Categories
વાચન સમૃદ્ધિ

સૂરજમુખી (સૂર્યમુખી)

દ્વિદળી વર્ગમાં આવેલો દિવસભર સૂર્યની સન્મુખ રહેતો પીળાં પુષ્પો ધરાવતો ઊંચો છોડ. સૂરજમુખી(સૂર્યમુખી)ની ૬૦થી વધારે જાતો થાય છે. કેટલીક એકવર્ષીય તો કેટલીક બહુવર્ષીય જાતો હોય છે. સૂર્યમુખીનો ઉદભવ ઉત્તર અમેરિકામાં થયો હતો. ત્યારબાદ તેના છોડને યુરોપમાં અને અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવ્યો. રશિયામાં સૂર્યમુખીની ખેતી સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સૂર્યમુખીનો છોડ ૧થી ૩ મીટર ઊંચો હોય છે. તેનું પ્રકાંડ રુવાંટીવાળું અને બરછટ હોય છે. તેનાં પાન સાદાં, એકાંતરિત, લાંબા દંડવાળાં અને અંડાકાર હોય છે. પાનની બંને બાજુએ રુવાંટી હોય છે. મુખ્ય પ્રકાંડ કે શાખાઓની ટોચ પર દેખાતું એક પીળા રંગનું પુષ્પ વાસ્તવમાં અનેક પુષ્પોનો સમૂહ હોય છે. તેને સ્તબક (પુષ્પનો ગુચ્છ) કહે છે. આ પુષ્પગુચ્છ ચપટો રકાબી આકારનો હોય છે. તેની બહારની સપાટીએ મોટાં, પીળાં, જીભ આકારનાં અને મધ્યમાં બદામી-જાંબલી નળી આકારનાં પુષ્પો હોય છે. બહારની સપાટીએ આવેલાં પુષ્પો કિરણપુષ્પકો અને મધ્યમાં આવેલાં પુષ્પોને બિંબપુષ્પકો કહે છે. દરેક પુષ્પકમાં એક બીજ અને દરેક સ્તબકમાં આશરે ૧૦૦૦ જેટલાં બીજ ઉત્પન્ન થાય છે. બીજ નળાકાર કે ઊંધું– અંડાકાર, દબાયેલું, સફેદ, કાળું કે ભૂખરી પટ્ટીવાળું હોય છે.

સૂર્યમુખીના સ્તબકની એક ખાસિયત છે. તે હંમેશાં સૂર્યની સન્મુખ રહે છે. દિવસભર સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે. તો તે પણ તે પ્રમાણે પોતાની સ્થિતિ બદલી હંમેશાં સૂર્યની સામે જ રહે છે. આ ખાસિયતને લીધે તેનું નામ ‘સૂર્યમુખી’ પડ્યું છે. તે ઘણો મધુર રસ (nectar) ધરાવે છે. તેમાંથી મધમાખી મધ બનાવે છે. સૂર્યમુખી પુષ્પો મધનો સારો સ્રોત ગણાય છે. સૂર્યમુખીનાં બીજમાં ૨૨-૩૬% જેટલું તેલ હોય છે. તેલ આછા બદામી રંગનું અને આનંદદાયી સુગંધવાળું હોય છે. શુદ્ધ કરેલું તેલ આછા પીળા રંગનું હોય છે, તેનું પોષણ-મૂલ્ય ઓલિવ તેલ જેટલું હોય છે. તેથી તેલ માટે સૂર્યમુખીની મોટા પાયે ખેતી થાય છે. તેનાં બીજને શેકી થોડુંક મીઠું નાખી મુખવાસની જેમ ખવાય છે. આ ઉપરાંત બીજનો પાંજરામાં રહેતાં પક્ષીઓના ખોરાક માટે ઉપયોગ થાય છે. તેના છોડ ઢોરને ખાવામાં ઉપયોગી છે. આથી ઢોરના ચારા માટે પણ સૂર્યમુખીની ખેતી થાય છે. સૂર્યમુખી જમીનમાંથી વિવિધ ખનિજદ્રવ્યો શોષી લે છે. આથી જમીનની ફળદ્રૂપતા જાળવવા માટે તેની સાથે ગવાર, ચણા કે તુવેર જેવા પાક લેવાય છે. સૂર્યમુખીના તેલનો ઉપયોગ રાંધવામાં, માર્ગરિન બનાવવામાં અને બેકરી-ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઊંજણ તરીકે, દીવો સળગાવવા તથા કાપડની બનાવટમાં થાય છે. તેનાં બીજ તથા પર્ણનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. સૂર્યમુખી અવાજ સુધારનાર; કફ, દમ, ઉધરસ, તાવ, ફોલ્લા, કોઢ અને પથરી જેવા રોગોમાં ઉપયોગી છે. તેના મૂળનો ઉકાળો દાંતને મજબૂત કરે છે અને દાંતનો દુખાવો મટાડે છે. તેનાં પાન ઊલટી કરાવનાર છે અને કમરની પીડાનો નાશ કરે છે. ભારતમાં સૂર્યમુખીનું વાવેતર મુંબઈ, મૈસૂર, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ તથા પંજાબના વિસ્તારોમાં થાય છે. ઉદ્યાનમાં શોભાના છોડ તરીકે પણ સૂર્યમુખીને ઉગાડવામાં આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રિનિડાડ અને ટોબેગો

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : ૧૧° ૦૦´ ઉ. અ. અને ૬૧° ૦૦´ પ. રે.. વિસ્તારની દૃષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે ૨ મુખ્ય તથા ૨૧ નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર ૫,૧૩૧ ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ ૪૭૦ કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે ૧૦° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે ૧૮૯૮માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર ૩૦૦ ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે ૩૧ કિમી. અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી ૧૫,૦૮,૬૩૫ (૨૦૨૪) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૫૪ છે. કુલ વસ્તીના ૬૯% શહેરી વિસ્તારમાં તથા ૩૧% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો ૯૫% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે ૯૫% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર, મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

કોકોની ખેતી

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (૧) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ ૩,૭૫૦ મિમી.ને વટાવી જાય છે. (૨) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી  ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો  તરફની પર્વત-શૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ ૧૫૨.૩ મી.થી ૧૫૨૩ મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ ૯૧૪ મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (૯૪૦ મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (૩) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે. ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીન ખેતીક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રિનિડાડ અને ટોબેગો,
પૃ. 402)

Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણમંદિર (અમૃતસર)

પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી