Categories
વાચન સમૃદ્ધિ

પં. મદનમોહન માલવીય

જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬

મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાસબિહારી ઘોષ

જ. ૨૩ ડિસેમ્બર, ૧૮૪૫ અ. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૧

હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના હિમાયતી એવા રાસબિહારી ઘોષનો જન્મ બર્દવાન જિલ્લાના ટોરકોના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા. માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક અને ૧૮૬૭માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૭૧માં ઑનર્સ ઇન લૉની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૮૭૯માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. ૧૮૯૩-૯૫ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ બન્યા. તેમની ગણના બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. ૧૯૦૫માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૦૭માં સૂરત ખાતે તથા ૧૯૦૮માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. તેઓ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજનૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ૧૮૮૪માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. ૧૯૦૮માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા હતા. અઢળક સંપત્તિના માલિક એવા તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપી હતી. તેમણે આપેલા દાનમાંથી અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેમાં કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ, જાદવપુર ટૅકનિકલ કૉલેજ, ટોરકોના જગબંધુ શાળાનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ગામમાં શાળાઓ તથા હૉસ્પિટલ પણ શરૂ કરી હતી. બૅંગાલ કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ વર્કસની સ્થાપના કરવામાં પણ તેમણે રકમ દાનમાં આપી હતી. ૧૯૦૬-૨૧ દરમિયાન તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે લખેલો ‘લૉ ઑવ્ મૉર્ટ્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનિવાસ આયંગર રામાનુજન

જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦

ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ નાપાસ થયા અને શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. ૧૯૦૭માં અભ્યાસ છોડી દેવો પડ્યો. આથી આર્થિક સ્થિતિ માટે ગણિતનાં ટ્યૂશન તથા બીજે ખાતાવહીનું કામ કરવા લાગ્યા. ૧૯૧૨માં તેઓ ‘મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટ’માં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી તેમણે ૧૯૧૩ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. હાર્ડીએ તેમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. મદ્રાસ યુનિવર્સિટીને ભલામણ કરીને રામાનુજનને સંશોધન માટે શિષ્યવૃત્તિ અપાવી. પરિણામે ૧૯૧૪ના માર્ચમાં  તેઓ ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાં હાર્ડી સાથે જ ઉત્તમ કોટિનું સંશોધનકાર્ય કર્યું અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના ફેલો બન્યા. ૧૯૧૮માં ‘રૉયલ સોસાયટી’એ પણ તેમને  ફેલો બનાવ્યા. આ માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય ગણિતજ્ઞ હતા. તબિયત નાદુરસ્ત રહેવાથી ૧૯૧૯ના માર્ચ મહિનામાં ભારત પાછા આવ્યા. તેમનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢિઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો વગેરે ક્ષેત્રોમાં હતું. ૧૯૦૨થી લઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યાં સુધી તેમનાં બધાં પરિણામો તેમણે જે નોટમાં લખ્યાં હતાં તે તેમના જ હસ્તાક્ષરોમાં ૧૯૫૭માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયાં છે. મરણપથારીએથી પણ નવી શોધો કરી ઇંગ્લૅન્ડ મોકલી તે ખોવાઈ ગઈ, પણ ૧૯૭૬માં જી. ઈ. એન્ડ્રુઝે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પુસ્તકાલયમાં શોધી કાઢી. પૂર્ણાંકનાં વિભાજનોની સંખ્યા શોધવા અંગેનું ૧૯૧૭માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું સંયુક્ત સંશોધનપત્ર યુગપ્રવર્તક બન્યું. તેમના વિશિષ્ટ પ્રદાનની યાદમાં ‘રામાનુજન પુરસ્કાર’ તથા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.

રાજશ્રી મહાદેવિયા