દ્રો વિકસ્યાં છે, જેમાં રૉયલ ઑન્ટારિયો સંગ્રહાલયમાં ચીની કળાના ઉત્તમ નમૂના છે. નગરમાં ૮૨૭ જેટલી ખાનગી કલા-દીર્ઘાઓ (art galleries) આવેલી છે. કૅનેડિયન રાષ્ટ્રીય પ્રદર્શન અહીં કાયમી સંગ્રહાલય છે. હેલી બ્યુરટન હાઈલૅન્ડ, જ્યૉર્જિન ખાડી અને શિકાર-મચ્છીમારી તેમજ કૅમ્પિંગની સુવિધાવાળાં નાનાંમોટાં ઘણાં પ્રવાસન-કેન્દ્રો અહીં આવેલાં છે. વિશ્વ-વિખ્યાત નાયગરા ધોધ અહીંથી ૧૨૮ કિમી. દૂર છે. ૧૭૦૦માં ફ્રેન્ચોએ ટૉરન્ટોને પોતાનું વેપારી મથક બનાવ્યું હતું. ૧૭૮૭માં અંગ્રેજોએ તેનો કબજો મેળવ્યો. ૧૭૯૩માં જ્હૉન સીમકૉકે અહીં બ્રિટિશ સંસ્થાનની વસાહત સ્થાપી અને ડ્યૂક ઑવ્ યૉર્ક પરથી તેને ‘યૉર્ક’ નામ આપ્યું. હાલનું ‘ટૉરન્ટો’ નામ તેને ૧૮૩૪માં આપવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સુએઝ નહેર

ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો માનવસર્જિત જળમાર્ગ.

આ નહેર ઉત્તરમાં પૉર્ટ સઈદ (Said) અને દક્ષિણમાં સુએઝ બંદર ધરાવતા શહેર વચ્ચે સુએઝની સંયોગીભૂમિને વીંધતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે ૧૯૦ કિમી. જેટલી છે. નેપોલિયને જ્યારે ૧૭૯૮માં ઇજિપ્ત પર આક્રમણ કર્યું, ત્યારે તેણે સુએઝની સંયોગીભૂમિ આરપાર જળમાર્ગ થાય તો અંતર ઘટે અને વ્યાપાર-વણજ વધે તેવું વિચારેલું. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા ફ્રેન્ચ મુત્સદ્દી અને નહેરો બાંધનાર ફર્ડિનાન્ડ દ લૅસેપ્સને તેનો નકશો બનાવવાની કામગીરી સોંપી. ૧૮૫૪માં ઇજિપ્તના શાસક સઈદ પાશા પાસેથી આ પ્રકલ્પ માટેની મંજૂરી મેળવી, ૧૮૫૫માં માર્ગના વ્યવસ્થિત આયોજન માટે આંતરરાષ્ટ્રીય તકનીકી પંચ મળ્યું. ૧૮૫૮ સુધીમાં આ અંગેના વહીવટ માટે સુએઝ કૅનાલ કંપની સ્થપાઈ, જેના ફ્રેન્ચ અને ઑટોમન સામ્રાજ્યે મોટી સંખ્યામાં શૅર લીધા. ૧૮૫૯ના એપ્રિલની ૨૫મી તારીખે નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. ૧૦ વર્ષ બાદ ૧૮૬૯ના નવેમ્બરની ૧૭મી તારીખે તે નહેર ખુલ્લી મુકાઈ. ૧૯૬૮ સુધીનાં ૧૦૦ વર્ષ માટે સુએઝ કૅનાલ કંપનીને રાહતદરે તે નહેરના ઉપયોગ સંબંધી વહીવટ સોંપવામાં આવ્યો.

સુએઝ નહેર

આ જળમાર્ગ થવાથી યુરોપીય દેશો અને ભારત વચ્ચે અંદાજે ૯૭૦૦ કિમી. જેટલું અંતર ઘટી ગયું છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રની જળસપાટીમાં ખાસ તફાવત ન હોવાથી તેમાં પનામા નહેરમાં છે એવી લૉકગેટની વ્યવસ્થા ગોઠવેલી નથી. આ નહેર જ્યારે બાંધવામાં આવી ત્યારે તેની ઊંડાઈ ૮ મીટર, તળભાગની પહોળાઈ ૨૨ મીટર અને સપાટીની પહોળાઈ ૭૦ મીટર જેટલી હતી, પરંતુ તે પછી મોટાં જહાજોની હેરફેર માટે તેને ઘણી વધુ પહોળી કરવામાં આવી છે. આજે તેની ઊંડાઈ ૧૯ મીટર, તળભાગની પહોળાઈ ૯૨ મીટર અને સપાટીની પહોળાઈ ૨૨૬ મીટર જેટલી છે. ૧૮૮૮માં આંતરરાષ્ટ્રીય પરિષદે એકમતે નિર્ણય કર્યો કે આ નહેરને બધાં જ રાષ્ટ્રો માટે શાંતિના તેમ જ યુદ્ધના સમયમાં પણ ખુલ્લી રાખવી; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૮)માં યુ.કે.એ આ જળમાર્ગ પર પ્રભુત્વ સ્થાપી દીધું.બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૧૯૪૫)માં પણ યુ.કે.નું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. આ યુદ્ધો દરમિયાન શત્રુ દેશો માટે આ નહેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ઇજિપ્ત સાથે ૧૯૫૪માં થયેલા કરાર મુજબ બ્રિટિશ દળોએ ૧૯૫૬માં આ નહેર ઇજિપ્તને સોંપી દીધી. આ જ વર્ષમાં યુ.એસ. અને યુ.કે.એ નાઇલ નદી પરના આસ્વાન બંધ માટેની સહાય બંધ કરી. પરિણામે ઇજિપ્તમાં રાષ્ટ્રીય ચળવળ ઊભી થતાં ૧૯૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે નહેર પર પ્રભુત્વ મેળવી લીધું. બ્રિટન, ફ્રાન્સ અને પશ્ચિમ દેશોએ આનો વિરોધ કર્યો. આ ઘટનાને સુએઝ કટોકટી તરીકે ઓળખવામાં આવેલી છે. આ જ વર્ષમાં ઇઝરાયલ, બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. યુ.એન.ની દરમિયાનગીરીને કારણે યુદ્ધ સ્થગિત થયું અને ૧૯૫૭માં આ નહેર ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૬૭માં થયેલા આરબ-ઇઝરાયલ યુદ્ધના ગાળા દરમિયાન આ માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં આ જળમાર્ગ ઇજિપ્ત દ્વારા ફરીથી ખુલ્લો મૂકવામાં આવેલો છે. ૧૯૭૯માં ઇજિપ્તે નહેરના ઉપયોગની ઇઝરાયલ માટેની મનાઈ ઉઠાવી લીધી. ૧૯૮૦માં સુએઝ શહેરથી ૧૬ કિમી. ઉત્તર તરફ નહેર હેઠળ બોગદું બાંધીને મોટરવાહનો માટે તે ખુલ્લું મુકાયું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી