Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ (નદી)

દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી.

દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. અહીં તેને ઝાસ્કર નદી મળે છે. ત્યારબાદ ત્યાંથી ૨૪૦ કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે શ્યોક, શિગાર, હુંઝા, ગિલગિટ, અસ્તોર વગેરે નદીઓ પણ મળે છે.

સિંધુ નદી

કાશ્મીરની પશ્ચિમ સરહદના વટાવ્યા પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. અહીં નંગા પર્વતની હારમાળામાં આ નદીએ ૩,૦૦૦ મીટર ઊંડું અને ૨૦થી ૨૫ કિમી. પહોળું કોતર કોરી કાઢેલું છે. અહીં તેણે ૧,૫૦૦ મીટર જેટલો ઢાળ તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે તથા પશ્ચિમ તરફથી આવતી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ જેવી નાની નદીઓ મળે છે. અહીંના ૬૦૦ મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ-સડકમાર્ગ ધરાવતો પુલ આવેલો છે. અહીંથી તે પશ્ચિમ તરફ ફંટાય છે. ત્યારબાદ કાલાબાઘ નજીક પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે, ત્યાં તેને પૂર્વ કાંઠે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ એક પછી એક મળતી જાય છે, ત્યાર બાદ તે ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતી હોવા છતાં તેને પાંચ નદીઓનો પુરવઠો મળતો હોવાથી વિશાળ પટવાળી બની રહે છે. ત્યારબાદ કાંપ અને રેતીના થર પથરાતા જતા હોવાથી તેનો પ્રવાહ-વેગ ઘટતો જાય છે અને મેદાની સ્વરૂપ રચાતું જાય છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર્વ કિનારા તરફ કાંપજમાવટ થતી રહે છે અને વહનમાર્ગ બદલાતો જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદ વટાવ્યા પછી કરાંચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે તે પંજાકારે વહેંચાઈને આશરે ૩,૦૦૦ ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની લંબાઈ આશરે ૨૦૮ કિમી. જેટલી બની રહે છે. ભરતી વખતે નદીનાળામાં પાછાં પડતાં પાણી અંતરિયાળ ભાગ તરફ ૮ કિમી.થી ૩૨ કિમી. સુધી ફેલાય છે.

જળજથ્થો – કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે ૧૧૧ અબજ ઘનમીટર જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. એ જ રીતે તેમાં ઉપરવાસમાંથી આવતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો ૧૦ લાખ ટન જેટલો મુકાયેલો છે. વસવાટ : ૪,૦૦૦ વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિ આ નદીને કાંઠે વિકસી હતી. તેથી તેના ‘સિંધુ’ નામ પરથી ‘હિંદુ’ શબ્દ આવેલો છે. તેના કાંઠા પર આજે કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન અને અટક જેવાં શહેરો વસેલાં છે. કરાંચી તે પૈકીનું મોટું શહેર, વેપારીમથક અને કુદરતી બારું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ (નદી),
પૃ. ૨૦૮)

Categories
વાચન સમૃદ્ધિ

ટેંજિર

મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩૫o ૩૪’ ઉ. અ. અને ૬o ૦૦’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ ૧૧,૫૭૦ ચોકિમી. છે. તેની વસ્તી ૧૨,૭૫,૦૦૦ (૨૦૨૪, આશરે) છે.

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીના પશ્ચિમ છેડે દેશના ઉત્તર કિનારે આવેલું આ આંતરરાષ્ટ્રીય બંદર છે. તે સ્પેનની મુખ્ય ભૂમિથી દક્ષિણે ૩૦ કિમી. અને કાસાબ્લાંકાથી ઈશાને ૩૫૪ કિમી. દૂર છે. તે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે અને લશ્કરી દૃષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. સમુદ્રકિનારાથી દક્ષિણે મેદાન અને રીફ પર્વતમાળાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. ઉનાળો સૂકો અને સમધાત હવામાન ધરાવે છે. શિયાળામાં ૬૧૦થી ૮૧૦ મિમી. વરસાદ પડે છે. માર્ગો તથા રેલવે દ્વારા ટેંજિર અન્ય પ્રવાસધામો તથા રબાત, કાસાબ્લાંકા, ફેઝ, મેકનેસ વગેરે અન્ય શહેરો સાથે અને દરિયાઈ માર્ગ દ્વારા સ્પેન, ફ્રાન્સ, ઇટાલી વગેરે દેશો સાથે જોડાયેલ છે. આંતરરાષ્ટ્રીય વિમાનઘર દ્વારા આફ્રિકા તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે તે સંકળાયેલું છે.

ટેંજિર શહેર

અહીં અનાજ, ખાંડ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે, જ્યારે ગાલીચા, ફૉસ્ફેટ વગેરેની નિકાસ થાય છે. ટેંજિરના લોકો મુખ્યત્વે આરબ કે બર્બર છે. અરબી ઉપરાંત ત્યાં અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ અને બર્બર ભાષાઓ બોલાય છે. ઇતિહાસ : ટેંજિરની ઈ. સ. પૂ. ૧૫૦૦માં  ફિનિશિયનોએ સ્થાપના કરી હતી. આ શહેર તેમનું વેપારી થાણું હતું. ત્યારબાદ કાર્થેજના લોકો અહીં વસ્યા હતા. રોમનો અહીં ઈ. સ. પૂ. ૮૨થી વસ્યા હતા. રોમનોએ તેને ટિનજિસ નામ આપ્યું હતું અને તે મૉરેટાનિયા ટિન્જિયાનાના રોમન પ્રાંતની રાજધાની હતું. રોમનોએ આશરે ઈ. સ. ૫૦૦ સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ તે વેન્ડાલ અને બાઇઝેન્ટીન શાસન નીચે હતું. ઈ. સ. ૭૦૫માં આરબોએ તે કબજે કર્યું હતું અને ૧૪૭૧ સુધી તે મુસ્લિમ શાસકોને કબજે હતું. ૧૪૭૧થી ૧૫૮૦ સુધી તે પોર્ટુગીઝોને અને ૧૫૮૦થી ૧૬૫૬ સુધી પોર્ટુગલ અને સ્પેનને તાબે હતું. ૧૬૬૨માં પોર્ટુગલની રાજકુંવરી કૅથેરાઇનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલા સાથે પરણાવતાં તેને તે દાયજામાં આપવામાં આવ્યું હતું. અંગ્રેજો અહીં ૧૬૬૨થી ૧૬૮૪ સુધી રહ્યા હતા. ૧૬૮૪માં મોરોક્કોના સુલતાને ટેંજિર અને આસપાસનો પ્રદેશ કબજે કર્યો હતો. ઓગણીસમી સદી દરમિયાન ટેંજિર પરદેશી એલચીઓનું નિવાસસ્થાન બન્યું હતું. ૧૯૧૨માં મોરોક્કો ફ્રાન્સનું રક્ષિત રાજ્ય બનતાં અહીં ફ્રેન્ચ અસર વધી હતી. ટેંજિરનું વ્યૂહાત્મક મહત્ત્વ પિછાનીને ૧૯૨૩માં તે અને આસપાસના પ્રદેશ આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મુકાયા હતા. ૧૯૪૦ના જૂનમાં સ્પેને તેનો કબજો  લીધો હતો. ૧૯૪૫માં ફ્રેન્ચ, બ્રિટન, યુ.એસ. તથા રશિયાએ ફરી તેનો કબજો લીધો હતો. ૧૯૫૬માં  મોરોક્કો સ્વતંત્ર થતાં તેણે આ નગરનો કબજો લીધો હતો. ૧૯૬૮માં અમેરિકન યુનિવર્સિટીની અને ૧૯૭૧માં ઉત્તર આફ્રિકન યુનિવર્સિટીની ત્યાં સ્થાપના થઈ હતી. નગરમાં પંદરમી સદીનો કોટ, સત્તરમી સદીની મસ્જિદ અને જૂનો રાજમહેલ જોવાલાયક છે. ત્યાંના રાજમહેલનો સંગ્રહસ્થાન તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટેરાકોટા

પકવેલી માટી કે માટીના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાં–ઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે. ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે. હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર, સિંહ અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે. સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે.

ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે. ઈ. સ. પૂ. ૧૯૦૦થી ૧૩૦૦ અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે. ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં,  તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે. પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્ત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે. મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે. મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે. શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે. શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં દૃશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેરાકોટા, પૃ. ૩૧૮)