Categories
વાચન સમૃદ્ધિ

સુખદેવ થાપર

જ. ૧૫ મે, ૧૯૦૭ અ. ૨૩ માર્ચ, ૧૯૩૧

ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શહીદ ભગતિંસહ અને રાજગુરુ સાથે જેમનું નામ બોલાય છે તે સુખદેવ થાપરનો જન્મ પંજાબના લુધિયાણા ખાતે રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં એક ખત્રી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું અવસાન થવાથી કાકા અચિંતરામે તેમનું પાલનપોષણ કર્યું હતું. સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનના સભ્ય હતા. પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારમાં ક્રાંતિકારી કાર્યક્રમોના આયોજનમાં તેઓની ભૂમિકા અગ્રેસર હતી. પીઢ નેતા લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તેની ઈજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધીક્ષક જે. પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે સુખદેવ થાપરને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસમાં સુખદેવ મુખ્ય આરોપી હતા. જેનું સત્તાવાર શીર્ષક ‘ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય’ એવું હતું. ૮મી એપ્રિલ, ૧૯૨૯ના રોજ નવી દિલ્હીમાં થયેલ સેન્ટ્રલ ઍસેમ્બ્લી હૉલ બૉમ્બધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને દોષી ઠરાવીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તે ત્રણેયના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીને કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં ૨૩મી માર્ચને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજનું નામ ‘શહીદ સુખદેવ કૉલેજ ઑફ બિઝનેસ સ્ટડીઝ’ સુખદેવ થાપરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેમના જન્મસ્થળ લુધિયાણા શહેરના મુખ્ય બસસ્ટૅન્ડનું નામ ‘અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ’ રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેહદી નવાઝ જંગ

જ. ૧૪ મે, ૧૮૯૪ અ. ૨૩ જૂન, ૧૯૬૭

એક ભારતીય અમલદાર અને નિઝામના શાસન દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સચિવ તેમ જ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એવા મેહદી નવાઝ જંગનો જન્મ હૈદરાબાદના ડેક્કનના દારુલશીફામાં એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચશિક્ષણ માટે હૈદરાબાદની કૉલેજમાં જોડાયા હતા પરંતુ ટાઇફૉઈડની બીમારીને લીધે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા હતા. અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા હતા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. દક્ષિણ ભારતમાં પડેલા કારમા દુષ્કાળ વખતે ૧૯૧૯-૨૦માં હૈદરાબાદ સરકારે દુષ્કાળગ્રસ્ત અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતપૂર્વક સેવા કરી કે લોકો એમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવમાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રે તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, સહકારી વ્યાપાર નિગમ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ અને ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. ૧૯૨૬થી ૧૯૩૭ દરમિયાન હૈદરાબાદ સરકારમાં રહસ્યમંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપવા બદલ તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૪૯માં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની ૧૯૬૦ સુધી આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ અને વીજળી ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. સાત ભાષાના જાણકાર, સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા અને કલાપ્રેમી હોવાથી ભારતીય લલિત કલા એકૅડેમીનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં તેમના નામનો હૉલ આજે પણ મોજૂદ છે.

Categories
વાચન સમૃદ્ધિ

તંજાવુર બાલાસરસ્વતી

જ. ૧૩ મે, ૧૯૧૮ અ. ૯ ફેબ્રુઆરી, ૧૯૮૪

નૃત્ય-અભિનયમાં ઉત્તમ પ્રતિભા ધરાવનાર નૃત્યાંગના. કર્ણાટક સંગીત અને નૃત્યનો ભવ્ય કલાવારસો ધરાવનાર કુટુંબમાં જન્મ્યાં હોવાથી બાળપણથી જ નૃત્ય-સંગીત શીખ્યાં. પ્રતિષ્ઠિત નૃત્ય શિક્ષક કે. કંડપ્પન પિલ્લાઈના હાથ નીચે ચાર વર્ષની ઉંમરે ભરતનાટ્યમની તાલીમ શરૂ થઈ. બાલારસસ્વતીની કારકિર્દીની શરૂઆત સાત વર્ષની ઉંમરથી થઈ. સોળ વર્ષની ઉંમરે ૧૯૩૪માં કૉલકાતામાં પ્રથમ પ્રદર્શન કર્યું અને નૃત્યનિર્દેશક ઉદયશંકરે તેમના વિદેશપ્રવાસમાં બાલા જોડાય તેવી ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ માતાને લાગ્યું કે બંનેની નૃત્યશૈલીનો મેળ નહીં ખાય તેથી સંમતિ ન આપી. ત્યારબાદ લખનઉમાં રવીન્દ્રનાથ ટાગોરે તેનું નૃત્ય જોઈને શાંતિનિકેતનમાં નૃત્ય માટે આમંત્રણ આપ્યું. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેમણે પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં કાર્યક્રમો કર્યા ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં તેમણે વારંવાર અમેરિકામાં એક શિક્ષક અને કલાકાર તરીકે પ્રવાસ કર્યા. ૧૯૬૧માં ટોકિયો ખાતે કૉન્ફરન્સમાં કપિલા વાત્સ્યાયનના અથાગ પરિશ્રમને કારણે બાલાસરસ્વતીનો કાર્યક્રમ રખાયો. હૃદય અને સાંધાની બીમારી હોવા છતાં ઘણાં વર્ષો તેમણે કાર્યક્રમો આપ્યા. આમ બાલાસરસ્વતીએ ભારતમાં અને વિદેશમાં ભરતનાટ્યમની પરંપરાગત શૈલીથી અનેક પ્રેક્ષકોને પરિચિત કરાવ્યા, તેમનામાં રુચિ જગાડી, અને ઘણાને તાલીમ પણ આપી. તેમણે તેમની નૃત્યકારકિર્દી માટે દેશ-વિદેશમાં અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં. તેમાં ભારત સરકાર દ્વારા ૧૯૫૭માં પદ્મભૂષણ, ૧૯૭૭માં પદ્મવિભૂષણ તથા ૧૯૭૮માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. દક્ષિણ ભારતનો સર્વોચ્ચ સંગીત કલાનિધિ પુરસ્કાર ૧૯૭૩માં આપવામાં આપ્યો હતો. અમેરિકાઝ ઇરિપ્લેસેબલ ડાન્સ ટ્રેઝર : ધ ફર્સ્ટ હન્ડ્રેડ(૨૦૦૦)ના સંકલનમાં તેઓ એકમાત્ર ભારતીય હતાં. સત્યજિત રેએ તેમના પર ૧૯૭૬માં ‘બાલા’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. ૨૦૧૦માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી હતી.