Categories
વાચન સમૃદ્ધિ

જમ્મુ

કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન ૩૨° ૪૪´ ઉ. અ. ૭૪° ૫૨´ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (૩૨૭ મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં છે. વસ્તીની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમનું નગર છે. વસ્તી ૨૦૧૧ મુજબ ૯,૫૧,૩૭૩ છે. દંતકથા પ્રમાણે જમ્બુલોચન નામનો રાજવી એક વખત શિકાર માટે નીકળ્યો ત્યારે એક પુલ નજીક વાઘ અને બકરી એકસાથે પાણી પીતાં જોઈને વિસ્મય પામ્યો અને તેણે અહીં આ નગરની સ્થાપના કરી. તાવી નદીના તટે બહુકોટ નામનો કિલ્લો આ રાજવીના સમયનો છે. દિલ્હીથી આશરે ૫૯૧ કિમી. દૂર રેલમાર્ગ પર તે આવેલું છે. સમગ્ર ભારત સાથે રેલસેવાથી જોડાયેલું છે. નગરથી ૭ કિમી. દૂર વિમાનીમથક આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, કાલિદેવી મંદિર તેમજ ડોગરા ચિત્રશાળા મુખ્ય છે. નિકટનાં પર્યટનસ્થળોમાં વૈષ્ણોદેવી, માનસરોવર, પટનીટૉપ, સણાસર, મંડલેખ આદિ મુખ્ય છે. રઘુનાથ મંદિરમાં સેંકડો શાલિગ્રામ એકત્રિત કરીને હારબંધ ગોઠવેલા છે. વિવિધ રંગના આરસપહાણમાંથી કંડારાયેલાં મંદિરોની કલાત્મકતા આ સફેદ બરફની ચાદર ધરાવતા પ્રદેશમાં મોહક લાગે છે. અહીંની ચિત્રકલા પણ મનોહર છે. જમ્મુના ડોગરા રાજવીઓ શૈવ ઉપાસક હતા તેની સાબિતી આ મંદિરો પૂરી પાડે છે. ભારતીય ભૂમિસેનામાં ડોગરા રેજિમેન્ટ અહીંના જૂના રાજપૂતોની ગાથા સાકાર કરે છે. અહીંનાં મંદિરોમાં રણવીરેશ્વર તથા કાલિદેવીનું મંદિર વિશેષ દર્શનીય છે. ડોગરા રાજપૂતોના કલાપ્રેમ અને વારસાની ઝાંખી કરાવતું સ્થળ ડોગરા ચિત્રશાળા છે. પહાડી શૈલીના અવશેષો પણ ભગ્નદશામાં જોવા મળે છે. અહીંની પહાડી ચિત્રશૈલી આગવી વિશિષ્ટતા ધરાવે છે.

વૈષ્ણોદેવી : જ્મ્મુથી આશરે ૬૨ કિમી. દૂર વૈષ્ણોદેવી અથવા વિષ્ણોદેવીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. ત્યાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જમ્મુથી કટરા આશરે ૫૦ કિમી. અને ત્યાંથી ૧૨ કિમી. દૂર પગદંડીથી પહાડી પર ચડતાં વૈષ્ણોદેવી પહોંચાય છે. પગપાળા કે ખચ્ચર–ટટ્ટુ દ્વારા પણ અહીં કેટલાક યાત્રિકો પહોંચે છે. ત્રિકૂટ પહાડી પર આવેલી ભગવતી વૈષ્ણોદેવીની ગુફાનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું છે તેથી પ્રવાસીઓને આશરે ૩.૦૫ મી. જેટલું અંતર પેટે ઘસડાતાં ચાલીને કાપવું પડે છે. ગુફામાં વૈષ્ણોદેવી, મહાસરસ્વતી અને મહાકાલી તેમજ મહાલક્ષ્મીની મૂર્તિઓ આવેલી છે. આ દેવીઓનાં ચરણોમાંથી બાણગંગા નામનું ઝરણું વહે છે. આસો માસની નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાં આ સ્થળ તેની કઠિન યાત્રા માટે જાણીતું છે. હવે અહીં રિક્ષા તેમજ હેલિકૉપ્ટર દ્વારા પણ પહોંચી શકાય છે. માનસરોવર : માનસરોવર જમ્મુથી પૂર્વમાં આશરે ૮૦ કિમી. દૂર તથા સૂરીઓન સરોવર લગભગ ૨૪ કિમી. દૂર આવેલું છે. દંતકથાઓ પ્રમાણે વીરબાહુએ માનસરોવરના તળિયે તીર માર્યું હતું જે સૂરીઓન સરોવરમાં પહોંચ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓને વિશેષ આકર્ષે છે. જમ્મુથી અહીં પહોંચવા માટે નિયમિત બસ-સેવા મળી રહે છે. પટનીટૉપ તથા સણાસર : પટનીટૉપ જમ્મુથી આશરે ૧૧૨ કિમી. દૂર આવેલું છે, જે સાગરસપાટીથી આશરે ૨,૦૦૦ મી.ની ઊંચાઈ પર છે.

મહેશ ત્રિવેદી, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જમ્મુ, પૃ. ૫૫૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

શણ

લાંબા, મૃદુ અને ચળકાટવાળા રેસાઓ ધરાવતી શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ. શણની મોટી છૂંછ અને બોર છૂંછ નામની વનસ્પતિઓની અન્નવાહક પેશીમાંથી આ રેસા પ્રાપ્ત થાય છે. મોટી છૂંછ ૨.૪ મી.થી ૩ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પર પીળાં પુષ્પો અને ગોળ શિંગો થાય છે. બોર છૂંછની શિંગો થોડી લાંબી હોય છે અને રેસા થોડી નીચી ગુણવત્તાવાળા હોય છે. શણ ચોમાસુ પાક છે. તેને હૂંફાળી આબોહવા માફક આવે છે. ભેજવાળી, ગોરાડુ અને ફળદ્રૂપ જમીનમાં તે સારી રીતે થાય છે. વાવેતર પછી ત્રણ-ચાર માસમાં તેના પર ફૂલો બેસે છે. તે સમયે પાકને લણી લેવામાં આવે છે. ખેતરમાં જ તેની સુકવણી કરી પાંદડાં ઉતારી લઈ, સોટીના પૂળા બાંધવામાં આવે છે. તેમને ફરી તપાવી, છીછરા પાણીમાં ડુબાડી, ઉપર લાકડાં કે પથ્થરનો ભાર મૂકવામાં આવે છે. આથી છાલ ઊખડી આવે છે. તેને નિચોવી, સારા પાણીથી ધોઈ, તડકે સૂકવી રેસા છૂટા પાડવામાં આવે છે. રેસાના ભારા બાંધી કારખાનાને વેચવામાં આવે છે.

કપાસના રેસાઓ પછી શણના રેસાઓ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. શણના રેસાઓ કપાસના રેસાઓ કે અળસીના રેસાઓ કરતાં ઓછા કીમતી છે. શણના રેસાઓ ૧.૮ મી.થી ૩.૦ મી. જેટલા લાંબા અને આછા પીળા રંગના હોય છે. તેઓ ઓછા મજબૂત, રેશમી, ચળકતા અને પ્રમાણમાં વિપુલ હોય છે. શણના રેસાઓ સસ્તા અને સરળતાથી કાંતી શકાય તેવા હોય છે. શણ મલેશિયા કે શ્રીલંકાનો મૂળ પાક છે; પરંતુ તે ભારતીય પાક કહેવાય છે. વિશ્વમાં તેના ઉત્પાદનમાં ભારત પહેલા ક્રમે છે. ભારત ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, વિયેટનામ, થાઇલૅન્ડ  અને મ્યાનમાર પણ શણનું ઉત્પાદન કરતા દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઓરિસા શણ ઉત્પન્ન કરનારાં રાજ્યો છે. ઉપયોગ : શણ મુખ્યત્વે બરછટ વણાટવાળી વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. તે થેલાઓ, કોથળીઓ, ગૂણીઓ, રૂની ગાંસડીઓ માટેનાં કંતાનો, બરછટ કાપડ, પડદાઓ, શેતરંજીઓ અને દોરીઓ બનાવવામાં વપરાય છે. શણના રેસામાંથી ચીકાશરોધી (greese-proof) કાગળ બને છે. ભારતમાં તેના રેસાઓ સાથે ઊન મિશ્ર કરીને શાલ કે સસ્તા ધાબળા પણ બનાવવામાં આવે છે. તે મીઠાઈ અને બીજા ઉદ્યોગોમાં ચીકાશવાળા પદાર્થોને વીંટાળવામાં મોટે પાયે વપરાય છે. ટૂંકા રેસાઓમાંથી કાગળ બનાવાય છે. શણના રેસાઓ છાપરાના નમદાઓ (felts), પગરખાંનાં અસ્તર તથા ગાદીનું કાપડ બનાવવામાં તથા ભીંતના લેપન માટે ઉપયોગી છે. જોકે હવે આ બધી વસ્તુઓ માટે કૃત્રિમ રેસાનો વપરાશ વધ્યો છે; પરંતુ આરોગ્યની દૃષ્ટિએ શણનો વપરાશ હિતાવહ છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જબલપુર

મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય મથક. તે ૨૩ ૧૦´ ઉત્તર અક્ષાંશ તથા ૭૯ ૫૬´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. ઉનાળામાં તાપમાન ૨૯ સે. જ્યારે શિયાળામાં ૧૮ સે.થી ૨૨ સે. જેટલું છે. આ શહેર નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. શહેરના એક ડુંગર ઉપર ‘મદન મહેલ’ આવેલ છે. ચૌદમી સદીના ગોંડ રાજ્યનું તથા ૧૭૮૧માં મરાઠા રાજ્યનું તે મુખ્ય મથક હતું. ત્યાર બાદ બ્રિટિશરોના સમયમાં પણ મુખ્ય મથક રહ્યું હતું. જબલપુરમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના ૧૮૬૪માં થઈ હતી. જબલપુર ખડકાળ ભૂપૃષ્ઠ ધરાવતું શહેર છે, જેની આજુબાજુ અનેક નાની ટેકરીઓ આવેલી છે.

જબલપુરથી દક્ષિણે ૧૦ કિમી. દૂર નર્મદા નદી આરસપહાણના ખડકાળ ભાગોમાંથી વહે છે. આ નદીનો માર્ગ ફાટખીણ રૂપે આવેલો હોવાથી તે પૂર્વમાંથી નીકળી પશ્ચિમે આવેલ અરબી સમુદ્રને મળે છે. જબલપુર ભારતનાં અન્ય રાજ્યો સાથે રેલવે અને રસ્તા દ્વારા જોડાયેલ છે. અલાહાબાદ અને મુંબઈ રેલમાર્ગનું મોટું જંકશન છે. કૉલકાતા-મુંબઈ રેલમાર્ગનું તે મહત્ત્વનું મથક છે. જબલપુરની આસપાસના પ્રદેશોમાંથી લોખંડ, ચૂનો, બૉક્સાઇટ, માટી, ચાઇના ક્લે, ફાયર ક્લે, ફ્લોરસ્પાર અને મૅન્ગેનીઝ જેવાં ખનિજો પ્રાપ્ત થતાં હોવાથી તેના ઉપર આધારિત અનેક ઉદ્યોગો આવેલા છે. જબલપુરમાં ત્રણ સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે. જબલપુરથી ઉત્તરે ૧૦૦ કિમી. દૂર કટની આવેલ છે. ત્યાં ભારતનું સૌથી મોટું સિમેન્ટનું કારખાનું છે. કાચ બનાવવાનું એક કારખાનું પણ છે. રાસાયણિક અને એન્જિનિયરિંગનાં સાધનો બનાવવાનાં કારખાનાં તેમજ સુતરાઉ અને રેશમી કાપડ બનાવવાની મિલો, સિમેન્ટ ઉપર આધારિત સિમેન્ટની પાઇપો, જાળીઓ, માર્કિંગ સ્ટોન અને પૉટરી ઉદ્યોગ પણ ખીલ્યો છે. ટેલિફોનના સ્પૅર પાર્ટ્સ બનાવવાનાં કારખાનાં તેમજ કાગળ બનાવવાની મિલો તેમજ લાકડાં વહેરવાની મિલો પણ અહીં છે. કુટિર ઉદ્યોગમાં લાકડા અને લાખની ચીજવસ્તુઓ અને સ્લેટની પેન્સિલો અને બીડી વાળવાનાં અનેક કારખાનાં છે. તે મધ્યપ્રદેશનું મહત્ત્વનું વ્યાપારમથક છે. ઘઉં, ચણા, જુવાર, તેલીબિયાં વગેરે પાકના વેપારનું મથક છે. તે ભારતનું મહત્ત્વનું લશ્કરીમથક છે. અહીં લશ્કરના દારૂગોળા અને શસ્ત્રોના ભંડારો આવેલા છે.

તે રાજ્યનું મહત્ત્વનું શૈક્ષણિક ધામ છે. અહીંની શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. જબલપુરમાં યુનિવર્સિટીની સ્થાપના ૧૯૫૭માં થઈ હતી. ૧૯૬૪માં સ્થપાયેલ જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટી પણ છે. રાજ્યની હાઈકોર્ટ અહીં છે. જબલપુર શહેરની વસ્તી ૧૦,૫૪,૩૩૬ (૨૦૧૧) જેટલી છે. જબલપુર જિલ્લો : જબલપુર જિલ્લાનો વિસ્તાર ૧૦,૧૬૦ ચોકિમી. છે, જેમાં સોન અને નર્મદા નદીના થાળાનો પણ સમાવેશ થાય છે. નર્મદા નદી-ખીણના પશ્ચિમ છેડે આવેલો વિસ્તાર ‘હવેલી’ તરીકે ઓળખાય છે. તે ખૂબ જ ફળદ્રૂપ છે. ત્યાં ઘઉંની ખેતી વિશેષ થાય છે. તદુપરાંત ચોખા, જુવાર, ચણા અને તેલીબિયાંની ખેતી થાય છે. જબલપુર જિલ્લામાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનાં અનેક સ્થાપત્યો ખંડેર સ્વરૂપે આવેલાં છે. આ જિલ્લામાં નર્મદા નદી ઉપર આવેલો ‘ધુંઆધારનો ધોધ’ વધુ જાણીતો છે. અહીં આવેલ ચોસઠ જોગણીમાતાનું મંદિર જોવાલાયક છે. જિલ્લાની વસ્તી ૨૬,૬૦,૭૧૪ (૨૦૧૧) હતી. સમગ્ર જબલપુર વિભાગનો વિસ્તાર ૭૫,૯૨૭ ચોકિમી. છે. તેમાં જબલપુર, બાલાઘાટ, છિંદવાડા, દમોહ, માંડલા, નરસિંહપુર, સાગર અને સેવની(seoni) જિલ્લાઓનો સમાવેશ થાય છે. સાગ, સાલ, ટીમરુ અને ચારોળીનાં અનેક વૃક્ષો આવેલાં છે. ચણા અને તલ આ વિભાગના મુખ્ય ખેતીના પાક છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી