Categories
વાચન સમૃદ્ધિ

હરડે

દ્વિદળી વર્ગમાં આવેલી ઔષધીય ગુણ ધરાવતી એક વનસ્પતિ.

હરડે દેશી ઔષધિઓમાં સૌથી વધુ જાણીતી છે. તેને હિન્દીમાં ‘હરડ’, ‘હડ’ કે ‘હર્રે’ કહે છે. સંસ્કૃતમાં ‘હરીતકી’ કહે છે. હરડેનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ખાસ કરીને હિમાલયના નીચેના વિસ્તારોમાં રાવીથી પૂર્વ-પશ્ચિમ બંગાળ તેમ જ આસામમાં પંદરસો ચોવીસ મીટરની ઊંચાઈ સુધીમાં તે થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની  ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે મળે છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. હરડેનાં વૃક્ષો આશરે ૧૫થી ૨૪ મીટરની ઊંચાઈનાં જોવા મળે છે. તેનાં વૃક્ષો ભરાવદાર હોય છે. હરડેનાં પાન સાદાં, એકાંતરિક, ૭થી ૨૦ સેમી. લાંબાં, ૫-૧૦ સેમી. પહોળાં અને અંડાકાર હોય છે. પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પો નાનાં, આછાં પીળાં, સફેદ ધાવડીના પુષ્પના આકારનાં હોય છે. ફળ ૨.૫૪ સેમી.થી ૫ સેમી. લાંબું અને ખૂબ જ મજબૂત હોય છે; જેના ઉપર પાંચ ઊપસેલી ધાર હોય છે. કાચાં ફળો લીલા રંગનાં હોય છે અને પાકી ગયા પછી પીળાં સોનેરી રંગનાં થઈ જાય છે. ફળો વિવિધ આકારનાં જોવા મળે છે. ઔષધોમાં હરડેની છાલનો ઉપયોગ થાય છે. છાલ કાઢતાં તેમાંથી ઠળિયો નીકળે છે. તે ઠળિયામાં પણ નાનું લાંબું મીંજ હોય છે. હરડેનાં નાનાં નાનાં ખરી ગયેલાં ફળો કાળા રંગનાં અને લાંબી ગોળ ધારોવાળાં હોય છે, જે હીમજ તરીકે ઓળખાય છે. એપ્રિલ-મે મહિનામાં નવાં પાન અને પુષ્પો આવે છે. ઠંડીની ઋતુમાં ફળો લાગે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ફળોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. ખરી ગયેલાં નાનાં ફળો – હીમજ ખૂબ જ રેચક અને તીક્ષ્ણ હોય છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : ૧. નાની હરડે કે હીમજ, ૨. પીળી હરડે અને ૩. મોટી હરડે કે કાબુલી હરડે.

હરડે

આયુર્વેદની દૃષ્ટિએ હરડે અત્યંત ઉપયોગી હોવાથી તેને સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी ।’ (‘જેના ઘરે નથી માતા, તેની માતા હરીતકી.’) – એ રીતે વર્ણવાય છે. હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર અને પ્રભાવથી ત્રિદોષહર છે. જોકે વિશેષભાવે તે કફદોષ દૂર કરનાર છે. તેનો લેપ સોજા, પીડા અને ઘા મટાડી તેને રૂઝવે છે. તે રક્તસ્રાવ પણ બંધ કરે છે. આ ઉપરાંત તે ખોરાકને પચાવવામાં, બુદ્ધિ વધારવામાં તથા આંખના રોગ મટાડવામાં મદદ કરે છે. હરડેના વૃક્ષનું લાકડું ખાસ મૂલ્યવાન નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંમાં મુખ્યત્વે માળખાં, ધરીઓ કે દંડ બનાવવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું બનાવવા માટે પણ થતો હોય છે. આયુર્વેદમાં સૌથી જાણીતી ત્રિફળાની ઔષધિમાં હરડે, બહેડાં અને આંબળાંનું મિશ્રિત ચૂર્ણ હોય છે.

ગુજરાત બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

તબ્રિજ (Tabri’z)

ઈરાનની વાયવ્યે આવેલ ઉત્તર આઝરબૈજાન પ્રાંતનું પાટનગર અને દેશનાં મોટાં નગરોમાં ચોથો ક્રમ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 38O 05’ ઉ. અ. અને 46O 18’ પૂ. રે.. વિસ્તાર : શહેર : 324 ચોકિમી; મહાનગર : 2386 ચોકિમી. તે રશિયાની સરહદથી દક્ષિણે 97 કિમી. તથા તુર્કસ્તાનથી પૂર્વમાં આશરે 177 કિમી. દૂર આવેલું છે. સાહંદ પર્વતની ઉત્તરે આવેલ સપાટ મેદાનમાં વસેલું આ શહેર સમુદ્રની સપાટીથી 420.62 મી. ઊંચાઈ ધરાવે છે. તે ઉત્તરે આજીચાઈ નદી પર આવેલી ટેકરીઓથી ઘેરાયેલું છે. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળની દૃષ્ટિએ ભૂકંપીય વિસ્તારમાં આવેલ આ નગરનો ઈ. સ. 791, 858, 1041, 1721 અને 1780માં વિનાશ થયો હતો. તે ઉપરાંત આ નગર અવારનવાર હળવા ભૂકંપોનું ભોગ બનતું રહ્યું છે. તે આક્રમણખોરોના હુમલાઓનો ભોગ પણ બનતું રહ્યું છે. કાળા સમુદ્ર અને રશિયાના કોકેશિયન પ્રદેશને સાંકળતા વ્યાપારી માર્ગ પર આવેલ હોઈ તેનું પ્રાચીન કાળથી એક અનોખું મહત્ત્વ હતું. તેરમી અને ચૌદમી સદીમાં તબ્રિજ મોંગલ રાજાઓની રાજધાનીનું શહેર હતું.

તબ્રિજ શહેર

સમીપમાં આવેલ ગરમ પાણીના ઝરા પરથી ‘તબ્રિજ’ નામ પડ્યું છે. તેની વસ્તી : શહેર : 15,58,693, મહાનગર : 17,73,023 (2016) છે. મોટા ભાગના લોકો આઝરબૈજાન મૂળના છે. અલબત્ત, તે કુર્હીશ લઘુમતી પણ ધરાવે છે. જાજમો અને ગાલીચાઓ માટે તબ્રિજ સુવિખ્યાત છે. વળી, ત્યાં સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, સાબુ, પેઇન્ટ તથા ફળોનું ઉત્પાદન થાય છે. એક સમયે તબ્રિજના આશરે 45 કિમી. જેટલા બજાર-રસ્તાઓ છતવાળા હતા ! નગરમાં અમેરિકન મિશન હૉસ્પિટલ અને દેવળ આવ્યાં છે; પરંતુ અમેરિકન પ્રેસ્બીટેરિયન મિશન દ્વારા સંચાલિત શાળા સરકારે પોતાના હસ્તક લઈ લીધી અને એક યુનિવર્સિટી સ્થાપવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયા સાથેના વેપારમાં ઓટ આવતાં તબ્રિજને સહન કરવું પડ્યું. અહીં હવાઈ મથક તથા વિશાળ લશ્કરી થાણું આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તબ્રિજ, પૃ. 674 અથવા જુઓ https://gujarativishwakosh.org/તબ્રિજ/)

Categories
વાચન સમૃદ્ધિ

હમ્પી

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું ઐતિહાસિક નગર. હમ્પી વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોના સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે હાલના કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસટેપ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ, તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. ઈ. સ. ૧૩૩૬માં હરિહર (પ્રથમ) અને બુક્કારાયે તેની સ્થાપના કરી હતી. પાંચસો વર્ષ પૂર્વે હમ્પી વિજયનગર મહારાજ્યની રાજધાની હતું. ૨૦૦ વર્ષ કરતાં વધારે સમયમાં હિંદુ વંશના ત્રણ પેઢીઓના રાજાઓએ અહીંથી શાસન કર્યું હતું. કૃષ્ણદેવરાય(૧૫૦૯થી ૧૫૨૯)ના શાસનનો સમય હમ્પી માટે સુવર્ણયુગ હતો. તેના સમયમાં અહીં પ્રસિદ્ધ મંદિરો બંધાયાં હતાં. ત્યારબાદ અચ્યુતરાય(૧૫૨૯–૧૫૪૨)નો સમય પણ ઉત્તમ હતો. ઈ. સ. ૧૫૬૫માં તાલિકોટાના યુદ્ધમાં બહમની સુલતાનોના સંઘે, વિજયનગરના અંતિમ રાજા રામરાયને હરાવ્યો. સુલતાનોએ હમ્પી નગરને લૂંટીને ખેદાનમેદાન કરી મૂક્યું. હાલમાં અહીં માત્ર વિજયનગર સામ્રાજ્યની જાહોજલાલી, ભવ્યતા ને કળારસિકતા દર્શાવતાં સ્થાપત્યોના ભગ્નાવશેષો જોવા મળે છે.

વિઠ્ઠલમંદિર, હમ્પી

અવશેષો જોતાં એટલું પુરવાર થાય છે કે આ નગરનું સ્થાન ઉત્તમ હતું. આસપાસ ઊંચી શિલાઓની સુરક્ષા હતી. કેન્દ્રનો નાગરિક વિસ્તાર નહેર વડે રક્ષિત હતો. આ નહેર આજે પણ પાણી પૂરું પાડે છે. અહીં આવેલાં મંદિરોમાં વિઠ્ઠલમંદિર, હજારારામમંદિર, વિરુપાક્ષમંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે તત્કાલીન સ્થાપત્યકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. વિઠ્ઠલમંદિર સૌથી વધુ અલંકૃત છે. તેનું નિર્માણ કૃષ્ણદેવરાય(દ્વિતીય)ના સમયમાં શરૂ થયું હતું ને અચ્યુતરાયના શાસનકાળમાં પણ ચાલુ રહ્યું હતું. ૧૫૨.૪૦ x ૪૧.૧૫ મી.ની સમકોણ ચતુર્ભુજાકાર દીવાલોથી તે રક્ષિત છે. આની અંદર સ્તંભોની ત્રણ હારથી યુક્ત આચ્છાદિત માર્ગ છે. સમગ્ર મંદિરની નિર્માણયોજના અસાધારણ છે. પ્રસ્તુત મંદિરમાં વિઠ્ઠલ-સ્વરૂપે ભગવાન વિષ્ણુ બિરાજે છે. કૃષ્ણદેવરાય દ્વારા નિર્મિત (ઈ. સ. ૧૫૧૩) હજારારામમંદિર વિઠ્ઠલમંદિરનું સમકાલીન છે. આ મંદિર રાજપરિવારની પૂજા માટે હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હમ્પી, પૃ. 111)