Categories
વાચન સમૃદ્ધિ

વી. શાંતારામ

જ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ અ. ૩૦ ઑક્ટોબર, ૧૯૯૦

ભારતીય ફિલ્મનિર્માતા, નિર્દેશક, અભિનેતા અને પટકથાલેખક તરીકે જાણીતા વી. શાંતારામને લોકો ‘શાંતારામ બાપુ’ અને ‘અન્નાસાહેબ’ તરીકે પણ ઓળખે છે. તેઓ હિન્દીની સાથોસાથ મરાઠી ફિલ્મોમાં પણ તેમના ઉત્તમ કામ માટે જાણીતા હતા. તેમનો જન્મ મરાઠી જૈન પરિવારમાં થયો હતો. શાંતારામ જાણીતા મરાઠી ફિલ્મદિગ્દર્શક માસ્ટર વિનાયકના મામાના પિતરાઈ ભાઈ હતા. આ માસ્ટર વિનાયક બોલિવુડની અભિનેત્રી નંદાના પિતા છે. કર્ણાટકમાં હુબલી ખાતે રેલવે વર્કશૉપમાં ફિટર તરીકે તેઓ જોડાયા હતા. જ્યાં તેમનો પગાર રોજના આઠ આના એટલે કે ૫૦ પૈસા હતો. તેમની અથાગ મહેનતથી પ્રભાવિત થઈને તેમનો પગાર રોજના બાર આના એટલે કે ૭૫ પૈસા કરવામાં આવ્યો હતો. સાંજે તેમણે હુબલી ખાતે ન્યૂ ડેક્કન સિનેમા થિયેટરમાં ડૉરકીપર તરીકે પણ કામ કર્યું હતું. જોકે આ કામ માટે તેને કોઈ ચુકવણી કરવામાં આવતી ન હતી, પરંતુ તેમને બધી ફિલ્મો મફતમાં જોવાની છૂટ હતી. ત્યાં તેમણે ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની ફિલ્મો જોઈ અને ફિલ્મક્ષેત્રે આગળ વધવાનો જુસ્સો કેળવ્યો. તેઓ ફોટોગ્રાફી અને સાઇન બોર્ડ પેઇન્ટિંગ પણ શીખ્યા હતા.

વી. શાંતારામે અભિનેતા તરીકે ‘સુરેખાહરણ’ (૧૯૨૧), ‘સ્ત્રી’ (૧૯૬૧) અને ‘દો આંખે બારહ હાથ’ (૧૯૫૭) જેવી છ ફિલ્મોમાં અને નિર્માતા તરીકે ‘ભક્તિમાલા’ (૧૯૪૪), ‘સેહરા’ (૧૯૬૩) અને ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (૧૯૭૧) જેવી ૧૦ ફિલ્મોમાં સરસ કામ કર્યું હતું. તેમણે દિગ્દર્શક તરીકે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની ‘નેતાજી પાલકર’ (૧૯૨૭)માં, પ્રભાત ફિલ્મ કંપનીની ‘ગોપાલકૃષ્ણ’, ‘ધર્માત્મા’, ‘માનુસ’, ‘આદમી’ અને ‘પડોસી’ જેવી ૧૯ ફિલ્મોમાં અને રાજકમલ કલામંદિરની ‘ભગવાનદાસ પટેલ’થી માંડી ‘અપના દેશ’ અને ‘તીન બત્તી ચાર રસ્તા’ જેવી ૨૧ ફિલ્મોમાં અદભુત સેવા આપી છે. ૧૯૫૨થી ૧૯૫૯ સુધીમાં જુદા જુદા ૯ ઍવૉર્ડ અને ચંદ્રક પ્રાપ્ત કરેલ વી. શાંતારામને ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ૧૯૯૨માં પદ્મવિભૂષણ(મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર, ૨૦૦૧ના રોજ તેમને સમર્પિત એક ટપાલટિકિટ ભારતીય ડાક વિભાગે બહાર પાડી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

નાનાલાલ ચમનલાલ મહેતા

જ. ૧૭ નવેમ્બર, ૧૮૯૪ અ. ૧૮ મે, ૧૯૫૮

આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી. રાજકોટમાં અને પછી મુંબઈમાં વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ટ્રાઇપોસ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીંથી ૧૯૪૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે હાલ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા ત્યારના યુનાઇટેડ પ્રૉવિન્સિઝમાં જુદા જુદા હોદ્દા સંભાળ્યા. આ દરમિયાન તેમણે ભારતીય લઘુચિત્રકલાની અલગ અલગ શૈલીઓના ૧,૦૦૦થી પણ વધુ ચુનંદા નમૂના એકત્રિત કર્યા. ૧૯૫૦માં તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા. ૧૯૨૬માં તેમનું પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ્ઝ’ પ્રકટ થયું. તેમનું પુસ્તક ‘ગુજરાતી પેઇન્ટિંગ્ઝ ઇન ફિફ્ટીન્થ સેન્ચુરી’ ૧૯૩૧માં પ્રકટ થયું.

૧૯૫૮માં મહેતાના અવસાન પછી ગુજરાત મ્યુઝિયમ સોસાયટીએ ૧૯૬૩માં અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આ સંગ્રહનું કાયમી મ્યુઝિયમ ઊભું કર્યું અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઉદઘાટન કર્યું. ૧૯૯૩માં આ સંગ્રહ અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર’માં ગોઠવાયો. આ સંગ્રહમાં જૈન કલ્પસૂત્રો અને લઘુચિત્રો, પ્રાગ્અકબરી સલ્તનત શૈલીનાં લઘુચિત્રો તથા ‘ચૌરપંચાશિકા’ કાવ્યને રજૂ કરતાં વિશ્વવિખ્યાત ૧૮ લઘુચિત્રો; મેવાડ, બીકાનેર, માળવા, કોટા, બુંદી, જયપુર અને રાધાગઢ જેવી રાજસ્થાની અને રાજપૂત ચિત્રશૈલીઓના નમૂના, શાહજહાં અને ઔરંગઝેબના સમયનાં મુઘલ ચિત્રો અને નુરપુર, ચમ્બા, કાંગડા, બશોલી, મંડી, ગુલેર, બિલાસપુર તથા જમ્મુ જેવી પહાડી શૈલીઓનાં ચિત્રો છે. આ ચિત્રોમાંનાં ઘણાં ચિત્રો પંડિત સેઉ, મણાકુ, પુરખુ, દેવીદાસ, નયનસુખ જેવા ચિત્રકારોની કૃતિઓ છે. તિબેટી, ડૅક્કની, ઈરાની, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો પણ અહીં છે.  

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

શિવકુમાર ગિરજાશંકર જોશી

જ. ૧૬ નવેમ્બર, ૧૯૧૬ અ. ૪ જુલાઈ, ૧૯૮૮

કૉલકાતામાં રહેવા છતાં ગુજરાતથી કદી અળગા ન થનાર નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર શિવકુમારનો જન્મ પિતા ગિરજાશંકર અને માતા તારાલક્ષ્મીને ત્યાં અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજશિક્ષણ અમદાવાદમાં થયું હતું. ઈ. સ. ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.ની ડિગ્રી મળી તે પછી પિતાજીએ તેઓને કાપડના ધંધામાં ગોઠવવા કૉલકાતા મોકલી આપ્યા. આ પરિસ્થિતિ શિવકુમારને ફળી ગઈ. તેમના સમગ્ર જીવન પર તેની ઘેરી અસર પડી અને આ નવા વાતાવરણમાં તેઓનો સારો વિકાસ થયો. નાટ્યલેખન, અદાકારી, દિગ્દર્શન, નિર્માણ અને સંયોજનમાં સંગીત અને પ્રકાશનમાં શિવકુમાર ઘણા માહિર હતા. રંગભૂમિ પર ચાર દાયકા સુધી તેમનાં નાટકો અને નવલકથાઓ હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. શિવકુમાર ચિરપ્રવાસી હતા, આથી પ્રવાસવર્ણનોનાં બે દળદાર પુસ્તકો તથા આત્મકથનાત્મક પુસ્તક ‘મારગ આ પણ છે શૂરાનો’ પ્રગટ કર્યાં છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાં અનુવાદો કર્યા છે. ૩૬ વર્ષના તેઓના લેખનકાળમાં લગભગ ૯૦ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે એકાંકી, નિબંધ, અનુવાદ, વિવેચન, નવલકથા, નવલિકા, નાટક, રેડિયોનાટક એમ સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમને ઈ. સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. તેમના નાટક ‘સુવર્ણરેખા’ (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અંજના ભગવતી