Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી

Categories
વાચન સમૃદ્ધિ

સલાટ

પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર.

‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.

પથ્થર ઘડતો સલાટ

વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જેલી પ્રાણી

દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ વખતે દરિયાકાંઠે ફસાઈ જાય છે. સ્વરૂપે તે ઘુમ્મટ, છત્રી કે તકતી જેવા આકારનાં હોય છે. સાયાનિયા આર્કટિકા (cyanea arctica) નામનું જેલી પ્રાણી સૌથી મોટા વ્યાસની છત્રી (૨૦થી ૨૫ સેમી. વ્યાસવાળી) ધરાવે છે. અપવાદ રૂપે કેટલાંક સાયાનિયાનો વ્યાસ ૨ મી. જેટલો હોય છે. સૌથી મોટું ૨.૨૮ મી. વ્યાસનું ૩૬.૫ મી. લાંબું અંગ ધરાવતું જોવા મળ્યું છે. હૃદયની જેમ સ્પંદન કરતું અને ખાબોચિયામાં વાસ કરતું કૅસિયોપિયા જેલી પ્રાણી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જેલીની ચપટી તકતી જેવું દેખાતું ૩થી ૬ સેમી. વ્યાસવાળું ઇક્વેરિયા પ્રાણી દરિયાકિનારે જ્યાંત્યાં જોવા મળે છે. ક્યુબોમેડ્યુસી શ્રેણીના ઘન આકારનાં જેલી પ્રાણીઓ (દા. ત., સી – વાસ્પ) પોતાની આસપાસ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. કેટલીક વાર તે માનવી માટે પ્રાણઘાતક નીવડે છે. આમ તો અન્ય કોષ્ઠાંત્રી પણ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. તેથી કિનારે અસહાય સ્થિતિમાં પડેલાં સાયાનિયા જેવાં પ્રાણીઓને બને ત્યાં સુધી અડવું જોઈએ નહિ. પાણીમાં તરતાં આ પ્રાણીઓ નજીકથી પસાર થતાં પગે ખૂજલી આવે છે.

જેલી પ્રાણીઓનું વર્ગીકરણ નીચે જણાવેલી શ્રેણીઓમાં કરવામાં આવે છે : (૧) સ્ટૉરોમેડ્યુસી : છત્રી જેવા આકારનાં, કદમાં નાનાં, વ્યાસ ૨થી ૩ સેમી., તેનાં સૂત્રાંગો (tentacles) ૮ સમૂહોમાં વહેંચાયેલાં હોય છે. (૨) ક્યુબોમેડ્યુસી (કેરિબ્ડેઇડા) : ઘંટી જેવું સ્વરૂપ, પણ ચારે બાજુએથી સહેજ ચપટાં એટલે કે ઘન આકારનાં હોય છે. તેના ચારેય ખૂણેથી એકલ અથવા તો સમૂહમાં સૂત્રાંગો નીકળે છે. દા. ત., સી-વાસ્પ. (૩) કોરોનાટે : શંકુ, ઘુમ્મટ કે ચપટા આકારનું શરીર – કેટલાંક પ્રાણીઓ દરિયાના તળિયે વાસ કરતાં હોય છે. (૪) સિમાઇયોસ્ટોમી : આકારે તેનું શરીર ઘુમ્મટવાળું, ચપટ કે છત્રીના જેવું. આ શ્રેણીનાં મોટા ભાગનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે. દા. ત., ઑરેલિયા, સાયનિયા, પેલાજિયા. જેલી પ્રાણીનું શરીર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય સ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)નું બનેલું હોય છે. તેના શરીરના ઉપલા છત્રી જેવા આકારના ભાગને છત્રક કહે છે. તેની નીચેની સપાટીના મધ્યભાગમાં મુખછિદ્ર આવેલું હોય છે. કેટલાંક જેલી પ્રાણીઓમાં મધ્યભાગમાં એક પ્રવર્ધ આવેલું હોય છે અને તેની મધ્યમાં મુખછિદ્ર આવેલું હોય છે. મુખછિદ્રની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ સૂત્રાંગો ૪, ૬ અથવા ૮ સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. સૂત્રાંગો પરથી ડંખાંગો નીકળે છે, જે સંમોહક વિષનો સ્રાવ કરે છે. સ્નાયુઓની મદદથી આ પ્રાણી તાલબદ્ધ પ્રચલન કરે છે. પ્લવન- ક્રિયા દરમિયાન છત્રક દ્વારા પાણીની સેર છોડી સહેલાઈથી તરતાં હોય છે તેને જલપ્રણોદન (hydropropulsion) કહે છે. એનો ખોરાક સમુદ્રવાસી સૂક્ષ્મજીવો(plankton)નો હોય છે. મુખ, હસ્તો અને સૂત્રાંગોથી ભક્ષ્યને પકડીને ડંખકોષોથી બેભાન કરીને આરોગે છે. પાચન અને પરિવહનતંત્ર સંયુક્ત હોય છે. પાચન કોષ્ઠાંત્ર(coelenteron)માં થાય છે. તે કાર્બોદિતો, તેલો, ચરબી, પ્રોટીન તથા કાઇટિન જેવા પદાર્થોને પચાવી શકે છે. શરીરસપાટી વડે શ્વસન અને ઉત્સર્જન ક્રિયા થાય છે. ચેતાતંત્ર દ્વિશાખિત ચેતાકોષોથી રચાયેલ જાલિકાનું વિકસિત તંત્ર હોય છે. વિવિધ સંવેદનગ્રાહી અંગો હોય છે, જેમાં મુખ્ય સંતુલન અને પ્રકાશગ્રાહી અંગો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેલી પ્રાણી, પૃ. ૯11)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન