ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર સિદ્ધપુર મહેસાણાની ઉત્તરે મુખ્ય રેલમાર્ગ પર સરસ્વતી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. પ્રાચીન કાળમાં તેનું નામ ‘શ્રીસ્થલ’ હતું. સોલંકી-વંશના સ્થાપક મૂલરાજના સમયમાં પણ તે નામ પ્રચલિત હતું. પુરાણો તથા મહાભારતમાં તેનો મહત્ત્વના તીર્થ તરીકે ઉલ્લેખ છે. મૂલરાજ સોલંકીએ અહીં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી ‘સિદ્ધપુર’ તરીકે જાણીતું થયું. બીજા મંતવ્ય પ્રમાણે અહીં સાંખ્યના આચાર્ય ભગવાન કપિલમુનિનો આશ્રમ હતો. ત્યાં તેમણે માતા દેવહૂતિને ઉપદેશ કરેલો. કપિલમુનિ સિદ્ધોના પરમ પુરુષ ગણાતા હોઈ ૧૩મી-૧૪મી સદીમાં ‘સિદ્ધપુર’ નામ પ્રચલિત થયું. ઈ. સ. ૧૫૩૯માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજીસાહેબ યૂસુફ બિન સુલેમાને અહીં સિદ્ધપુરમાં આવી પોતાના ધર્મની ગાદી સ્થાપી.

સિદ્ધપુરમાં રુદ્રમાળ
હાલનું સિદ્ધપુર શહેર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાધામ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગરમાં છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. આ નગર ભારતભરમાં જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે જાણીતું છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમ જ ઇજનેરી ઉદ્યોગને લગતા એકમો આવેલા છે. અહીં શિક્ષણસંસ્થાઓ, બૅંકો, આરોગ્ય-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં ઘણાં મકાનો આવેલાં છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વ-વિરાસત(‘વર્લ્ડ હેરિટેજ’)ની યાદીમાં કર્યો છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ૧૧મી સદીમાં મૂલરાજે બંધાવેલા રુદ્રમાળ કે રુદ્રમહાલય નામના ભવ્ય શિવાલયના અવશેષો ઉલ્લેખનીય છે. આ રુદ્રમાળને ભારતના પુરાતત્ત્વખાતાએ મહત્ત્વ આપ્યું છે. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. વળી રાજવિહાર નામે જૈનમંદિર, મૂલનારાયણ સ્વામી વૈષ્ણવ મંદિર, ગોવિંદમાધવનું મંદિર, સિદ્ધેશ્વર તથા નીલકંઠ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક તથા પ્રાચીન બ્રહ્માણી મંદિર પણ દર્શનીય છે. અહીં અલર્ક ગણેશની યાદ આપતાં ચકલો અને કૂઈ પણ છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી