જ. ૨૦ મે, ૧૮૯૪ અ. ૮ જાન્યુઆરી, ૧૯૯૪

કાંચી મહાસ્વામી તરીકે ઓળખાતા શ્રી ચંદ્રશેખર સરસ્વતી ૨૦મી સદીના મહાન હિંદુ આધ્યાત્મિક નેતા અને વિચારક હતા. તેઓ કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને સમગ્ર ભારત માટે આધ્યાત્મિક દિશાના પ્રકાશપુંજ હતા. તમિળનાડુના વિલ્લુપુરમમાં સ્વામીનાથ શાસ્ત્રી અને મહાલક્ષ્મી અમ્મળના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સ્વામીનાથન હતું. બાળપણથી જ તેઓ તેજસ્વી, શાંત સ્વભાવના અને ધાર્મિક અભિગમ ધરાવતા હતા. ૧૯૦૫માં તિંદિવનમમાં સ્વામીનાથનનું ઉપનયન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમના ઉછેર દરમિયાન જ તેઓ વેદોમાં પારંગત બની પૂજા કરવા લાગ્યા હતા. ૧૯૦૬માં કામકોટી પીઠના ૬૬મા આચાર્ય શ્રી ચંદ્રશેખર સરસ્વતી છઠ્ઠા, ચાતુર્માસ વ્રતના પાલન માટે તિંદિવનમ્ નજીકના પેરુમુક્કલમ્ ગામમાં રહ્યા હતા જ્યાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પદ સંભાળ્યાના માત્ર એક અઠવાડિયા બાદ તેમનું અવસાન થયું. ત્યારબાદ સ્વામીનાથનના પિતરાઈ ભાઈને ૬૭મા આચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થતાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૦૭ના રોજ કાંચી કામકોટી પીઠના ૬૮મા શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભારતના અનેક પ્રદેશોમાં પદયાત્રા કરીને તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમને તમિળ ભાષા પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો, તેથી અનેક તમિળ વિદ્વાનો સાથે ઘણાં પ્રવચનો પણ કર્યાં હતાં. તેમણે ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપીને આમૂલ સામાજિક ફેરફારો કર્યા હતા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે તેમણે રાષ્ટ્રધ્વજ અને તેમાં દેખાતા અશોક ચક્રના મહત્ત્વ પર ભાષણ પણ આપ્યું હતું. તેઓ જીવનભર નિર્વિકાર રહી, શાંતિ, સાધના અને સંયમમય જીવન જીવ્યા હતા. સંસ્કૃત અને વેદ શાસ્ત્રોમાં પારંગત હોવાથી તેમણે વેદોનું મહત્ત્વ પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગે વળવાની પ્રેરણા આપી હતી. ૯૯ વર્ષની ઉંમરે તેમનું મહાપરિનિર્વાણ થયું. કાંચી મહાસ્વામી માત્ર એક સંત નહિ, પરંતુ એક યુગદ્રષ્ટા હતા. તેમના શિષ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી અને પછી શ્રી વિજયેન્દ્ર સરસ્વતી તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.
મયંક ત્રિવેદી