સરકસ (સર્કસ)


સામાન્ય રીતે વિશાળ ગોળાકાર તંબુમાં  પ્રેક્ષાગારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે તેમની વચ્ચેના વર્તુલાકાર પટાંગણમાં હેરતભર્યા જોખમી અંગકસરત તેમ જ અંગસંતુલનના તથા પ્રાણીઓ સાથેના ખેલપ્રયોગો રજૂ કરનારા ખેલબાજો અને હાસ્યજનક ચેષ્ટાઓ તથા પ્રયોગોથી લોકોને રમૂજ કરાવનારા જોકરો વગેરેનું મનોરંજક મંડળ. ખેલપ્રયોગોનું મંચનસ્થળ ગોળાકાર હોવાથી આનું નામ (circle પરથી circus) ‘સરકસ’ પડ્યું. ૧૮મી સદીમાં લંડનમાં ઘોડેસવારી તથા અંગકસરતના ખેલથી સરકસની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં તેનો ખૂબ વિકાસ થયો અને પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળતો ગયો. સરકસ માટે મોટા મેદાનમાં કે નદીના પટમાં તંબુ તાણવામાં આવતા. તંબુની વચ્ચે ગોળાકાર મંચ પર સરકસના ખેલ ભજવાતા, જે ગોળાકાર પટાંગણની ફરતે બેઠેલા પ્રેક્ષકો માણતા. સૌપ્રથમ પરેડ થતી. તેમાં કલાકારો મેદાનમાં આવી ચપળતા, સરળતા તથા ઝડપથી અંગસરતના ખેલો બતાવતા. પરેડમાં સરકસનાં બધાં પ્રાણીઓ અને વિદૂષકો પણ જોડાતાં. સમય જતાં સરકસમાં બૅન્ડ ઉમેરાયું. સરકસમાં ઊંચે બાંધેલા ઝૂલાના ખેલ શરૂ થયા. કલાકારો તાલ સાથે પોતાની અંગકલાનો આકર્ષક સુમેળ સાચવી શકતા થયા.

વિદૂષકો(જોકરો)નું વૃંદ પણ સરકસનું એક અનિવાર્ય આકર્ષક અંગ હોય છે. બાળકોને ગમે તેવી વેશભૂષા સાથે વિદૂષકો આવતા હોય છે. મોટા ગોળ નાકવાળો તેમનો ચહેરો પણ બાળકોને રમૂજ પ્રેરે છે. આ વિદૂષકો આડાઅવળા ફરે, હાલતાંચાલતાં પડી જાય, દીવાલ રંગવાને બદલે એકબીજાને રંગી દે, એકબીજાની પાછળ દોડી ધમાચકડી મચાવી જાતભાતની હાસ્યાસ્પદ ચેષ્ટાઓથી આબાલવૃદ્ધ સૌને હસાવતા રહે. વિદૂષકોના ખેલ સરકસમાં સામાન્ય રીતે અંગકસરતના ખેલોમાં વચ્ચે વચ્ચે આવતા હોય છે. દરમિયાન બીજા મહત્ત્વના –મોટા ખેલોની સાજસજાવટ આદિની પૂર્વતૈયારી પણ કરી દેવામાં આવતી હોય છે. વળી વિદૂષક પ્રેક્ષકોને મઝા કરાવવા સાથે પોતાના સાથી ખેલબાજોને મદદ કરવાનું કામ પણ કરતા હોય છે. કોઈ ખેલબાજ જ્યારે ખેલ બતાવે ત્યારે તેને સુરક્ષા આપવાનું કામ પણ વિદૂષક કરતા હોય છે. ૧૮૮૦માં ભારતમાં વિષ્ણુપંત ચાત્રેએ પ્રથમ સરકસ શરૂ કર્યું હતું. તેનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન સરકસ’ રાખ્યું હતું. ભારતમાં જૈમિની સરકસ, જંબો સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ વગેરેનાં નામ મોખરે રહ્યાં છે. દક્ષિણ ભારતમાંથી સરકસમાં કામ કરવા માટે ઘણા ખેલકારો આવતા રહ્યા છે. ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને અમેરિકામાં પણ સરકસના ખેલ સારી રીતે પ્રચલિત થયેલા છે. સરકસ ઉપર ‘મેરા નામ જોકર’ જેવી કેટલીક ફિલ્મો પણ બની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરકસ (સર્કસ), પૃ. 33)

