મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ-દેશ.
આ દેશ અગ્નિ-એશિયામાં આશરે ૦૧° ૧૭´ ઉ. અ. તથા ૧૦૩° ૫૧´ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર, પશ્ચિમમાં મલાક્કાની સામુદ્રધુની, ઉત્તરમાં મલેશિયા તથા દક્ષિણમાં ઇન્ડોનેશિયાના દેશોની જલસીમાઓ આવેલી છે. તે ‘પૂર્વના પ્રવેશદ્વાર’ તરીકે જાણીતું છે. તેના મધ્યસ્થ સ્થાનને લીધે તેનું ખૂબ મહત્ત્વ છે. સિંગાપોર આશરે ૬૧૬.૩ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. તેની વસ્તી આશરે ૬૦,૪૦,૦૦૦ (૨૦૨૪) જેટલી છે. તે વિશ્વની સૌથી વિશેષ લાંબી મલાક્કાની સામુદ્રધુની(આશરે ૭૭૪ કિમી.)ના પ્રવેશદ્વાર પર નિયંત્રણ ધરાવે છે. સિંગાપોર એક નાનકડો ટાપુ છે. તેના પૂર્વના ચાંગી પૉઇન્ટથી પશ્ચિમના જુરૉન્ગ સુધીની તેની લંબાઈ આશરે ૪૨ કિમી. છે, જ્યારે તેની ઉ.દ. પહોળાઈ લગભગ ૨૨.૫ કિમી. જેટલી છે. મુખ્ય ટાપુ ઉપરાંત તેની આસપાસના લગભગ ૫૪ જેટલા અન્ય નાના નાના ટાપુઓ મળીને ‘સિંગાપોરનું પ્રજાસત્તાક’ બને છે. સિંગાપોર ટાપુનો આકાર પાંખો પહોળી કરીને ઊડતા ચામાચીડિયા જેવો છે.

સિંગાપોર
ભૂરચનાત્મક દૃષ્ટિએ જોતાં તેને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (૧)મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ, (૨) પશ્ચિમનો ડુંગર તથા ખીણપ્રદેશ અને (૩) પૂર્વનો સપાટ પ્રદેશ. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં ગ્રૅનાઇટ ખડકો પથરાયેલા છે. આ ભાગમાં નદીઓનું અગત્યનું સ્રાવક્ષેત્ર આવેલું છે. તેમાંથી સિંગાપોરની મુખ્ય નદીઓ સુન્ગેઈ સેલેતર તથા સુન્ગેઈ કૉલાન્ગ ઉદભવ પામે છે. અહીં વિખ્યાત માઉન્ટ ફેબર આવેલો છે. તે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. સિંગાપોરમાં જંગલોનું પ્રમાણ નહિવત્ છે. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં આછાં વર્ષાજંગલોના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. અહીંનાં વર્ષાજંગલોમાં વિશ્વવિખ્યાત ‘રાત્રિ સફારી’ આવેલો છે. અહીંનાં ૯૦% પ્રાણીઓ-પક્ષીઓ રાત્રિ દરમિયાન વિહરે છે. પર્યટકો રાત્રે હરીફરીને ત્યાંનાં પ્રાણીઓ-પક્ષીઓને જોઈ શકે છે. જુરોન્ગ ખાતે એક પક્ષીઉદ્યાન પણ આવેલો છે. સિંગાપોરનું પ્રાણીસંગ્રહાલય પણ જોવાલાયક છે. તેમાં એશિયાભરના વન્ય જીવો જોવા મળે છે. પ્રાણીસંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અહીંનું માનવસર્જિત જંગલ છે. આ સંગ્રહાલયના જુદા જુદા વિભાગોની સીમાઓ ખડકો ગોઠવીને તથા ખાઈઓમાં પાણી ભરીને એવી આકર્ષક રીતે કંડારેલી છે કે દર્શકને તે કુદરતસર્જિત હોવાનો ભાસ કરાવે છે. આ ટાપુના કુલ વિસ્તારના આશરે અર્ધા ભાગમાં ખેતી કરવામાં આવે છે. રબર, નાળિયેરી, શાકભાજી તથા ફળો અહીંના મુખ્ય પાકો છે. મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી જુરોન્ગ નામના મત્સ્યબંદરની સ્થાપના થઈ છે. આ દેશમાં કલાઈગાળણ અને શોધન, ખનિજતેલ-શોધન, જહાજ-બાંધકામ; કાપડ, રબર, લાકડાં, યંત્રસામગ્રી, રાસાયણિક પેદાશો, ખાદ્યચીજો વગેરના ઔદ્યોગિક એકમો તેમ જ પ્રવાસન અને બૅન્કિંગ સેવાઓને લગતા ઉદ્યોગો વિક્સેલા છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંગાપોર, પૃ. ૨૦૪)