Categories
વાચન સમૃદ્ધિ

હેલિકૉપ્ટર

જમીન પરથી સીધું હવામાં ઉપર જઈ શકે અને હવામાંથી સીધું જ નીચે જમીન પર ઊતરી શકે તેવું હવાઈ જહાજ. હેલિકૉપ્ટર સામાન્ય વિમાન કરતાં કેટલીક રીતે અલગ છે. તે સામાન્ય વિમાન જેટલું ઝડપી હોતું નથી. તે ઘોંઘાટ વધુ કરે છે. વળી તે કદમાં નાનું હોવાથી તેમ જ તેને ઉડાણપટ્ટી(runway)ની જરૂર ન હોવાથી તે અનુકૂળ ઘાસિયા મેદાન પર, રસ્તા પર, ઑફિસ કે મકાનોની અગાસી પર પણ ઉતરાણ કરી શકે છે. હેલિકૉપ્ટર મર્યાદિત સંખ્યામાં જ વ્યક્તિઓને બેસાડી શકે છે. તે વિમાન જેટલી ઊંચાઈએ ઊડી શકતું નથી. હેલિકૉપ્ટરની સૌપ્રથમ કલ્પના કરનાર હતા ઇટાલીના લિયૉનાર્દો-દ-વિન્સી (Leonardo-da-Vinci). ઇજનેરી દૃષ્ટિએ પણ તેને કેમ ઉડાડી શકાય તેની યોજના તેમણે વિચારેલી. ૧૯૩૭માં જર્મનીમાં હીનરિક ફૉર્કે બે પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવ્યું હતું. ૧૯૩૯માં ઇગોર સિકૉરસ્કીએ પ્રમાણમાં નાનું પણ નિયંત્રણમાં રાખી શકાય તેવું એક પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવેલું. તેના પરથી આધુનિક હેલિકૉપ્ટરો વિકાસ પામ્યાં.

હેલિકૉપ્ટર

સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે હેલિકૉપ્ટરમાં ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલાં લાંબાં પાતળાં પાંખિયાં(blades)વાળો પંખો કે પરિભ્રામક(rotor) હોય છે. હેલિકૉપ્ટરનું એન્જિન પાંખિયાંને ગોળ ગોળ ફેરવે છે, જેને લીધે તે કેટલીક હવાને નીચેની તરફ ધકેલે છે અને હેલિકૉપ્ટર ઉપરની તરફ ઊંચકાય છે. હેલિકૉપ્ટરનું ઉત્પ્રસ્થાન (take-off) કરાવવા માટે પાઇલટ પાંખિયાંને નમાવે છે. આને લીધે પાઇલટ તેને હવામાં એક ઠેકાણે સ્થિર રાખી શકે છે, આમતેમ ઘુમાવી શકે છે અથવા નીચે ઉતારી પણ શકે છે. આગળ વધવા માટે તે પાંખિયાં એવી રીતે નમાવે છે કે હવા પાછળ તેમ જ નીચેની તરફ ધકેલાય. હેલિકૉપ્ટરની પૂંછડીના ભાગે પણ એક ફરતો પરિભ્રામક હોય છે જે હેલિકૉપ્ટરને મુખ્ય પરિભ્રામકથી વિરુદ્ધ દિશામાં ફરતું અટકાવે છે અને સમતોલન આપે છે. હેલિકૉપ્ટરના આગળના ભાગમાં યંત્રો તથા નિયંત્રણ-કૅબિન હોય છે. તેમાં પાઇલટ બેસે છે. તે પહોંચી ન શકાય તેવી જગ્યાએથી માણસો અને સાધનોના પરિવહન માટે, બે ગામોની વચ્ચે કે હવાઈ મથકો વચ્ચે અવરજવર માટે, લશ્કરમાં સૈન્ય કે શસ્ત્રોની હેરફેર માટે તથા અન્નનો પુરવઠો પહોંચાડવા માટે ઉપયોગી છે. યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને તાત્કાલિક સહીસલામત જગ્યાએ કે હૉસ્પિટલમાં પહોંચાડવા માટે હેલિકૉપ્ટર વધુ સગવડભર્યું નીવડે છે. તે હવામાં ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુ જઈ શકે છે અને હવામાં સ્થિર પણ રહી શકે છે; આથી પર્વતો, ખીણો, દરિયામાં કે નદીના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તે ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હેલિકૉપ્ટર, પૃ. 194)

Categories
વાચન સમૃદ્ધિ

તુંગભદ્રા

દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને 75° પૂ. રે. પર આ બે નદીઓ મળે છે અને ત્યાંથી તે તુંગભદ્રા તરીકે ઓળખાય છે. તુંગાના કાંઠે શૃંગેરી અને શિમોગા જેવાં ગામો વસ્યાં છે. ભદ્રા બાબાબુદાન ડુંગર તરફ વહી ઉત્તરમાં બેંકીપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે.  તેના કાંઠે ભદ્રાવતી, બેંકીપુર, હરિહર, હોસ્પેટ અને હમ્પી નગરો આવેલાં છે.

તુગંભદ્રા બંધ

ઈશાન તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરહદ પર 50 કિમી. સુધી વહ્યા બાદ આંધ્રપ્રદેશમાં કર્નુલ જિલ્લામાં સંગમેશ્વર પાસે તે કૃષ્ણાને મળે છે. કુમુદવતી, વરદા, હરિદ્રા, ચીના હગારી, વેદવતી વગેરે નદીઓ તુંગભદ્રાની ઉપનદીઓ છે.

ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પર બંધ બાંધી સિંચાઈ કરવાની પ્રથા પ્રચલિત હતી. 20મી સદીની શરૂઆતથી તુંગા અને ભદ્રા પર 38 જેટલા નાનામોટા બંધો બાંધવામાં આવ્યા હતા. આ બધા બંધો જૂના મૈસૂર રાજ્યમાં હતા. વિજયનગરના પ્રાચીન વંશના રાજવીઓએ 1336–1565 દરમિયાન તુંગભદ્રા પર અનેક બંધો બંધાવેલા, તે પૈકી દસ આજે પણ અસ્તિત્વમાં છે. બેલ્લારી જિલ્લાના હમ્પી પાસે આ નદીને કિનારે વિજયનગર સામ્રાજ્યના પ્રાચીન અવશેષો આજે પણ સચવાયેલા છે. બ્રિટિશ અમલ દરમિયાન 1903માં આ નદી પર એક સંયુક્ત બહુહેતુક યોજના અમલમાં મૂકવાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તે યોજના છેક 1956માં સાકાર થઈ. કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટથી 8 કિમી. દૂર આ નદી નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યાં મલ્લાપુર પાસે 2441 મી. લાંબો અને 49.33 મી. ઊંચો બંધ બાંધવામાં  આવ્યો છે. તેનાથી 1973-74માં 3.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. અને 1 લાખ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ જળાશયને પંપા સરોવર નામ અપાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુંગભદ્રા, પૃ. 881 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુંગભદ્રા/)

Categories
વાચન સમૃદ્ધિ

હૃષીકેશ (ઋષિકેશ)

ઉત્તરાખંડ રાજ્યમાં ગંગાકાંઠે આવેલું પવિત્ર યાત્રાધામ.

તે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં ૩૦° ૦૭´ ઉ. અ. અને ૭૮° ૧૮´ પૂ. રે. પર આવેલું છે. હરિદ્વારથી ઉત્તર તરફ તે ૨૪ કિમી.ને અંતરે સ્થિત છે. હૃષીકેશ સમુદ્રસપાટીથી ૩૯૨ મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો કુલ વિસ્તાર ૧૧.૫ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૧,૪૮,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. હરિદ્વાર અને હૃષીકેશ જોડિયાં રાષ્ટ્રીય વારસાઈ શહેરો તરીકે જાણીતાં છે. પવિત્ર ગંગા નદી સાથે તેનું ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે. આ બંને શહેરો સડક અને રેલમાર્ગે નજીકનાં શહેરો સાથે જોડાયેલાં છે. અહીં ગંગા નદીના કિનારે આશરે ૧૦૦થી પણ વધુ આશ્રમો આવેલા છે. તેમાં મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલો ધ્યાનયોગ કેન્દ્રનો આશ્રમ, શિવાનંદનો દિવ્યજીવન સોસાયટી આશ્રમ તથા યોગસાધના આશ્રમનો સમાવેશ થાય છે. કૈલાસ આશ્રમ – બ્રહ્મવિદ્યાપીઠ વેદના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલો છે. હિમાલયની તળેટીમાં વસેલું હૃષીકેશ તેના પવિત્ર, શુદ્ધ ધાર્મિક વાતાવરણને લીધે આત્મોન્નતિની ઉપાસના કરનારાઓ માટે જાણીતું સ્થળ બની રહ્યું છે.

હૃષીકેશ

વિશાળ પટ ધરાવતો અહીંનો ગંગાનો ત્રિવેણી ઘાટ શ્રદ્ધાળુઓ દ્વારા મુખ્ય સ્નાનઘાટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગંગા નદીમાં ડૂબકી લગાવીને નિષ્પાપ બન્યાની ભાવનાથી લોકો કૃતજ્ઞતા અને પ્રસન્નતા અનુભવે છે. રોજ સંધ્યાટાણે અહીં હૃષીકેશના આશ્રમોના સ્વામીઓ અને મહાત્માઓ ધાર્મિક પ્રવચનો આપે છે, પ્રવચનો પછી આરતી થાય છે. તે સમયે અહીંનું વાતાવરણ અલૌકિક શાંતિથી સભર બની રહે છે. ગંગા નદીના પ્રવાહમાંનાં મત્સ્યોને પવિત્ર ગણીને યાત્રીઓ તેમને વિવિધ ખાદ્યસામગ્રી અર્પે છે. અહીં ગંગાકાંઠે દર વર્ષે જાન્યુઆરી માસમાં એક સપ્તાહ માટે યોગ-ઉત્સવ ઊજવાય છે. તે દરમિયાન ધર્મગુરુઓ દ્વારા વ્યાખ્યાનો તેમ જ યોગાસનોનાં નિદર્શનો પણ યોજાય છે. ભાવિકો અને મુલાકાતીઓને હૃષીકેશમાં પ્રવેશ કરાવતો ‘લક્ષ્મણઝૂલા’ સેતુ હૃષીકેશની ઓળખ સમાન છે. લોકકથા અનુસાર રામની રક્ષા અર્થે મદદમાં રહેલા લક્ષ્મણે પોતાના ગુરુની હત્યા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે અહીં ગંગા મધ્યે એક પગે ઊભા રહીને વર્ષો સુધી તપ કરેલું, તેની યાદગીરીમાં આ સેતુ નિર્માણ કરાયેલો છે. ભરતે પણ લક્ષ્મણની સાથે પોતાની માનસિક શુદ્ધિ માટે એટલા જ સમય માટે તપ કર્યું હતું, તેથી ભરતની યાદમાં અહીં ભરતમંદિર પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હૃષીકેશ (ઋષિકેશ), પૃ. 187)