અંજના ભગવતી

જૂડો


વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી ૨૦૦૦ વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (૧૮૬૦-૧૯૩૮) નામના જ્યુજિત્સુનિષ્ણાતે ૧૮૮૨માં આ રમતને નવો ઘાટ આપ્યો. તેણે ભયાવહ દાવ કાઢી નાખીને સરળ ક્રીડાપદ્ધતિની રચના કરી. ૧૯૫૧માં આંતરરાષ્ટ્રીય જૂડો મંડળ સ્થપાયું. ૧૯૫૬થી જાપાનમાં ટોકિયોમાં વિશ્વશ્રેષ્ઠની સ્પર્ધાઓનો આરંભ થયો. એ જ વર્ષથી તેનો ઑલિમ્પિક રમતોત્સવમાં અને લગભગ પાછળ જ એશિયાઈ રમતોત્સવમાં સમાવેશ કરાયો. ૧૯૮૦થી ન્યૂયૉર્ક(યુ.એસ.)માં મહિલા શ્રેષ્ઠ સ્પર્ધાઓ આરંભાઈ.

જૂડોમાં પ્રતિસ્પર્ધી ભારે અને બળવાન હોય તોપણ તેના જ ભાર અને બળથી તેને માત કરવાની યુક્તિઓ વિકસાવવા પર ભાર મુકાયો છે. મર્મસ્થાનો પર પ્રહાર કરી તેને વેદનાગ્રસ્ત કરવા હાથનો ઉપયોગ થાય છે. આ કળાને આતેમી કહે છે. તેમાંથી કરાટે નામની સ્વતંત્ર રમત વિકસાવવામાં આવી છે. જૂડોમાં સમતલ સ્થાન ઉપર ૯ મી. બાજુવાળા સાદડી પાથરેલા ચોરસ ક્રીડાસ્થળ ઉપર બે સ્પર્ધકો નમન કરીને ક્રીડાનો આરંભ કરે છે. કપડાને ગળા કે બાંય પાસે પકડીને એકબીજાને ચીત કરવા મથે છે. ૩૦ સેકંડની ચીત-અવસ્થાથી પછાડનારને ગુણ મળે છે. પાશ તથા હસ્તમરોડ દ્વારા પણ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. ગુણને ઇપોન કહે છે. યુદ્ધનો સમય ૩થી ૨૦ મિનિટનો છે. ઇપોન નોંધાય એટલે રમત પૂરી થઈ ગણાય છે. નિયત અવધિ પતી જવા છતાં ઇપોન નોંધાય નહિ, ત્યારે નિર્ણાયકો યુદ્ધ દરમિયાન સ્પર્ધકોના એકંદર કૌશલને લક્ષમાં લઈ વિજેતા ઠરાવે છે. રમતમાં શારીરિક તથા માનસિક ચપળતાનું મહત્ત્વ ઘણું છે. સ્પર્ધકોમાં બે મુખ્ય વર્ગો – વિદ્યાર્થીકિયુ તથા નિષ્ણાત-દાન — છે. એમાં વિવિધ કક્ષાઓ છે, જે પટાના રંગ ઉપરથી સૂચિત થાય છે. સામાન્ય રીતે ચોથી દાન-કક્ષા ઇષ્ટ ગણાય છે. ૭થી ૧૦ વર્ષ સુધી સપ્તાહમાં ૩ દિવસ પ્રશિક્ષણ લીધા પછી તે સિદ્ધ થાય છે. ૫મી દાન-કક્ષા માટે કાળો પટો, ૬થી ૮ દાન-કક્ષા માટે કાળો અથવા રાતો અને શ્વેત પટો, ૯થી ૧૧ દાન-કક્ષા માટે રાતો પટો અને ૧૨મી દાન-કક્ષાએ બેવડી પહોળાઈનો શ્વેત પટો ધારણ કરવામાં આવે છે. સર્વોચ્ચ કક્ષાનો રાતો પટો વિશ્વમાં કેવળ ૧૩ પુરુષો ધરાવે છે. અમેરિકા તથા ભારત સહિત ઘણા દેશોમાં જૂડો રમત લોકપ્રિય થઈ રહી છે. જોકે ભારતમાં જૂડોની સરખામણીમાં કરાટે વધારે લોકપ્રિય છે. સેના તથા પોલીસદળમાં જવાનોને તેનું વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન જેવી મહાનુભાવ વ્યક્તિઓની રક્ષા માટેના કર્મચારીઓ જૂડોના નિષ્ણાત હોય છે. વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોમાં જાપાનના યાસુહિરો, યામાશિતા, શોઝો ફુજી, નાઓયા યોગાવા અને હિતોશી સાઈતો, નેધરલૅન્ડ્ઝના વિલ્હેમ રુસ્કા, ઑસ્ટ્રિયાના પીટર સેઇઝનબેખર, પોલૅન્ડના વાલ્ડેમર લેજિયન તથા બેલ્જિયમની ઇન્ગ્રિડ બર્ગમન્સનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચિનુભાઈ શાહ

સમુદ્રમંથન


દેવો અને દાનવોએ કરેલું ક્ષીરસાગરનું મંથન.

