Categories
વાચન સમૃદ્ધિ

તિરુચિરાપલ્લી

ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે ૪૫૧૧ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે, જેથી તેના મોટા ભાગને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ડાંગરના ઉત્પાદનમાં આ જિલ્લો રાજ્યમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અહીં શેરડી, સોપારી, મરી અને બીજા પાકો થાય છે. આ જિલ્લામાંથી અગ્નિજિત માટી (fireclay), ચિરોડી (gypsum), ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, ચૂનાખડકો વગેરે ખનિજો પ્રાપ્ત થાય છે. જિલ્લામાં અનેક કુટિર-ઉદ્યોગો છે. આ ઉપરાંત ખાદ્યપેદાશો, રસાયણો અને દવાઓ, વિદ્યુત-યંત્રસામગ્રી, ધાતુકીય અને બિનધાતુકીય પેદાશો, કાપડ તેમજ વાહનવ્યવહારનાં ઉપકરણો વગેરેને લગતા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. જિલ્લાની વસ્તી ૩૧,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે.

ઉચ્ચ ટેકરી પર કિલ્લો અને મંદિર, તિરુચિરાપલ્લી

તિરુચિરાપલ્લી નગરનું ભૌગોલિક સ્થાન આશરે ૧૦° ૪૫´ ઉ. અ. તથા ૭૮° ૪૫´ પૂ. રે. પર કાવેરી નદીના કાંઠે તેના મુખત્રિકોણ-પ્રદેશની પડખે લગભગ ૧૫૦ મી.ની ઊંચાઈનાં મેદાનોમાં આવેલું છે. આ શહેરનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૩૩.૭° સે. અને ૨૪° સે. હોય છે, જ્યારે તેના વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ ૧૮૪૦ મિમી. જેટલું છે. વાસ્તુશિલ્પની દૃષ્ટિએ પણ આ કિલ્લો મહત્ત્વપૂર્ણ છે. કિલ્લા પર જવા માટે પથ્થરોને કાપીને સીડીઓ બનાવવામાં આવી છે. આ કિલ્લામાં વિશાળ ચોગાન, સ્તંભોવાળો હૉલ, માતૃભૂતેશ્વર (મહાદેવ) તથા શ્રીગણેશજીનાં મંદિરો, કુંડ વગેરે આવેલાં છે. આ સિવાય આ ટેકરી પર પલ્લવકાળનાં અનેક ગુફામંદિરો છે, જે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ પ્રખ્યાત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ આ નગર પ્રગતિશીલ છે. અહીં વિવિધ પ્રકારના કુટિર-ઉદ્યોગો છે, જે પૈકી પરંપરાગત સુતરાઉ કાપડવણાટનો તથા સિગારેટ બનાવવાનો ઉદ્યોગ મુખ્ય છે. આ સિવાય તે રસાયણો અને દવાઓ, ખાદ્યપેદાશો, ધાતુપેદાશો, વાહનવ્યવહારનાં ઉપકરણો, અત્યાધુનિક વિદ્યુત યંત્રસામગ્રી અને તાપ-ભઠ્ઠી(thermal boiler)ને લગતા ઉદ્યોગો તેમજ રેલ-એન્જિનો બનાવવાની કાર્યશાળા ધરાવે છે. આ નગર રેલમાર્ગોનું મોટું મથક છે. ચેન્નાઈ તથા મદુરાઈ સાથે તે ધોરી માર્ગ તથા રેલમાર્ગથી સંકળાયેલું છે. વળી તે હવાઈમથક પણ ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તિરુચિરાપલ્લી, પૃ. 833 અથવા જુઓ https://gujarativishwakosh.org/તિરુચિરાપલ્લી/)

Categories
વાચન સમૃદ્ધિ

હાર્વર્ડ યુનિવર્સિટી

અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે ૧૦ ઑક્ટોબર, ૧૬૩૬માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૭૮૦માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. ૧૬૩૮માં તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમની અર્ધી મિલક્ત અને ૪૦૦ પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં.

હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકા

આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં છે. વળી કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી ૪,૯૩૮ એકરના વિસ્તારમાં આવેલી છે. તેમાં કુલ ૨૦૦ મકાનો છે. તેનું પ્રથમ મકાન ૧૬૩૭માં બન્યું હતું. તે પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો ગયો. આ યુનિવર્સિટીના પૂર્વસ્નાતક-કક્ષાએ બે મુખ્ય વિભાગો છે, જેમાં હાર્વર્ડ કૉલેજ યુવકો માટે અને રેડક્લિફ (Radcliffe) કૉલેજ યુવતીઓ માટે છે. ત્યારબાદ સ્નાતક અને વ્યવસાયલક્ષી વિદ્યાશાખાઓમાં સહઅધ્યયન (co-education) છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નીચેની વિદ્યાશાખાઓ અને સંસ્થાઓ કાર્યરત છે : ૧. આર્ટ્સ અને વિજ્ઞાનની શાખા, ૨. તબીબી શાખા, ૩. વ્યાપાર-ઉદ્યોગ-સંચાલન શાખા, ૪. સ્થાપત્ય, લૅન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગ, ૫. વિશ્વના ધર્મોના અભ્યાસ માટેની શાખા, ૬. શિક્ષણલક્ષી અને માનવ-સંસાધન-વિકાસ શાખા, ૭. જ્હૉન એફ. કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટ, ૮. કાયદાશાસ્ત્રની શાખા, ૯. જાહેર સ્વાસ્થ્યની શિક્ષણશાખા. આ ઉપરાંત પણ ઘણીબધી વિદ્યાપ્રવૃત્તિને લગતી આનુષંગિક શાખાઓમાં બૉટેનિકલ ગાર્ડન (વનસ્પતિ-ઉદ્યાન), ગ્રે હર્બૅરિયમ (સૂકવેલી ઔષધિ-વનસ્પતિઓનો સંગ્રહ), ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી અને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસનો સમાવેશ થાય છે. છેલ્લી બે શતાબ્દીઓ દરમિયાન આ યુનિવર્સિટીના સ્નાતકો અને અધ્યાપકોએ અમેરિકાના બૌદ્ધિક અને રાજકીય વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હાર્વર્ડ યુનિવર્સિટી, પૃ. 158)

Categories
વાચન સમૃદ્ધિ

તિરાને

યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020, આશરે) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ સામ્યવાદીઓએ તેનો હવાલો સંભાળ્યો ત્યારબાદ ત્યાં વિવિધ વસ્તુઓ બનાવતી વીસ જેટલી નવી ફૅક્ટરીઓ સ્થપાઈ તથા સરકારી કચેરીઓ, શાળાઓ અને દવાખાનાનાં નવાં મકાનો બંધાયાં. ઉપરાંત ત્યાં જળવિદ્યુત-ઊર્જામથક પણ બાંધવામાં આવ્યું અને પાણીપુરવઠાની સગવડ આધુનિક બનાવાઈ. અહીં શહેરની આસપાસના વિસ્તારમાં ઑલિવ અને બદામની ખેતી મોટા પાયે થાય છે.

તિરાને શહેરની આસપાસમાં થતી (1) ઑલિવ અને (2) બદામની ખેતી

તે આલ્બેનિયાનું મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર હોઈ અહીં મિકૅનિકલ એન્જિનિયરિંગને લગતા ઉદ્યોગ ઉપરાંત છાપકામનાં યંત્રો, મકાન-બાંધકામનાં જરૂરી સાધનો, કાચ, સિરામિક, લાકડાની બનાવટો અને અનેક લઘુઉદ્યોગોનો વિકાસ થયો છે. આલ્બેનિયાનાં અન્ય શહેરો સાથે તે રસ્તા, રેલ અને હવાઈ માર્ગે સંકળાયેલ છે. અહીંની વસ્તીનો મોટો ભાગ ઇસ્લામ ધર્મ પાળે છે. 1920માં જ્યારે તે દેશનું મુખ્ય વહીવટી મથક બન્યું, ત્યારે તેની વસ્તી માત્ર 10,000ની હતી. ત્યારબાદ રાજા ઝૉગ જે સ્વતંત્ર આલ્બેનિયાનો પ્રથમ અને એકમાત્ર રાજવી રહ્યો છે, તેણે ઇટાલિયન સ્થપતિઓને રોકીને શહેરનો નવો કેન્દ્રીય વિસ્તાર અને સ્કેન્ડરબર્ગ ચોકની આસપાસ સરકારી કચેરીઓનાં ભવ્ય મકાનો બંધાવ્યાં. શહેરનો વિસ્તાર વધતાં તેને આધુનિક સ્વરૂપ મળ્યું. 1939થી 44ના સમય દરમિયાન ઇટાલિયન અને જર્મન લશ્કરોએ અહીં થાણાં સ્થાપ્યાં હતાં, અને તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8