Categories
વાચન સમૃદ્ધિ

દિવાળીબહેન ભીલ

જ. ૨ જૂન, ૧૯૪૩ અ. ૧૯ મે, ૨૦૧૬

ગુજરાતનાં લોકગીતોને પોતાનો કંઠ આપી ઘેર ઘેર ગુંજતાં કરનારાં દિવાળીબહેન ભીલનો જન્મ અમરેલી જિલ્લામાં આદિવાસી જાતિમાં થયો હતો. પિતાનું નામ પૂંજાભાઈ અને માતાનું નામ મોંઘીબહેન. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. માતાની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રસંગોપાત્ત, બહેનપણીઓ સાથે ગરબા ગાવા જતાં. નવ વર્ષની વયે તેમનાં લગ્ન ફોક થયાં, પરંતુ લોકગીતો ગાવાનો શોખ માતાના પ્રોત્સાહનથી ચાલુ રહ્યો. દસ વર્ષ સુધી તેમણે જૂનાગઢના એક ડૉક્ટરના દવાખાનામાં નોકરી કરી, ત્યારબાદ જૂનાગઢની સાર્વજનિક હૉસ્પિટલમાં તેઓ નર્સોના ક્વાર્ટર્સમાં નોકરી કરવા લાગ્યાં. ૧૯૬૪માં તેમના જીવનપ્રવાહમાં એક નવો વળાંક આવ્યો. તે વર્ષે નવરાત્રિ દરમિયાન જૂનાગઢના એક ચોકમાં તેઓ ગરબો ગવડાવતાં હતાં. જોગાનુજોગ ખ્યાતનામ હેમુ ગઢવી તે ચોકમાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો રણકતો અવાજ અને ગાવાનો લય ખૂબ પસંદ પડી ગયા અને તેમણે દિવાળીબહેનના એક ગરબાનું સ્થળ પર જ રેકૉર્ડિંગ કરી લીધું. બીજા જ દિવસે તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર બીજાં ગીતોના રેકૉર્ડિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાર પછી રતુભાઈ અદાણી સાથે દિલ્હી ગયાં, જ્યાં આયોજિત લોકસંગીત મહોત્સવમાં તેમણે ગાયેલા ગીતને પ્રથમ પારિતોષિક એનાયત થયું. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાવા લાગી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આયોજિત થતા ડાયરા અને લોકસંગીતના કાર્યક્રમોમાં ગાવા માટેનાં આમંત્રણ મળવા લાગ્યાં. કલ્યાણજી-આણંદજી બેલડીમાંના કલ્યાણજીભાઈએ તેમને ‘જેસલ તોરલ’ ચલચિત્રમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાની તક આપી. તેમાં તેમણે ગાયેલું ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સાંભળ રે’ ઘેર ઘેર ગુંજતું થયું. તેમણે ન તો કોઈ ઔપચારિક શિક્ષણ લીધું હતું કે ન કોઈ સંગીતની તાલીમ લીધી હતી, છતાં દેશવિદેશમાં તેમના અનેક કાર્યક્રમો યોજાયા હતા. સ્વરકિન્નરી લતા મંગેશકરે પણ તેમનાં ગાયિકા તરીકે વખાણ કર્યાં હતાં. ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ’નો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ ટાગોર

જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

લાલા જગત નારાયણ

જ. ૩૧ મે, ૧૮૯૯ અ. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧

સંસદસભ્ય, પંજાબ વિધાનસભાના સભ્ય અને ધ હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક લાલા જગત નારાયણનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ ગુજરાંવાલા જિલ્લાના વઝીરાબાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૧૯માં લાહોરની ડીએવી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લાહોરની એક લૉ કૉલેજમાં જોડાયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાવાના આહવાન પર તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને અઢી વરસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલવાસ દરમિયાન તેમણે લાલા લજપતરાયના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪માં ભાઈ પરમાનંદના હિન્દી ભાષાના સાપ્તાહિક ‘આકાશવાણી’ના સંપાદક બન્યા હતા. આઝાદીની ચળવળ અને અલગ અલગ પ્રસંગોએ તેઓ લગભગ નવેક વરસ જેલમાં રહ્યા હતા. લાલા જગત નારાયણ સાત વર્ષ સુધી લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, લાહોર કૉર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના નેતા, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય અને લગભગ ૩૦ વરસ સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્યપદે રહ્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી દરમિયાન તેમને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. લાલા જગત નારાયણ લાહોરથી શરણાર્થી તરીકે જલંધર આવ્યા હતા અને તેમણે ૧૯૪૮માં ‘હિંદ સમાચાર’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં ઉર્દૂને સરકારી  સમર્થન ન મળતાં, તેમણે ૧૯૬૫માં હિન્દી ભાષાના દૈનિક ‘પંજાબ કેસરી’ની સ્થાપના કરી હતી. પંજાબી સૂબા ચળવળ દરમિયાન ૧૯૫૭માં અકાલી દળે સ્વીકારેલ પ્રાદેશિક ફૉર્મ્યુલા, જે પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષાઓને સમાન દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો તેનો વિરોધ કરવા માટે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૮માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નારાયણના નામે એક ચૅરની સ્થાપના કરવામાં આવી હતી અને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લાલા જગત નારાયણની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.