Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી દૃષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટે પોતાના ઉપાસ્યદેવનું નામ સંસ્થા સાથે જોડી, સંસ્થાનું નામ ‘શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ રાખ્યું. તેની શરૂઆત ભાવનગરના રેલવે સ્ટેશન પાસે તખ્તસિંહજી ધર્મશાળામાં 1910ના ડિસેમ્બરની 28મી તારીખે થઈ. નાનાભાઈ ભટ્ટ શામળદાસ કૉલેજમાંથી અધ્યાપકપદનું રાજીનામું આપી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ બન્યા. પોતાની જ એક સ્વતંત્ર શાળાની અનિવાર્યતા જણાતાં 1918ના જૂન માસમાં દક્ષિણામૂર્તિ વિનયમંદિર શરૂ થયું.

દક્ષિણામૂર્તિ, ભાવનગર

દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે જે નવા સાથીઓ જોડાયા તેમાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી મુખ્ય હતા. ગિજુભાઈએ બાલશિક્ષણમાં મૉન્ટેસોરી પદ્ધતિનો વિનિયોગ કર્યો અને બાલસાહિત્યનું સર્જન કર્યું. હરભાઈએ ડૅલ્ટન પદ્ધતિ દાખલ કરી. નાનાભાઈએ મહાભારત અને રામાયણનાં પાત્રોનું સરળ ભાષામાં લેખન કર્યું. તે ઉપરાંત તારાબહેન મોડક, ગિરીશભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, ગોપાલરાવ વિદ્વાંસ, નટવરલાલ બૂચ અને મનુભાઈ પંચોળી જેવા પ્રતિભાવંત શિક્ષકો દક્ષિણામૂર્તિને મળ્યા. દક્ષિણામૂર્તિ માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણની સંસ્થા બની. ગાંધીજી જ્યારે ભાવનગર આવ્યા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીએ તેમને દક્ષિણામૂર્તિ સંસ્થા બતાવેલી (1915). દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના મુખ્ય સાત વિભાગ હતા : (1) વિદ્યાર્થીગૃહ, (2) વિનયમંદિર, (3) બાલમંદિર, (4) બાલઅધ્યાપનમંદિર, (5) પ્રકાશનમંદિર, (6) અક્ષરજ્ઞાનયોજના, અને (7) ગ્રામશાળાઓ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણામૂર્તિ (સંસ્થા), પૃ. 191 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણામૂર્તિ (સંસ્થા)/)

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ ધ્રુવ

પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઍન્ટાર્ક્ટિકા ખંડથી આવૃત છે. દક્ષિણ ધ્રુવ શબ્દ ઍન્ટાર્ક્ટિક વિસ્તારમાંના હિમજથ્થા નીચે રહેલાં એક કરતાં વધુ અદૃશ્ય સપાટીબિંદુઓ માટે વપરાય છે. આ પૈકીનું વધુ જાણીતું બિંદુ તે દક્ષિણ ભૌગોલિક ધ્રુવ છે. અન્ય મહત્વનાં દક્ષિણ ધ્રુવ બિંદુઓ પૈકી તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ, સંતુલનનો દક્ષિણ ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે.

દક્ષિણ ધ્રુવપ્રદેશના અફાટ હિમજથ્થા

(1) દક્ષિણ ભૌગોલિક ધ્રુવ (the south geographic pole) : આ દક્ષિણ ધ્રુવીય બિંદુ ઍન્ટાર્ક્ટિકાની મધ્યમાં એવા સ્થાને આવેલું છે જ્યાં ગોળા પરના બધા જ રેખાંશ ભેગા થાય છે. આ બિંદુ હિમજન્ય બરફ જથ્થા પર 2,800 મીટરની ઊંચાઈએ રહેલું છે. નૉર્વેનો આરોહક રોઆલ્ડ ઍમંડસેન ગ્રેટ બ્રિટનના રૉબર્ટ સ્કૉટની રાહબરી હેઠળની ટુકડીના ત્યાં પહોંચવાનાં (17-1-1912) પાંચ અઠવાડિયાં અગાઉ (14-12-1911) પહોંચી ગયેલો. 1956માં યુ.એસ.દ્વારા અહીં ઍમંડસેન-સ્કૉટના સંયુક્ત નામે કાયમી ધોરણે વૈજ્ઞાનિક સ્થાનક તરીકે દક્ષિણ ધ્રુવમથક સ્થાપિત કરેલું છે. (2) તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ (the instantaneous south pole) : આ બિંદુ ગોળામાંથી પસાર થતી ધરી ભૂમિસપાટીને છેદીને બહાર નીકળે છે એ સ્થાનને ગણવામાં આવે છે. પૃથ્વી જેમ જેમ તેની ધરી પર અક્ષભ્રમણ કરે છે તેમ તેમ તેમાં ફરતા રહેતા તેમજ ઘૂમરી ખાતા જતા ભમરડાની જમ વમળગતિ પેદા થાય છે. આ કારણે આ ધ્રુવબિંદુ ઘૂમરી ખાતું રહે છે. આ ધ્રુવ વામાવર્ત બાજુએ અનિયમિત પથમાં ઘૂમવામાં 14 માસનો સમય લે છે. આ ગોળાકાર પથને ચેન્ડલર ચક્ર કહે છે, જેનો વ્યાસ 30 સેમી. કરતાં ઓછા અંતરથી માંડીને લગભગ 21 મીટર સુધી બદલાતો રહે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ ધ્રુવ, પૃ. 188 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ ધ્રુવ/)

Categories
વાચન સમૃદ્ધિ

અલ્જિરિયા

ઉત્તર આફ્રિકાનો ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલો એક આરબ દેશ. ભૌગોલિક સ્થાન : 28° 00´ ઉ. અ. અને 3° 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. (આશરે 24 લાખ ચો.કિમી.) તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે આવે છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યૂનિસિયા અને પૂર્વે લિબિયા તથા દક્ષિણે નાઇજર અને માલી, નૈઋત્યે મોરિટાનિયા અને પશ્ચિમે સહરા તથા મૉરોક્કો આવેલા છે. મોટા ભાગનું અલ્જિરિયા રણ છે, જ્યાં કોઈ રસ્તા કે ગામ વસેલાં નથી. દક્ષિણે આવેલું સહરાનું રણ દેશનો 15 % જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલાં મેદાનોમાં એટલાસ પર્વતમાળાનો ઉત્તર છેડો છે. અલ્જિરિયા સૂકો પ્રદેશ છે. વરસાદ ઘણો ઓછો પડે છે. ચેલીફ અને હમીઝ અહીંની મુખ્ય નદીઓ છે. ઘઉં, જવ, બીટ, શાકભાજી, ફળો, તમાકુ અહીંના મુખ્ય પાક છે.

અલ્જિરિયામાંથી મળતો કુદરતી વાયુનો ભંડાર

રશિયા, અમેરિકા અને ઈરાન પછી સૌથી વધુ કુદરતી વાયુની અનામતો અલ્જિરિયામાં છે. વિશ્વનો 15 % જેટલો પારાનો પુરવઠો અલ્જિરિયા પૂરો પાડે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અહીંનાં સૌથી મહત્ત્વનાં ખનિજો છે. અલ્જિરિયાની કમાણીનો મોટો હિસ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુના વેચાણમાંથી આવે છે. આ ઉપરાંત પારો, લોખંડ, ફૉસ્ફેટ, જસત, સીસું અને તાંબું અહીંનાં અન્ય ખનિજો છે. અહીં ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા, ગધેડાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. બૂચનાં વૃક્ષો અલ્જિરિયામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. વિશ્વમાં લાકડાના ઉત્પાદનમાં અલ્જિરિયાનો ત્રીજો ક્રમ છે. અલ્જિરિયાની કુલ વસ્તી 4.74 કરોડ (2026, આશરે) જેટલી છે. બર્બર જાતિનાં કેટલાંક સ્થાયી તો કેટલાંક ભટકતાં જૂથો આ દેશના અતિપ્રાચીન રહેવાસીઓ હોય તેમ જણાય છે. અરબોમાં કાબિલે અને ઝાબાઇટ જૂથો છે. સહરા પ્રદેશમાં તૌરેગ નામક વિચરતી જાતિ વસે છે. વળી સુદાનની નિગ્રો પ્રજાની વંશજ ગણાતી હારાતીન પ્રજા દેશભરમાં છૂટીછવાઈ વસે છે. તેઓ અરબી, ફ્રેન્ચ અને બર્બર ભાષા બોલે છે. તેઓ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અલ્જિરિયા, પૃ. 67)