Categories
વાચન સમૃદ્ધિ

સઈદ જાફરી

જ. 8 જાન્યુઆરી, 1929 અ. 15 નવેમ્બર, 2015

આગવી અદાકારી અને અભિનય માટે જાણીતા ભારતીય સિનેજગતના અભિનેતા સઈદ જાફરીનો જન્મ પંજાબમાં થયો હતો. હિન્દી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું, જેનો ઉપયોગ તેઓ વિવિધ પાત્રોની ભજવણી વખતે કરતા હતા. પિતા હમિદહુસૈન જાફરી, સરકારી સ્વાસ્થ્ય ખાતામાં તબીબી હોવાને કારણે નોકરીમાં અનેક વાર બદલીઓ આવી. જ્યાં સઈદ જાફરીએ વિવિધ અનુભવો લીધા. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી માધ્યમની શાળા અને કૉલેજમાં અભ્યાસ કરવાથી બ્રિટિશ અંગ્રેજીનો સારો મહાવરો રહ્યો. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન રેડિયો બી.બી.સી. સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ નાટકોમાં અભિનય કરતા. 1977માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ સાથે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘હિના’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘ચશ્મેબદદુર’, ‘સાગર’, ‘કિસીસે ના કહેના’, ‘ગાંધી’, ‘માય બ્યૂટીફુલ લૉન્ડ્રેટ’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. હોલિવુડમાં સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેતા છે. તેમણે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1958થી 1966 સુધી તેઓ માધુરી જાફરી સાથે લગ્ન સંબંધમાં રહ્યા. 1980માં જેનિફર સોરેલ સાથે બીજાં લગ્ન કર્યાં. પહેલા લગ્નમાં ત્રણ પુત્રીઓ છે. 80 અને 90ના દાયકામાં બ્રિટનનો ટૉપ એશિયન ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો. લંડનમાં બ્રેઇનહેમરેજના કારણે એમનું અવસાન થયું. અવસાન બાદ 2016માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઇરફાન ખાન

જ. 7 જાન્યુઆરી, 1967 અ. 29 એપ્રિલ, 2020

ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા ઇરફાન ખાનનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. તેઓ હિન્દી સિનેમા ઉપરાંત બ્રિટિશ અને હોલિવુડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ખ્યાતનામ છે. તેમનાં માતા સઇદાબેગમ ખાન અને પિતા યાસીન અલી ખાન. ઇરફાન ખાનનું બાળપણ શરૂમાં ટોંકમાં અને પછીથી જયપુરમાં વીત્યું. જયપુરની કૉલેજમાંથી જ તેમણે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ક્રિકેટના કુશળ ખેલાડી હતા. તેઓ અંડર 23 સી. કે. નાયડુ ટ્રૉફી માટે ઊભરતા ખેલાડી તરીકે રમવા માટે પસંદગી પામ્યા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેમાં સામેલ થઈ શક્યા નહીં. ત્યારબાદ જોધપુરમાં તેમના મામાના પ્રભાવ હેઠળ તેમને અભિનય પ્રત્યે રુચિ જાગૃત થઈ. 1984માં અભિનયની તાલીમ માટે તેમણે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(એન.એસ.ડી.)માં પ્રવેશ મેળવ્યો. 1987માં એન.એસ.ડી.માં સ્નાતક બન્યા બાદ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને અંતે તેમણે સૌપ્રથમ મીરા નાયરની ફિલ્મ ‘સલામ બૉમ્બે’માં એક નાનકડી ભૂમિકા ભજવવાથી અભિનય કારકિર્દીનો આરંભ કર્યો. તેમની મુખ્ય ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મ 2005માં ‘રોગ’ હતી. તે પછી તેમણે ‘ધ નેમસેક’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘મકબૂલ’, ‘ગૂંડે’, ‘પિકૂ’, ‘જજબા’, ‘ધ લન્ચબૉક્સ’, ‘પાનસિંહ તોમર’ ‘હિન્દી મિડિયમ’, ‘અંગ્રેજી મિડિયમ’ વગેરે જેવી અનેક ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં. તેમણે નિર્માતા તરીકે ‘મદારી’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મો કરી. જ્યારે ‘કહાની’, ‘ખામોશી’ વગેરે જેવી ફિલ્મો માટે સંવાદ-લેખનનું કાર્ય કર્યું હતું. બોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ તેમણે દૂરદર્શન પર ધારાવાહિકોનું સંચાલન કર્યું અને અભિનય કર્યો. તેમણે કેટલીક લઘુ- ફિલ્મો અને નાટકોમાં પણ અભિનય કર્યો. તેમને માટે કહેવાતું કે તેઓ શબ્દોથી વધુ આંખો દ્વારા અભિનય કરતા. તેમણે અનેક વૈવિધ્યસભર પ્રભાવશાળી ભૂમિકાઓ ભજવી. તેમણે ‘ધ માઇટી હાર્ટ’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘સ્લમડૉગ મિલિઓનર’ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ પ્રશંસનીય અભિનય કર્યો છે. 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક ઍવૉર્ડ જીતનાર ખાનને 2018માં ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ માટે ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

નરેન્દ્ર કોહલી

જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત દિલ્હીની પી.જી.ડી.એ.વી. કૉલેજથી કરી. 1965માં મોતીલાલ નહેરુ કૉલેજ, દિલ્હીમાં જોડાયા અને 1 નવેમ્બર, 1995ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપન કર્યું. તેમને બાળપણથી જ લેખનનો શોખ હતો. આઠમા ધોરણમાં હતા ત્યારે શાળાના મુખપત્રમાં ઉર્દૂમાં ‘હિન્દુસ્તાન : જન્નત નિશાન’ વાર્તા પ્રકાશિત થઈ હતી એ પછી ‘કિશોર’, ‘અવાજ’ વગેરે સામયિકોમાં રચનાઓ પ્રગટ થઈ. તેમની નવલકથાઓમાં આધુનિકતા હોવા છતાં તે પાશ્ચાત્ય અસરથી મુક્ત છે. તેમણે ભારતની સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને પ્રતિબિંબિત કર્યાં છે. તેમણે રામાયણની કથાનો ઉપયોગ કરીને ચાર ખંડોમાં 1800 પાનાંની નવલકથા લખી. 1975માં ‘દીક્ષા’ના પ્રકાશનથી હિન્દી સાહિત્યમાં નવો યુગ શરૂ થયો. તેમણે શ્રીકૃષ્ણની કથા પર આધારિત ‘અભિજ્ઞાન’, મહાભારત આધારિત ‘મહાસમર’ અને સ્વામી વિવેકાનંદના જીવન આધારિત ‘તોડો કારા તોડો’ નવલકથા લખી. તેમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત નવલિકા, નાટક, વ્યંગ્ય, નિબંધ, પ્રવાસવર્ણન અને બાળસાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમનાં પુસ્તકોનો કન્નડ, નેપાળી, ઊડિયા, મરાઠી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં અનુવાદ થયો છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2023થી તેમનો જન્મદિવસ 6 જાન્યુઆરી હિન્દી સાહિત્યજગતમાં ‘સાહિત્ય લેખક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.