Categories
વાચન સમૃદ્ધિ

સ્ટૉકહોમ

સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ડિટ્રૉઇટ

યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : ૪૨° ૨૦´ ઉ. અ. અને ૮૩° ૦૩´ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. આ મહાનગરની વસ્તી ૪૪,૦૦,૫૦૦ (૨૦૨૪, આશરે) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર ૧૩૩૭ ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૩° સે. તથા જુલાઈ માસમાં ૨૩° સે. હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૭૯૦ મિમી. પડે છે. યુ.એસ. અને કૅનેડાની સરહદે આવેલાં પાંચ સરોવરોમાં મિશિગન સરોવર મહત્ત્વનું છે. તેના પરથી આ રાજ્યને મિશિગન નામ આપવામાં આવ્યું છે. આ શહેર મોટર-કારના પાટનગર તરીકે વિશ્વવિખ્યાત છે. યુ.એસ.માં બનતી કુલ મોટર-કારમાંથી અર્ધાથી પણ અધિક મોટર-કારો અહીં તૈયાર થાય છે. વિશ્વમાં સૌથી મોટું અને જાણીતું ફૉર્ડ કંપનીનું વિશાળ કારખાનું અહીં આવેલું છે. આ ઉપરાંત મોટર-કાર ઉત્પન્ન કરતી અનેક કંપનીઓમાં ફિલન્ટ, લાન્સિંગ, ગ્રાન્ડ રેપિડ્સ અને પોન્ટિઆકનો સમાવેશ કરી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતાં યંત્રો, રસાયણો, મશીન ટૂલ્સ તથા લોખંડ અને પોલાદની વસ્તુઓનું અહીં ઉત્પાદન થાય છે. અમેરિકાની મોટામાં મોટી મીઠાની ખાણો તેના આસપાસના પ્રદેશમાં આવેલી છે.

ડિટ્રૉઇટ શહેરનું એક દૃશ્ય

આ નગર રાજ્યનું મોટામાં મોટું બંદર છે.  આંતરિક જળ વાહનવ્યવહારની બાબતમાં ડિટ્રૉઇટ નદીનું સ્થાન વિશ્વમાં મોખરે છે. ૧૯૫૯માં સેન્ટ લૉરેન્સ જળમાર્ગ કાર્યરત થતાં આ નગરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઈરી સરોવરના કિનારે આવેલા આ શહેરને જળમાર્ગે લોખંડ-પોલાદની પ્રાપ્તિ સરળતાથી થાય છે. શહેરની ઉત્તરે સેન્ટ ક્લૅર નદી તથા દક્ષિણે વિશાળ કાંપનું મેદાન તૈયાર કરતી રાયસીન નદી વહે છે. મોટર-કાર ઉપરાંત તૈયાર કપડાં અને વિશેષત: શર્ટના ઉત્પાદન માટે યુ.એસ. અને વિશ્વમાં આ શહેર જાણીતું છે. સરોવરકિનારે તેની રમણીયતા અને સુંદરતાને કારણે આ ઔદ્યોગિક શહેર પર્યટક શહેર તરીકે પંકાય છે. નગરમાં વેને રાજ્ય યુનિવર્સિટી (૧૮૬૮), યુનિવર્સિટી ઑવ્ ડિટ્રૉઇટ (૧૮૭૭) તથા ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (૧૮૯૧) છે. તે ઉપરાંત ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ, ઐતિહાસિક સંગ્રહાલય તથા કૅનબ્રૂક અકાદમી ઑવ્ આર્ટ પણ ત્યાં આવેલાં છે. આ વિસ્તારમાં શ્વેત લોકો દાખલ થયા તે પહેલાં વ્યાનડોટ જનજાતિના લોકો અહીં વસતા હતા. ૧૭૦૧માં ફ્રેન્ચોએ ડિટ્રૉઇટ નદીના  ઉત્તર કિનારા પર દુર્ગ બાંધ્યો. ૧૭૬૦માં આ દુર્ગ પર બ્રિટિશ સૈનિકોએ કબજો કર્યો. ૧૭૯૬માં તેમણે તે કિલ્લો અમેરિકાને સોંપ્યો. ૧૮૨૫માં ઈરી નહેર ખુલ્લી મુકાતાં ત્યાંની વસ્તીમાં ધરખમ  વધારો થયો. ૧૮૩૭–૪૭ દરમિયાન આ શહેર મિશિગન રાજ્યનું પાટનગર હતું. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧–૬૫) પછી નગરના ઔદ્યોગિક વિકાસની ઝડપમાં  વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪–૧૮) તથા બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન આ નગરમાં લશ્કર માટેનાં સાધનો બનાવતાં કારખાનાં વિકસ્યાં. વીસમી સદીના આઠમા દશકમાં અમેરિકામાં ચાલતી મંદીની વિપરીત અસર આ નગરના ઔદ્યોગિક ઉત્પાદન પર પણ થઈ, પરંતુ સદીના નવમા દશકમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે ઉછાળો આવતો ગયો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી

સરદાર વલ્લભભાઈ પટેલની તેમના લોખંડી વ્યક્તિત્વને શોભે તેવી, વિશ્વની ઊંચામાં ઊંચી (૧૮૨ મીટર + ૫૮ મીટરની પડથાર : ઈ. સ. ૨૦૧૮ સુધીમાં), ગુજરાત (ભારત)માં આવેલી પ્રતિમા. આ પ્રતિમા બનાવવા પાછળનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ વલ્લભભાઈએ રાષ્ટ્રનિર્માણમાં જે મહાન યોગદાન આપ્યું હતું તેની યાદગીરી જળવાય અને વિશ્વને તેની જાણ થતી રહે એ રહ્યો છે. આ પ્રતિમા નોઇડાના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારે તૈયાર કરી છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અણમોલ એવી આ પ્રતિમા ૧૩૮ મીટર ઊંચા સરદાર સરોવર બંધથી ૩.૨ કિમી. દૂર, વિંધ્યાચલ અને સાપુતારાની ટેકરીઓની વચ્ચે, રાજપીપળાની નજીક આવેલા સાધુ બેટ ઉપર સમુદ્રની સપાટીથી ૨૩૭ મીટરની ઊંચાઈએ આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી આ કાર્યનું આયોજન થયું હતું. માઇકલ ગ્રેવ્સ આર્કિટૅક્ચર ઍન્ડ ડિઝાઇનર્સ, ટર્નર કન્સ્ટ્રક્શન અને લાર્સન ઍન્ડ ટુબ્રોએ સાથે મળીને આ પ્રતિમા બનાવી છે. ૨,૯૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા ૬.૫ રિક્ટર સ્કેલના ભૂકંપ સામે તેમ જ ૨૨૦ કિમી.ની ઝડપે ફૂંકાતા પવન સામે ટકી રહે તેવી મજબૂત છે. આ પ્રતિમા ૪,૦૦૦ કારીગરોની દિવસરાતની મહેનતનું પરિણામ છે. આ પ્રતિમાના નિર્માણમાં ૯૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને ૨૫ હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ૨૫૦ જેટલા ઇજનેરોનું આ કાર્યમાં યોગદાન રહ્યું છે.

‘સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી’ની પ્રતિમા

આ પ્રતિમા વલ્લભભાઈનું વજ્ર જેવું કઠોર મનોબળ છતાં કુસુમ જેવું કોમળ હૃદય દર્શાવતા હાવભાવ તેમ જ તેમની ઊભા રહેવાની ઢબ-છટા તેમના આત્મવિશ્વાસભર્યા પ્રભાવક વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરે છે. ઊંચું મસ્તક, ખભા પરથી ઝૂલતી શાલ અને બંને હાથની રચના એવી કરવામાં આવી છે કે જાણે વલ્લભભાઈ હમણાં હાલવાચાલવા ને બોલવા લાગશે એવું જોનારને થાય ! ચીનની જિયાન્ગ્ક્સી ટોક્વીન કંપનીની ટીક્યૂ આર્ટ ફાઉન્ડ્રી દ્વારા પ્રતિમાને અંદરથી કૉંક્રીટ તેમ જ ધાતુના માળખાથી તૈયાર કરવામાં આવી છે અને એને બહારથી કાંસ્ય ધાતુથી મઢવામાં આવી છે. અહીં ૧૫૨ ઓરડા ધરાવતી થ્રી સ્ટાર હોટલ છે, ઑડિટોરિયમ છે, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ધરાવતી ગૅલરીઓ છે અને સરદારશ્રીના જીવનકાર્યની ઝાંખી ધરાવતું સંગ્રહાલય છે. આ ઉપરાંત આ પરિસરમાં વેલી ઑવ્ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોનાં ભવનો અને આદિવાસી સંગ્રહાલય (ટ્રાઇબલ મ્યુઝિયમ) છે. વળી સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઇડની કામગીરીની તાલીમ આપવાની યોજના પણ છે. લગભગ ૧૫૭ મીટરની ઊંચાઈએ, ૨૦૦ વ્યક્તિ સમાઈ શકે તેવી મુલાકાતીઓ માટેની ગૅલરી બનાવવામાં આવી છે. આ યોજનાની સૌપ્રથમ જાહેરાત ૭ ઑક્ટોબર, ૨૦૧૦ના રોજ થયેલી. આ પ્રતિમા માટેનું ભૂમિપૂજન તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૧ ઑક્ટોબર, ૨૦૧૩ના દિવસે થયું હતું અને બરોબર પાંચ વર્ષ પછી ૩૧ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ, સરદાર વલ્લભભાઈની ૧૪૩મી જન્મજયંતીના દિવસે, ભારતના વડાપ્રધાન તરીકે તેમના જ હસ્તે તેનું લોકાર્પણ પણ થયું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી, પૃ. ૬૬)