Categories
વાચન સમૃદ્ધિ

કલ્પના ચાવલા

જ. 17 માર્ચ, 1962 અ. 1 ફેબ્રુઆરી, 2003

ભારતીય મૂળની પ્રથમ મહિલાઅવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. પિતા બનારસીલાલ અને માતા સંજોગતા. 1947માં વિભાજન થતાં પરિવાર ગુજરાંવાલાથી પંજાબમાં આવ્યો. તેમણે કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરોનૉટિકલ ઇજનેરીમાં બી.એસસી.ની પદવી મેળવી ઉચ્ચ અભ્યાસ માટે યુ.એસ. ગયાં. 1984માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાંથી એમ.એસ.ની પદવી મેળવી. એ પછી યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડોમાંથી 1986માં એમ.એસ. અને 1988માં પીએચ.ડી.ની પદવી મેળવી પછી નાસામાં સંશોધનકાર્ય માટે જોડાયાં. 1983માં જીન પિયેર હેરિસન સાથે લગ્ન કર્યું. તેઓ યુ.એસ.એ.નાં નાગરિક બન્યાં. 19 નવેમ્બર, 1997ના રોજ સ્પેસ-શટલ કોલંબિયામાં ઉડાન ભરી. તેમને પૃથ્વીની આસપાસ 252 વખત ભ્રમણ કરતાં 360 કલાક થયા હતા અને 16.5 મિલિયન કિલોમીટર અંતર કાપ્યું હતું. તેમની અંતિમ ઉડાન STS – 107માં હતી. આ મિશન 16 જાન્યુઆરી, 2003ના રોજ શરૂ થયું હતું. તેમણે અને તેમના સાથી અવકાશયાત્રીઓએ ભ્રમણકક્ષામાં રહીને 80થી વધુ પ્રયોગો કર્યા હતા. 1 ફેબ્રુઆરીના રોજ પૃથ્વીના વાતવરણમાં પુનઃ પ્રવેશ દરમિયાન સ્પેસ-શટલ તૂટી પડ્યું. સ્પેસ-શટલમાંના સાત ક્રૂ સભ્યો પણ મૃત્યુ પામ્યા. કલ્પના ચાવલાને અસંખ્ય મરણોત્તર સન્માનો આપવામાં આવ્યાં. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ઉપગ્રહ ‘મેટસેટ-1’નું નામ બદલીને ‘કલ્પના-1’ કરવાની જાહેરાત કરી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીએ તેની એક ઇમારતનું નામ ચાવલાના નામ પરથી રાખ્યું છે. મંગળ પર કોલંબિયા હિલ્સમાંના એક શિખરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ દ્વારા મરણોત્તર કૉંગ્રેસનલ સ્પેસ મેડલ ઑફ ઑનરથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ અને નાસા ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ મેડલ આપવામાં આવ્યા. ચંદ્ર પરના એક ખાડાનું નામ ‘ચાવલા’ રાખવામાં આવ્યું છે. કરનાલમાં તેમના નામની સરકારી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ઉપક્રમો તેમના નામ સાથે જોડવામાં આવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

