Categories
વાચન સમૃદ્ધિ

ઝલકારી બાઈ

જ. ૨૨ નવેમ્બર, ૧૮૩૦ અ. પ એપ્રિલ, ૧૮૫૮

ઇતિહાસનાં પાનાંઓમાં એક મહાન દલિત મહિલા યોદ્ધાની વાત છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલાસેના દુર્ગાદલની સેનાપતિ હતી. ઝાંસીના ભોજલા ગામે એક નિર્ધન કોળી પરિવારમાં જન્મેલી ઝલકારી બાઈ પોતાની દૃઢતા અને સાહસથી એક આદરણીય યોદ્ધા બની ગઈ. ઝલકારીના પિતાએ નાનપણથી જ તેમને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની શિક્ષા આપી હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે એક સૈનિક અને રાણી લક્ષ્મીબાઈની વિશ્વસનીય સલાહકારોમાંની એક બની ગઈ. તેના પતિ પૂરન કોરીની પાસેથી તીરંદાજી, કુસ્તી અને નિશાનબાજી શીખી હતી. પૂરન કોરી રાણી લક્ષ્મીબાઈના પતિ રાજા ગંગાધરની સેનામાં એક સૈનિક હતા. ઝલકારી બાઈ પોતાના પતિની સાથે શાહી મહેલ જતી હતી. જ્યારે રાણીને તેની બહાદુરીની ખબર પડી ત્યારે તે તેમની સારી બહેનપણી બની ગઈ. ઘણા લોકો એમ માનતા હતા કે ઝલકારી બાઈનાં કદ અને કાઠી રાણી જેવાં જ હતાં.

૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામમાં અંગ્રેજ સેનાથી રાણી લક્ષ્મીબાઈ ઘેરાઈ ગયાં ત્યારે ઝલકારી બાઈએ પોતાની સૂઝબૂઝથી સ્વામીભક્તિ અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો. તેણે રાણીના વેશમાં યુદ્ધ કર્યું અને અંતિમ સમયે અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ અને રાણી લક્ષ્મીબાઈને તેમના પુત્ર સાથે કિલ્લાની બહાર ભાગી જવાનો અવસર મળી ગયો. આ યુદ્ધમાં ઝલકારી વીરતાથી લડી અને વીરગતિ પામી. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં ઝલકારી બાઈની ગાથા આજે પણ સંભળાય છે. ૨૦૦૧ની સાલમાં તેઓના સન્માનમાં એક ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

વૉલ્તેર

જ. ૨૧ નવેમ્બર, ૧૬૯૪ અ. ૩૦ મે, ૧૭૭૮

મહાન ફ્રેન્ચ તત્ત્વજ્ઞ વૉલ્તેરનો જન્મ પૅરિસમાં મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. ૧૭૧૧થી ૧૭૧૩ સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી થોડો સમય હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું. તેઓ માનવતાવાદી હતા અને સામાજિક, રાજકીય, ધાર્મિક સહિષ્ણુતા તથા સમભાવમાં માનતા હતા. વૉલ્તેરે ધર્મઝનૂન તથા નિરીશ્વરવાદનો વિરોધ કર્યો હતો. આવા વિચારોને કારણે તેમની ઘણી વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમને બેસ્તિલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને દેશનિકાલની સજા પણ ભોગવવી પડી હતી. જેલવાસ દરમિયાન તેમણે એક કરુણ અંતવાળા નાટક(Oedipe)ની રચના કરી હતી. ૧૭૨૬માં થયેલ દેશનિકાલની સજા દરમિયાન ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમણે ‘એસે-અપોન-એપિક પોએટ્રી’ અને ‘એસે અપોન ધ સિવિલ વૉર ઇન ફ્રાન્સ’ જેવી રચનાઓ કરી હતી. વૉલ્તેરે લેખો, પત્રિકાઓ, નિબંધો, કાવ્યો, નાટકો, સમીક્ષાઓ એમ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તેમણે સંપૂર્ણ લેખનના ૯૯ ગ્રંથો રચ્યા છે. સમાજનો દંભ ખુલ્લો પાડવા માટે કેટલુંક સુંદર કટાક્ષલેખન કર્યું છે. લગભગ ચૌદ હજાર પત્રો, બે હજાર પત્રિકાઓ, નિબંધો અને પુસ્તિકાઓનું તેમણે સર્જન કર્યું છે. વૉલ્તેર માટે એવું કહેવાય છે કે તેમનું લેખન એટલું સરસ હતું કે તે તત્ત્વજ્ઞાન વિશેનું છે તેવો ખ્યાલ જ ન આવે. વૉલ્તેરે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’ની રચના કરી. તેમાં તેમણે જણાવ્યું છે કે નૈતિકતા પોષક ધર્મ મતબદ્ધ ધર્મ કરતાં વધુ ઇચ્છનીય છે. પૅરિસ, જિનીવા અને ઍમસ્ટરડૅમમાં તેમની આ ડિક્શનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેઓ ફ્રેન્ચ પ્રબોધન-આંદોલનના મુખ્ય ચિંતકોમાંના એક હતા.

૧૭૬૭માં તેમણે ભારતનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આપણી ચેસની રમત, આપણા ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો તથા આપણી બની ગયેલી બોધકથાઓ માટે આપણે ભારતીયોના ઋણી છીએ.’ તેમણે ભારતને ‘જગતની સભ્યતાનું પારણું’ તરીકેની ઓળખ આપી હતી. જાણીતી ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ૧૭૭૮માં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કેશવચંદ્ર સેન

જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.

રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.

તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.

અનિલ રાવલ