Categories
વાચન સમૃદ્ધિ

જેરૂસલેમ

ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન : ૩૧° ૪૬´ ઉ. અ. અને ૩૫° ૧૪´ પૂ. રે.. ઈ. પૂ. ૧૦૦૦ વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી ૯,૮૧,૭૧૧ (૨૦૨૨), ભૌગોલિક વિસ્તાર ૬૫૩ ચોકિમી. (પૂર્વ જેરૂસલેમ સહિત), સમુદ્રતલથી ઊંચાઈ ૭૩૨ મી.. જુડાકન ટેકરીઓ વચ્ચે, ભૂમધ્ય સાગરથી ૫૫ કિમી. અંતરે તે વસેલું છે. પરંપરા અનુસાર નગરનું નામ હિબ્રૂ ભાષાના બે શબ્દોના સંયોજનથી પાડવામાં આવ્યું છે : ‘irs’ એટલે નગર તથા ‘shalom’ એટલે શાંતિ. આમ જેરૂસલેમ એટલે શાંતિનું નગર. ૧૯૪૮ના ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના યુદ્ધના પરિણામે નગરના બે ભાગ પડ્યા. પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના કબજામાં અને પૂર્વ જેરૂસલેમ જૉર્ડનના કબજા હેઠળ ગયું. ૧૯૬૭ના ઇઝરાયલ-અરબ યુદ્ધમાં ઇઝરાયલના લશ્કરે પૂર્વ જેરૂસલેમ પર વિજય મેળવ્યો, જેને પરિણામે નગરના બંને ભાગ ઇઝરાયલના શાસન હેઠળ આવ્યા. પશ્ચિમ જેરૂસલેમનો વિકાસ આધુનિક ઢબે થયો છે. પૂર્વ જેરૂસલેમ જૂના શહેરનો ભાગ છે, જેમાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં છે.

નગરનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૧૩° સે. અને જુલાઈ માસમાં ૨૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૫૧૦ મિમી. પડે છે. નગરના મોટા ભાગના ઔદ્યોગિક એકમો પશ્ચિમ જેરૂસલેમમાં વિકસ્યા છે. તેમાં હીરાનું પૉલિશિંગ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો, યંત્રો, ચામડાની વસ્તુઓ, વસ્ત્રો, છાપકામ એકમો ઉપરાંત ચાંદીનાં વાસણો, કાષ્ઠની વસ્તુઓ, કુંભારકામ, ભરતકામ જેવા હસ્તઉદ્યોગો નોંધપાત્ર છે. પૂર્વ જેરૂસલેમમાં હળવી તથા વપરાશી વસ્તુઓના ઉત્પાદન એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામ્યા છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હિબ્રૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નગરનો સ્થાનિક વહીવટ ૨૧ સભ્યો ધરાવતી નગરપાલિકા કરે છે. તેનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે. મેયર તેના વડા છે. નગરપાલિકાની મોટા ભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી મળે છે, જે નગરનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પશ્ચિમ જેરૂસલેમ વિભાગમાં રાજા ડૅવિડનો મકબરો તથા ઈસુએ જ્યાં અંતિમ ભોજન (last supper) કર્યું તે કક્ષ (cinacle) આવેલા છે. પૂર્વ વિભાગમાં ઉદ્યાનો, રમતગમતનાં મેદાનો, વિદ્યાલયો, યુવા મંડળોનાં મકાનો તથા રહેવાસ માટેની અદ્યતન ઇમારતો વિકસી છે. ૧૯૬૭માં પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલનું આધિપત્ય થયા પછી તે વિસ્તારનો વિકાસ થયો છે. બાઇબલકાળથી જ ધાર્મિક સ્થળ તરીકે નગરનો મહિમા હતો. ઈ. સ. પૂ. ૧૦૦૦માં યહૂદીઓના કબીલાઓના પાટનગર તરીકે રાજા ડૅવિડે તેની પસંદગી કરી અને તેના પુત્ર સૉલોમને નગરમાં પ્રથમ દેવળ બાંધ્યું ત્યારથી યહૂદીઓ માટે તે પવિત્ર સ્થળ બન્યું. આ જ નગરમાં ઈસુના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઓ બની અને ત્યાં જ તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, તેને લીધે ખ્રિસ્તીઓ માટે પણ તે પવિત્ર સ્થળ બન્યું. આ જ સ્થળેથી મહંમદ પયગમ્બરે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું એવી મુસલમાનોની માન્યતા હોવાથી મક્કા અને મદીના પછી વિશ્વના ત્રીજા પવિત્ર સ્થળ તરીકે તેઓ આ નગરની ગણના કરે છે. નગરનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. ઈ. સ. પૂ. ૧૦૦૦ આસપાસ રાજા ડૅવિડે આ નગરને પોતાના સામ્રાજ્યની રાજધાની બનાવી. ઈ. સ. પૂ. ૯૦૦માં તેના બે ભાગ પડ્યા. જુડાએ તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેરૂસલેમ, પૃ. ૯૦૬)

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

સરોવર (Lake)

બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલું કુદરતી જળાશય.

