Categories
વાચન સમૃદ્ધિ

શ્રી ચંદ્રશેખર સરસ્વતી

જ. ૨૦ મે, ૧૮૯૪ અ. ૮ જાન્યુઆરી, ૧૯૯૪

કાંચી મહાસ્વામી તરીકે ઓળખાતા શ્રી ચંદ્રશેખર સરસ્વતી ૨૦મી સદીના મહાન હિંદુ આધ્યાત્મિક નેતા અને વિચારક હતા. તેઓ કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને સમગ્ર ભારત માટે આધ્યાત્મિક દિશાના પ્રકાશપુંજ હતા. તમિળનાડુના વિલ્લુપુરમમાં સ્વામીનાથ શાસ્ત્રી અને મહાલક્ષ્મી અમ્મળના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સ્વામીનાથન હતું. બાળપણથી જ તેઓ તેજસ્વી, શાંત સ્વભાવના અને ધાર્મિક અભિગમ ધરાવતા હતા. ૧૯૦૫માં તિંદિવનમમાં સ્વામીનાથનનું ઉપનયન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમના ઉછેર દરમિયાન જ તેઓ વેદોમાં પારંગત બની પૂજા કરવા લાગ્યા હતા. ૧૯૦૬માં કામકોટી પીઠના ૬૬મા આચાર્ય શ્રી ચંદ્રશેખર સરસ્વતી છઠ્ઠા, ચાતુર્માસ વ્રતના પાલન માટે તિંદિવનમ્ નજીકના પેરુમુક્કલમ્ ગામમાં રહ્યા હતા જ્યાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પદ સંભાળ્યાના માત્ર એક અઠવાડિયા બાદ તેમનું અવસાન થયું. ત્યારબાદ સ્વામીનાથનના પિતરાઈ ભાઈને ૬૭મા આચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થતાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૦૭ના રોજ કાંચી કામકોટી પીઠના ૬૮મા શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભારતના અનેક પ્રદેશોમાં પદયાત્રા કરીને તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમને તમિળ ભાષા પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો, તેથી અનેક તમિળ વિદ્વાનો સાથે ઘણાં પ્રવચનો પણ કર્યાં હતાં. તેમણે ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપીને આમૂલ સામાજિક ફેરફારો કર્યા હતા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે તેમણે રાષ્ટ્રધ્વજ અને તેમાં દેખાતા અશોક ચક્રના મહત્ત્વ પર ભાષણ પણ આપ્યું હતું. તેઓ જીવનભર નિર્વિકાર રહી, શાંતિ, સાધના અને સંયમમય જીવન જીવ્યા હતા. સંસ્કૃત અને વેદ શાસ્ત્રોમાં પારંગત હોવાથી તેમણે વેદોનું મહત્ત્વ પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગે વળવાની પ્રેરણા આપી હતી. ૯૯ વર્ષની ઉંમરે તેમનું મહાપરિનિર્વાણ થયું. કાંચી મહાસ્વામી માત્ર એક સંત નહિ, પરંતુ એક યુગદ્રષ્ટા હતા. તેમના શિષ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી અને પછી શ્રી વિજયેન્દ્ર સરસ્વતી તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

પુનિત મહારાજ

જ. ૧૯ મે, ૧૯૦૮ અ. ૨૭ ઑગસ્ટ, ૧૯૬૨

સેવાપરાયણ સંત, લોકભજનિક પુનિત મહારાજનો જન્મ ધંધૂકામાં શંકરભાઈ તથા લલિતાબહેનને ત્યાં થયો હતો. છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક સુધી જ અભ્યાસ કરી શક્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરીએ લાગ્યા. માતાથી હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ધંધૂકા જઈ ‘ગર્જના’ દૈનિકમાં કારકુની કરી, આડકતરી રીતે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી સાથે ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક અને ક્લાર્કની  નોકરી પણ કરી. માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કાવ્યસર્જનનાં બીજ રોપાયાં. કાવ્યસર્જનની સરવાણી ફૂટી. રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. નિષ્ઠાપૂર્ણ અભ્યાસ અને લગનના પરિણામે ભજન અને આખ્યાનોની રચના થવા માંડી. એમના જીવન દરમિયાન એમણે ૩૫૦૦થી વધુ ભજનો, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરિંસહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો, ‘નવધાભક્તિ’ના ૧થી ૧૧ ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંતકથાઓ એમ બધા મળીને ૬૦ જેટલા ગ્રંથો આપ્યા છે. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને તરબોળ કરી દેતા. ભાખરીદાન, મફત રોગનિદાન યજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ તેમની માનવસેવા અને સમાજસેવાનાં ઉત્તમ ઉદાહરણ છે. તેમણે અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટનો સ્વીકાર કર્યો નહોતો કે ખર્ચ લઈને ભજન નહોતાં કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા મંડળી સાથે  ચાલી નીકળતા અને સાથે સાથે માનવસેવાનાં કામો અને રાહતકામો કરતા. તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

બહેરામજી મલબારી

જ. ૧૮ મે, ૧૮૫૩ અ. ૧૨ જુલાઈ, ૧૯૧૨

બહેરામજી મલબારી ભારતીય કવિ, લેખક અને સમાજસુધારક હતા, જેઓ મહિલાઓના અધિકારોના રક્ષણ અને બાળલગ્ન સામેની તેમની પ્રવૃત્તિઓ માટે તેમના પ્રખર હિમાયત માટે જાણીતા હતા. બહેરામજી મલબારીનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ પારસી કારકુન ધનજીભાઈ મહેતા અને ભીખીબાઈના પુત્ર હતા. તેમને મેરવાનજી નાનાભાઈ મલબારી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. મેરવાનજી માલાબાર કિનારે ચંદનનાં લાકડાં અને મસાલાનો વેપાર કરતા હતા, તેથી તેમનું નામ ‘મલબારી’ પડ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ હોવાથી મલબારીએ કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૮૭૫ની શરૂઆતમાં તેમણે ગુજરાતીમાં કવિતાઓનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ૧૮૭૭માં ‘The Indian Muse in English Garb’ નામનું પ્રકાશિત થયું, જેના દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. તેમનો ઝોક સાહિત્ય તરફ પણ વિશેષ હતો. પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંને ભાષામાં કાવ્યો રચ્યાં. કોઈક સમયે, મલબારીએ બૉમ્બે (હાલનું મુંબઈ) શહેરમાં સ્થળાંતર કર્યું. ૧૮૮૦માં મલબારી ‘The Indian Spectator’ નામના પત્રના સંપાદક બન્યા અને વીસ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું અને તેના માધ્યમથી ઘણા સામાજિક મુદ્દાઓને ઉઠાવ્યા. તેમણે ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘ધ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લિશ ગેર્બ’ (૧૮૭૭), ‘ધ  ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’ (૧૮૯૩) અને ‘ગુજરાત ઍન્ડ ગુજરાતીઝ’ (૧૮૮૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે બાળલગ્નને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થાની માંગ કરી. તેમના પ્રયત્નોથી The Age of Consent Act ૧૮૯૧ પસાર થયો, જેના દ્વારા છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષની કરાઈ. મલબારીએ ભારતીય સમાજસુધારણા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવ્યું. તેમણે  ઇંગ્લૅન્ડની યાત્રા કરી અને ત્યાં ભારતીય મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. બહેરામજી મલબારીએ જીવનના અંત સુધી લેખન અને ભાષણો દ્વારા સમાજસુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આત્મકથા ‘The Life and Work of Behramji M. Malabari’ તેમના વિચારો અને યોગદાનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૦૧માં તેઓ માસિક ઈસ્ટ ઍન્ડ વેસ્ટના સંપાદક બન્યા, જે પદ તેઓ ૧૨ જુલાઈ, ૧૯૧૨ના રોજ સિમલામાં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી સંભાળતા રહ્યા. તેમના મૃત્યુ પછી પણ ભારતીય સમાજસુધારણા અને સ્ત્રીઅધિકારના આગવા યોદ્ધા તરીકે તેમને યાદ કરવામાં આવે છે.