જૂઈ (ચમેલી)


: દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે દીર્ઘરોમી હોય છે. તેનાં પર્ણો મોટે ભાગે સાદાં, અથવા કેટલીક વાર ત્રિપંજાકાર (trifoliate) હોય છે. નીચેની બે પર્ણિકાઓ નાની અથવા સૂક્ષ્મ કર્ણાકાર (auriculate) હોય છે અથવા તે ગેરહાજર હોય છે. પુષ્પો સફેદ, મીઠી સુવાસવાળાં, સંયુક્ત રોમિલ અક્ષ પર દ્વિશાખી (biparous) પરિચિત સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ ૫-૮ ઉપવલયી (elliptic) દલપત્રોનો બનેલો હોય છે. જૂઈનું વાવેતર સમગ્ર ભારતમાં થતું હોવા છતાં તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

જૂઈની પુષ્પ સહિતની શાખા

તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા નવેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવે છે. પુષ્પનિર્માણ ચોમાસામાં ઑગસ્ટની શરૂઆતમાં થાય છે. પુષ્પ નાનાં અને વજનમાં હલકાં (૨૬,૦૦૦ પુષ્પો/કિગ્રા.) હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ૯૧-૧૮૫ કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. જૂઈ કજ્જલી ફૂગ(sooty mould)થી સંવેદી છે. આ રોગ Meliola jasminicola દ્વારા થાય છે. જૂઈનાં પુષ્પોનો ઉપયોગ પૂજામાં અને ગજરા, વેણી કે હાર બનાવવામાં તથા સુગંધિત કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. તેના ઉત્પાદનની પદ્ધતિઓ જાઈમાં દર્શાવ્યા મુજબની છે. તેનું અત્તર ઘેરા લાલ રંગનું, સુગંધ તાજાં પુષ્પો જેવી તથા જૅસ્મિનમની બીજી જાતિઓ કરતાં વધારે આનંદદાયી હોય છે. તે ઍસ્ટર (બેન્ઝાઇલ એસિટેટ તરીકે), ૩૫.૭%, આલ્કોહૉલ (લિનેલૂલ તરીકે) ૪૩.૮૧%, ઇન્ડોલ ૨.૮૨% અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ૬.૧% ધરાવે છે. જૂઈ બે પ્રકારની થાય છે : સફેદ પુષ્પોવાળી (યૂથિકા) અને પીળાં પુષ્પોવાળી (હેમયૂથિકા). આ ઉપરાંત, શ્રીપદેજીએ નિઘંટુમાં નીલા રંગની (નીલયૂથિકા) અને મેચક રંગની (મેચક યૂથિકા) જૂઈ વર્ણવી છે. આયુર્વેદ અનુસાર જૂઈ કડવી, શીતળ, લઘુ, સ્વાદુ, તીખી, હૃદ્ય, મધુર, તૂટી અને સુગંધી હોય છે. તે વાયુ તથા કફ કરનારી અને પિત્ત, તૃષા, દાહ, ત્વગ્દોષ, મૂત્રાશ્મરી, દંતરોગ, વ્રણ, શિરોરોગ, સુખરોગ,  નવજ્વર અને વિષનો નાશ કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ પટેલ

સમુદ્ર


પૃથ્વીની સપાટી પર રહેલો ખારા પાણીનો વિશાળ રાશિ. ખારા પાણીનો આ વિસ્તાર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વી પર ૭૧% વિસ્તાર સમુદ્રો કે સાગરો તથા મહાસાગરોનો છે, બાકીનો ૨૯% જેટલો વિસ્તાર ભૂભાગવાળો – ભૂમિખંડોનો બનેલો છે. સમુદ્રોની ઉત્પત્તિ કેટલા સમય પહેલાં થઈ તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ગરમ ધગધગતા વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે અનેક વાયુઓ ઉત્પન્ન થયા. ધીમે ધીમે તેમાંની વરાળ ઠરીને વાદળ બંધાયાં. છેવટે મુશળધાર પડતા વરસાદથી પૃથ્વી પરના નાનામોટા ગર્ત ભરાતા ગયા. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતો રહ્યો અને સમુદ્રો બનતા રહ્યા. તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ, ગંધક (સલ્ફર), નાઇટ્રોજન અને બીજાં રસાયણો બળવાથી સમુદ્રોનું પાણી ક્ષારવાળું બન્યું. વળી જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોથી અને ખડકોનું ખવાણ થવાથી, વરસાદના પાણીથી સમુદ્રના જળનું સ્તર ઊંચું વધવા માંડ્યું.

મહાસાગરોના પેટાવિભાગોમાં સમુદ્ર, સામુદ્રધુની, અખાત, ઉપસાગર, ખાડી વગેરેનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર, જાપાન સમુદ્ર, બંગાળની ખાડી, ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે સમુદ્રના પેટાવિભાગોનાં નામ ભૌગોલિક પ્રદેશો પરથી પાડવામાં આવ્યાં છે. કેટલાક સમુદ્રોનાં નામ તેમના સંશોધકોના નામ પરથી પણ પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅફિન, વેન્ડેલ, બૅરેન્ટ્સ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તે પ્રશાંત મહાસાગર કહેવાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત રંગની લીલ હોવાને કારણે પાણી લાલ રંગનું દેખાય છે, તેથી તેને રાતો સમુદ્ર કહે છે. કેટલાક સમુદ્રમાં કાળા રંગની માટી ભળેલી હોવાથી કાળો સમુદ્ર કહેવાય છે. કેટલાકમાં પીળી માટી ભળેલી હોવાથી પીળો સમુદ્ર કહેવાય છે. સરગાસો તરીકે ઓળખાતો સમુદ્ર સરગાસમ નામની બદામી-હરિત લીલથી ભરેલો છે, જોકે સૂર્યની ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું વિખેરણ થતાં સામાન્ય રીતે સમુદ્રનાં પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની જળસપાટી પર પવનોની અસરથી મોજાં ઉદભવે છે. મોજાંની ગતિ ઝડપી હોય છે. આવાં મોજાં ઊછળે છે અને પાછાં નીચે પડે છે. સપાટીથી ઊંડાઈ તરફ જતાં મોજાંનું કદ ઘટતું જાય છે. સમુદ્ર-જળમાં મોટા પાયા પરની વધતી જતી જળ-સપાટીને ભરતી કહેવાય છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે ત્યારે પેદા થતા વિશેષ ગુરુત્વાકર્ષણ બળથી ભરતી ઉદભવતી હોય છે. આ ભરતીને મોટી ભરતી કહે છે. સામાન્ય રીતે ભરતી દર બાર કલાકે આવે છે. ભરતી-ઓટને લીધે સમુદ્રમાં પાણીની સપાટી વધે છે અને ઘટે છે. જેમ ધરતી પર ભૂકંપ થાય છે તેમ સમુદ્રમાં પણ ભૂકંપ થાય છે, પરંતુ સમુદ્રને તળિયે થતા ભૂકંપની અસર તો કોઈક જ વખત થાય છે અને તે પણ કાંઠા પર જ. સમુદ્રને તળિયે જ્યારે ભૂકંપ થાય ત્યારે તેના આઘાતથી પાણીમાં મોજાં ઉત્પન્ન થાય છે. મધદરિયે આ મોજાં ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ કાંઠા પાસે પહોંચતાં તે ઊંચકાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સમુદ્ર, પૃ. ૨૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

જીરું અને તેના રોગો


ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા ૧૪ છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ ૯૦% જેટલું પ્રદાન છે. ગુજરાતમાં જીરાનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવી ઋતુમાં થાય છે. જીરાનો છોડ નાનો અને કુમળો, વધુ ડાળી ધરાવતો, ૨૦થી ૨૫ સેમી. ઊંચો અને જાંબલી રંગનાં ઝીણાં ફૂલોવાળો હોય છે. જીરાનો દાણો વરિયાળીથી નાનો, લાંબો અને પાતળો, રાખોડી રંગનો અને ઉપર ૫થી ૭ જેટલી નસોવાળો હોય છે.

જીરાનો છોડ   

   જીરું                                          

જીરાની સુગંધી તેના બાષ્પતેલમાં રહેલ ૨૦%થી ૪૦% જેટલા ક્યુમિન આલ્ડિહાઇડને આભારી છે. જીરાની વિશિષ્ટ પ્રકારની સુગંધ અને મનભાવતો સ્વાદ હોવાના કારણે તેને ‘મસાલાનો રાજા’ ગણવામાં આવે છે. અથાણાં અને દાળ-શાકમાં કે સૂપમાં દળેલું કે ખાંડેલું ધાણાજીરું વપરાય છે. આ ઉપરાંત વઘારમાં તેમજ ગોટા, ખમણ અને પાતરાં જેવાં ફરસાણમાં કે નમકીનમાં જીરાનો ઉપયોગ જાણીતો છે. હવે તો ઠંડાં પીણાંમાં, પનીરમાં, બિસ્કિટ-કેક વગેરેમાં અને જુદી જુદી માંસાહારી બનાવટોમાં પણ તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.

જીરાનો મસાલા તરીકેનો ઉપયોગ તેમાં રહેલ ઔષધીય ગુણોના કારણે છે. તે કૃમિનાશક છે. ખાસ કરીને આંતરડાંની બીમારીમાં વધુ અસરકારક હોઈ પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરેમાં ગુણકારી છે. તે શરદી, સળેખમ માટેની દવામાં પણ વપરાય છે. તેનું બાષ્પતેલ સાબુ, સૌંદર્યપ્રસાધનો ઉપરાંત કેફી કે ઠંડાં પીણાંમાં સુગંધ લાવવા ઉપયોગમાં લેવાય છે. એશિયાના ‘સૌથી મોટું ખેતઉત્પન્ન બજાર’ મનાતા ઊંઝામાં વાર્ષિક રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ વેપાર એકલા જીરાનો જ થાય છે. ભારતનું જીરું ગુણવત્તાની દૃષ્ટિએ સારું હોવા છતાં આંતરિક ભાવો ઊંચા હોઈ કેટલીક વાર આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈમાં ટક્કર ઝીલવી મુશ્કેલ પડે છે; આમ છતાં તેનું ઉત્પાદન વધારી નિકાસ દ્વારા વધુ હૂંડિયામણ કમાવાની શક્યતા ઘણી રહેલી છે. જીરાના રોગો : જીરું મરીમસાલા વર્ગનો અગત્યનો પાક છે. તેમાં જુદા જુદા વ્યાધિજનથી ચરેરી, છારો, સુકારો અને પીળિયો રોગ સામાન્ય રીતે જીરું ઉગાડતા પ્રદેશોમાં જોવા મળે છે. છારો : ફૂગથી થતો આ રોગ જીરાના પાકનો એક મહત્ત્વનો રોગ છે. જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર ૫૦% જેટલો ઓછો આવે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો ૧૦%થી ૧૫% ઉતાર ઓછો આવે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે એટલે કે જાન્યુઆરી માસમાં થાય છે. શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જીરું અને તેના રોગો,
પૃ. ૭૯૩)

હિંમતસિંહ લા. ચૌહાણ