શંકરનકુટ્ટી પોટ્ટેક્કાટ

જ. 14 માર્ચ, 1913 અ. 8 ઑગસ્ટ, 1982

મલયાળમ સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજકારણી શંકરનકુટ્ટીનો જન્મ કાલિકટમાં થયો હતો. પિતા કુંજીરામન અને માતા કિટ્ટુલી. તેમનું પ્રારંભિક શિક્ષણ ગણપથ શાળામાં થયું. તેમણે 1929માં કાલિકટની ઝામોરિન્સ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, 1934માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. તેઓ 1937માં કાલિકટ ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય હતા. 1939ના ત્રિપુરા અધિવેશનમાં જવા માટે શાળામાંથી રજા ન મળતાં તેમણે રાજીનામું આપી દીધું. એ પછી તેઓ મુંબઈ અને લખનઉ ગયા. 1945માં કેરળ પાછા ફર્યા. તેમણે ભારતમાં પ્રવાસ કર્યો એ પછી 1949 અને 1952માં વિદેશ પ્રવાસો કર્યા. એના આધાર પર પ્રવાસવર્ણનનાં પુસ્તકો લખ્યાં. તેમને મલયાળમના જોન ગુથરનું બિરુદ મળ્યું હતું. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે 1928માં કૉલેજના સામયિકમાં પ્રથમ વાર્તા ‘રાજનીથિ’ પ્રકાશિત થઈ હતી. તેમની પ્રથમ નવલકથા ‘નાદાન પ્રેમમ’ 1941માં પ્રકાશિત થઈ હતી. તેમની કૃતિઓનો અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, ચેક, રશિયન ઉપરાંત ભારતની મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે સાઠેક જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં 10 નવલકથાઓ, 24 વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો, 18 પ્રવાસવર્ણનો, 4 નાટકો અને નિબંધસંગ્રહ અને સંસ્મરણો આધારિત બે પુસ્તકોનો સમાવેશ થાય છે. 1971માં મિલાનથી પ્રકાશિત ‘ધ બેસ્ટ શૉર્ટ સ્ટોરીઝ ઑવ ધ વર્લ્ડ’ના ઇટાલિયનસંગ્રહમાં તેમની વાર્તા ‘બ્રાંથન નાયા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. રશિયન ભાષામાં તેમની વાર્તાસંગ્રહની એક લાખ નકલોનું માત્ર બે સપ્તાહમાં વેચાણ થયું હતું. તેમની વાર્તાઓ પરથી મલયાળમમાં ફિચર ફિલ્મો બનાવવામાં આવી છે. તેમની વાર્તા ‘કડથુથોની’ પરથી બનેલી ફિલ્મ ‘કડવુ’ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પુરસ્કારો મળ્યા હતા. તેઓ 1962માં લોકસભાના સાંસદ હતા. તેમને તેમની નવલકથા ‘ઓરુ થેરુવિંટે કથા’ માટે 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ‘ઓરુ દેસાથિંટે કથા’ માટે 1972માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1980માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1982માં યુનિવર્સિટી ઑવ્ કાલિકટે ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ પદવી આપી હતી. ભારતીય ટપાલખાતાએ 2003માં તેમની પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

મલ્હારરાવ હોલકર

જ. 16 માર્ચ, 1693 અ. 20 મે, 1766

ઇન્દોરના પ્રથમ મહારાજા મલ્હારરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મુરુમ ગામમાં ખાંડુજી હોલકરને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન ખેડ તાલુકાનું વફગાંવ હતું, પરંતુ હોલ ગામમાં આવી સ્થાયી થયા આથી હોલકર કહેવાયા. 1696માં પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ત્રણ વર્ષના હતા. માતા એમને લઈને ખાનદેશના તાલોદ ગામમાં ભાઈ ભોજરાજ બારગલના ઘરે રહેવા ગયાં. મલ્હારરાવ યુવાન થતાં કંથાજીએ એમને ઘોડેસવાર તરીકે પોતાની ટુકડીમાં રાખ્યા. આમ તેમની લશ્કરી કારકિર્દી શરૂ થઈ. 1721માં તેઓ પેશ્વા બાજીરાવની સેનામાં જોડાયા. પોતાની મહેનત અને બુદ્ધિથી તેઓ આગળ વધ્યા. તેઓ બાજીરાવના વિશ્વાસુ સેનાપતિ બન્યા. 1725માં તેમને 500 ઘોડેસવારના ઉપરી બનાવવામાં આવ્યા. 1728માં અમઝેરાના યુદ્ધમાં રાણોજી સિંધિયા અને ઉદાજી પવાર સાથે ભાગ લીધો. 1730માં પેશ્વાએ માળવા પ્રાંતના સૂબેદાર તરીકે તેમની નિમણૂક કરી અને ચોથ ઉઘરાવવાનું કામ સોંપ્યું. તેમણે ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝો પાસેથી બસેનનો કિલ્લો જીતી લીધો. 1748માં રોહિલ્લા અભિયાનમાં બહાદુરી માટે તેમને શાહી સરદેશમુખીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ નર્મદા અને સહ્યાદ્રી વચ્ચે આવેલા પ્રદેશના શાસક હતા. તેમણે 1717માં ગૌતમાબાઈ સાથે લગ્ન કર્યાં. એ પછી બાનાબાઈ, દ્વારકાબાઈ, હરકુબાઈ અને એક ખાંડા રાણી સાથે પણ લગ્ન કર્યાં હતાં. 1754માં ભરતપુરના જાટ મહારાજા સૂરજમલ સામે કુમ્હેર કિલ્લાના ઘેરા દરમિયાન તેમના એકના એક પુત્ર ખંડેરાવનું અવસાન થયું. ખંડેરાવના અવસાન પછી ખંડેરાવનાં પત્ની અહિલ્યાબાઈને તેમણે સતી થતાં અટકાવી હતી. મલ્હારરાવનું આલમપુર ખાતે અવસાન થયું. તેમના અવસાન પછી અહિલ્યાબાઈએ આલમપુરમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, એ સ્થળે સમાધિ છત્રી બનાવી હતી.