Categories
વાચન સમૃદ્ધિ

યુ. જી. કૃષ્ણમૂર્તિ

જ. ૯ જુલાઈ, ૧૯૧૮ અ. ૨૨ માર્ચ, ૨૦૦૭

આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ્ શહેરમાં જન્મેલા અને નજીકના ગુડીવાડા શહેરમાં ઊછરેલા યુ. જી. કૃષ્ણમૂર્તિ આગવી વિચારધારા ધરાવનાર ફિલૉસૉફર અને પ્રભાવક વક્તા હતા. એમણે આધ્યાત્મિક મુક્તિની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યો અને માત્ર ચૌદથી એકવીસ વર્ષની વયે એમણે વિવિધ આધ્યાત્મિક માર્ગો દ્વારા મોક્ષ સત્ય છે કે નહીં, એ જાણવાનો પ્રયાસ કર્યો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી, પરંતુ એ પછી પોતાના મનના પ્રશ્નો શોધવા માટે એકવીસ વર્ષની વયે તેઓ રમણ મહર્ષિને મળ્યા અને તેમણે રમણ મહર્ષિને પૂછ્યું કે, ‘તમે મને મોક્ષ આપી શકો છો ?’ અને તેના જવાબમાં રમણ મહર્ષિએ કહ્યું, ‘હું આપી શકું છું, પણ શું તમે લઈ શકો છો ?’ આ પ્રશ્નોત્તરીએ યુ. જી. કૃષ્ણમૂર્તિને આધ્યાત્મિક માર્ગની ઓળખ આપી અને ૧૯૪૭થી ૧૯૫૩ સુધી ચેન્નાઈમાં જિદ્દુ કૃષ્ણમૂર્તિ દ્વારા અપાતાં પ્રવચનોમાં તેઓ નિયમિત ઉપસ્થિત રહેતા અને ત્યારબાદ એમની વચ્ચે ચર્ચાઓ પણ થતી, પરંતુ બંનેનાં મંતવ્યો જુદાં થતાં આ દીર્ઘ ચર્ચાનો અંત આવ્યો. એમણે એમના ૩૯મા જન્મદિવસે એક શારીરિક રૂપાંતરનો અનુભવ કર્યો, જેને તેઓ ‘આપત્તિ’ કહે છે. આ પરિવર્તને એમને કોઈ ધાર્મિક સંદર્ભ વિનાની એક એવી કુદરતી સ્થિતિ આપી, જે સ્વયંસ્ફુરિત, શુદ્ધ, ભૌતિક અને અસંવેદનાત્મક સ્થિતિ હતી. એ સમયે એમને લાગ્યું કે એમની પાટી સાફ થઈ ગઈ, હવે બધું ફરીથી શીખવું પડશે. એમની બિનપરંપરાગત ફિલસૂફી, વિશિષ્ટ મંતવ્યો અને ધારદાર રજૂઆતને કારણે એમને વિશે ઘણા વિવાદો ઊભા કર્યા. થિયૉસૉફિકલ સોસાયટી સાથે પ્રારંભમાં એ જોડાયેલા હતા અને ઘણી વાર પોતાના ‘શિક્ષક’ તરીકે એમણે જિદ્દુ કૃષ્ણમૂર્તિનો ઉલ્લેખ કર્યો હતો. જોકે અંતે એમના વિચારોનો અસ્વીકાર કર્યો હતો. ઇટાલીના વેલેક્રોસિયા શહેરમાં લપસી જવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા અને સાત અઠવાડિયાં સુધી પથારીવશ રહ્યા. અવસાનના અગાઉના મહિને પોતાનું અંતિમ ભાષણ ‘માય સ્વાન સૉંગ’ લખીને આપ્યું હતું. તેઓ શિક્ષણમાં માનતા નહીં અને વ્યક્તિગત ચિત્તને બદલે વૈશ્વિક ચિત્તની વિભાવનાનો એમણે સ્વીકાર કર્યો હતો. તેઓ આત્મસાક્ષાત્કારમાં શ્રદ્ધા ધરાવતા નહોતા અને કેટલીય ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોને આડંબર ગણીને તેનો એમણે વિરોધ કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

નિરંજન મનુભાઈ ત્રિવેદી

જ. ૮ જુલાઈ, ૧૯૩૮ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મૂળ વઢવાણના વતની નિરંજનભાઈનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું હતું. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી પણ અમદાવાદમાં જ મેળવી હતી. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને વાચન અને સંગીતનો શોખ હતો. ખાડિયામાં પંડિત દામોદર શાસ્ત્રી જુદા જુદા રાગમાં ચોપાઈ સંભળાવતા. આથી એમનામાં શાસ્ત્રીય રાગોની સમજ વિકસી. તેમના પિતાને પણ સંગીતનો શોખ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા. નિરંજનભાઈ ભાઈશંકર નાનાલાલ લાઇબ્રેરીમાં વાંચવા જતા. સાંજ પડે ત્યાં સુધી વાંચતા. ક્યારેક તો લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે ચોકીદાર તેમને પકડીને ઊભા કરે ત્યારે ત્યાંથી નીકળતા. તેમણે થોડો સમય મિલમાં કામ કર્યું. શરૂઆતમાં મિલમાં મિલમજૂર તરીકે બદલી ભરતા. પછી ઇલેક્ટ્રિક ખાતામાં કૂલી તરીકે કામ કર્યું. એ પછી પશુપાલન ખાતામાં ક્લાર્કની નોકરી મળી. એ પછી સેન્ટ્રલ બૅન્કમાં જોડાયા. બૅન્કના ઇન્ટરવ્યૂ વખતે એમની સેન્સ ઑવ્ હ્યુમર કામ આવી અને નિમણૂક થઈ. બૅન્કમાં ફિલ્ડ ઑફિસરમાંથી મૅનેજર બન્યા. તેમના વિનોદભર્યા અને આત્મીયતાસભર સ્વભાવને કારણે તેઓ બધાંના પ્રિય બની રહ્યા. તેઓ પોતાને એન.આર.કે. એટલે કે નૉન રેસિડન્ટ કાઠિયાવાડી કહેવામાં ગર્વ અનુભવતા. તેઓ કહેતા કે જો હું મારી આત્મકથા લખીશ તો તેનું શીર્ષક ‘મજૂરથી મૅનેજર’ રાખીશ, પરંતુ કમનસીબે તેમની પાસેથી આત્મકથાનું પુસ્તક પ્રાપ્ત થયું નહીં. બાળક જેવા નિર્દોષ, સદાય પ્રસન્ન અને ઓછા શબ્દોમાં કટાક્ષ દ્વારા સર્જન કરનાર નિરંજન ત્રિવેદીએ વર્તમાનપત્રમાં ‘અવળીગંગા’ કટારલેખન કર્યું હતું. ‘વ્યંગાવલોકન યાને…’, ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નીરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખાયે સૈયા હમારો’ સહિત દસેક પુસ્તકો તેમણે આપ્યાં છે. ‘સરવાળે ભાગાકાર’ પુસ્તકનો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના એસ.વાય.બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ચાર પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગુરુદયાલ મલ્લિક

જ. ૭ જુલાઈ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૭૦

‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.