Categories
વાચન સમૃદ્ધિ

ટોંક

રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને ૨૫° ૪૧´ ઉ.થી ૨૬° ૩૪´ ઉત્તર અક્ષાંશ અને ૭૫° ૦૭´ પૂ.થી ૭૬° ૧૯´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૧૯૪ ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ (૨૦૨૪, આશરે) અને વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ ૧૩૫ છે. જિલ્લાની ૮૦% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની ૨૦% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ ૨૬૪.૩૨ મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાની બરાબર મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન ૨૭.૫°થી ૩૦° સે. અને લઘુતમ તાપમાન ૧૫°થી ૧૭° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૬૧૪ મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

બિસલદેવ મંદિર, ટોંક

જિલ્લાનો લગભગ ૩.૪૯% વિસ્તાર વનાચ્છાદિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ ૧૩૮ કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો ૮૧૬ કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો માર્ગથી સંકળાયેલાં નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી. અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી. ૧૯૪૮માં માર્ચની ૨૫મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું. ભારતની ઇસ્લામી અને પ્રાચ્ય સંશોધન માટેની પ્રસિદ્ધ સંસ્થા ‘અરેબિક ઍન્ડ પર્શિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (APRI) અહીં આવેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સુથાર

લાકડામાંથી જુદા જુદા ઘાટ ઘડનાર કારીગર. ‘સુથાર’ કે ‘સુતાર’ શબ્દ સંસ્કૃત ‘સૂત્રધાર’ પરથી ઊતરી આવ્યો છે. ‘સૂત્ર’ એટલે દોરી અને ‘ધાર’ એટલે ધારણ કરનાર. તે પરથી તેઓ ‘સુત્તહાર  સુથાર’ કહેવાયા. સુથારી કામમાં લાકડું ધારેલા માપ પ્રમાણે વહેરવા માટે સૂત્ર એટલે સૂતરને ગેરુવાળું કરી એની છાંટ પાડવામાં આવે છે. આ ક્રિયા પરથી સૂતર ધરવાવાળો, સૂત્રધાર સુથાર કહેવાયો છે. આવી જાતનું અંકન આંકવાની વિદ્યા માત્ર લાકડા વહેરવા પૂરતી જ મર્યાદિત નહોતી, પણ પહેલાં સ્થપતિઓ નહોતા ત્યારે, ઘરોના નકશા બનાવવા સુધી તે વિકાસ પામી હતી. તેમાં દેવ વિશ્વકર્માને દેવોના રથ કરનારા સુથારથી માંડીને હજારો શિલ્પના કર્તા કહ્યા છે. આ સુથારો વિશ્વકર્માના વંશજ ગણાય છે. વિશ્વકર્માના પાંચ પુત્રોમાંથી ‘મય’ નામના પુત્રે સુથારી કામ સ્વીકાર્યું. આમ સુથારો વિશ્વકર્માના પુત્ર મયના વારસદારો ગણાય છે.

સુથારી કામ

સુથાર મુખ્યત્વે લાકડાને વહેરવાનું, કાપવાનું અને આકાર આપવાનું કાર્ય કરે છે. નાની-મોટી ઇમારતો, વહાણ, પુલ (લાકડાના) વગેરેનાં બાંધકામોમાં સુથારો લાકડાનું કામ કરે છે. વળી, તે ઇમારતોમાં બારીબારણાં, રાચરચીલું કબાટો, ટેબલ, ખુરશીઓ, પટારાઓ જેવો ઘરનો સરસામાન, રસોડામાં વપરાતાં પાટલા-પાટલી, આડણી-વેલણ તથા બાળકોને રમવાનાં રંગબેરંગી રમકડાં વગેરે બનાવે છે. સુથારી કામ એ અઘરો અને કુશળતા માગી લેતો વ્યવસાય છે. કેટલાક લોકો પોતાના પિતા પાસેથી પેઢી-દર-પેઢીથી ચાલી આવતા આ કામને શીખે છે. તો કેટલાક લોકો આ કામ એ માટેની ખાસ શાળાઓમાં જઈને શીખે છે. કેટલીક શાળાઓ અને કૉલેજોમાં પણ સુથારી કામનું શિક્ષણ આપવામાં આવે છે. સુથારો તેમના કામ માટે મોટે ભાગે વિવિધ જાતની કરવતો, હથોડીઓ, સ્ક્રૂડ્રાઇવર, રંધો, વાંસલો, શારડી કે ડ્રિલ જેવાં અનેક સાધનોનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોલી એ ચાર જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકળા-કારીગરી કરતી આવી છે. મેવાડા સુથારો મંદિરનાં રથ, પાલખી, ભંડાર વગેરે બનાવે છે. વળી તેઓ કાષ્ઠકામ ઉપર ચાંદીનાં પતરાં જડવાનું કામ પણ કરે છે. ગુર્જર અને પંચોલી સુથારો જૂના કાળે ગામડાંઓમાં રહીને ખેતીવાડીનાં ઓજારો બનાવવાનું કામ કરતા હતા. આજે તો તેઓ શહેરોમાં વસવા લાગ્યા છે અને ફર્નિચર બનાવવાનું અને આંતરિક સુશોભનનું કામ કરે છે. સુથારી કામના અલંકારપૂર્ણ કાષ્ઠસ્થાપત્યનો ઉપયોગ પહેલાંના સમયમાં મંદિરો, દેરાસરો અને શ્રેષ્ઠીઓનાં ઘરોમાં થતો હતો. ગુજરાતમાં સુથારી કામની અપાર સમૃદ્ધિ સિદ્ધપુર, પાટણ, અમદાવાદ, વસો, ખંભાત, ડભોઈ, સૂરત, મહુવા, જામનગર, ભાવનગર, વઢવાણ, ભુજ, છોટાઉદેપુર વગેરે અનેક સ્થળોમાં જોવા મળે છે. અમદાવાદ એક કાળે કાષ્ઠકોતરણી માટેનું જાણીતું કેન્દ્ર હતું. અહીંના સુથારો સીસમના લાકડા પર કોતરણી કરવા માટે અત્યંત કુશળ ગણાતા હતા. એકાદ સૈકા પહેલાં અમદાવાદમાં કાળુપુર પાંચપટ્ટીમાં રહેતા ચકુ ભૂદર અને સોમનાથ ભૂદરનો કાષ્ઠકંડારણ ક્ષેત્રે ડંકો વાગતો હતો. તેમના પિતા ભૂદર મિસ્ત્રી પાસે જાણીતા કવિ શ્રી દલપતરામે ‘રાસમાળા’નાં ચિત્રોની કોતરણી કરાવી હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પોતાના વિરાટ દોષોને

વામન રૂપે જોતો અહંકારી ————

ગર્વ અને આત્મવંચના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એક વાર ચિત્તમાં ગર્વ ઘૂસી જાય એટલે વ્યક્તિ પોતાની જાતને વિશિષ્ટ માનવા લાગે છે. અન્યથી પોતાને અનેકગણી ચડિયાતી ગણે છે અને સમય જતાં બીજાઓને હીન કે તુચ્છ માનવા લાગે છે. ધીરે ધીરે એ ગર્વની આસપાસ વ્યક્તિ પોતાને પસંદ એવાં ભ્રામક મૂલ્યોના કિલ્લા રચી દે છે અને એને પોતાની જાત વિશે એ અતિશયોક્તિપૂર્ણ આદર ધરાવવા લાગે છે. થોડુંક જ્ઞાન આવે એટલે વ્યક્તિ પોતાના જ્ઞાનનો અહંકાર આગળ ધરવા લાગે છે. સંપત્તિ મળે એટલે સતત સંપત્તિનો દેખાવ કરવા ચાહે છે. અહંકારને લોભ સાથે ગાઢ નાતો છે. ગર્વિષ્ઠ માનવી સતત પોતાની પ્રશંસાનો લોભ રાખે છે અને એ પ્રશંસાથી પોતાના દોષોને ઢાંકવા કોશિશ કરે છે, આથી વ્યક્તિ જો એના અહંકારને કાબૂમાં ન રાખે તો સમય જતાં એની બૂરી હાલત થાય છે. એમ કહેવાય છે કે માણસના પતન કે પીછેહઠનો પ્રારંભ ગર્વથી થાય છે. ગર્વને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકનારને અંતે જીવનમાં કડવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ગર્વને કારણે એ બીજાના દોષો સતત આગળ ધરતો રહે છે અને અન્યના ગુણની પ્રશંસા કે પ્રમોદભાવના ખોઈ નાખે છે. ક્યારેક બીજાના દોષોને વધુ મોટા કરીને એ સ્વ-ગર્વને પોષતો હોય છે. એ બીજાના વિરાટ સ્વરૂપને વામન જુએ છે અને પોતાના વામન સ્વરૂપને વિરાટ તરીકે નિહાળે છે. આથી ગર્વ એને સ્વદોષને સમજતો અટકાવે છે. જ્યાં સ્વ-દોષની સમજ જ ન હોય, ત્યાં દોષનિવારણની તો વાત જ ક્યાંથી થાય ? અને એથી જ પોતાના દોષની આગળ ગર્વની ઢાલ ધરીને એ બીજાના દોષો પર તલવારનો વાર કરતો હોય છે.