Categories
વાચન સમૃદ્ધિ

અમૃતસર

પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, તાલુકામથક તથા જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : ૩૧° ૩૫´ ઉ. અ. અને ૭૪° ૫૩´ પૂ. રે.. તે ભારત-પાકિસ્તાનને જુદી પાડતી વાઘા સીમાથી ૫૦ કિમી.ને અંતરે છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. તે શીખોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર ૧૫૭૭–૭૯માં આ શહેરની સ્થાપના કરી હતી. ગુરુ રામદાસનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું હતું. તેમણે અમૃત સરોવરની મધ્યમાં ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. ગુરુ ગ્રંથસાહિબનું સંકલન કરીને હરિમંદિરમાં તેની સ્થાપના કરી. ૧૮૦૩માં મહારાજા રણજિતસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના તાંબાના પતરાના ઘુમ્મટને પણ સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થયું. અમૃતસર જિલ્લાની વસ્તી ૨૮,૭૦,૦૦૦ (૨૦૨૫, આશરે) અને વિસ્તાર ૫૦૭૫ ચોકિમી. છે. જ્યારે શહેરની વસ્તી ૧૬,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) લાખ જેટલી છે.

અમૃતસરનું સુવર્ણમંદિર

સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલરાયનો ટાવર અને દુર્ગિયાનું મંદિર જોવાલાયક છે. અમૃતસર આઝાદીની ચળવળ સાથે પણ જોડાયેલું છે. ૧૯૧૯માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અહીં અંગ્રેજો દ્વારા થયેલા જલિયાંવાલા હત્યાકાંડના સ્થળે શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર કરાયેલું છે. આ શીખ યાત્રાધામ સમય જતાં વેપારધંધાનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં ઊની તથા રેશમી કપડાં, ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમ જ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીંનો મુખ્ય પાક ઘઉં છે. ૧૮૯૩માં અહીં ખાલસા કૉલેજ સ્થપાઈ. શહેરમાં ગુરુ નાનક યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, આયુર્વેદિક કૉલેજ તથા માનસિક રોગોની હૉસ્પિટલ આવેલી છે. દર વર્ષે વસંતપંચમીએ અહીં મેળો ભરાય છે. દિવાળીમાં પશુમેળો યોજાય છે. અમૃતસર સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની મુલાકાત લેતા રહેતા હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ત્સુનામી

સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદ્ભવતા વિશિષ્ટ પ્રકારના ભરતીતરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ પ્રકારની ઘટના પૅસિફિક મહાસાગરમાં, વિશેષે કરીને જાપાન નજીક અવારનવાર થતી રહેતી હોવાથી જાપાની ભાષામાં ‘ત્સુનામી’ નામે પ્રચિલત બનેલી છે.

ત્સુનામી – એક દૃશ્ય

ભૂકંપ આલેખની સહાયથી વિજ્ઞાનીઓ (ભૂકંપશાસ્ત્રીઓ) અમુક કાંઠે ત્સુનામી ક્યારે ત્રાટકશે તેનું પૂર્વાનુમાન કરી શકે છે. ઉદાહરણ રૂપે, એલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર ભૂકંપ નોંધાય તો હવાઈ ટાપુઓના કાંઠે ત્સુનામીનો ભય તેઓ કળી જાય છે. એલ્યુશિયન નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવતા ભૂકંપતરંગોને હવાઈ ટાપુ સુધી પહોંચતાં લાગેલા સમયની નોંધ લેવાય છે. એલ્યુશિયન ટાપુ નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવેલા ભૂકંપતરંગો જો ચાર મિનિટમાં હવાઈ ખાતે નોંધાય તો ત્સુનામી ભરતી તરંગો હવાઈમાં ચાર કલાકે પહોંચશે એવી આગાહી થઈ શકે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા ત્સુનામીની તરંગ-લંબાઈ 100થી 150 કિમી. જેટલી રહે છે અને પ્રતિ કલાકે તે 640થી 970 કિમી. વેગથી સફર કરે છે, જોકે પાણીની ઊંડાઈ પ્રમાણે તેના વેગમાં વધઘટ થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉદ્ભવતા આ તરંગો ક્યારેક વીખરાઈ પણ જતા હોય છે. તેમની ઊંચાઈ 1 મીટર કે તેથી ઓછી હોય છે; પરંતુ કાંઠે પહોંચે ત્યારે અને પાણી છીછરું હોય તો તે 30 મીટર જેટલી ઊંચી દીવાલ રચી શકે છે. સમુદ્રમાં થતા આ પ્રકારના જળવંટોળને કારણે ઉદ્ભવતા ભરતીતરંગને વંટોળ-ઉત્સર્ગ (storm surge) પણ કહે છે. પવનનો વેગ, વંટોળની અવધિ, પવન તળેનો સમુદ્રવ્યાપ અને વાયુદાબ મુજબ આ તરંગોના કદમાં ફરક પડે છે. સમુદ્રભરતીના સમયે જ જો તરંગો કાંઠા પર પહોંચે અને ત્રાટકે તો વધારે વિનાશક નીવડે છે. 1946માં હવાઈમાં હિલો ખાતે ત્સુનામીએ વિઘાતક અસર પહોંચાડેલી. સમુદ્રતળ પર ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ ત્સુનામી ઉદ્ભવી શકે છે; દા. ત., 1883માં ક્રાકતાવમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્સુનામી, પૃ. 106 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્સુનામી/)

Categories
વાચન સમૃદ્ધિ

અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ખાતે કુદરતી રીતે થોડા સમયગાળા માટે બનતું બરફનું શિવલિંગ. શ્રીનગરની ઈશાને ૧૩૮ કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં ૩,૮૨૫ મીટરની ઊંચાઈ પર કુદરતી રીતે બનેલી ગુફામાં તેનું સ્થાનક છે. ૪૫ મીટર ઊંચી ગુફામાં શ્રાવણી પૂનમને દિવસે આ શિવલિંગ ૪ મીટર જેટલી મહત્તમ ઊંચાઈનું હોય છે. શ્રાવણી સુદ પડવાથી તેના વધવાની અને શ્રાવણ વદ પડવાથી તેના ઘટવાની શરૂઆત થાય છે. શ્રાવણી અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે, જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફની બીજી બે રચનાઓ બને છે, જે પાર્વતી અને ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચડાવે છે. ગુફાની આજુબાજુ લિહાર ખીણની પર્વતમાળા છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. શ્રાવણ સુદ પાંચમે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. છડી મુબારક સાથે આગળના સ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથનું શિવલિંગ, અમરનાથના દર્શને જતા યાત્રીઓ

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (૧) શ્રીનગરથી ૬૫ કિમી. પર આવેલા પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ. (૨) શ્રીનગરથી ૬૧ કિમી. પર આવેલા બાલતાલથી અમરનાથ. આ રસ્તો ટૂંકો પણ વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુઓ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે. હિંદુઓના આ યાત્રાધામ અમરનાથની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી આજે પણ તેની કુલ આવકનો અમુક હિસ્સો આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે. જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી બીજી યાત્રાઓ અધૂરી છે એવી એક માન્યતા હિંદુ સમાજમાં પ્રચલિત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1