જ. ૪ ઑગસ્ટ, ૧૯૩૧ અ. ૩૧ માર્ચ, ૧૯૮૯

ગુજરાતના વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી શ્રી ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી ‘સી. જી. ખત્રી’ના નામે ઓળખાય છે. હાથવણાટનો વ્યવસાય કરતા પિતાએ અનેક મુશ્કેલી વેઠીને તેમને ભણાવ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસસી.માં સૌથી વધુ ગુણ મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી એમ.એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૬૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગના રીડર તરીકે જોડાયા અને પ્રોફેસર થયા. અમેરિકાની નૉર્થ કેરોલિના યુનિવર્સિટીએ બહુચલીય વિશ્લેષણના ક્ષેત્રમાં સંશોધન માટે નિમંત્રણ પાઠવ્યું. તેમની આંકડાશાસ્ત્ર વિષયની સમજ એટલી સંગીન હતી કે સંશોધનના કોઈ પણ પ્રશ્નને તેઓ તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં નિહાળતા. તેઓ સાચા અર્થમાં ‘આંકડાકીય કોયડાનો ઉકેલ શોધનાર વિદ્વાન’ હતા. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત જર્નલ્સમાં તેમના બસોથી વધારે સંશોધનલેખો પ્રકાશિત થયા હતા. મૌલિકતાની દૃષ્ટિએ મહત્ત્વના ગણાય તેવા ગ્રંથમાં તેમણે ગુજરાતી ભાષામાં ‘શ્રેણિકોનું ગણિત’ લખ્યું હતું જે આ વિષય પર લખાયેલાં વિશ્વનાં ઉચ્ચકોટિનાં પુસ્તકોમાંનું એક ગણી શકાય. બહુચલીય વિશ્લેષણ પર તેમણે પ્રા. એમ. એસ. શ્રીવાસ્તવ સાથે લખેલું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટિવેરિએટ સ્ટેટિસ્ટિક્સ’ પુસ્તક આ ક્ષેત્રે એક મૌલિક સંદર્ભગ્રંથ ગણાય છે. તેઓ પેનસ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે જોડાયેલા હતા અને ત્યાંના સેન્ટર ફોર મલ્ટિવેરિએટ ઍનાલિસિસમાં વારંવાર જતા હતા. તેમની સ્મૃતિમાં પેનસ્ટેટ યુનિવર્સિટીમાં સી. જી. ખત્રી વિઝિટિંગ સ્કૉલર પ્રોગ્રામ ચાલે છે અને તે અંતર્ગત સ્મૃતિ વ્યાખ્યાન યોજાય છે. ગુજરાતમાં આંકડાશાસ્ત્રનાં અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે તેમણે ૧૯૬૯માં ગુજરાત સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશનની સ્થાપના કરી અને મંડળના નેજા હેઠળ ૧૯૭૪માં ‘ગુજરાત સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ’ (G.S.R.) નામનું સંશોધન-સામયિક શરૂ કર્યું. તેમના તંત્રીપદે રહી તેમણે GSRને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રદાન કરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
અંજના ભગવતી