Categories
વાચન સમૃદ્ધિ

હાજી મહમ્મદ અલારખિયા

શિવજી———-

જ. ૧૩ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૨ જાન્યુઆરી, ૧૯૨૧

ગુજરાતીમાં ‘વીસમી સદી’ નામક પ્રથમ સચિત્ર સામયિક આપનાર નિષ્ઠાવાન સંપાદક તથા સચિત્ર પત્રકારત્વના પિતા. મુંબઈમાં ગર્ભશ્રીમંત વેપારી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ શિવજી અલારખિયા અને માતાનું નામ રહેમતબાઈ. નામપણથી જ સાહિત્યમાં રસ એટલે થોડો સમય ઘેર રહીને ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો. પછી મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં દાખલ થઈ અંગ્રેજી છ ધોરણ સુધી ભણ્યા. ૧૮૯૫થી અંગ્રેજી, હિન્દી અને મરાઠી પણ શીખવા લાગ્યા અને ત્યારથી સાહિત્યિક કારકિર્દી પણ શરૂ થઈ. ગુજરાતી માસિકોમાં લેખો, નાની વાર્તાઓ વગેરે લખતા. પછી બે વર્ષમાં તો દૈનિકો-સાપ્તાહિકોમાં પણ લખતા થયા. ‘પ્રવીણસાગર’ તેમનો પ્રિય ગ્રંથ હતો. ૧૮૯૮માં એક મિત્રના અવસાનને અનુલક્ષીને ‘સ્નેહી વિરહ પંચદશી’ નામે તેમણે લખેલું પહેલું પુસ્તક હિન્દીમાં પ્રકટ થયું પછી સર એડવિન આર્નોલ્ડકૃત ‘પર્લ્સ ઑફ ફેઇથ’નું ‘ઇમાનનાં મોતી’ નામે ગુજરાતી ભાષાંતર આપ્યું. તેમણે ૧૯૧૬ની પહેલી એપ્રિલે ‘વીસમી સદી’ નામનું પ્રથમ ગુજરાતી સચિત્ર સામયિક શરૂ કર્યું. આ માસિક પ્રસિદ્ધ થતાંવેંત એવું તો લોકપ્રિય થયું કે અંદાજે તેની ૪,૦૦૦ નકલો ખપવા લાગી, પણ અંગત રીતે તેમને લગભગ રૂ. ૩૫,૦૦૦ સુધીની ખોટ આવી હતી. છતાં તેઓ લેખકો અને ચિત્રકારોને ખૂબ ઉદાર રીતે પુરસ્કાર ચૂકવતા. ‘વીસમી સદી’ નિમિત્તે તેમણે ગુજરાતને અનેક રીતે ઉપકૃત કર્યું. કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડ્યા, નરિંસહરાવ દિવેટિયા, ન્હાનાલાલ જેવા અનેક સાહિત્યકારો પ્રતિષ્ઠિત થયા તો રવિશંકર રાવળ જેવા કલાકારોને આ નિમિત્તે બહાર આવવાની તક સાંપડી. ૧૯૨૧માં બંધ થયા પછી જાણે તેની રાખમાંથી ‘ગુજરાત’, ‘નવચેતન’ અને ‘કુમાર’ જેવાં સામયિકનો પ્રાદુર્ભાવ થયો. તેમણે પત્રકારત્વ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમની પાસેથી ૧૯૦૩માં ઇતિહાસ તેમજ જીવનવિષયક ૧૦૦ લેખોનો સચિત્ર ગ્રંથ, ‘મહેરુન્નિસા’ નાટક (૧૯૦૪), ‘રશીદા’ (૧૯૦૮) નામે આત્મવિદ્યાવિષયક નવલકથા મળી છે. આ ઉપરાંત તેમણે ‘સલીમ’ ઉપનામથી ‘મોગલ રંગમહેલ’, ‘સુશીલા’, ‘શીશમહલ’ જેવી કૃતિઓ પણ આપી છે. તેમણે સાહિત્યસર્જન કદાચ ઓછું કર્યું છે પણ ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહેશે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કાન્તિલાલ રાઠોડ

