Categories
વાચન સમૃદ્ધિ

દારાશા નોશેરવાન વાડિયા

જ. ૨૫ ઑક્ટોબર, ૧૮૮૩ અ. ૧૫ જૂન, ૧૯૬૯

ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રારંભિક શિક્ષણ સૂરતમાં લીધા બાદ ગુજરાતની એક ખાનગી શાળા અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. ૧૯૦૩માં બી.એસસી. અને ૧૯૦૬માં એમ.એસસી. થયા. દિલ્હી યુનિવર્સિટીએ ૧૯૪૭માં અને અલીગઢ યુનિવર્સિટીએ ૧૯૬૭માં ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી આપી હતી.

૧૯૦૬માં તેમની નિયુક્તિ જમ્મુની ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કરવામાં આવી, જ્યાં તેમણે ૧૯૨૦ સુધી ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ દરમિયાન તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સભ્ય બન્યા અને ૧૯૨૧થી ૧૯૨૮ સુધી તેઓ તેના વૈજ્ઞાનિક અધિકારી બન્યા. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી તેમણે જીવાવશેષ વિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૫માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો બન્યા. ૧૯૪૨-૪૩માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા અને ૧૯૫૭માં રૉયલ સોસાયટી ઑફ જિયૉલૉજીના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૫૧-૫૨ દરમિયાન ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને રૉયલ  એશિયાટિક સોસાયટીના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ૧૯૬૦માં ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફોર ઓશનિક રિસર્ચ’ના ચૅરમૅન તરીકેની જવાબદારી પણ નિભાવી. તેમણે ભૂસ્તરશાસ્ત્ર વિષયનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમણે ૧૯૧૯માં ‘જિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’, ૧૯૨૯-૩૪માં ‘જિયૉલૉજી ઑવ્ કાશ્મીર ઍન્ડ નૉર્થવેસ્ટ પંજાબ’ તથા ૧૯૩૨માં ‘સિન્ટેક્સિસ ઑવ્ ધ નૉર્થવેસ્ટર્ન હિમાલયાઝ’ પુસ્તકો લખ્યાં છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’ના અભ્યાસમાં તેમના પ્રદાન રૂપે ૧૯૭૬થી તેને ‘વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’નું નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેમને આપવામાં આવેલા  સન્માનમાં ૧૯૩૪માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી ઍવૉર્ડ, ૧૯૪૩માં લંડન જિયૉલૉજિકલ સોસાયટીનો લાયલ ચંદ્રક, ૧૯૪૪માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સનો જયકિસાન ચંદ્રક, ૧૯૫૦માં નૅશનલ જિયૉગ્રાફિકલ સોસાયટીનો નહેરુ ચંદ્રક, ૧૯૫૮માં ‘પદ્મભૂષણ’, ૧૯૬૪માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક, કૉલકાતાની એશિયાટિક સોસાયટીનો ખેતાન સુવર્ણચંદ્રક તથા કૉલકાતા યુનિવર્સિટીનો સર્વાધિકારી સુવર્ણચંદ્રકની લાંબી હારમાળા છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

હરજી લવજી દામાણી ‘શયદા’

જ. ૨૪ ઑક્ટોબર, ૧૮૯૨ અ. ૩૧ મે, ૧૯૬૨

તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલસ્વરૂપની કવિતાની શરૂઆત કરી હોવાથી તેઓ ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી જ્ઞાતિના, વતન ધોલેરાના  હરજીભાઈએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. તેઓએ ‘શયદા’ ઉપનામ ધારણ કરેલું. ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે તેઓએ ગુજરાતી ગઝલની રચના કરી. શયદાનો અર્થ ઉર્દૂમાં ‘પ્રેમ સાથે પાગલ’ થાય છે. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય બનાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે. ‘બે ઘડી મોજ’ (૧૯૨૪) સામયિકના તેઓ સ્થાપક-મંત્રી હતા. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. આ ઉપરાંત પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા. તેમના કાવ્ય-ગઝલ રચનાઓના ગ્રંથો ‘જય ભારતી’ (૧૯૨૨), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (૧૯૬૧), ‘દીપકનાં ફૂલ’ (૧૯૬૫), ‘ચિતા’ (૧૯૬૮) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (૧૯૯૯) છે, જેમાં ભાષાની સાદગી અને વિચારોની તાજગી તેમની ગઝલનો મુખ્ય વિષય છે.

તેમની નવલકથાઓમાં ‘મા તે મા’ (ભાગ ૧-૨), ‘અમીના’, ‘છેલ્લે રોશની’ (ભાગ ૧-૨), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ ૧-૨), ‘આઝાદીની શમા’ (ભાગ ૧-૨), ‘ખમ્મા ભાઈને’ (ભાગ ૧-૨) વગેરે હતી. આ ઉપરાંત તેઓએ ઘણાં નાટકો પણ લખ્યાં છે અને વાર્તાસંગ્રહો પણ લખ્યા હતા. તેમની યાદમાં ઇન્ડિયન નૅશનલ થિયેટર, મુંબઈ યુવા-ગુજરાતી ગઝલકાર – કવિઓને વાર્ષિક શયદા પુરસ્કાર આપે છે. મુંબઈમાં ચોપડીઓની ફેરીથી પોતાની કારકિર્દી શરૂ કરનાર શયદાએ ૫૦ જેટલાં પુસ્તકો લખી પોતાની ઉજ્જ્વળ કારકિર્દી પૂરી કરી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન વર્મા

જ. ૨૩ ઑક્ટોબર, ૧૯૩૭ અ. ૨ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના ખ્યાતનામ અભિનેતા તરીકે જાણીતા દેવેન વર્માનો જન્મ કચ્છમાં થયો હતો. અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનાં માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ બલદેવસિંહ વર્મા હતું. તેમના પિતા રાજસ્થાની અને માતા કચ્છી હતાં. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર હતા. તેમણે નૌરોસજી વાડિયા કૉલેજ ફોર આર્ટ્સ ઍન્ડ સાયન્સ (યુનિવર્સિટી ઑફ પુણે) ખાતે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી અભ્યાસ કરી રાજ્યનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બોલિવુડના દિગ્ગજ અભિનેતા અશોકકુમારની પુત્રી અને પ્રીતિ ગાંગુલીની બહેન રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું મૂળ નામ દેવેન્દ્ર વર્મા હતું. જે તેમણે કૉલેજમાં હતા ત્યારે બદલીને દેવેન વર્મા કર્યું હતું. ૧૯૬૧થી ૨૦૦૩ સુધીમાં દેવેન વર્માએ કુલ ૧૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુમરાહ’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘બહારેં ફીર ભી આયેગી’, ‘યકીન’, ‘મેરે અપને’, ‘ફિર કબ મિલોગી’, ‘કોરા કાગઝ’, ‘દો આંખે’, ‘દીવાર’, ‘દૂસરા આદમી’, ‘બેશરમ’, ‘ડોન’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘પ્રેમવિવાહ’, ‘મગરૂર’, ‘ગોલમાલ’, ‘નિયત’, ‘કુદરત’, ‘પ્યાસા સાવન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘બંધન કચ્ચે ધાગોં કા’, ‘જાગ ઊઠા ઇન્સાન’, ‘અલગ અલગ’, ‘પ્રેમપ્રતિજ્ઞા’, ‘દીવાના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કલકત્તા મેઇલ’ જેવી ઘણી ફિલ્મો યાદગાર બની રહી. ખાસ કરીને તેમને બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને ગુલઝાર જેવા બોલિવુડના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કૉમિક ભૂમિકા કરવા મળી હતી. દેવેન વર્માને ૧૯૯૨માં ‘મામાજી’ નામની અને ૧૯૯૩માં ‘ઝબાન સંભાલ કે’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, જે તેમણે સરસ રીતે નિભાવી હતી. આ સિવાય તેમણે ‘યકીન’ (૧૯૬૯) અને ‘ચટપટી’ (૧૯૯૩) જેવી ફિલ્મનું નિર્માણ તો ‘બડા કબૂતર’ (૧૯૭૩) જેવી ફિલ્મનું દિગ્દર્શન અને ‘નાદાન’ (૧૯૭૧), ‘બેશરમ’ (૧૯૭૮) અને ‘દાનાપાની’ (૧૯૮૯) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સુપેરે કર્યું હતું.

દેવેન વર્માને ૧૯૭૯નો ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનનો ઍવૉર્ડ ‘ચોર કે ઘર ચોર’ ફિલ્મ માટે, ૧૯૮૧માં કૉમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફિલ્મ ‘જુદાઈ’ માટે, ૧૯૮૩નો બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર ઍવૉર્ડ ‘અંગૂર’ ફિલ્મ માટે પ્રાપ્ત થયા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્યકલાકાર ઍવૉર્ડ ૧૯૭૬માં ‘ચોરી મેરા કામ’ અને ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’ માટે પણ પ્રાપ્ત થયો હતો. પુણેમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ હાર્ટઍટેક અને કિડનીની નિષ્ફળતાને કારણે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી