Categories
વાચન સમૃદ્ધિ

માઇકેલૅન્જેલો

જ. 6 માર્ચ, 1475 અ. 18 ફેબ્રુઆરી, 1564

યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. તેમનું સ્થાન રેનેસાં કાળના કલાના ટોચના ત્રણ કલાકારોમાં – લિયૉનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે છે. તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયૉનાર્દો બઓનરાતી સિમોની અને માતાનું નામ ફાન્ચેસકા હતું. તેઓ જ્યાં જન્મ્યા એ નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકેલૅન્જો’ કરવામાં આવ્યું છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા. ઈ. સ. 1475માં તેઓ ફ્લૉરેન્સમાં વસ્યા હતા. ઈ. સ. 1488માં તેઓ ચિત્રકાર ડોમેનિકો ઘીર્લાન્દાયોના શિષ્ય બન્યા, પરંતુ શિલ્પ પ્રત્યેના લગાવને કારણે તેઓ શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા. તેઓ ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. ‘મેડોના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બેટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં શિલ્પો આ સમયની તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. તેમનાં બીજાં અગત્યનાં શિલ્પોમાં ‘સ્લીપિંગ ક્યૂપિડ’, ‘પિપેતા’, ‘ડેવિડ’ વગેરે છે. રોમમાં સિસ્ટાઇન ચેપલની છત ચીતરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ કામ તેઓએ એકલે હાથે ચાર વર્ષે પૂરું કર્યું. તેઓ લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. 1535ની સાલમાં તેઓને રોમના પોપ ત્રીજાએ વૅટિકેનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે નીમ્યા. તેમણે ચેપલની છત ઉપર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. જીવનના અંતકાળે શિલ્પો ‘ડિસેન્ટ ફ્રોમ ધ ક્રૉસ’, ‘પેલેસ્ટ્રિના પિયેતા’ અને ‘રોન્દેનિની પિયત’ શિલ્પ ખૂબ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગંગુબાઈ હંગલ

જ. 5 માર્ચ, 1913 અ. 21 જુલાઈ, 2009

‘ખયાલ’ ગાયકીનાં મહારથી ગંગુબાઈનો જન્મ ધારવાડ, કર્ણાટકમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિકુરાવ નાડિગર અને માતાનું નામ અંબાબાઈ. ગંગુબાઈ શાળાના પ્રાથમિક શિક્ષણ બાદ હિંદુસ્તાની સંગીતના અભ્યાસ અર્થે કુટુંબ સાથે હુબલી સ્થિર થયાં. તેમનાં માતા કર્ણાટકી સંગીતનાં જાણકાર હતાં એટલે સંગીત તેમની રગેરગમાં ધબકતું હતું. 13 વર્ષની ઉંમરે તેઓ કિન્નરી(વીણા જેવું વાદ્ય)વાદક શ્રી કૃષ્ણાચાર્ય હલ્ગર પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. બાળપણની આર્થિક સંકડામણો વચ્ચે પણ તેમણે સંઘર્ષ કરીને માત્ર પોતાના માટે જ નહીં, પણ અન્ય સ્ત્રીઓ માટે પણ શાસ્ત્રીય સંગીતનાં દ્વાર ખોલ્યાં. તેમણે શ્રી દત્તોપંત દેસાઈ અને કિરાના ઘરાનાના મહાન ગાયક પંડિત સવાઈ ગંધર્વ પાસે તાલીમ લીધી હતી. સંગીતની સાધના કરવા તેઓ ટ્રેનમાં લાંબું અંતર કાપીને ગુરુ પાસે પહોંચતાં.  તેમનો અવાજ એક સર્જરી પછી ઘેરો બની ગયો હતો અને એ જ અવાજે તેમને અન્ય સ્ત્રીગાયિકાઓથી અલગ તારવ્યાં. સામાજિક ભેદભાવની રેખાઓને અવગણી તેઓ હંમેશાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતને વળગી રહ્યાં. તેમણે ભારતભરમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કર્યા. 1945 સુધી ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ ગાયું. શરૂઆતમાં તેઓ ભજન, ઠૂમરી ગાનપ્રકારો ગાતાં, પણ પછીથી તેમણે ખયાલ ગાયન અને રાગદારી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીતનાં પ્રોફેસર તરીકે માનદ સેવા આપી. તેમને કર્ણાટક સંગીત નૃત્ય એકૅડેમી ઍવૉર્ડ ઉપરાંત પદ્મભૂષણ (1971), પદ્મવિભૂષણ (2002) અને બીજા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 2014માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડેલી. આજે પણ કર્ણાટક રાજ્યની ગંગુબાઈ હંગલ મ્યુઝિક ઍન્ડ પર્ફૉર્મિંગ આર્ટસ યુનિવર્સિટી ગુરુ-શિષ્ય પરંપરાથી શીખવવા કટિબદ્ધ છે.

Categories
વાચન સમૃદ્ધિ

દરવાનસિંહ નેગી

જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.