સરોવર મોટા ભાગે તો બધી બાજુએથી જમીનથી બદ્ધ થયેલું હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળ-ઉમેરણ અને તેમાંથી જળ-નિર્ગમન થતું હોય છે. નાનાથી માંડીને દરિયા જેવડાં મોટા કદનાં સરોવર પણ હોય છે. કેટલાંક સરોવરો પર્વતોની ઊંચાઈ પર (દા.ત., ટિટિકાકા સરોવર) તો કેટલાંક ભૂમિસપાટી પર (દા.ત., નળસરોવર) આવેલાં હોય છે. પૃથ્વીના તળ પર આવેલ ગર્ત, ખાડા કે થાળામાં પાણીનો પૂરતો પુરવઠો જમા થાય ત્યારે ત્યાં સરોવર રચાય છે. સરોવર બે પ્રકારનાં હોય છે : મીઠા (સ્વચ્છ) જળનાં અને ખારા જળનાં. જે સરોવરથાળામાં મળી રહેતા જળપુરવઠાના પ્રમાણમાં બાષ્પીભવનનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં કાળક્રમે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે, પરિણામે એવા સરોવરનું પાણી ખારું બની જાય છે. ક્યારેક પવનને લીધે મીઠાના કે ક્ષારના રજકણો ઊડીને સરોવરમાં પડ્યા કરતા હોવાથી સરોવરનું પાણી ખારું બની જાય છે. સૂકા પ્રદેશોના સરોવરમાં જળઆવક ઓછી હોય અને બાષ્પીભવન વધારે થતું રહેતું હોય તો તેનું પાણી ખારું થઈ જાય છે. કેટલાંક છીછરાં સરોવરો તો બાષ્પીભવનથી સૂકાં થાળાં બની રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન તેઓ પાણીથી ભરાય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશમાંનાં સરોવર મીઠા પાણીનાં હોય છે, કારણ કે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય છે.

દાલ સરોવર

સરોવરની તેની આજુબાજુના પ્રદેશની આબોહવા તથા તેના લોકજીવન પર અસર થાય છે. સરોવરને લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે. સરોવરના જળનો ઉપયોગ માણસોની અવરજવર, માલસામાનની હેરફેર માટે થાય છે. એ રીતે વેપાર-વાણિજ્યના જળમાર્ગ તરીકે તેની ઉપયોગિતા જોવા મળે છે. સરોવરની આસપાસ વસતા લોકો મનોરંજન અર્થે સરોવરનો લાભ લે છે. સરોવરમાં નૌકાવિહાર, માછીમારી, વૉટર-સ્કેટિંગ વગેરે થઈ શકે છે. સરોવરમાં વિવિધ જાતની વનસ્પતિ તથા કાચબા, મગર, માછલી, દેડકાં જેવાં પ્રાણીઓ રહેતાં હોય છે. ત્યાં યાયાવર પક્ષીઓ મુલાકાતે આવે છે. ભારતના વિશાળ ભૂભાગમાં અનેક સરોવરો આવેલાં છે; જેમ કે, દાલ સરોવર, વુલર સરોવર, પૅંગોગ, નૈનિતાલ, ચિલ્કા, કોલેરુ સરોવર, પુલિકટ સરોવર, પેરિયાર સરોવર, નળ સરોવર, સાંભર સરોવર અને લોણાર સરોવર.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરોવર, પૃ. ૪૨)

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જેતલપુર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે ૨૨° ૫૪´ ઉ. અ. અને ૭૨° ૩૦´ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ ૧૬ કિમી.ને અંતરે તથા બારેજડીથી ૯ કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા ૮ નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે. જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે ૩૦થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો સ્થાપવામાં આવેલી છે.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો  બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે. ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. ૧૩૩૯ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે ૧૪ જૂન, ૧૬૨૩ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. ૧૮૦૯ સુધી રહ્યું. જેતલપુર મુકામે ઈ. સ. ૧૮૦૯માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે. ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