Categories
વાચન સમૃદ્ધિ

તાડ

વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક. તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું શુષ્ક વિસ્તારોમાં ખાસ વિસ્તરણ થયેલું છે. તે સામાન્ય રીતે 10થી 20 મીટર ઊંચું વૃક્ષ છે; પરંતુ કેટલીક જગ્યાએ 30 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તે શાખારહિત કાળા રંગનું પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ પર ચિરલગ્ન (persistent) પર્ણતલો જોવા મળે છે. ટોચ ઉપર નજીક ગોઠવાયેલાં 30થી 40 પર્ણોનો (પર્ણ)મુકુટ (crown) હોય છે. પર્ણો મોટા કદનાં 1.0થી 1.5 મીટર પહોળાં પંખાકાર હોય છે. તે દ્વિગૃહી વનસ્પતિ હોવાથી નર અને માદા વૃક્ષો અલગ અલગ થાય છે. તેનાં પાકાં ફળ (તાડગુલ્લાં) અષ્ઠિલ જાંબલી કાળા રંગનાં, 15થી 20 સેમી. વ્યાસનાં, ગોળાકાર, રેસામય મધ્ય ફલાવરણ ધરાવતાં હોય છે. દરેકમાં બેથી ત્રણ બીજ હોય જે ગલેલી કે તાડફળી તરીકે જાણીતાં છે. કુમળી ગલેલી પારદર્શક કાચ જેવી સફેદ, નરમ જેલી જેવી તથા અંદર મીઠું પાણી ધરાવતી પોષક સ્વાદિષ્ટ વસ્તુ તરીકે ખવાય છે. પરંતુ પાકી જતાં ગલેલી કઠણ અને સફેદ રંગની બની જાય છે.

તાડનું વૃક્ષ અને તેનાં અંગો : પ્રકાંડ, ફળ સાથે શાખા, ફળ, બી

તાડના પ્રકાંડની ટોચના ભાગે પર્ણો નજીક નીચેના ભાગે છેદન કરીને તેમાંથી રસ મેળવવામાં આવે છે, જે નીરો તરીકે ઓળખાય છે. માદા વૃક્ષમાંથી રસનો ઉતાર નરવૃક્ષ કરતાં 50% જેટલો વધારે હોય છે. નીરો પારદર્શક, મીઠો, સ્વાદિષ્ટ, રુચિકર સુગંધ ધરાવતો રસ છે. તે પૌષ્ટિક પીણું છે. નીરામાં આથો ચડવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે અને તાપમાન વધે તેમ તે વધે છે. આથી નીરાને નીચા ઉષ્ણતામાને રાખવો જરૂરી છે. તાજા નીરાનું સેવન વધુ ઉચિત ગણાય છે. આથો ચડેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. તાડી સ્વાદમાં ખાટી લાગે છે. વધુ સમય જતાં તાડીમાં અમ્લનું પ્રમાણ વધવા લાગે છે અને મદ્યાર્કનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી વધુ સમય આથો ચડેલી તાડી આરોગ્યને નુકસાનકારક હોઈ મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આમ, તાડના વૃક્ષના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાડ, પૃ. 761 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાડ/)

Categories
વાચન સમૃદ્ધિ

હવેલી

મોટું ને સુંદર બાંધણીવાળું મકાન – મહાલય તેમ જ એ પ્રકારની બાંધણીવાળું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર.

હવેલી-૧ : ‘હવેલી’ શબ્દ અરબી ભાષામાંથી આવેલો છે. તે ઐતિહાસિક કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા મોટા મહાલય માટે ભારત તથા પાકિસ્તાનમાં વપરાય છે. પોતાની સમૃદ્ધિ અને દરજ્જો પ્રદર્શિત કરવા શ્રીમંતો હવેલીમાં ખૂબ ખર્ચ કરતા હતા. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, આગ્રા, લખનઉ અને દિલ્હીમાં હવેલીઓ જોવા મળે છે. ‘હવેલી’ શબ્દ સાંભળતાં ચૉકવાળા મકાનનું સ્મરણ થાય છે. તેમાં ક્યારેક ફુવારો અને કુંડ પણ હોય છે. શ્રીમંત કુટુંબો પોતાના નિવાસ માટે હવેલી જેવાં ઘરો બનાવે છે. હવેલી એટલે ઓટલા, ખડકી, ચૉક, પરસાળ, ઓરડો, ઝરૂખા વગેરેવાળું વિશાળ મકાન. ક્યારેક તેમાં અંદર નાનો બગીચો પણ હોય છે. આ મકાન ચારેય બાજુ ઊંચી દીવાલો ધરાવે છે અને તેમાં પ્રવેશ માટે એક દરવાજો હોય છે. ચૉક ઉપરથી ખુલ્લો હોવાથી આવાં ઘરોમાં હવા-ઉજાસ સારાં હોય છે. ગુજરાતની હવેલીઓમાં સુંદર કોતરણીવાળું કાષ્ઠકામ જોવા મળે છે. તેમનાં થાંભલા, ટોડલા, કમાનો, ઝરૂખા-જાળીવાળી બારીઓ વગેરે સુંદર કાષ્ઠકામથી સજાવેલાં હોય છે. તેમાં અપ્સરાઓ તથા ગાંધર્વોની આકૃતિઓ પણ કોતરેલી હોય છે.

શેખાવતમાં આવેલી એક સુંદર હવેલીનો ચૉક, રાજસ્થાન

રાજસ્થાનમાં શેખાવતમાં પણ સુંદર હવેલીઓ આવેલી છે. ત્યાં હવેલીમાં બહાર અને અંદર બે ચૉક  હોય છે. બહારના ચૉકનો વપરાશ પુરુષો કરતા હોય છે અને અંદરના ચૉકનો સ્ત્રીઓ. તેની ભીંતો પર સુંદર ચિત્રો કરેલાં હોય છે. ગુજરાતમાં આવેલ નોંધપાત્ર હવેલીઓમાં વડોદરામાં સૂરેશ્વર દેસાઈની હવેલી તથા હરિભક્તિની હવેલી છે. શાંતિદાસ ઝવેરીની હવેલીઓ ઝવેરીવાડમાં હતી. કમનસીબે તે આગમાં નષ્ટ થઈ ગઈ. અમદાવાદમાં હઠીસિંહની બે પ્રસિદ્ધ હવેલીઓ છે : દોશીવાડાની પોળમાં તથા ફતાશાની પોળમાં. બંને હવેલીઓમાં કાષ્ઠ-કોતરકામ સુંદર છે. અમદાવાદમાં ખાડિયામાં સારાભાઈ કુટુંબની સુંદર હવેલી આવેલી છે. વસોમાં આવેલી દરબારસાહેબની હવેલી તથા વિઠ્ઠલદાસની હવેલી રક્ષિત સ્મારક તરીકે સચવાઈ રહી છે. તેમાં રાસલીલા તથા વૈષ્ણવ પુરાણ-કથાનાં દૃશ્યો આલેખાયેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવેલી, પૃ. 137)

Categories
વાચન સમૃદ્ધિ

હવામાન

પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)