Categories
વાચન સમૃદ્ધિ

હસ્તપ્રત

હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ).

સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા કરીને પાકું લખાણ તૈયાર થઈ જાય એટલે ગ્રંથકાર પોતે અગર તેમના શિષ્ય વ્યવસ્થિત રીતે હસ્તપ્રત તૈયાર કરતા. આ પ્રથમ હસ્તપ્રત જે તે વિષયના નિષ્ણાતને આપવામાં આવતી જે તેમાં જરૂરી સુધારવધારા કરી આપતા. આ સુધારેલી હસ્તપ્રત લહિયાઓને નકલ કરવા માટે આપવામાં આવતી. મોટા ભાગે હસ્તપ્રતો ભોજપત્ર, તાડપત્ર કે હાથબનાવટના કાગળ પર લખેલી હોય છે. ટૂંકા તાડપત્ર પરનું લખાણ બે સ્તંભ(કૉલમ)માં કરાતું પરંતુ જો પત્ર લાંબા હોય તો ત્રણ સ્તંભમાં પણ કરાતું. પાનાં અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે વચ્ચેના હાંસિયામાં કાણું પાડી તેમાંથી એક દોરી પસાર કરીને બાંધી રાખતા. જમણી બાજુના હાંસિયામાં પાનનો અંક અક્ષરમાં લખાતો અને ડાબા હાંસિયામાં તે અંક આંકડામાં લખાતો.

ભાગવત પુરાણની આશરે ૪૦૦ વર્ષ જૂની એક હસ્તપ્રતનું પાનું

બે કે ત્રણ સ્તંભમાં લખાણ કરાયું હોય તો તેની બંને બાજુ બે કે ત્રણ ઊભી રેખાઓ વડે સીમાંકન કરાતું. પ્રારંભિક કાળમાં હાથકાગળની પ્રતોમાં લંબાઈ પહોળાઈની બાબતમાં તાડપત્રનું અનુકરણ કરાતું, પરંતુ લખાણ બે-ત્રણ સ્તંભમાં નહિ પણ સળંગ લખાતું. સમય વીતતા આવી લાંબી પ્રતો લખવા, વાંચવા તેમ જ વહન માટે પ્રતિકૂળ જણાતાં તે પ્રતનું કદ ૧૨’’ X ૫’’ જેટલું કરી દેવાયું. લખાણની બંને બાજુએ હાંસિયો રખાતો અને તે કાળી શાહીની રેખાઓ વડે અંકિત થતો. ૧૬ના શતક બાદ લાલ શાહીનો ઉપયોગ થવા લાગ્યો. તાડપત્રીય પ્રતોની જેમ હાથકાગળમાં પણ કેન્દ્રમાં દોરી પસાર કરવા માટે કાણું પાડવા માટે કોરી જગ્યા રખાતી; પરંતુ હાથકાગળ તાડપત્રની જેમ સરળતાથી સરી જતો ન હોવાથી દોરી રાખવાની જરૂર રહેતી નહીં. આથી મોટે ભાગે આ જગ્યામાં પુષ્પો, બદામની આકૃતિ, ચોરસ કે ચોકડી રંગબેરંગી શાહીથી દોરાતાં. અધ્યાય કે સર્ગના લખાણનો પ્રારંભ મંગળ ચિહ્નો દ્વારા કરાતો. અંતમાં કેટલીક વાર ચક્ર, કમળ કે કળશ જેવી શોભા માટેની આકૃતિઓ દોરવામાં આવતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તપ્રત, પૃ. 142)

Categories
વાચન સમૃદ્ધિ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદ્ગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે. ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે. તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે. તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાપી, પૃ. 790 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાપી/)

Categories
વાચન સમૃદ્ધિ

હસ્તકળા

ઘરવપરાશની કે જાહેર વપરાશની ચીજ-વસ્તુઓને હાથ વડે સુંદર અને આકર્ષક બનાવવાની કુશળતા – આવડત.

આવી હસ્તકળા હજારો વર્ષોથી માણસ દાખવતો આવ્યો છે. જ્યારે યંત્રો શોધાયાં નહોતાં ત્યારે ધારદાર પથ્થર વડે લાકડામાંથી પાત્રો બનાવવાં, ટોપલા-ટોપલીઓ ગૂંથવી, દોરાને ગૂંથી તેમાંથી કેટલીક અવનવી ચીજ-વસ્તુઓ બનાવવી – આવી આવી હાથકારીગરી અને કલાની અનેક ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ આદિમ કાળથી ચાલતી આવી છે. ભારતનાં વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ છે. એમનું લોકજીવન પણ વૈવિધ્યસભર છે. તેમનું પ્રતિબિંબ, તેમનો પ્રભાવ હસ્તકળાની ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે. દરેક રાજ્યની – ત્યાંની પ્રજાની આગવી હસ્તકળા છે – અનોખી શૈલી છે, જે તેમની હસ્તકળાની કલાકૃતિઓ જોતાં પ્રતીત થાય છે.

હસ્તકલાથી તૈયાર થયેલી વસ્તુઓ

ગુજરાતમાં વિવિધ જાતનાં ભરત-ગૂંથણ દ્વારા બનતા ચાકળા અને ચંદરવાઓ, ચણિયા, કમખા અને કેડિયાં જોવા મળે છે. આ ઉપરાંત બાળકો માટેના પહેરવેશ પણ સુંદર ભરતગૂંથણવાળા જોવા મળે છે. વળી અશ્વો, ઊંટ તથા બળદો માટેના સાજમાં અવનવું કલાત્મક ભરતગૂંથણ કરેલું જોવા મળે છે. મોતીકામનાં તોરણો તથા તરણેતરના મેળામાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓમાં ગુજરાતની ભરતગૂંથણની ઉત્તમ કળાનો પરિચય થાય છે. જરી-કિનખાબવાળી, હાથવણાટની અને ગાંઠો વાળીને બાંધેલી બાંધણીઓ, અજરખ કામવાળાં વસ્ત્રો ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનાં કાચચિત્રો, ચાંદીકામના નમૂનાઓ, માટીકામનાં વાસણો, રમકડાં, ગાય-બળદના ઘૂઘરા, લાખકામ તથા બાટિકકામના નમૂનાઓ તેમ જ માટીની કોઠીઓમાં હસ્તકળાનું દર્શન થાય છે. કચ્છનું બન્ની ભરત તેના ઝીણવટભર્યા ટાંકા, રંગોની આયોજના તેમ જ સુઘડતાને લીધે ઊડીને આંખે વળગે છે. રાજસ્થાનમાંનું બાંધણી તેમ જ લહેરિયાંનું રંગાટીકામ વખણાય છે. આમ ભારતનાં ગામ અને નગરોમાં લોકોના જીવનમાં કલાકસબ જળવાયો છે. તેઓ ગૃહ-સુશોભન અને વસ્ત્રાભૂષણ માટે હાથકારીગરીથી અનેક વસ્તુઓ બનાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તકળા, પૃ. 141)