Categories
વાચન સમૃદ્ધિ

યશવંતરાવ ચવાણ

જ. ૧૨ માર્ચ, ૧૯૧૪ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૪

મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તથા ભારતના સંરક્ષણપ્રધાન યશવંતરાવનો જન્મ સામાન્ય ખેડૂત કુટુંબમાં દેવરાષ્ટ્રે, સતારામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચશિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ. અને એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. ૧૯૩૦માં રાજકારણમાં સક્રિય બન્યા. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં પ્રથમ કારાવાસ ભોગવ્યો. ડાબેરી વિચારસરણી ધરાવતા હોવા છતાં જવાહરલાલ નહેરુના પ્રભાવને લીધે રાજકીય કારકિર્દી દરમિયાન તે કૉંગ્રેસ સાથે રહ્યા. ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને ૧૯૪૩માં તેમની ધરપકડ થઈ હતી. સાતારા જિલ્લામાં ક્રાંતિકારી આંદોલનમાં અગ્રણી ભાગ લઈ નેતૃત્વ લીધેલું.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલાયદાં રાજ્યો સ્થપાયાં ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ વખતે ભારતના સંરક્ષણપ્રધાન તરીકે તેઓ નિમાયા. ત્યારપછીના ગાળામાં કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી. ૧૯૬૨-૬૬ દરમિયાન સંરક્ષણપ્રધાન, ૧૯૬૬-૭૦ દરમિયાન ગૃહપ્રધાન, ૧૯૭૦-૭૪ દરમિયાન નાણાપ્રધાન અને ૧૯૭૪-૭૭ દરમિયાન વિદેશપ્રધાન બન્યા. ૧૯૭૮માં ચૌધરી ચરણિંસઘના મંત્રીમંડળમાં તેઓ નાયબ વડાપ્રધાન નિમાયા.

૧૯૬૯માં કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તે અટકાવવા માટે તેમણે પ્રયત્નો કરેલા, પરંતુ ભાગલા પડતાં તે કૉંગ્રેસ (૦) ‘સિન્ડિકેટ કૉંગ્રેસ સાથે રહ્યા હતા. ૧૯૭૫માં લદાયેલી કટોકટીનો તેમણે વિરોધ કરેલો. ૧૯૮૦ અને ૧૯૮૪માં કૉંગ્રેસની ઇન્દિરા પાંખમાં પાછા ફરનારામાં ચવાણનો પણ સમાવેશ થતો હતો, પરંતુ તેમને કોઈ પણ હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાશિક ખાતે તેમના નામે ઓપન યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તેઓ લેખક, વક્તા, વહીવટકર્તા, સાંસદ અને ઉદારમતવાદી નેતા હતા. તેમનાં ભાષણોના બે સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે : ‘સહ્યાદ્રિ ચે વારે’ (૧૯૬૨) અને ‘યુગાંતર’ (૧૯૭૦).

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ચીમનલાલ ચકુભાઈ

જ. ૧૧ માર્ચ, ૧૯૦૨ અ. ૨૦ નવેમ્બર, ૧૯૮૨

ભારતના બંધારણમાં મહત્ત્વનો ફાળો આપનાર તથા ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ચીમનલાલનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામમાં થયો હતો. પિતાનું નામ ચકુભાઈ. બે વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. અપરમા રંભાબહેને તેમનો ઉછેર કર્યો. પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી બાકીનો અભ્યાસ તેમણે મુંબઈ પૂરો કરેલો. ત્યારબાદ પિતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાં જોડાવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. અભ્યાસમાં તેમની તેજસ્વિતાને કારણે તેમને શિષ્યવૃત્તિઓ મળી. એમ.એ. અને એલએલ.બી.માં તેમના ઉત્તમ પરિણામને કારણે કે. ટી. તેલંગ સુવર્ણચંદ્રક તથા ઇન્વેરારિટી સુવર્ણચંદ્રક એનાયત થયા. તેઓ બે વર્ષ ‘દક્ષિણા ફેલો’ તરીકે નિમાયા. ૧૯૨૮માં તેઓ સૉલિસિટર બન્યા.  આઝાદી પહેલાં મુંબઈ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. ૧૯૪૬માં તેઓ મુંબઈ કૉર્પોરેશનમાં ચૂંટાયેલા અને સતત છ વર્ષ સુધી ચૂંટાઈને તેમણે મુંબઈની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૪૮માં બંધારણસભાના સભ્ય બનતાં કાયદા અને બંધારણના નિષ્ણાત તરીકે પોતાની કાબેલિયત દર્શાવી. તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા. ૧૯૩૯થી ૧૯૫૧ સુધી સતત બાર વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ વિકાસ પામી. ‘પ્રબુદ્ધજીવન’નું તંત્રીપદ સ્વીકાર્યા બાદ તેમાં સતત ચિંતનાત્મક લેખન કર્યું.

ચીમનભાઈ જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા તથા સમાજસેવક તરીકે ખ્યાતિ ધરાવે છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ઉપેન્દ્ર ધીરજલાલ દેસાઈ

જ. ૧૦ માર્ચ, ૧૯૨૫ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧

કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશવિજ્ઞાનક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમનો જન્મ અમદાવાદમાં બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. ૧૯૪૧માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિત સાથે ૧૯૪૫માં બી.એસસી. કર્યું. ૧૯૪૮માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. તે સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં સ્થાપેલી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં તેઓ સંશોધનકર્તા તરીકે જોડાયા. તેમના સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. ૧૯૫૯માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસામાં જોડાયા. તેઓ ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્યરત બન્યા. ૧૯૬૩માં ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (Incospar) અને થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લોન્ચિંગ સ્ટેશન(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહ્યો. ત્યાર બાદ તેમણે અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો અને નાસામાં કાર્યરત રહ્યા. અમેરિકાએ અવકાશમાં છોડેલા ઍપોલો-IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી તેમણે સંભાળી હતી. તેમના સહયોગથી ભારતમાં પણ પહેલું રિસર્ચ રૉકેટ થુમ્બા સ્ટેશનેથી છોડવામાં આવેલું. ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશસંશોધનને લગતા લેખો લખ્યા છે. સ્વાવલંબી, પરોપકારી અને સાદગીસભર જીવન જીવનાર ડૉ. દેસાઈ અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા. વિજ્ઞાનક્ષેત્રે કરેલા બહુમૂલ્ય પ્રદાન બદલ ૧૯૮૧માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