Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જે. જે. થોમસન

જ. 18 ડિસેમ્બર, 1856 અ. 30 ઑગસ્ટ, 1940

ઇલેક્ટ્રૉનના જનક તરીકે જાણીતા સર જે. જે. થોમસનનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ જોન થોમસન હતું. તેમના પિતા દુર્લભ પુસ્તકોનો વેપાર કરતા હતા. જે વેપાર પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હતો. જે. જે. થોમસનને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હોવાથી પરિવારે તેને એન્જિનિયરિંગ કરાવવાનું નક્કી કર્યું. તેમનો એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. થોમસન ભણવામાં બહુ હોશિયાર હોવાથી તેના અભ્યાસનો ભાર મિત્રોએ ઉપાડી લીધો હતો. પછીથી તેમને સ્કૉલરશિપ પણ મળી એટલે તેમનો અભ્યાસ ક્યાંય અટક્યો નહીં. અભ્યાસ પૂર્ણ કરીને જે. જે. થોમસન કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રયોગ પણ કરતા હતા. 1884માં પ્રયોગશાળાના અધ્યક્ષ લૉર્ડ રેલેને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના છોકરા જે. જે. થોમસનની પસંદગી કરી હોવાથી નાની ઉંમરમાં આખી પ્રયોગશાળા સંભાળવાનો ભાર થોમસન પર આવી ગયો હતો. થોમસને ખૂબ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે તેમના નિર્દેશનમાં એ સંસ્થા વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વની ઉત્તમ સંસ્થા બની. આ પ્રયોગશાળામાં થોમસનને પોતાનું જીવનકાર્ય અને જીવનસાથી બંને પ્રાપ્ત થયાં. જે. જે. થોમસને ઇલેક્ટ્રૉનની શોધ કરી હોવાથી તેમને ઇલેક્ટ્રૉનના જનક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમને આઇસોટોપના શોધક પણ માનવામાં આવે છે. આ સિવાય તેમણે સાબિત કર્યું કે કૅથોડ કિરણને કોઈ ચુંબકીય અને વિદ્યુતક્ષેત્ર પણ વિચલિત કરી શકે છે. તેમણે કરેલાં આ બધાં સંશોધનોને કારણે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

લાખાજીરાજસિંહજી દ્વિતીય

જ. 17 ડિસેમ્બર, 1885 અ. 2 ફેબ્રુઆરી, 1930

નિર્ભય અને પ્રબુદ્ધ પ્રશાસક લાખાજીરાજસિંહજી દ્વિતીયનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતા બાવાજીરાજસિંહજી અને માતા આનંદકુંબરબા. માતા ધરમપુર નારણદેવજી બીજાનાં પુત્રી હતાં. તેમણે પાંચ વર્ષની ઉંમરે 1890માં પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ રાજકોટ રાજ્યની ગાદીના વારસદાર બન્યા, પરંતુ 21 ઑક્ટોબર, 1907ના રોજ તેમને સત્તાની ધુરા સોંપવામાં આવી. તેઓ બાળપણમાં મોસાળ ધરમપુરમાં રહેતા. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ ટેનિસ, પોલો અને ઍથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લેતા. ક્રિકેટ તેમની પ્રિય રમત હતી. કાઠિયાવાડની ઘણી સંસ્થાઓ સામે શાળા તરફથી ક્રિકેટ રમ્યા હતા. રાજકુમાર કૉલેજમાં અંતિમ વર્ષમાં બધા વર્ગો પાસ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ 1905 દહેરાદૂનમાં ઇમ્પીરિયલ કૅડેટ કૉર્પ્સ માટે ગયા. માર્ચ, 1907માં સ્નાતક થયા. તેમણે ઘણી વખત ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા શાસક હતા. તેમનું જીવન પારદર્શી અને અનુકરણીય હતું. તેઓ પ્રજાને મુક્તપણે મળતા હતા. હૃદયથી રાષ્ટ્રવાદી હોવાથી ગાંધીજીના પ્રશંસક હતા. તેમણે 1910માં સ્ટેટ બૅન્કની સ્થાપના કરી. તેમણે રાજ્યમાં બંધારણીય સુધારાઓ કર્યા અને સ્વતંત્ર રીતે ચૂંટાયેલી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. તેમણે 1911માં યોજાયેલ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. 3 જૂન, 1918ના રોજ તેમણે નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના સાતમા ઠાકોરસાહેબ લોકપ્રિય અને કુશળ શાસક તરીકે લોકોના હૃદયમાં વસેલા છે.