મનુભાઈ જોધાણી


જ. ૨૮ ઑક્ટોબર, ૧૯૦૨ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૭૯

શૌર્ય અને સાહસપ્રધાન પુસ્તકોના લેખક અને સંપાદક તરીકે જાણીતા મનુભાઈ લલ્લુભાઈ જોધાણીએ પ્રાથમિક શિક્ષણ બરવાળાની પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કરીને બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી, અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૩૦માં ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની હાકલ પડતાં મનુભાઈ જોધાણીએ શાળામાંથી રાજીનામું આપી રાણપુરવાળા અમૃતલાલ શેઠની રાહબરી હેઠળ ચળવળની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમણે જાહેરસભામાં આપેલું ભાષણ ઝવેરચંદ મેઘાણીને નામે ચડી જવાથી મેઘાણીની અને પાછળથી તેમની પણ ધરપકડ થઈ હતી. આ જેલનિવાસના ફળ રૂપે ‘જનપદ’ (૧૯૩૨) અને ‘સોરઠી શૂરવીરો’ (૧૯૩૨) પુસ્તકો મળ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદમાં તેઓ સ્થિર થયા હતા અને ૧૯૩૨થી જીવણલાલ અમરસી મહેતાએ ‘સ્ત્રીબોધ’ નામનું સામયિક પૂતળીબાઈ કાબરાજી પાસેથી લીધેલું તેના સંપાદનકાર્યમાં તેઓ જોડાયા હતા. સાત-આઠ વર્ષ ‘સ્ત્રીબોધ’નું સંપાદન કર્યા બાદ એ સામયિક બંધ પડતાં મિત્રોની મબલક હૂંફ અને નજીવી મૂડી સાથે એમણે  ‘સ્ત્રીજીવન’ નામનું સામયિક ૧૯૩૯માં શરૂ કર્યું હતું અને કપરા સંજોગોમાં પણ જીવનના અંત સુધી પોતાની આગવી સૂઝ પ્રમાણે એનું સંપાદન કર્યું હતું.

સમકાલીન સાહિત્યકારો સાથે સાહિત્યની ગોષ્ઠી અને વિચારોની આપ-લેમાં ‘ચા-ઘર’ જેવું મંડળ અસ્તિત્વમાં આવ્યું હતું અને એના ફળ રૂપે ‘ચા-ઘર’ ભાગ ૧-૨ જેવાં પુસ્તકો અને એમના ડાયરાની વાતો ‘ચા-ઘર’ ડાયરી સ્વરૂપે મનુભાઈ પાસેથી પ્રાપ્ત થયાં. ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના સંશોધન-સંપાદનકાર્યમાં મનુભાઈ જોધાણીનું કાર્ય નોંધનીય છે. તેમણે અનેક લોકભોગ્ય શ્રેણીઓ આપી છે. ‘સુંદરીઓનો શણગાર ભાગ ૧-૨ તેમજ ‘રાંદલનાં ગીતો એ નારી-ઉપયોગી પુસ્તિકાઓ છે. ‘સોરઠી જવાહર, ‘ખાટીમીઠી બાળવાતો, ‘સોરઠી વિભૂતિઓ’, ‘આકાશી ચાંચિયો’, ‘કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’, ‘કુમારોની પ્રવાસકથા’ વગેરે તેમનું કિશોરોને ગમે તેવું સાહિત્ય છે. આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરનાં પંખી’ ભાગ ૧-૨, ‘વનવગડાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ’, ‘પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવું સર્વભોગ્ય સાહિત્ય તેમણે સરળ ભાષામાં આપ્યું છે. આ સિવાય ન્હાનાલાલ, મેઘાણી, ર. વ. દેસાઈ, ધૂમકેતુ જેવા અનેક સાહિત્યકારો વિશે સ્મૃતિઅંકો પ્રગટ કર્યા. ગુજરાત લોકસાહિત્ય સમિતિના અધ્યક્ષ બન્યા બાદ આશરે ૪૫ જેટલાં પુસ્તકો એમણે પ્રગટ કરાવ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાલડી વિસ્તારમાં ‘શ્રી મનુભાઈ જોધાણી માર્ગ’નું નામાભિધાન કરી તેમનું સન્માન કર્યું છે.

અમલા પરીખ

વૈકુંઠભાઈ મહેતા


જ. ૨૬ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૨૮ ઑક્ટોબર, ૧૯૬૪

ભારતમાં સહકારી પ્રવૃત્તિના પ્રણેતા વૈકુંઠભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ અને માતા સત્યવતીબહેન (શ્રી ભોળાનાથ સારાભાઈનાં પૌત્રી). ૧૯૦૭માં મુંબઈમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ગણિતના વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ આવવા બદલ તેમને ‘એલિસ પ્રાઇઝ’ મળ્યું હતું. આ ઉપરાંત તેમને અનેક સ્કૉલરશિપ તથા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. તેમણે ૧૯૧૩થી ૧૯૪૬ સુધી બૉમ્બે સેન્ટ્રલ બૅન્કમાં મૅનેજર અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયનના ચૅરમૅન તરીકે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી કાર્યરત હતા. ૧૯૪૬થી ૧૯૫૨ દરમિયાન મુંબઈ સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી  શ્રી બી. જી. ખેરે તેમને નાણાપ્રધાન અને સહકારમંત્રી બનાવ્યા. તેમણે પહેલી વાર વેચાણવેરો દાખલ કર્યો. તેમણે કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી કરતા ફાઇનાન્સ કમિશનની મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૩માં ભારત સરકારે સ્થાપેલા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના તેઓ અધ્યક્ષપદે નિમાયેલા.

