Categories
વાચન સમૃદ્ધિ

સિંહ

બિલાડીના કુળનું જગપ્રસિદ્ધ શિકારી સસ્તન પ્રાણી.

સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera Leo, persica છે. સસ્તન વર્ગનું આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. વાઘ, દીપડો, ચિત્તા જેવાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું માનવામાં આવે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચા બદામી, સોનેરી રંગની હોય છે. નરને કેશવાળી હોવાથી તે વધુ પ્રભાવશાળી લાગે છે. આને લીધે નર માદાથી અલગ પડે છે. સિંહનું કદ વાઘથી થોડું નાનું હોય છે. સિંહને ઘણા લોકો આળસુ પ્રાણી ગણે છે, પરંતુ સિંહ નિશાચર પ્રાણી છે તેથી દિવસે ગરમીમાં મોટા ભાગે આરામ કરતો હોય છે એટલે તે આળસુ લાગે છે. ખરેખર તે ઉમદા સ્વભાવનું પ્રાણી છે. સિંહનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું ઘાસિયું જંગલ, સૂકું કંટકવન કે પાનખરનું ઝાંખરાંયુક્ત જંગલ છે. સિંહ ગુજરાતમાં સાસણગીરના જંગલમાં વાસ કરે છે. આ સિવાય હાલમાં ભારતમાં બીજી કોઈ જગ્યાએ સિંહ વસતા નથી. વિશ્વમાં આફ્રિકા ખંડના ઘણા દેશોમાં સિંહ વસે છે.

સિંહનું જીવન મનુષ્યની જેમ સામાજિક હોઈ ઘણું રસપ્રદ છે. તે ૧૦થી ૪૦ની સંખ્યામાં જૂથમાં રહે છે. તેમાં ૪થી ૫ નર, ૧૫થી ૨૦ જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર એ ટોળાનો નાયક હોય છે. ઘણી વાર નર સિંહ બીજા જૂથના સરદારને મારી ટોળાનો સરદાર બની જાય છે, આ સમયે જૂથમાં આવેલાં બીજાં નર બચ્ચાંને પણ તે મારી નાંખે છે. સિંહણો જીવનપર્યંત એક જ જૂથમાં રહે છે. વાઘ, ચિત્તો, દીપડો વગેરે આ કુળનાં બીજાં પ્રાણીઓ જૂથમાં રહેતાં નથી. આફ્રિકાનાં જંગલમાં જંગલી ભેંસ, વાઇલ્ડ બીસ્ટ જેવાં મોટાં પ્રાણીઓ હોવાથી તેમના શિકાર કરવા એકથી વધુ સિંહોની જરૂર પડે છે; તેથી ત્યાં સિંહોનાં મોટાં જૂથ હોય છે; જ્યારે ગીરમાં તેમનો મુખ્ય શિકાર ચીતળ હોવાથી જૂથમાં એક નર સિંહ જ રહે છે. સિંહણો બે કે ત્રણની સંખ્યામાં શિકારનો પીછો કરી, શિકાર કરે છે. તેઓની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘ કરતાં ઓછી હોય છે અને લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો તેઓ કરી શકતા નથી, પરંતુ શિકાર હાથવેંત આવતાં તેના ઉપર એકદમ તૂટી પડે છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અને વાંદરાના અવાજોને આધારે તે પોતાનો શિકાર શોધી લે છે. શિકાર કરવાનો સમય સાંજ કે રાત્રિનો હોય છે. સિંહણો સાથે મળી શિકાર કરે અને સિંહ સૌપહેલાં તેને આરોગે પછી માદા અને બચ્ચાંનો વારો આવે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. જંગલમાં સિંહની ડણક દૂર દૂર સુધી સંભળાય છે. ગર્જના કરતા સિંહ માથું જમીન તરફ રાખે છે અને તેથી તેનો શિકાર કે ભક્ષ્ય થનાર પ્રાણીઓ સિંહનું સ્થાન જાણી શકતાં નથી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંહ, પૃ. ૨11)

Categories
વાચન સમૃદ્ધિ

ટોકિયો મુકદ્દમો

બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં  આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (૧) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (૨) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને (૩) માનવતા વિરુદ્ધના ગુનાઓ. આ ગુનામાં કાવતરાનો ગુનો પણ સામેલ કરવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં અગિયાર રાજ્યોએ ૨૮ આરોપીઓ વિરુદ્ધ જુદાં જુદાં તહોમતનામાં મૂક્યાં હતાં; દા. ત., પૂર્વ એશિયા, મંચૂરિયા અને ચીન સામેના ગેરકાયદે યુદ્ધમાં અને કાવતરામાં સામેલગીરી, જર્મની અને ઇટાલી સાથે કાવતરામાં સામેલગીરી, ફરિયાદી રાજ્યોની પ્રજાનાં ખૂન, સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિકરારોની વિરુદ્ધમાં સશસ્ત્ર હુમલાઓ, યુદ્ધના કેદીઓ પ્રત્યે અમાનવીય વર્તન તથા અન્ય રૂઢિગત યુદ્ધ-ગુનાઓ.

તા. ૪-૬-૧૯૪૬ના રોજ શરૂ થયેલા આ મુકદ્દમાનો ચુકાદો તા. ૪-૧૧-૧૯૪૮ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપર્યુક્ત મુકદ્દમાના ન્યાયપંચના એક સભ્ય ભારતના ડૉ. રાધાવિનોદ પાલે અન્ય ન્યાયાધીશો કરતાં વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેમણે ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને વિધેયાત્મક નિયમ ગણવાની અને યુદ્ધને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવાની પૅરિસ સંધિને કોઈ સત્તા ન હતી. તેમણે વધુમાં ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાવતરું એ ગુનો બનતું નથી અને કાવતરાનો આક્ષેપ સાબિત થતો નથી. જે ગુનાઓ માટે આરોપીઓ વિરુદ્ધ કામ ચલાવવામાં આવ્યું છે તે ગુનાઓ આરોપીઓએ કરેલા નથી એવી મતલબનો ચુકાદો તેમણે આપ્યો હતો. ન્યૂરેમ્બર્ગ મુકદ્દમા અને આ મુકદ્દમામાં દર્શાવેલા ગુનાઓમાં તાત્ત્વિક રીતે કોઈ ખાસ તફાવત દેખાતો નથી. રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદો વિજેતાને આવા યુદ્ધના ગુનેગારો સામે કામ ચલાવવાની તથા તેમને શિક્ષા કરવાની પરવાનગી આપે છે. વિજેતા દેશ પરાજિત દેશના યુદ્ધ-ગુનેગારોને વિજેતા દેશને શરણે મોકલવા ફરજ પાડી શકે છે; એટલું જ નહિ; પરંતુ વિજેતા રાજ્ય પરાજિત રાજ્ય ઉપર તેમની શરતો પણ લાદી શકે છે. પરાજિત રાજ્યને વિજેતા રાજ્યે લાદેલી શરતોનો અમલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ટોકિયોની મિલિટરી ટ્રિબ્યૂનલ મિત્રરાજ્યોએ નક્કી કરેલા કાયદા પ્રમાણે વ્યક્તિઓ વિરુદ્ધ મુકદ્દમા ચલાવતી હતી, નહિ કે બંધારણીય રીતે રચેલા કાયદા હેઠળ. જે કાયદો પરાજિત  રાજ્ય અને તેના વિવિધ આરોપીઓ વિરુદ્ધ લાદવામાં આવ્યો હતો તે હેઠળ આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) ફાટી નીકળ્યું ત્યારે ૧૯૩૯ના આંતરરાષ્ટ્રીય કાયદાના ચાર્ટર હેઠળ જે કેટલાક ગુનાઓ વર્ણવાયેલા હતા તે શિક્ષાપાત્ર હતા, પરંતુ કેટલાક એવા ગુનાઓ પણ હતા જે આ ચાર્ટર હેઠળ શિક્ષાપાત્ર ગણવામાં આવ્યા ન હતા. જેમની સામે આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો તેમણે નૈતિકતાના સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધમાં કેટલાંક કૃત્યો કર્યાં હતાં. તેથી આવા ગુનાઓ યોજનાર વ્યક્તિઓને શિક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં નૈતિકતાના સિદ્ધાંતો દાખલ કરવાનો વિજેતાઓને હક હતો. મુકદ્દમો ચલાવનાર ટ્રિબ્યૂનલે જાપાનના પ્રધાનમંત્રી તથા લશ્કરના વડા જનરલ ટોજો (૧૮૮૪-૧૯૪૮) અને અન્ય મુખ્ય યુદ્ધ-ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી હતી. જાપાનના તે વખતના સમ્રાટ હિરોહિટો(૧૯૦૧-૧૯૮૯)એ લશ્કરના વડાઓના નિર્ણયો અને કૃત્યો સામે મૌન સેવ્યું હતું અને એ રીતે તેમના પર યુદ્ધમાં પરોક્ષ સંડોવણીનો આક્ષેપ મૂકી શકાયો હોત; પરંતુ ૧૯૪૫માં મિત્રરાષ્ટ્રો સામે જાપાનની શરણાગતિ સ્વીકારવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી તે બાબત ધ્યાનમાં લઈને ટોકિયો મુકદ્દમામાં ગુનેગારોની યાદીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં, વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો.

તે પશ્ચિમે સિંધુના ત્રિકોણપ્રદેશથી શરૂ થઈને ઉત્તરે ઉત્તરાખંડ સુધી વિસ્તરીને પૂર્વ તરફ ગંગા-બ્રહ્મપુત્રના ત્રિકોણપ્રદેશ સુધી પથરાયેલાં છે. તેમની ઉત્તર કિનારી હિમાલયની દક્ષિણ ધાર હેઠળ અને દક્ષિણ કિનારી વિંધ્ય પર્વતોના ઢોળાવ હેઠળ દબાયેલી છે. સિંધનો મોટો ભાગ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને પૂર્વોત્તર રાજ્યોના ઉત્તર વિભાગને આવરી લેતાં આ મેદાનોનું ક્ષેત્રફળ ૭,૭૭,૦૦૦ ચોકિમી. જેટલું છે. પહોળાઈમાં તે પશ્ચિમ ભાગમાં વધુમાં વધુ ૫૦૦ કિમી.થી માંડીને ૧૫૦ કિમી. કરતાં ઓછી પહોળાઈ સુધી બદલાતાં રહે છે. તેમનો તળભાગ સમતળ નથી, પરંતુ ઊંચાણ-નીચાણ ધરાવે છે, તળના સ્થળદૃશ્યનો ઢોળાવ ઉત્તરતરફી છે. તળભાગમાં બે ડુંગરધારો દટાયેલી છે : એક, દિલ્હી-હરદ્વાર વચ્ચે અરવલ્લીની વિસ્તરણ દિશામાં, બીજી, દિલ્હીથી સૉલ્ટ-રેન્જ સુધી વાયવ્ય દિશા તરફ પંજાબના કાંપ હેઠળ રહેલી છે. કાંપની ઊંડાઈ ઉત્તર સીમા તરફ આશરે ૪,૬૦૦ મીટરની જ્યારે દક્ષિણ ધાર નજીક સ્થળભેદે ૧૦૦ મીટરથી ૪૦૦ મીટર જેટલી હોવાનું જણાયું છે; કાંપની મહત્તમ ઊંડાઈ દિલ્હી અને રાજમહાલ ટેકરીઓ વચ્ચે છે, જ્યારે રાજસ્થાન અને રાજમહાલ વચ્ચે કાંપનિક્ષેપો છીછરા છે.

સિંધુ-ગંગાનાં મેદાનોનો એક ભાગ

ઉત્પત્તિ-સ્થિતિ : દ્વીપકલ્પીય ભારત અને હિમાલય વચ્ચે રહેલા આ ત્રીજા પ્રાકૃતિક વિભાગની ઉત્પત્તિ હિમાલયના ઉત્થાનના મુખ્ય ત્રણ (કુલ પાંચ) તબક્કાઓ સાથે સંકળાયેલી છે, ઉત્થાનના તબક્કાઓની સાથે સાથે સંતુલન-જાળવણી અર્થે તે ગર્ત સ્વરૂપે ક્રમશ: દબાતો ગયેલો છે. ગર્તસ્વરૂપી આ થાળું (trough) ત્યારબાદ, નદીઓના કાંપથી પુરાતું ગયેલું છે અને વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, આજે પણ જમાવટની ક્રિયા ચાલુ છે. કાંપ ઠલવાતો જાય છે, ઘસાતો જાય છે, ધોવાણ થતું જાય છે અને બંને તરફના સમુદ્રોના તળ પર પણ કાંપની જમાવટની ક્રિયા ચાલુ છે. ઐતિહાસિક અને કૃષિવિષયક દૃષ્ટિએ તે મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં ભૂસ્તરીય દૃષ્ટિએ તેનું ખાસ મહત્ત્વ નથી. ભારતના લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તે હજી હમણાં બનેલી ઘટના ગણાય છે. ભૂસ્તરવિદોમાં આ મેદાનની ઉત્પત્તિની રચનાત્મક આકારિકી માટે બે મત પ્રવર્તે છે: એક મત મુજબ, તે હિમાલયની દક્ષિણે તૈયાર થયેલું  અગ્ર ઊંડાણ (foredeep) છે; જ્યારે બીજા મત મુજબ, તે ફાટખીણ (rift valley) પ્રકારનું રચનાત્મક લક્ષણ છે. તેની બંને બાજુ બે સમાંતર સ્તરભંગો આવેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ-ગંગાનાં મેદાનો, પૃ. ૨૦9)