Categories
વાચન સમૃદ્ધિ

મહાદેવ ગોવિંદ રાનડે

જ. ૧૮ જાન્યુઆરી, ૧૮૪૨ અ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૧

ખ્યાતનામ ધારાશાસ્ત્રી, આઝાદી માટેના આંદોલનના અગ્રણી મેવાળ નેતા અને સમાજસુધારક તરીકે જાણીતા મહાદેવ રાનડેના પિતા કોલ્હાપુર રિયાસના મંત્રી હતા. તેમની માતાનું નામ ગોપિકાબાઈ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ નાશિકની ઍંગ્લોવર્નાક્યુલર શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ૧૮૬૨માં સ્નાતક થયા હતા. ૧૮૬૪માં અનુસ્નાતક અને ૧૮૬૫માં તેમણે કાયદાશાસ્ત્રીની પદવી પણ હાંસલ કરી હતી. ૧૮૬૮માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગણિત, તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર – એમ વિવિધ વિષયોનું અધ્યાપન કર્યું હતું. મહાદેવ રાનડે ૧૮૭૧માં બ્રિટિશ સરકારની જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૭૩માં તેમને પ્રથમ વર્ગના ન્યાયાધીશ તરીકે બઢતી પણ મળી હતી. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેમાં પણ તેઓ સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ ૧૮૮૬માં ફાઇનાન્સ કમિશનના  સભ્યપદે અને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદ પર પણ નિમાયા હતા. ૧૮૯૩માં બઢતી પામી તેઓ મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા તે ઘટના જ સ્વયં બહુમાનરૂપ ગણાય તેવી સ્થિતિ હતી. ૧૮૯૬માં પુણે ખાતે ડેક્કન સભાની સ્થાપના કરવામાં પણ તેઓ અગ્રેસર હતા. ત્યારબાદ મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. જ્યાં તેમણે સમાજસુધારાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. મહાદેવ રાનડે એકેશ્વરવાદી હોવાની સાથે વ્યાયામપ્રવૃત્તિને પણ ખૂબ જ મહત્ત્વ આપતા હતા. ૧૮૬૪થી ૧૮૭૧ દરમિયાન મુંબઈથી પ્રકાશિત થતા આંગ્લ-મરાઠી દૈનિક ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી કૉલમના પણ તેઓ સંપાદક હતા. ‘સાર્વજનિક સભા રિપોર્ટ ઑન મટીરિયલ કન્ડિશન ઇન મહારાષ્ટ્ર’ (૧૮૭૨), ‘રેવન્યૂ મૅન્યુઅલ ઑફ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા’ (૧૮૭૭) અને ‘એસેઝ ઇન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (૧૮૭૯) તેમના અર્થતંત્રને આવરી લેતા નોંધપાત્ર ગ્રંથો છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

એલ. વી. પ્રસાદ

જ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૮ અ. ૨૨ જૂન, ૧૯૯૪

અક્કિનેની લક્ષ્મી વરા પ્રસાદ રાવનો જન્મ સામવારપાડુ, પશ્ચિમ ગોદાવરી જિલ્લો, આંધ્રપ્રદેશમાં થયો હતો. પિતા અક્કિનેની શ્રીરામુલુ અને માતા બાસવામ્મા. આ હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક એલ. વી. પ્રસાદના નામથી વધુ જાણીતા હતા. બાળપણથી જ ચલચિત્રોમાં રુચિ ધરાવનાર પ્રસાદનું મન અભ્યાસમાં ન ચોંટ્યું. પોતે પણ ચલચિત્રો બનાવી શકે એ વિચારોમાં રહેવા લાગ્યા. ૧૭ વર્ષે લગ્ન થઈ ગયું અને પછી ઘરની આર્થિક સ્થિતિ કથળતાં તેઓ મુંબઈ આવ્યા. ચલચિત્રો પ્રત્યે ઘેલછા તો હતી જ એટલે તેમાં કામ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. ઘણા સંઘર્ષ અને રઝળપાટ પછી ૧૯૩૦માં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં તેઓ કામ કરતા હતા ત્યારે ૧૯૩૧માં ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમને કામ કરવાની તક મળી. આમ પ્રથમ હિંદી બોલપટ ‘આલમઆરા’, પ્રથમ તમિળ બોલપટ ‘કાલિદાસ’ તથા પ્રથમ તેલુગુ બોલપટ ‘ભક્ત પ્રહલાદ’માં અભિનય કરનારા તેઓ પ્રથમ અભિનેતા બન્યા. ત્યારબાદ તેઓ મુંબઈ છોડી ચેન્નાઈ આવ્યા અને ‘દ્રોહ’ અને ‘ગૃહપ્રવેશમ્’ બે ચિત્રોનું નિર્દેશન કર્યું. તેમાં અભિનય પણ કર્યો. સમય જતાં તેમણે લક્ષ્મી પ્રોડક્શન્સ અને પ્રસાદ પ્રોડક્શન નામની પોતાની નિર્માણ  કંપનીઓ શરૂ કરી. ૪૦થી વધુ સફળ ચિત્રોનું નિર્માણ કર્યું. ૧૯૬૫માં તેમણે પ્રસાદ સ્ટુડિયોની સ્થાપના કરી અને ૧૯૭૬માં પ્રસાદ ફિલ્મ લૅબોરેટરી શરૂ કરી, જે એશિયામાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓમાંની એક બની રહી. એલ. વી. પ્રસાદ નેત્ર ચિકિત્સાલય પણ ખૂબ જાણીતી છે. તેલુગુ, તમિળ અને કન્નડ ભાષામાં ઘણાં લોકપ્રિય ચલચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત તેમણે લોકપ્રિય હિંદી ચલચિત્રો બનાવ્યાં તેમાં ‘શારદા’, ‘છોટી બહન’, ‘બેટી બેટે’, ‘હમરાહી’, ‘સસુરાલ’, ‘દાસી’, ‘માં’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘એક દૂજે કે લિયે’, ‘ઉધાર કા સિંદૂર’નો સમાવેશ થાય છે. તેમને ઘણાં બધાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. જેમાં ૧૯૮૨માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક, ૧૯૮૦માં ભારત સરકાર દ્વારા ‘ઉદ્યોગરત્ન’ તથા આંધ્રપ્રદેશનું રઘુપતિ વેન્કૈયા પારિતોષિક વગેરે મુખ્ય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ઓ. પી. નૈયર

જ. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૦૭

ફિલ્મી દુનિયામાં ઓ. પી. નૈયર નામથી ખ્યાતિ ધરાવતા સંગીતકારનું પૂરું નામ ઓમકારપ્રસાદ નૈયર. તેમનો જન્મ લાહોરમાં થયો હતો. તેમણે સંગીતનું કોઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરેલું નહીં, પણ તેમની રુચિના કારણે ૧૯૪૯માં ‘કનિઝ’ અને ૧૯૫૨માં ‘આસમાન’ ફિલ્મમાં પાર્શ્વ સંગીત આપેલું જેને એવી ખાસ સફળતા મળેલી નહીં પણ ૧૯૫૪માં ગુરુદત્તની ફિલ્મ ‘આરપાર’માં તેમનું સંગીત પ્રશંસાને પાત્ર થયું. તેમાં શમશાદ બેગમ, ગીતા દત્ત અને રફીના કંઠનો તેમણે સુંદર પ્રયોગ કરેલો. પછી તો ‘કભી આર, કભી પાર’, ‘યે લો મૈં હારી પિયા’ અને ‘બાબુજી ધીરે ચલના’ જેવી રચનાઓ લોકોની જીભે રમવા લાગી. તેમણે તેમની સંગીતરચનાઓમાં પશ્ચિમી વાદ્યો સાથે ભારતીય વાદ્યોનો સમન્વય કર્યો હતો. ૧૯૫૫માં ‘બાપ રે બાપ’ ફિલ્મમાં આશા ભોસલેનો તેમને સાથ મળ્યો જે વીસ વર્ષો સુધી રહ્યો. ત્યારબાદ તેમણે દિલરાજ કૌર, વાણી જયરામ અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવી ગાયિકાઓના કંઠનો ઉપયોગ કર્યો હતો. તેમના સંગીતમાં ઉલ્લાસ, રમતિયાળપણું અને મસ્તી જોવા મળે છે, પરંતુ તેઓ ગંભીર પ્રકારનાં ગીતોનું પણ સ્વરનિયોજન કરતા જે ‘સોને કી ચીડિયા’ ફિલ્મમાં જોવા મળે છે. વળી તેમણે ફક્ત ‘રાગિની’ અને ‘કલ્પના’માં શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ધૂનોની રચના પણ કરેલી, પણ લોકોને તે બહુ રુચિ નહીં. ધીરે ધીરે તેમની ધૂનોમાં એકવિધતા આવવાથી તેમની પ્રગતિ અટકતી હોય તેવું લાગ્યું. તેમણે લતા મંગેશકર સિવાયની ગાયિકાઓ પાસે પણ અસામાન્ય કામ લીધું અને સાબિત કર્યું કે ગીતની લોકપ્રિયતામાં માત્ર કંઠની મધુરતા જ નિર્ણાયક નથી રહેતી. તે ઉપરાંત બંદીશો રચવાની અને ધૂનો બનાવવાની જે વિશેષતા તથા અલૌકિકતા અને વાદ્યોનું ચયન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવનના સાગરમાં ભરતી અને ઓટને સહજ રીતે સ્વીકારી પોતાની જ મસ્તીમાં જીવનાર મહાન સંગીતકાર એવા ઓ. પી. નૈયર તેમની અનેક લોકપ્રિય સ્વરરચનાથી અમર રહેશે. તેમને ૧૯૫૮માં ‘નયા દૌર’ ફિલ્મના સંગીતનિર્દેશક તરીકે ફિલ્મફેરનો ‘બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર’નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે ૨૦૧૩માં તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પડી હતી.

અશ્વિન આણદાણી