જ. 8 ડિસેમ્બર, 1877 અ. 18 માર્ચ, 1956

મહારાષ્ટ્રના સંસ્કૃત વિદ્વાન અને ધાર્મિક સુધારક નારાયણ મરાઠેનો જન્મ કોલાબા જિલ્લાના સુડકોલી ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે થયું હતું. સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અધ્યયન માટે તેમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. ઘણા વિદ્વાનો પાસે રહી અધ્યયન કર્યું, પરંતુ તેમના પર પ્રજ્ઞાનંદ સરસ્વતીનો વિશેષ પ્રભાવ પડ્યો. નારાયણે તેમની પાસે વેદાંતનું અધ્યયન કર્યું. તેઓ ઋગ્વેદ, સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. તેમણે ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ભારત અને વિશ્વનો ઇતિહાસ, ખગોળશાસ્ત્ર અને ભૂગોળનું પણ અધ્યયન કર્યું. તેઓ પોતાનાં બધાં જ કામ જાતે કરતા. દિવસભર અભ્યાસ કરતા અને તપસ્વી જેવું જીવન જીવતા. તેમણે તેમના ગુરુના નામ પરથી વાઈમાં ‘પ્રજ્ઞામઠ’ નામના વિદ્યાલયની સ્થાપના કરી. પછીથી એનું નામ ‘પ્રજ્ઞા પાઠશાળા’ રાખવામાં આવ્યું. આ વિદ્યાલયમાં ભારતીય દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. તેમણે વામન કાણે જેવા વિદ્વાનોના સહયોગથી ‘ધર્મ નિર્ણય મંડળ’ની સ્થાપના કરી. તેમણે 1927માં ‘ધર્મકોશ કાર્યાલય’ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોને લગતા વિશ્વકોશ સમાન સાત ખંડો પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે પ્રાચીન શિક્ષણપદ્ધતિને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણપદ્ધતિની રચના કરી. તેમણે 1931માં સંન્યાસ લીધો. સંન્યાસ પછી તેઓ કેવલાનંદ સરસ્વતીના નામે જાણીતા થયા. સંન્યાસ લીધા પછી પણ તેમણે હિંદુ દાર્શનિક વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ‘મીમાંસાદર્શનમ્’ અને ‘અદ્વૈતસિદ્ધિ’નો મરાઠીમાં અનુવાદ કર્યો. ‘કૌશિતાકી બ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીય શાખા’ના વિષયવસ્તુના કોષ્ટક તૈયાર કર્યાં. ‘સત્યશબ્દ સંવાદ’ અને ‘તૈત્તિરીય શાખા’ તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે ‘મીમાંસા કોશ’ અને ‘અદ્વૈત વેદાંત કોશ’ની રચના કરી હતી.
અનિલ રાવલ


