Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : 24° 19´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્ર્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજી મંદિર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં  `अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારરણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના દયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહ્વર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંબાજી, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

થેબિત

ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતાં જોવા મળતો એક ગર્ત (crater). ચંદ્રની સપાટી ઉપર ‘મેર નુબિયમ’ નામનો સમતલ વિસ્તાર આવેલો છે. તેની જમણી તરફ ‘સીધી દીવાલ’ (Straight Wall) તરીકે ઓળખાતી વિખ્યાત રચના આવેલી છે. આ દીવાલની જમણી તરફ ચંદ્રની નૈર્ઋત્યે થેબિત આવેલો છે. તેનું ચોક્કસ સ્થાન 22° દક્ષિણ અને 4° પશ્ર્ચિમ રેખાંશ પર છે.

થેબિત

થેબિત વાસ્તવમાં એક નહિ પણ ત્રણ ગર્તનું સંયોજન છે અને તે 60 કિમી.નો વ્યાસ ધરાવે છે. સીધી દીવાલ તરફની દિશામાં આવેલા ગર્તને એક બીજો ગર્ત થેબિત A છેદે છે. તે જ દિશામાં થેબિત Aને અન્ય એક ગર્ત છેદે છે, જેને થેબિત F કહે છે. આમ તે ત્રણ ગર્તનું સંયોજન છે. ચંદ્ર ઉપર ઉલ્કા કે ધૂમકેતુ ખાબકવાથી ગર્તની રચના થઈ હશે. પરંતુ એકબીજાને છેદતા ત્રણ ગર્ત કેવી રીતે રચાયા હશે તે એક પ્રશ્ર્ન છે. આ વિસ્તારમાં ખાબકતી વખતે ટુકડા થઈ ગયેલી ઉલ્કા કે ધૂમકેતુના ટુકડા થોડા થોડા સમયાંતરે પડ્યા હોવા જોઈએ. પ્રથમ ખાબકેલા ટુકડા વડે થેબિત રચાયો હશે, જ્યારે પછીથી ખાબકેલા ટુકડાઓથી થેબિત A અને  થેબિત F રચાયા હશે.

( ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ – ૯ )

)

Categories
વાચન સમૃદ્ધિ

અશ્મિલ (Fossils)

કોઈ કુદરતી ઘટનાને પરિણામે સચવાઈ રહેલા પ્રાચીન કાળના પ્રાણી કે વનસ્પતિના નિશાનીરૂપ અવશેષો. તે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉદ્ભવેલા જીવન વિશેની માહિતી આપે છે. ૪૦૦ કરોડ વર્ષો પહેલાંનું, જૂનામાં જૂનું બૅક્ટેરિયાનું અશ્મિલ મળી આવ્યું છે. દુનિયાના દરેક ભાગમાંથી – વિશેષે જળકૃત ખડકોમાંથી – અશ્મિલ મળી આવે છે. સામાન્ય રીતે પ્રાણી મરી જાય તે પછી તેનું શરીર ધીમે ધીમે કોહવાઈને નષ્ટ પામે છે અને તેનો કોઈ અવશેષ કે નિશાની રહેતાં નથી; પણ ઘણી વાર પ્રાણી મરી ગયા પછી તરત જ તે સમુદ્રને તળિયે કે બરફમાં કે રેતીમાં દટાઈ જાય છે. તેનું અશ્મિલમાં રૂપાંતર થાય છે. એવું બને કે પ્રાણી સમુદ્રના તળિયે ડૂબ્યું હોય અને તેના ઉપર કાંપ, રેતી અને કાદવના થર પથરાયા હોય. આવા થરોથી કાળક્રમે જળકૃત ખડકો બને છે. આની અંદર ભીંસાયેલાં પ્રાણીનાં શંખ, છીપ કે હાડકાં જેવા કઠણ ભાગોનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે.

ખડકોમાં મળી આવેલાં પ્રાણી અને ડાઈનોસૉરના પંજાનાં અશ્મિલ

કેટલીક વાર નાનું જંતુ (જેમ કે કરોળિયો) ઝાડમાંથી નીકળતા રસ(એમ્બર)માં ઝડપાઈ જાય છે અને તે રસ કઠણ થઈ જતાં અંદરના જંતુનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે અને તે રસના ટીપામાં વૈજ્ઞાનિક માહિતીનો રસપ્રદ ખજાનો સચવાઈ જાય છે. કેટલીક વાર બરફથી છવાયેલા પહાડોમાં મનુષ્ય કે મનુષ્યેતર પ્રાણી દટાઈ જાય છે અને તેનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે. આવી રીતે સાઇબીરિયામાંથી મેમથ નામની લુપ્ત થઈ ગયેલી જાતિના હાથીનું અશ્મિલ રૂપ મળી આવ્યું હતું. હિમાલયના પર્વત-વિસ્તારમાંથી મળી આવતાં દરિયાઈ પ્રાણીઓનાં અશ્મિલ ઉપરથી એક સમયે ત્યાં દરિયો હશે એવું અનુમાન કરવામાં આવે છે. જર્મનીમાંથી પક્ષીનું એક એવું અશ્મિલ મળી આવ્યું છે જેને પાંખ, તેની સાથેનાં આંગળાં અને જડબા સાથેના દાંત છે. આ અશ્મિલના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે આ પક્ષીઓ ડાયનોસૉરથી ઊતરી આવ્યાં છે. આ અશ્મીભૂત પ્રાણીને આર્કિયૉપ્ટેરિસ તરીકે ઓળખવામાં આવે છે, તે ડાયનોસૉર અને પક્ષી વચ્ચેના જીવનની અગત્યની કડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-1 માંથી