ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ.
તે ૨૯O ૫૭´ ૩૦´´ ઉ. અ. અને ૭૮O ૧૨´ ૦૦´´ પૂ. રે. પર આવેલું છે. ઉત્તરમાં હિમાલયમાં ભગવાન હર (શિવજી) બિરાજે છે તે કેદારનાથ મંદિર તેમ જ ભગવાન હરિ કે શ્રીવિષ્ણુ બિરાજે છે તે બદરીનારાયણ મંદિર જવાનો પર્વતીય માર્ગ જ્યાંથી શરૂ થાય છે, તે સ્થળને હરદ્વાર કે હરિદ્વાર કહે છે. હિમાલયની તળેટીમાં નીલ અને બિલ્વ નામના બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં તે વસેલું છે. નીલ શિખર ઉપર ચંડિકાદેવી તથા બિલ્વ શિખર ઉપર મનસા કે મનીષા દેવીનાં મંદિરો આવેલાં છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને અહીંથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેથી હરિદ્વાર ગંગાદ્વાર તરીકે પણ જાણીતું છે. અહીંથી હિમાલયના પહાડી પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. મોક્ષદાયિકા સાત પવિત્ર નગરીઓમાં તેનું સ્થાન છે.

હર કી પેડી, બ્રહ્મઘાટ, હરિદ્વાર
આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. કહેવાય છે કે અહીં કપિલ મુનિનું તપોવન હતું. તે સમયે આ નગર ‘કપિલા’ નામથી જાણીતું હતું. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞ નિમિત્તે ભગવાન શિવને આમંત્રિત ન કરવા બદલ તેમ જ યજ્ઞમાં શિવનો યજ્ઞભાગ ન કાઢવા બદલ પુત્રી પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદી પડીને પોતાના શરીરની આહુતિ આપેલી. અહીંની ગંગા તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે. હ્યુ-ઍન-સંગ સાતમી સદીમાં અહીં હરિદ્વાર આવેલા. તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરિદ્વારનું મોટામાં મોટું આકર્ષણ ‘હર કી પેડી’ છે, તે સ્થળ બ્રહ્મઘાટ તરીકે પણ જાણીતું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર તથા વિષ્ણુનાં ચરણચિહ્નો આવેલાં છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહ્નોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા ફરે છે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે. એવો આ મહાપવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. ઘાટની વચ્ચે ઘડિયાળસ્તંભ આવેલો છે. સાંજે ગંગાઆરતી સમયે અહીં મોટી ભીડ જામે છે. ઘાટ પર બીજાં અનેક દેવ-દેવીઓનાં મંદિરો આવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે હરિદ્વારમાં ૨૦૦થી વધુ ધર્મશાળાઓ છે. નિ:શુલ્ક ભોજનાલયો પણ આવેલાં છે. દહેરાદૂન સુધીનો રેલમાર્ગ હોવાથી યાત્રીઓને હરિદ્વાર જવા આવવાની અનુકૂળતા રહે છે. બસની પણ સારી સગવડ છે. હરિદ્વારની નજીક કનખલ તથા જ્વાલાપુર તીર્થો આવેલાં છે. કનખલમાં સંત-સંન્યાસીઓ વસે છે. આઠેક કિમી.ના અંતરે કાંગડી ગુરુકુળ આવેલું છે. નજીકમાં હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. લોકમાન્યતા મુજબ હરિદ્વારમાં મૃત્યુ પામનાર પરમપદને પામે છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10