વૈકુંઠભાઈએ અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. દેશમાં બેરોજગારી નાબૂદી માટે, દલિતો અને દરિદ્રનારાયણોની સેવા તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. તેમણે લખેલા કેટલાક ગ્રંથોમાં ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ન્યૂ ઇન્ડિયા’, ‘સ્ટડીઝ ઇન કો-ઑપરેટિવ ફાઇનાન્સ’, ‘પ્લાનિંગ ફોર કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘કો-ઑપરેટિવ ફાર્મિંગ’, ‘ટોવર્ડ્ઝ કો-ઑપરેટિવ કોમનવેલ્થ : ઍગ્રિકલ્ચરલ  ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’, ‘ટોવર્ડ્ઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકૉનૉમી’ (ખાદી કમિશન) વગેરે મહત્ત્વના છે.

સહકારી ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપનાર વૈકુંઠભાઈને ગાંધીજી માટે ખૂબ પ્રેમ અને માન હતું. જોકે તેઓ કૉંગ્રેસમાં કદી જોડાયા નહીં. તેઓ તેમની કાર્યનિષ્ઠા, સાદગી, નમ્રતા તથા ત્યાગવૃત્તિ માટે જાણીતા હતા. હાડકાંના માળા જેવું શરીર ધરાવતા વૈકુંઠભાઈ દૃઢ મનોબળ ધરાવતા હતા.

તેમની સેવાઓની કદર રૂપે ભારત સરકારે ૧૯૫૪માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માન્યા હતા. ૧૯૧૬માં બ્રિટિશ સરકારે વૈકુંઠભાઈને ‘કૈસરે હિન્દ’ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક અર્પણ કર્યા હતા, પરંતુ વિદેશી સરકારની દમનનીતિના વિરોધમાં તેમણે આ બંને ચંદ્રક બ્રિટિશ સરકારને પરત કર્યા હતા.

શુભ્રા દેસાઈ

દારાશા નોશેરવાન વાડિયા


જ. ૨૫ ઑક્ટોબર, ૧૮૮૩ અ. ૧૫ જૂન, ૧૯૬૯

ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રારંભિક શિક્ષણ સૂરતમાં લીધા બાદ ગુજરાતની એક ખાનગી શાળા અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. ૧૯૦૩માં બી.એસસી. અને ૧૯૦૬માં એમ.એસસી. થયા. દિલ્હી યુનિવર્સિટીએ ૧૯૪૭માં અને અલીગઢ યુનિવર્સિટીએ ૧૯૬૭માં ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી આપી હતી.

૧૯૦૬માં તેમની નિયુક્તિ જમ્મુની ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કરવામાં આવી, જ્યાં તેમણે ૧૯૨૦ સુધી ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ દરમિયાન તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સભ્ય બન્યા અને ૧૯૨૧થી ૧૯૨૮ સુધી તેઓ તેના વૈજ્ઞાનિક અધિકારી બન્યા. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી તેમણે જીવાવશેષ વિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૫માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો બન્યા. ૧૯૪૨-૪૩માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા અને ૧૯૫૭માં રૉયલ સોસાયટી ઑફ જિયૉલૉજીના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૫૧-૫૨ દરમિયાન ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને રૉયલ  એશિયાટિક સોસાયટીના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ૧૯૬૦માં ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફોર ઓશનિક રિસર્ચ’ના ચૅરમૅન તરીકેની જવાબદારી પણ નિભાવી. તેમણે ભૂસ્તરશાસ્ત્ર વિષયનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમણે ૧૯૧૯માં ‘જિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’, ૧૯૨૯-૩૪માં ‘જિયૉલૉજી ઑવ્ કાશ્મીર ઍન્ડ નૉર્થવેસ્ટ પંજાબ’ તથા ૧૯૩૨માં ‘સિન્ટેક્સિસ ઑવ્ ધ નૉર્થવેસ્ટર્ન હિમાલયાઝ’ પુસ્તકો લખ્યાં છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’ના અભ્યાસમાં તેમના પ્રદાન રૂપે ૧૯૭૬થી તેને ‘વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’નું નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેમને આપવામાં આવેલા  સન્માનમાં ૧૯૩૪માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી ઍવૉર્ડ, ૧૯૪૩માં લંડન જિયૉલૉજિકલ સોસાયટીનો લાયલ ચંદ્રક, ૧૯૪૪માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સનો જયકિસાન ચંદ્રક, ૧૯૫૦માં નૅશનલ જિયૉગ્રાફિકલ સોસાયટીનો નહેરુ ચંદ્રક, ૧૯૫૮માં ‘પદ્મભૂષણ’, ૧૯૬૪માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક, કૉલકાતાની એશિયાટિક સોસાયટીનો ખેતાન સુવર્ણચંદ્રક તથા કૉલકાતા યુનિવર્સિટીનો સર્વાધિકારી સુવર્ણચંદ્રકની લાંબી હારમાળા છે.

રાજશ્રી મહાદેવિયા