Categories
વાચન સમૃદ્ધિ

હરિદ્વાર (હરદ્વાર)

ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ.

તે ૨૯O ૫૭´ ૩૦´´ ઉ. અ. અને ૭૮O ૧૨´ ૦૦´´ પૂ. રે. પર આવેલું છે. ઉત્તરમાં હિમાલયમાં ભગવાન હર (શિવજી) બિરાજે છે તે કેદારનાથ મંદિર તેમ જ ભગવાન હરિ કે શ્રીવિષ્ણુ બિરાજે છે તે બદરીનારાયણ મંદિર જવાનો પર્વતીય માર્ગ જ્યાંથી શરૂ થાય છે, તે સ્થળને હરદ્વાર કે હરિદ્વાર કહે છે. હિમાલયની તળેટીમાં નીલ અને બિલ્વ નામના બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં તે વસેલું છે. નીલ શિખર ઉપર ચંડિકાદેવી તથા બિલ્વ શિખર ઉપર મનસા કે મનીષા દેવીનાં મંદિરો આવેલાં છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને અહીંથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેથી હરિદ્વાર ગંગાદ્વાર તરીકે પણ જાણીતું છે. અહીંથી હિમાલયના પહાડી પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. મોક્ષદાયિકા સાત પવિત્ર નગરીઓમાં તેનું સ્થાન છે.

હર કી પેડી, બ્રહ્મઘાટ, હરિદ્વાર

આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. કહેવાય છે કે અહીં કપિલ મુનિનું તપોવન હતું. તે સમયે આ નગર ‘કપિલા’ નામથી જાણીતું હતું. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞ નિમિત્તે ભગવાન શિવને આમંત્રિત ન કરવા બદલ તેમ જ યજ્ઞમાં શિવનો યજ્ઞભાગ ન કાઢવા બદલ પુત્રી પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદી પડીને પોતાના શરીરની આહુતિ આપેલી. અહીંની ગંગા તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે. હ્યુ-ઍન-સંગ સાતમી સદીમાં અહીં હરિદ્વાર આવેલા. તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરિદ્વારનું મોટામાં મોટું આકર્ષણ ‘હર કી પેડી’ છે, તે સ્થળ બ્રહ્મઘાટ તરીકે પણ જાણીતું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર તથા વિષ્ણુનાં ચરણચિહ્નો આવેલાં છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહ્નોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા ફરે છે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે. એવો આ મહાપવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. ઘાટની વચ્ચે ઘડિયાળસ્તંભ આવેલો છે. સાંજે ગંગાઆરતી સમયે અહીં મોટી ભીડ જામે છે. ઘાટ પર બીજાં અનેક દેવ-દેવીઓનાં મંદિરો આવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે હરિદ્વારમાં ૨૦૦થી વધુ ધર્મશાળાઓ છે. નિ:શુલ્ક ભોજનાલયો પણ આવેલાં છે. દહેરાદૂન સુધીનો રેલમાર્ગ હોવાથી યાત્રીઓને હરિદ્વાર જવા આવવાની અનુકૂળતા રહે છે. બસની પણ સારી સગવડ છે. હરિદ્વારની નજીક કનખલ તથા જ્વાલાપુર તીર્થો આવેલાં છે. કનખલમાં સંત-સંન્યાસીઓ વસે છે. આઠેક કિમી.ના અંતરે કાંગડી ગુરુકુળ આવેલું છે. નજીકમાં હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. લોકમાન્યતા મુજબ હરિદ્વારમાં મૃત્યુ પામનાર પરમપદને પામે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10

Categories
વાચન સમૃદ્ધિ

તરતી હિમશિલા (iceberg)

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફજથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ સરકતો જાય તેમ તેમ, તથા સમુદ્ર-પ્રવાહો અથવા અન્ય કારણોસર જ્યારે પણ તૂટીને છૂટો પડે ત્યારે તેને તરતી હિમશિલા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિભાગો પરના હિમજથ્થા તેમના મૂળ માતૃજથ્થામાંથી તૂટી જાય અને ત્યાં જો દરિયાકિનારો હોય તો દરિયાના પાણીમાં સરકી જઈ તરતા રહે છે, અથવા નજીકના ભાગમાં પડ્યા રહે છે – આ પ્રકારને પણ તરતી હિમશિલા કહેવાય છે.

સમુદ્રજળમાં તરતી મહાકાય હિમશિલા

ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા વિશાળ અકબંધ બરફજથ્થા એ સ્વયં દરિયાઈ બરફ છે અથવા તો સમુદ્ર મહાસાગરનો ઠરી ગયેલો ભાગ છે, જ્યારે તરતી હિમશિલા આવા બરફપટમાંથી કે હિમનદમાંથી તૂટીને, છૂટી પડીને સમુદ્રજળમાં સરકીને તરતો રહેતો ભાગ છે. આર્ક્ટિક અને ઍન્ટાર્ક્ટિક બંને વિસ્તારોના ખંડીય કે ટાપુઓ પરનાં હિમાવરણો જ્યાં તે દરિયા તરફ વિસ્તરતાં હોય ત્યાં તૂટીને હિમશિલાઓ તરતી રહેવાની સ્થિતિ પેદા થતી હોય છે. ગ્રીનલૅન્ડની હિમશિલાઓ દસ લાખ ટન વજન ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે અને ઍન્ટાર્ક્ટિકની હિમશિલાઓ તો એથી પણ ઘણી મોટી હોય છે. તરતી હિમશિલાઓ કમાનાકાર, ગચ્ચામય, ઘુમ્મટાકાર, અણીઆકાર, મેજઆકાર, ખીણ જેવા કે ઝૂંપડી જેવડા પરિમાણવાળી હિમશિલાઓ વિવિધ આકારની હોય છે. તેમની ઉત્પત્તિથી માંડીને અસ્તિત્વ સુધી આયુકાળ ઠંડા ધ્રુવીય પ્રદેશમાં હોય ત્યારે ઘણો લાંબો હોઈ શકે છે; માત્ર ગરમ ઋતુકાળ દરમિયાન જ તે નહિવત્ ઓગળે છે, પરંતુ મહાસાગર પ્રવાહોની અસર હેઠળ જો તે સરકતાં સરકતાં હૂંફાળા જળમાં પહોંચે તો તે ઝડપથી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરિયાઈ જળના 5O સે. થી 10O સે. તાપમાને થોડાક સપ્તાહમાં તેમજ 10O સે.થી વધુ તાપમાને થોડા દિવસોમાં ઓગળી જાય છે. જ્યારે આવી હિમશિલાઓ આગળ ધપતી જઈને દરિયાઈ જહાજોના અવરજવરના માર્ગમાં ક્યારેક આવી ચઢે અને જહાજો સાથે અથડાય તો ભારે ખુવારી સર્જે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તરતી હિમશિલા, પૃ. 701 અથવા જુઓ https://gujarativishwakosh.org/તરતી હિમશિલા/)

Categories
વાચન સમૃદ્ધિ

હરણ

ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)