Categories
વાચન સમૃદ્ધિ

થાઇલૅન્ડનું સ્થાપત્ય

થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં દૃશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને થાઇલૅન્ડની સ્થાનિક ઓળખ તેમાં નહિવત્ હતી. ઈંટ તથા પથ્થરના ચણતર વડે બનાવાયેલ લામ્પનનું વાટકુકુટ દેવળ આ તબક્કાની નોંધપાત્ર ઇમારત છે. ત્યારબાદ ઈસુની દસમીથી તેરમી સદીના ગાળામાં થાઇલૅન્ડમાં સ્થપાયેલ સ્વતંત્ર ખ્મેરલોપબુરી સામ્રાજ્યમાં સ્થાપત્યની સ્થાનિક પ્રાંતીય શૈલીનો પ્રસાર થયો. સ્થાપત્યની મૂળ ભાષા તથા બાંધકામની તકનીક અને સામગ્રીમાં નોંધપાત્ર ફેરફાર ન થવા છતાં આ ગાળામાં સ્થાપત્યમાં સ્વતંત્ર સામ્રાજ્યની છબી ઉપસાવવાનો પ્રયત્ન જરૂર દેખાઈ આવે છે. બારમી સદીમાં લોપબુરીમાં બનાવાયેલ વાટ મહાધાતુનું દેવળ તથા ચૌદમી સદીમાં સુખોથાઈમાં બનાવાયેલ વાટ મહાથાટનું દેવળ આ તબક્કાની ઇમારતોના ઉલ્લેખનીય નમૂના છે. જ્યારે ચિંગેમાલી નજીક આવેલ વાટ જેટ યોટ દેવળ ત્યારબાદના ઈસુની તેરમીથી સત્તરમી સદીમાં વિકસેલ થાઇલૅન્ડની સ્થાપત્યશૈલીની ઉલ્લેખનીય ઇમારત છે.

લામ્પનનું વાટકુકુટ દેવળ

આ તબક્કામાં થાઇલૅન્ડની અગાઉના તબક્કાની પ્રાંતીય શૈલીનો અન્ય બૌદ્ધ દેશોમાં વિકસેલ સ્થાપત્યશૈલી સાથે સુંદર સમન્વય થયો. ત્યારબાદ થાઇલૅન્ડની પ્રાચીન રાજધાની અયોધ્યાના નાશ પછી નવી રાજધાની બૅંગકૉકની સ્થાપના કરાઈ, જેનાથી પ્રચલિત થયેલ સ્થાપત્યશૈલીને બૅંગકૉક-શૈલી કહેવાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધ તથા ઓગણીસમી સદીમાં વિકસેલ આ તબક્કાના સ્થાપત્યમાં ચીનના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાય છે. આ તબક્કામાં બનાવાયેલ ઇમારતો પરનાં ઢળતાં છાપરાંના છેડા ઉપરની તરફ વળેલા રખાતા, જેનાથી તે હોડી જેવા આકારનાં તથા તરતાં હોય તેવી અનુભૂતિ કરાવતાં. તેના પર વળાંકાકાર નાગાકૃતિ અંકિત કરાતી જે પાછળથી થાઇલૅન્ડના સ્થાપત્યની ઓળખ બની રહી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ભાગ-9, પૃ. 122 અથવા જુઓ https://gujarativishwakosh.org/થાઇલૅન્ડનું સ્થાપત્ય/)

Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યા

ઉત્તરપ્રદેશનું ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રાચીન શહેર. તે ૨૬° ૪૮´ ઉ. અ. અને ૮૨° ૧૨´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ઘાઘ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું છે. આ નદીના ઉત્તર કાંઠે અયોધ્યા અને દક્ષિણ કાંઠે ફૈઝાબાદ વસેલું છે. પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાને કારણે આ નગરનો ખૂબ મહિમા છે. દશરથ રાજાના સમયમાં તે સમૃદ્ધ હતું. તે પછી શ્રીરામે ત્યાં રાજ્ય કર્યું હતું. પાછળથી વેરાન બનેલા નગરને ઋષભ રાજાએ ફરી વસાવ્યું. ૭મી સદીમાં અહીં ચીની યાત્રી શ્યેન ચાંગ આવેલો. બૌદ્ધકાળ દરમિયાન બૌદ્ધ સાધુ ફાહિયાને પણ અયોધ્યા મહત્ત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ કરેલો છે. અહીં સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર હતું.

રામમંદિર, અયોધ્યા

અહીં રામચંદ્રજીનાં અનેક મંદિરો કે સ્થાનકો છે. તેમાં હનુમાનગઢી, સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામચંદ્રજીનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, મણિપર્વત વગેરે મુખ્ય છે. ૧૮મી અને ૧૯મી સદીનાં મંદિરોમાં કનકભવન, નાગેશ્વરનાથ અને દર્શનસિંહ જોવાલાયક છે. બાબરે બંધાવેલી મસ્જિદ(બાબરી મસ્જિદ)ના અવશેષ આ વિસ્તારમાં છે. ૧૯૮૦ પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને જોડિયું નગર અસ્તિત્વમાં આવ્યું. શહેરની વસ્તી આશરે ૮૦ લાખ (૨૦૨૫) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે. આ સ્થળ પાંચ જૈન તીર્થંકરોની પણ જન્મભૂમિ હોવાથી અઢારમી સદીમાં અહીં પાંચ જૈન મંદિરો પણ બાંધવામાં આવ્યાં છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામલલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અયોધ્યા, પૃ. 58)

Categories
વાચન સમૃદ્ધિ

થરનું રણ

વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી. છે. આ રણપ્રદેશમાં ભારતમાં દક્ષિણ પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનનો વિસ્તાર તથા પાકિસ્તાનમાં પૂર્વ સિંધ તથા ખેરપુર પ્રદેશ આવેલા છે. આ પ્રદેશમાં રેતીનાં વિશાળ ક્ષેત્રો આવેલાં છે. કોઈ કોઈ જગ્યાએ રણદ્વીપોમાં વનસ્પતિ જોવા મળે છે. આ સમગ્ર પ્રદેશ કર્કવૃત્ત નજીક આવેલો હોઈને અહીંયાં વાર્ષિક વરસાદ 250 મિમી.થી પણ ઓછો પડે છે. અગ્નિમાં આવેલી લૂણી નદી એ એકમાત્ર પાણીનો સ્રોત છે. આ પ્રદેશમાં સિંચાઈ દ્વારા વાયવ્ય ભાગમાં ખેતી કરવામાં આવે છે. ત્યાં વસ્તીનું પ્રમાણ બહુ જ ઓછું છે. અહીંના રહેવાસીઓ ઊંટ, બકરાં, ઘેટાં પાળે છે. લોકો ભટકતું જીવન ગુજારે છે. આ વિચરતી જાતિના લોકો ઊન, મીઠું, ધાબળા વગેરેનો વેપાર કરે છે. આ પ્રદેશમાં ભારતના જોધપુર, બિકાનેર, સરદારનગર, બારમેર, જેસલમેર અને અમરકોટ શહેરો આવેલાં છે.

જોધપુર થરના રણનું પ્રવેશદ્વાર ગણાય છે. બિકાનેર રણપ્રદેશમાં આવેલું એક રમણીય નગર છે. ભાટી રાજપૂતોએ વસાવેલ જેસલમેર પણ આ જ રણવિસ્તારમાં આવેલું છે. 1925થી 1927 વચ્ચે બંધાયેલી ગંગાનહેરથી તથા એના વિસ્તારમાંથી પસાર થતી રાજસ્થાન નહેરથી તથા 1986માં પૂર્ણ કરવામાં આવેલ ઇન્દિરા નહેરથી આ રણપ્રદેશ હરિયાળો થયો છે. આ પ્રદેશમાં કેટલીક સિંચાઈ-યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જૂના સમયમાં ભારતીય રણ તરીકે પણ તે ઓળખાતું. રણમાં કીમતી ખનિજો તથા બહુમૂલ્ય રત્નપાષાણોના ભંડાર સાંપડ્યા છે તથા પોખરણ ખાતે ભારતે ભૂતકાળમાં અણુશક્તિપ્રયોગો કર્યા છે, જેને લીધે આ રણના લશ્કરી મહત્ત્વમાં વધારો થયો છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9