Categories
વાચન સમૃદ્ધિ

અનંતરાય મ. રાવળ ‘શૌનક’

જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988

ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી સાથે બી.એ. થયા. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલું. ઈ. સ. 1934માં એમ.એ. પ્રથમ વર્ગ સાથે કર્યું. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ઈ. સ. 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઈ. સ. 1959 સુધી ત્યાં જ કાર્ય કર્યું. 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાષા-વિભાગમાં ભાષા-નિયામક તરીકે કાર્ય કર્યું. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1977ના એક વર્ષ માટે ભવનના નિયામક પણ થયેલા. ગોવર્ધનરામ ત્રિપાઠી અને ન્હાનાલાલ તેમના પ્રિય સર્જકો હતા. 1933 તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયેલો. વિવેચન, અનુવાદ અને સંપાદન મળી તેમની પાસેથી 45 જેટલા ગ્રંથો મળ્યા છે. વિષયની સર્વગ્રાહી ચર્ચા અને મુદ્દાસર સઘન રજૂઆત તેમના વિવેચનની વિશેષતા છે. ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ એ તેમનો વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવો અભ્યાસગ્રંથ છે. તેમની પાસેથી નવેક સંપાદનો અને બેત્રણ અનુવાદગ્રંથો મળ્યા છે. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાનો તેમણે સંક્ષેપ કરેલો. તેમને તેમની સમગ્ર સાહિત્યની સેવાના સંદર્ભમાં ઈ. સ. 1955નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર તથા નર્મદ ચંદ્રક પણ તેમને મળેલ. 1980માં વડોદરા ખાતે ગુ. સા. પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેમના અવસાન બાદ સ્મારક સમિતિ તરફથી વિવેચન ઍવૉર્ડ અને અધ્યાપક ઍવૉર્ડ અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મહાવીર ત્યાગી

જ. 31 ડિસેમ્બર, 1899 અ. 22 મે, 1980

ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર મહાવીર ત્યાગીનો જન્મ ધબરસી, ઉત્તરપ્રદેશમાં થયો હતો. પિતાનું નામ શિવનાથસિંહ અને માતાનું નામ જાનકીદેવી હતું. તેમનો વ્યવસાય ખેતી હતો. પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ લેવા મેરઠ ગયા. ત્યારબાદ તેઓ ભારતીય લશ્કરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે સેવા આપી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. તેથી તેમના પર લશ્કરના નિયમો મુજબ કોર્ટ માર્શલ કરવામાં આવ્યું. જેના પરિણામે લશ્કરની સેવાઓ દરમિયાન તેમની જે રકમ  સરકારમાં જમા હતી તે જપ્ત કરવામાં આવી હતી. તેઓ કૉંગ્રેસના સક્રિય, પાયાના અને કર્મઠ નેતા હતા. આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ સાત વખત જેલવાસ ભોગવ્યો હતો. આઝાદી પહેલાં તેઓ ઉત્તરપ્રદેશની પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય હતા. લોકજાગૃતિ, લોકચેતનાનાં કાર્યોમાં તેમણે ઊંડો રસ લીધો હતો. શેરી સભાઓમાં બ્યૂગલ દ્વારા લોકોને એકત્ર કરતા તેથી બ્યૂગલવાળા ત્યાગી તરીકે જાણીતા થયા હતા. તેઓ ઉત્તરપ્રદેશમાં સુલતાન કે તાજ વગરના રાજાનું બિરુદ પણ પામ્યા હતા. 1927થી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય રહ્યા હતા. 1947-48 દરમિયાન ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમિયાન શાંતિ જાળવવા તથા રમખાણોના ભોગ બનેલા લોકોની સેવા કરવા સારુ તેમણે ‘ત્યાગી પોલીસ’ની રચના કરી હતી. 1937થી 1947 સુધી ઉત્તરપ્રદેશ ધારાસભાના સભ્ય હતા. 1951માં કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેવન્યૂ અને ખર્ચ ખાતાના પ્રધાન તરીકે જોડાયા હતા. 1953થી 1957 સુધી કેન્દ્રના સંરક્ષણપ્રધાન તરીકે ફરજો બજાવી હતી. 1957થી 1959 દરમિયાન સીધા કરવેરા વહીવટ અંગેની સમિતિના ચૅરમૅન તરીકે તથા 1962થી 1964 દરમિયાન જાહેર હિસાબ સમિતિના ચૅરમૅન તરીકે કામગીરી બજાવી હતી. ત્યારબાદ તેઓ પુનર્વસવાટ ખાતાના કૅબિનેટ કક્ષાના પ્રધાન બન્યા હતા. તાશ્કંદ સમજૂતીના વિરોધમાં 1966માં કેન્દ્રીય કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું. 1967માં પોસ્ટ અને ટેલિગ્રાફ ટેરિફ સમિતિના ચૅરમૅન તથા 1968-69 દરમિયાન પાંચમા નાણાપંચના અધ્યક્ષપદે રહ્યા હતા. 1970માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમનાં સ્વાતંત્ર્યસંગ્રામનાં સંસ્મરણો હિન્દી ભાષામાં ‘મેરી કૌન સુનેગા’ તથા ‘વે ક્રાન્તિ કે દિન’ પુસ્તકમાં આલેખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

રુડ્યાર્ડ કિપ્લિંગ

જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936

અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્નાતકની પદવી મેળવવામાં રુચિ ન રહેતાં પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે સમયે પિતા લાહોરમાં હતા આથી 1882માં સ્થાનિક સમાચારપત્ર સિવિલ અને ગૅઝેટના મદદનીશ તંત્રીપદે જોડાયા ત્યારથી તેમની સાહિત્યજીવનની શરૂઆત થઈ. 1886માં પહેલો કાવ્યસંગ્રહ ‘ડિપાર્ટમેન્ટલ ડિટ્ટિસ’ પ્રકાશિત કર્યો. 1887 સુધીમાં 39 વાર્તાઓ ગૅઝેટ માટે લખી. 1887ના નવેમ્બરમાં કિપ્લિંગની બદલી અલાહાબાદમાં થઈ. ત્યાં તેઓ ‘ધ પાયોનિયર’ નામના સમાચારપત્ર સાથે જોડાયા. 1888માં ટૂંકી વાર્તાઓના છ સંગ્રહો બહાર પાડ્યા, તેમાં 41 વાર્તાઓ હતી. 1891ના પાછળના ભાગમાં અંગ્રેજો ભારતમાં હતા ત્યારની વાર્તા ‘લાઇફ્સ હૅન્ડિકૅપ’માં લખી. ‘રિસેશનલ’ કાવ્યથી તેમની કીર્તિ ખૂબ વધી. 1932માં તેમણે આત્મકથાનક ‘સમથિંગ ઑવ્ માયસેલ્ફ’ લખ્યું. તેમની સૌથી લોકપ્રિય બનેલી કૃતિ તે 1894 અને 1895માં બે ભાગમાં લખાયેલી ‘જંગલબુક’ તેમાં પશુપક્ષીઓના દૃષ્ટાંતથી તેમણે બાળકોને શિષ્ટ વાંચન પૂરું પાડ્યું છે. બીજું એક લોકપ્રિય સર્જન ‘કીમ’ છે. તે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તેમાં કુમારજીવનનાં સાહસોથી ભરેલી રસિક વાતો છે. તે વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. 1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ સાહિત્યકાર હતા. 1936માં તેઓ લંડનમાં અવસાન પામ્યા.