Categories
વાચન સમૃદ્ધિ

જેન ઑસ્ટિન

જ. 16 ડિસેમ્બર, 1775 અ. 18 જુલાઈ, 1817

અંગ્રેજી સાહિત્યમાં અમર કીર્તિ પ્રાપ્ત કરેલ લેખિકા જેન ઑસ્ટિનનો જન્મ સ્ટિવેન્ટન હેમ્પશાયરમાં થયો હતો. તદ્દન સામાન્ય કુટુંબમાં જન્મેલાં જેને લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ કર્યો હતો. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે ચૌદ વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રૅન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે આકાર પામી. જેને ઈ. સ. 1797માં લખેલ ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા ઈ. સ. 1813માં પ્રકાશિત થઈ અને આ નવલકથાએ ઇતિહાસ રચ્યો. આ નવલકથા અંગ્રેજી સાહિત્યવિશ્વના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે ઓળખાય છે. તેમની બીજી લોકપ્રિય નવલકથાઓમાં ‘એમ્મા’, ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’, ‘નાર્દેન્જર એબે’, ‘મેન્સફિલ્ડ પાર્ક’ અને ‘પર્સુએશન’નો સમાવેશ થાય છે. જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોના ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. પોતાની નવલકથાઓમાં જેને સામાજિક પરિવર્તનોના પ્રયોગોનો વિરોધ કરીને પારંપરિક મૂલ્યોને જ આગળ કર્યાં હતાં. તેમની નાયિકાઓ દ્વારા સ્ત્રીના ભાવમનનો થતો ખુલાસો અને તેને અંતે નર્મ સુખાન્તનો મળનારો સાથ એ જેનની નવલકથાની સબળ બાજુઓ હતી. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે. માત્ર 42 વર્ષની વયે જેન ઑસ્ટિને વિશ્વની વિદાય લીધી. તેમની કારકિર્દીને બે સદીઓ વીતી ગઈ હોવા છતાં તેમની પ્રતિભાની તાજગીને કારણે તેમની કલાકૃતિઓને આજે પણ દાદ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇરાવતી કર્વે

જ. 15 ડિસેમ્બર, 1905 અ. 11 ઑગસ્ટ, 1970

ઇરાવતીનો જન્મ બ્રહ્મદેશમાં પિતા શ્રી. જી. એસ. કરમાકરને ત્યાં થયો હતો. મૂળ મહારાષ્ટ્રના પણ બ્રહ્મદેશમાં પિતા એન્જિનિયર તરીકે કામ કરતા હતા. બ્રહ્મદેશમાં આવેલ નદીના નામ પરથી દીકરીનું નામ ઇરાવતી પાડ્યું હતું. ઇરાવતીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રહ્મદેશમાં લીધું, ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિષય સાથે 1926માં સ્નાતકની ઉપાધિ મેળવી. તે સમયે ઉચ્ચશિક્ષણ લેતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. ઇરાવતીને ભણવાની લગન ખૂબ હોવાથી તેઓ અભ્યાસમાં આગળ વધતાં ગયાં. ઈ. સ. 1928માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. 1930માં તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી માનવશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ભારત પાછાં આવ્યાં. પુણેની ફર્ગ્યુસન કૉલેજના એ સમયના આચાર્ય દિનકર કર્વે સાથે તેમનાં લગ્ન થયાં. પુણેની ડેક્કન કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં તેઓ પ્રાધ્યાપિકા હતાં. લગ્ન પછી તેમણે અધ્યાપનનું કાર્ય ચાલુ રાખ્યું. તેમને સ્ત્રીકેળવણીમાં ખૂબ જ રસ હતો. દેશમાં વધારે સ્ત્રીઓ અભ્યાસ, અધ્યાપન અને સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે તેવું તે ઇચ્છતાં હતાં. તેઓએ ‘મહાભારત’નો અભ્યાસ કરી તેના ઉપર એક શોધપૂર્ણ ગ્રંથ ‘યુગાન્ત’ લખ્યો, જેને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેઓએ ‘ધ ચિતપાવન બ્રાધિનસ્ – એન એથનિક સ્ટડી’ વિષય પર થીસિસ લખ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી તથા સંશોધનના કાર્યની સાથે તેમણે પત્ની, ગૃહિણી અને માતાની ભૂમિકા પણ સારી રીતે નિભાવી હતી. ઇરાવતીએ અંગ્રેજીમાં ‘કિનશિપ ઑર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા’ તથા ‘હિન્દુ સોસાયટી એન ઇન્ટરપ્રિટેશન’ તથા મરાઠીમાં ‘પરિપૂર્તિ’, ‘ભોવરા’, ‘આમસી સંસ્કૃતિ’, ‘ગંગાજલ’ જેવી રચનાઓ કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

રાજ કપૂર

જ. 14 ડિસેમ્બર, 1924 અ. 2 જૂન, 1988

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરનું આખું નામ રણવીરરાજ પૃથ્વીરાજ કપૂર હતું. અભિનય પિતા તરફથી વારસામાં મળ્યો હતો. મૅટ્રિકમાં નાપાસ થયા પછી તેઓ ચલચિત્ર-ક્ષેત્રે આવી ગયા હતા. રણજિત સ્ટુડિયોમાં દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. તે પછી બૉમ્બે ટૉકીઝમાં અમિય ચક્રવર્તી સાથે અને ફિલ્મિસ્તાનમાં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. તે સાથે પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ તેમણે મદદનીશ તરીકે ફરજ બજાવી  હતી. રાજ કપૂરે 1935માં ન્યૂ થિયેટર્સના ‘ઇન્કિલાબ’ નામના ચલચિત્રમાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. નાયક (હીરો) તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી તો ચલચિત્રમાં તેમને કેદાર શર્માની ફિલ્મ ‘નીલકમલ’માં તક મળી હતી. ફિલ્મ ‘આગ’માં તેમણે પહેલી વાર નરગિસ સાથે કામ કર્યું અને આ ફિલ્મથી જ નરગિસ સાથેની તેમની જોડીએ એક પછી એક  સફળ ચલચિત્રો આપ્યાં. ‘આગ’ ફિલ્મ પોતાની ચિત્રનિર્માણ સંસ્થા ‘આર. કે. ફિલ્મ્સ’ દ્વારા નિર્માણ પામી હતી. જેનું દિગ્દર્શન પણ રાજ કપૂરે જ કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘બરસાત’ની સફળતાએ તેમને નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા તરીકે પ્રથમ હરોળમાં મૂકી દીધા હતા. અર્થપૂર્ણ ગીતો અને કર્ણપ્રિય સંગીત એમનાં ચલચિત્રોનું એક આગવું પાસું રહ્યાં છે. તેમનું ‘બૂટપોલિશ’ ચલચિત્ર અમેરિકામાં રજૂ થયું ત્યારે ખ્યાતનામ ‘ટાઇમ’ સાપ્તાહિકે તેને એક ઉત્તમ કલાકૃતિ ગણાવી હતી. ‘મેરા નામ જોકર’ તેમનું આત્મકથાત્મક અને સફળ ચલચિત્ર છે. ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘બોબી’, ‘સંગમ’, ‘તીસરી કસમ’, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘છલિયા’, ‘પ્રેમરોગ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી અનેક યાદગાર ફિલ્મ આપણને તેમની પાસેથી મળી છે. 1988માં તેમનું નિધન થયું તેના એક મહિના પહેલાં તેમને ફિલ્મજગતના શ્રેષ્ઠ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.