જ. ૧૨ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૮

કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા, સંખ્યાની દૃષ્ટિએ ઓછી પણ ઉત્તમ ફિલ્મો બનાવનાર વ્યક્તિ. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાંતિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન – કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. ૧૯૫૪થી ૫૬ દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન વિષયના શિક્ષક તરીકે પણ સેવા આપી. આ સંસ્થા માટે જ તેમણે બાળકોના ચિત્રકામ વિશે ‘ક્લાઉન હોરાઇઝન’ નામની લઘુફિલ્મ બનાવી. ત્યારબાદ તેમણે કૅનેડાના વિખ્યાત કાર્ટૂન – ચલચિત્ર સર્જક નોર્મન મૅક્લૉરન જોડે કૅનેડાના નૅશનલ ફિલ્મ બોર્ડમાં કામ કર્યું હતું. ભારત પાછા વળ્યા બાદ તેમણે ૧૯૫૬થી ૧૯૬૯ સુધી ફિલ્મ્સ ડિવિઝન, ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઉપરાંત અમેરિકાની ઇન્ફર્મેશન એજન્સી માટે લઘુફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો અને બાળફિલ્મો બનાવી જેને દેશ-વિદેશમાં ઘણા પુરસ્કારો મળ્યા છે. તેઓએ કાર્ટૂન આધારિત વિજ્ઞાપનોની ટૂંકી અને અસરકારક ફિલ્મો બનાવી. કાન્તિલાલે ૧૯૬૯માં પન્નાલાલ પટેલની વાર્તા પરથી ફિલ્મ ‘કંકુ’ બનાવવાનું સાહસ કર્યું. તેઓનો આ પ્રથમ કલાત્મક ચલચિત્ર બનાવવાનો પ્રયાસ હતો છતાં તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યારબાદ તેઓએ ૧૯૭૪માં ‘પરિણય’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. આ ઉપરાંત ૧૯૭૬માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવી, બાળફિલ્મ તથા ‘રામનગરી’ નામની હિન્દી ફિલ્મ બનાવી. આ સાથે બાળફિલ્મો તથા દસ્તાવેજી ફિલ્મો બનાવી. કાન્તિભાઈનું નામ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સર્જનાત્મક પરિણામ દાખવવા માટે કાયમ રહેશે. તેઓ ગુજરાત સરકારની ફિલ્મ સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ થયા હતા.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

માણેકશા સોરાબશા

કોમિસરિયત ————–

જ. ૧૧ ડિસેમ્બર, ૧૮૮૧ અ. ૨૫ મે, ૧૯૭૨

ગુજરાતના ઇતિહાસ લેખનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર માણેકશાનો જન્મ મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો. ગુજરાતનો ઇતિહાસ આલેખનારા અલ્પસંખ્યક ઇતિહાસવિદોમાંના તેઓ એક હતા. તેમણે કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું. ૧૯૦૩માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ૧૯૦૫માં એમ.એ. થયા. બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી કૉલેજમાંથી ફેલોશિપ પણ મળી. એમ.એ. થયા બાદ તરત જ ગુજરાત કૉલેજમાં ‘પ્રોફેસર ઑવ્ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકૉનૉમિક્સ’ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન કર્યું. થોડા સમય માટે ગુજરાત કૉલેજમાં આચાર્ય તરીકે પણ સેવાઓ આપી. તેમણે પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન ગુજરાતના મધ્યકાલીન સમયને લગતી સંશોધન કામગીરી લગભગ ૧૯૧૮થી શરૂ કરી હતી. તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને લગતાં વિવિધ મંડળો તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશન’ તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ’નાં અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે કાર્યરત હતા. ગુજરાતના મુઘલ અને મરાઠા સમયના ઇતિહાસનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ગુજરાતના રાજપૂત સમય પછીના મધ્યકાળના ઊંડા અભ્યાસ અને મૌલિક સંશોધનના ફળસ્વરૂપે તેમણે જે ઇતિહાસલેખન કર્યું, તેમાં મેન્ડેલ્સ્લોસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઑફ ગુજરાત (ધ મુસ્લિમ પિરિયડ) વૉલ્યુમ-૧, (ધ મુઘલ સાહિત્ય) વૉલ્યુમ-૨, (ધ મરાઠા પિરિયડ) વૉલ્યુમ-૩ સહિત ઇતિહાસના આઠેક ગ્રંથ આપ્યા છે. આ ગ્રંથોનું પ્રકાશન પચાસના દાયકામાં થયું હતું.

માણેકશાએ તેમના ઇતિહાસલેખનમાં રાજકીય બાબતો અને ઐતિહાસિક ઘટનાઓનું ખૂબીપૂર્વક આલેખન કર્યું છે. તેમણે પોતાના અધ્યાપનના સમય દરમિયાન તથા નિવૃત્તિકાળમાં ઇતિહાસના અધિકૃત ગ્રંથો આપીને તે ક્ષેત્રે તથા ઇતિહાસ-સંશોધનક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમની વિદ્વત્તાની કદર રૂપે સરકારે ‘ખાન બહાદુર’ના ખિતાબથી તેમને સન્માન્યા હતા.

શુભ્રા દેસાઈ