ભાગવત પુરાણની પ્રચલિત કથા અનુસાર એક વાર ફરવા નીકળેલા ઇન્દ્રને દુર્વાસા ૠષિ મળ્યા. ૠષિએ એક ફૂલમાળા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે માળા હાથીની સૂંઢ પર ફેંકી તો હાથીએ તેને પગ નીચે કચડી. દુર્વાસાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો. આ શાપના કારણે દેવતાઓ શ્રીહીન, દુર્બળ અને નિસ્તેજ થયા. અસુરોએ સ્વર્ગમાં તાંડવ મચાવી દીધું. અમરાવતી તેમનું ક્રીડાંગણ બની ગઈ. ભયભીત દેવોએ ભગવાન વિષ્ણુનું શરણું લીધું. વિષ્ણુએ અસુરો સાથે સંધિ કરી. બેઉને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય સૂચવ્યો. પરિણામે દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરું (મંથન માટેનું દોરડું) બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું; તે સમયે દેવોએ નાગના પૂંછડાનો અને દાનવોએ મુખનો ભાગ પકડેલો.

સમુદ્રમંથન

મંથન વખતે નિરાધાર મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો તો વિષ્ણુએ કાચબાનો અવતાર (કચ્છપાવતાર) લઈ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો. ઘણા દિવસો સુધી સમુદ્રને વલોવ્યા બાદ તેમાંથી કાલકૂટ અથવા હળાહળ વિષ નીકળ્યું; જે જગતના રક્ષણાર્થે મહાદેવે પી લીધું. (વિષ તેમણે કંઠમાં જ રોકી રાખ્યું, તેથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો ને તેથી તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.) તે પછી કામધેનુ ગાય, ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્રવા ઘોડો, રંભા આદિ અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી (મદિરા), (પાંચજન્ય) શંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, પારિજાતક વૃક્ષ અને લક્ષ્મીજી નીકળ્યાં. છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈ ધન્વંતરિ પ્રગટ થયા. આ ચૌદ રત્નો કયા ક્રમે નીકળ્યાં તે વિશે અને જે રત્નો નીકળ્યાં તેમની બાબતમાં પણ મતભેદો છે. વળી કોઈ મત પ્રમાણે સારંગધનુષ પણ નીકળેલું. આ સંદર્ભે નીચેનો એક શ્લોક પણ પ્રચલિત છે :

‘लक्ष्मीः कौस्तुभपारिजातकसुराधन्वन्तरिश्चन्द्रमाः

गावः कामदुहा सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः ।

अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोडमृतं चाम्बुधेः ।

रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यात्सदा मङ्गलम् ।।’

આમાંથી કામધેનુ ગાય ૠષિઓએ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો બલિરાજાએ, ઐરાવત ઇંદ્રે, કૌસ્તુભમણિ વિષ્ણુએ, વારુણી અસુરોએ લીધાં. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં પત્ની બન્યાં. અમૃતકુંભમાંથી અમૃત પીવા માટે અસુરોએ પ્રયત્ન કર્યો અને દેવતાઓ નાસીપાસ થયા ત્યારે ભગવાને મોહિની-સ્વરૂપ લઈ અસુરોને મોહજાળમાં ભરમાવ્યા અને અમૃત દેવતાઓને પિવડાવ્યું. રાહુએ પણ દેવસ્વરૂપ લઈ અમૃત પીવાનો પ્રયત્ન કર્યો; પણ સૂર્ય અને ચંદ્રે તે અંગે ભગવાનને સાવધ કર્યા એટલે ભગવાને ચક્રથી તેનું મસ્તક કાપી નાંખ્યું. તેનું ધડ નીચે પડ્યું; પણ મસ્તક અમર થઈ ગયું ! બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યો.  ત્યારથી મનાય છે કે સૂર્યચંદ્ર પર વેર રાખી પર્વને દિવસે તે સૂર્ય અને ચંદ્રને ઘેરે છે. જુદાં જુદાં પુરાણોમાં આંશિક ભેદ સાથે સમુદ્રમંથનની આ કથા મળે છે. આમ સમુદ્રમંથનમાં દેશ, કાલ, હેતુ, કર્મ અને બુદ્ધિ દેવ અને દાનવોમાં સમાન હોવા છતાં ફળમાં ભેદ થયો. ભગવાનનો આશ્રય લેવાથી દેવોને તેના ફલસ્વરૂપ અમૃત મળ્યું જ્યારે દૈત્યોને એ મળ્યું નહીં.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શ્રદ્ધા ત્રિવેદી, શુભ્રા દેસાઈ