વન્ય પ્રાણીઓના ભયમુક્ત વિહાર અને નિસર્ગ તથા વનસંપત્તિના જતન અને રક્ષણ માટેનું અનામત સ્થળ કે વિસ્તાર. ભારતના બંધારણમાં વન્ય જીવનને બચાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે દેશની નૈસર્ગિક વનસંપત્તિ અને પ્રાણીસૃષ્ટિનાં જતન અને સંરક્ષણ માટે ખાસ રક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે ઓળખાય છે. આ જોગવાઈને આધારે ત્યાં વસતા વન્ય જીવોને પૂરતું રક્ષણ મળે છે. આ માટેની કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનારને સજા થાય છે. વન અને વનમાંની પ્રાણીસૃષ્ટિ ભારતની અણમોલ રાષ્ટ્રીય સંપત્તિ છે. માનવ, પશુ-પક્ષી, વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય અથવા તેમનો નાશ થાય, તો તેની વિપરીત અસર મનુષ્યજાતિ પર પણ થાય છે. આથી જ અમુક પ્રાણી અથવા વનસ્પતિની કોઈ જાત નામશેષ થવાની સ્થિતિમાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જતું હોવાનો તેમાં સંકેત છે. આથી જ વન્ય જીવજાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને જ દેશના વિકાસની યોજના ઘડાય છે.

કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
ભારતમાં અત્યારે ૫૫૬ અભયારણ્યો અને ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી. કેટલાંક ખાસ પ્રાણીઓની જાળવણી માટે છે; જેમ કે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે છે. ત્યાં સિંહ ઉપરાંત જોવા મળતાં બીજાં પ્રાણીઓમાં દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભુંડ, જરખ તેમ જ વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વેળાવદરમાં અભયારણ્યનું મુખ્ય પ્રાણી કાળિયાર છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા તથા ઉત્તરાંચલમાં આવેલું કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના વન્ય જીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે. કાન્હામાં વાઘ, દીપડા, ચિત્તલ, સાબર, બારાસિંગ, જંગલી ભુંડ, મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, જરખ, રીંછ વગેરે પશુઓ અને પક્ષીઓની ૨૦૦ જાતિઓ જોવા મળે છે.
શુભ્રા દેસાઈ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અભયારણ્ય, પૃ. 34)


