Categories
વાચન સમૃદ્ધિ

બળવંતરાય મહેતા

જ. ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ અ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫

ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતમાં પંચાયતી રાજના પિતામહ તરીકે જાણીતા બળવંતરાય ગોપાળજી મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૧૬માં મૅટ્રિક થયા. ત્યારબાદ ૧૯૨૦માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી, પરંતુ અસહકારની ચળવળ ચાલતી હોવાથી ડિગ્રી લીધી નહીં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અર્થશાસ્ત્ર-વિશારદ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ અહિંસા અને સાદગીમય જીવન જેવા ગુણો અપનાવ્યા. ૧૯૨૦થી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેઓ મહિલા- ઉત્કર્ષ, હરિજનકલ્યાણ, કુદરતી આપત્તિ સમયનાં રાહતકાર્યો વગેરે માટે તત્પર રહેતા. ૧૯૨૭માં તેમણે ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. ૧૯૨૧માં ગુજરાતી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ની સંપાદક સમિતિમાં જોડાઈને તેમણે દેશી રાજ્યોના લોકોનો અવાજ ચોમેર પહોંચાડ્યો. ૧૯૨૩માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તેમણે નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ વગેરેમાં સક્રિય ભાગ લીધો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. તેમણે બધું મળીને કુલ સાત વર્ષની સજા ભોગવી. ૧૯૪૨ના જેલજીવન દરમિયાન તેમણે મેડમ ક્યૂરીના જીવનચરિત્રનો અનુવાદ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી તરીકે ૧૯૩૧થી ૧૯૪૭ સુધી સેવાઓ આપી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણસભામાં ચૂંટાઈને ૧૯૫૦ સુધી કાર્યરત રહ્યા. જાન્યુઆરી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા. તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો અહેવાલ તૈયાર કર્યો. તેઓ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. ૧૯૫૦-૫૨માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાભાવના તથા નિષ્ઠા માટે નામના પામ્યા. સપ્ટેમ્બર, ૧૯૬૩માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તેઓ કાર્યરત હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરહદના વિસ્તારમાં દુર્ભાગ્યવશ તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું  અને તેમનું તથા તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા સોબતી

જ. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ અ. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯

જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં ખ્યાતનામ હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ દિલ્હી અને શિમલામાં લીધું. ત્યારબાદ લાહોરમાં ફતેહચંદ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાગલા પડતાં તેઓ ભારત આવી ગયાં. બે વર્ષ સિરોહીના મહારાજાના પૌત્ર તેજસિંગને ત્યાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ૧૯૮૦-૮૨માં પંજાબ યુનિવર્સિટીમાં ફેલો, નવી દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ફેલો રહ્યાં. તેમનું લેખનકાર્ય ટૂંકી વાર્તાઓથી શરૂ થયું. ૧૯૪૪માં તેમની ‘લામા’ અને ‘નફિસા’ વાર્તા પ્રકાશિત થયેલી. તે જ વર્ષમાં ‘સિક્કા બદલ ગયા’ નામથી હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલાની કથા લખી. તેમની માતૃભાષા તો પંજાબી હતી પણ તેમણે હિંદીમાં લેખન કર્યું છે. ત્રીસ વર્ષના ગાળામાં તેમણે ૧૯૮૦માં વાર્તાસંગ્રહ ‘બાદલોં કે ઘેરે’, આખ્યાયિકા ‘ડાર સે બિછુડી’ (૧૯૫૮), ‘મિત્રો માર્જની’ (૧૯૬૭), ‘યારોં કે યાર’ (૧૯૬૮), ‘તિન પહાડ’ (૧૯૬૮), ‘એ લડકી (૧૯૯૧), ‘જૈની મહેરબાન સિંહ’ (૨૦૦૭), ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિંદુસ્તાન’ (૨૦૧૭) જે તેમના નિજી જીવનને સ્પર્શતી નવલકથા છે. તેમની વાર્તાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયેલા છે. એમની નવલકથા ‘જિંદગીનામા’ને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૮૦) મળેલો. તેઓ પોતાની કૃતિઓમાં પંજાબી, ઉર્દૂ અને રાજસ્થાની શબ્દપ્રયોગો કરતાં. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત સાહિત્ય શિરોમણિ પુરસ્કાર, મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર, સાહિત્યકલા પરિષદ પુરસ્કાર, ૧૯૯૯માં કથાચૂડામણિ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવેલા. હિંદીમાં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે. ૨૦૧૭માં ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન ગણાય એવો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલ છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

હરસિદ્ધભાઈ દિવેટિયા

જ. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૬ અ. ૩ ઑગસ્ટ, ૧૯૬૮

ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે રહી ચૂકેલા હરસિદ્ધભાઈ દિવેટિયાનો જન્મ અમદાવાદના વડનગરા નાગર પરિવારમાં થયો હતો. તેમના પિતામહ છોટાભાઈ પર્શિયન ભાષાના ઊંડા અભ્યાસી હતા. તેમના પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ હતા. તેમનો સમસ્ત પરિવાર પોરબંદર પાસે આવેલા હરસિદ્ધ માતાજીની ભક્તિના રંગે રંગાયેલો હોવાથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું હતું. હરસિદ્ધભાઈ દિવેટિયાએ ગુજરાત કૉલેજમાં ભણીને ૧૯૦૬માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૦૮માં તેઓએ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન સાથે અને ૧૯૦૯માં તેઓએ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૦થી ૧૯૧૨ સુધી સંયુક્ત પ્રાંત(યુ.પી.)ની બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૧૨થી ૧૯૩૩ સુધી મુંબઈની વડી અદાલતમાં પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. ૧૯૩૩થી ૧૯૪૬ દરમિયાન તેઓએ મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૧૯૪૯થી ૧૯૫૭ દરમિયાન પ્રથમ કુલપતિ તરીકે દિવેટિયાસાહેબે પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજીને બદલે માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલ વિશાળ પુસ્તકાલય, બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન તેમજ વિદ્યાર્થીકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં થઈ હતી. હરસિદ્ધભાઈ પાસેથી આપણને ‘મનોવિજ્ઞાન’, ‘લેખસંચય’ અને ‘નરિંસહ અને મીરાંનાં ભજનો’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘What Life Has Taught Me’ એ એમનો સ્વતંત્ર અભ્યાસલેખ છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ અને ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષનો હોદ્દો પણ તેમણે શોભાવ્યો હતો.

અશ્વિન આણદાણી