Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યુત ઠાકર

જ. ૧૫ ડિસેમ્બર, ૧૯૨૯ અ. ૬ જૂન, ૨૦૨૩

રાજકીય સમીક્ષક અને કાબેલ પત્રકાર વિદ્યુત ઠાકરનો જન્મ ઉમરેઠમાં થયો હતો. ગુજરાતના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષણવાળા લેખનમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. તેમના પિતાનું નામ કૃપાશંકર અને માતાનું નામ તારાબહેન હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠ અને ધરમપુરમાં તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધું હતું. જાહેર જીવનમાં પહેલેથી જ રસ ધરાવતા હતા. કૉલેજમાં વિદ્યાર્થી ચળવળોમાં આગેવાની લઈ હડતાળ પડાવેલી. કારકિર્દીની શરૂઆતમાં બૅન્કની નોકરી કરી, ત્યારબાદ ‘સંદેશ’માં જોડાયા અને પત્રકારત્વક્ષેત્રે કાર્યરત થયા. ૧૯૫૬માં પ્રજાસમાજવાદી પક્ષ સંચાલિત ‘નવગુજરાત’ દૈનિકમાં ઉપસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા. આ આંદોલન દરમિયાન તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેની સાથે જેલવાસ ભોગવ્યો. ૧૯૭૦-૭૧માં ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવ’ કાર્યક્રમ નિમિત્તે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો. બીજે વર્ષે અમદાવાદ શહેર કૉંગ્રેસના મંત્રી બન્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. ૧૯૮૨થી ૧૯૮૯ સુધી રતુભાઈ અદાણીના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ત્યારબાદ શ્રી ચીમનભાઈ પટેલના જનતા દળમાં સક્રિય બન્યા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ‘ગુજરાત લઘુઉદ્યોગ નિગમ’ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. અમદાવાદનાં જાણીતાં દૈનિકો અને સામયિકોમાં તેમણે નિયમિત રાજકીય કટારલેખન કર્યું. તેઓએ બાળપણથી ખૂબ વાંચન કર્યું હોવાથી તેમનાં લખાણો ઉત્તમ કક્ષાનાં બન્યાં. વિશ્વની રાજકીય ગતિવિધિના ઊંડા અભ્યાસી એવા વિદ્યુત ઠાકર ગુજરાતની સ્થાપના સમયથી કાર્યરત પત્રકારોમાંના એક હતા અને તેઓ લગભગ ૫૦ વર્ષ આ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે ચાર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમને ‘રમણભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્રનાથ શર્મા ‘અશ્ક’

જ. ૧૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૯ જાન્યુઆરી, ૧૯૯૬

‘અશ્ક’ના તખલ્લુસથી જાણીતા ઉપેન્દ્રનાથ શર્માનો જન્મ જલંધર પંજાબમાં સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જલંદરની ડી.એ.વી. કૉલેજમાં બી.એ. સુધીનું શિક્ષણ લીધું પછી બે વર્ષ અધ્યાપન કર્યું. પછી ત્રણ વર્ષ સુધી લાલા લજપતરાયના સમાચારપત્ર ‘વંદે માતરમ્’માં પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારપછી અનુવાદક તરીકે બઢતી પામ્યા અને ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી ૧૯૩૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એ જ વર્ષે તેમનાં પત્નીનું અવસાન થવાથી તેઓ આઘાતમાં સરી પડ્યા અને સર્જન પ્રત્યે વળ્યા. એ પછી એમણે આકાશવાણીમાં નોકરી કરી. પરંતુ લેખનકાર્યને જ તેમણે વ્યવસાય તરીકે અપનાવ્યું. તેમણે ફિલ્મીસ્તાન પ્રોડક્શન કંપની માટે પટકથા તથા સંવાદ લખવાનું કાર્ય પણ કર્યું. શરૂઆતમાં તેઓ પંજાબી અને ઉર્દૂ ભાષામાં લેખનકાર્ય કરતા, પરંતુ મુનશી પ્રેમચંદના કહેવાથી તેમણે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું. તેમની ગણના આધુનિક નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકારમાં થાય છે, પણ એમને સવિશેષ પ્રતિષ્ઠા તથા સિદ્ધિ નાટ્યકાર તરીકે મળી છે. ‘છટા બેટા’ (૧૯૪૦), ‘અંજોદીદી’ (૧૯૫૩-૫૪) અને ‘કૈદ’ એ એમની ઉત્તમ નાટ્યકૃતિઓ છે. ચોટદાર સંવાદો તેમનાં નાટકોની વિશિષ્ટતા હતી. એમણે એકાંકી પણ લખ્યાં છે. ‘તૂફાન સે પહલે’, ‘દેવતાઓં કી છાયા મેં’, ‘પર્દા ઉઠાઓ, પર્દા ગિરાઓ’ એ એમના એકાંકીસંગ્રહો છે. એમની નવલકથાઓમાં ‘ગીરતી દીવાર’ (૧૯૪૫), ‘ગર્મ રાખ’ (૧૯૫૨), ‘શહર મેં ઘૂમતા આઈના’ (૧૯૬૩), ‘એક નન્હી કિન્દીલ’નો સમાવેશ થાય છે. એમણે લગભગ બસ્સો જેટલી નવલિકાઓ પણ લખી છે. આ ઉપરાંત નિબંધ, રેખાચિત્ર, સમીક્ષા, સંસ્મરણો વગેરે ક્ષેત્રોમાં પણ એમણે વિપુલ લેખન કર્યું છે. પરિવર્તન પામતી સાહિત્યિક વિભાવનાઓ જોડે તેઓ કદમ મિલાવતા રહ્યા હતા. ૧૯૪૭માં ટીબી થવાથી તેમને બેલ ઍર સેનેટોરિયમ, પંચગનીમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ બે વર્ષ રહ્યા હતા. ત્યારપછી તેઓ અલાહાબાદ સ્થાયી થયા હતા. હિન્દી સાહિત્યમાં યથાર્થવાદી પરંપરાને સમૃદ્ધ કરવાનો યશ ‘અશ્ક’ના ફાળે જાય છે. ૧૯૬૫માં લલિતકલા અકાદમીએ એમને શ્રેષ્ઠ નાટ્યકારનું પારિતોષિક આપીને સન્માન કર્યું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

હાજી મહમ્મદ અલારખિયા

શિવજી———-

જ. ૧૩ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૨ જાન્યુઆરી, ૧૯૨૧

ગુજરાતીમાં ‘વીસમી સદી’ નામક પ્રથમ સચિત્ર સામયિક આપનાર નિષ્ઠાવાન સંપાદક તથા સચિત્ર પત્રકારત્વના પિતા. મુંબઈમાં ગર્ભશ્રીમંત વેપારી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ શિવજી અલારખિયા અને માતાનું નામ રહેમતબાઈ. નામપણથી જ સાહિત્યમાં રસ એટલે થોડો સમય ઘેર રહીને ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો. પછી મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં દાખલ થઈ અંગ્રેજી છ ધોરણ સુધી ભણ્યા. ૧૮૯૫થી અંગ્રેજી, હિન્દી અને મરાઠી પણ શીખવા લાગ્યા અને ત્યારથી સાહિત્યિક કારકિર્દી પણ શરૂ થઈ. ગુજરાતી માસિકોમાં લેખો, નાની વાર્તાઓ વગેરે લખતા. પછી બે વર્ષમાં તો દૈનિકો-સાપ્તાહિકોમાં પણ લખતા થયા. ‘પ્રવીણસાગર’ તેમનો પ્રિય ગ્રંથ હતો. ૧૮૯૮માં એક મિત્રના અવસાનને અનુલક્ષીને ‘સ્નેહી વિરહ પંચદશી’ નામે તેમણે લખેલું પહેલું પુસ્તક હિન્દીમાં પ્રકટ થયું પછી સર એડવિન આર્નોલ્ડકૃત ‘પર્લ્સ ઑફ ફેઇથ’નું ‘ઇમાનનાં મોતી’ નામે ગુજરાતી ભાષાંતર આપ્યું. તેમણે ૧૯૧૬ની પહેલી એપ્રિલે ‘વીસમી સદી’ નામનું પ્રથમ ગુજરાતી સચિત્ર સામયિક શરૂ કર્યું. આ માસિક પ્રસિદ્ધ થતાંવેંત એવું તો લોકપ્રિય થયું કે અંદાજે તેની ૪,૦૦૦ નકલો ખપવા લાગી, પણ અંગત રીતે તેમને લગભગ રૂ. ૩૫,૦૦૦ સુધીની ખોટ આવી હતી. છતાં તેઓ લેખકો અને ચિત્રકારોને ખૂબ ઉદાર રીતે પુરસ્કાર ચૂકવતા. ‘વીસમી સદી’ નિમિત્તે તેમણે ગુજરાતને અનેક રીતે ઉપકૃત કર્યું. કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડ્યા, નરિંસહરાવ દિવેટિયા, ન્હાનાલાલ જેવા અનેક સાહિત્યકારો પ્રતિષ્ઠિત થયા તો રવિશંકર રાવળ જેવા કલાકારોને આ નિમિત્તે બહાર આવવાની તક સાંપડી. ૧૯૨૧માં બંધ થયા પછી જાણે તેની રાખમાંથી ‘ગુજરાત’, ‘નવચેતન’ અને ‘કુમાર’ જેવાં સામયિકનો પ્રાદુર્ભાવ થયો. તેમણે પત્રકારત્વ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમની પાસેથી ૧૯૦૩માં ઇતિહાસ તેમજ જીવનવિષયક ૧૦૦ લેખોનો સચિત્ર ગ્રંથ, ‘મહેરુન્નિસા’ નાટક (૧૯૦૪), ‘રશીદા’ (૧૯૦૮) નામે આત્મવિદ્યાવિષયક નવલકથા મળી છે. આ ઉપરાંત તેમણે ‘સલીમ’ ઉપનામથી ‘મોગલ રંગમહેલ’, ‘સુશીલા’, ‘શીશમહલ’ જેવી કૃતિઓ પણ આપી છે. તેમણે સાહિત્યસર્જન કદાચ ઓછું કર્યું છે પણ ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહેશે.

રાજશ્રી મહાદેવિયા