Categories
વાચન સમૃદ્ધિ

ટૉર્પીડો

નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે ૩૦થી ૪૦ નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા ૩,૫૦૦થી ૯,૦૦૦ મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી તે સીધી રેખામાં પ્રયાણ કરી શકે તે માટે તેના પર ગાયરોસ્કોપ નામક ભ્રમણદર્શક યંત્ર ગોઠવેલું હોય છે. તેની ઊંડાઈ પર નિયંત્રણ રાખી શકે તેવું પણ એક ઉપકરણ તેના પર ગોઠવેલું હોય છે. ફ્યૂમ ખાતેની રૉબર્ટ વ્હાઇટહેડની એક ફૅક્ટરીમાં ૧૮૬૬માં સર્વપ્રથમ વાર ટૉર્પીડો બનાવવામાં આવેલી. ઠંડી સંપીડિત (compressed) હવાથી સાત નૉટની ઝડપે આગળ ધસી શકે તેવી આ ટૉર્પીડોનું નિદર્શન ઘણા દેશો સમક્ષ રજૂ કરવામાં  આવ્યું હતું. ૧૮૮૦ સુધી ૩૦ નૉટની ઝડપે આશરે એક કિમી. સુધી જઈ શકે તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી. વીસમી સદીની શરૂઆતમાં ઠંડી સંપીડિત હવાને બદલે ગરમ હવા દ્વારા ટૉર્પીડોને ગતિ આપવાના પ્રયોગો થયા, જે સફળ નીવડ્યા હતા. આ પદ્ધતિમાં પૅરાફિન, પાણી તથા હવા આ ત્રણેયનું  મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વરાળ અને હવાના મિશ્રણથી ચલાવી શકાય તેવી ત્રિજ્યાની પેઠે પ્રસરતા યંત્રની શોધ શક્ય બની હતી. અમેરિકામાં ઇંધન તરીકે મદ્યાર્કનો ઉપયોગ કરી જલશક્તિથી ચલાવી શકાય તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી.

બે વિશ્વયુદ્ધો દરમિયાન (૧૯૧૮–૩૯) ટૉર્પીડોની રચનામાં ઘણો વિકાસ સધાયો હતો. જર્મનીએ ૧૯૩૯માં વિદ્યુતશક્તિ વડે ચલાવી શકાય તેવી ટૉર્પીડો તેના નૌકાદળમાં દાખલ કરી હતી. સીસું અને તેજાબની બૅટરીથી તેને બળ આપવામાં આવતું. તે ૨૭ નૉટનું અંતર કાપી શકતી તથા ૮૦૦૦ મી. સુધી પ્રસરી શકતી હતી. ૧૯૪૩માં જર્મનીએ શ્રવણક્ષમ ટૉર્પીડોની શોધ કરી તથા તેમાં તારવાહક પદ્ધતિ દાખલ કરી, જેનો ઉપયોગ હવે ભારે વજનવાળી ટૉર્પીડોમાં થાય છે. ટૉર્પીડોની રચના ગમે તે પ્રકારની હોય છતાં ઝડપ અને અવાજ વિના દોડવાની તેની ક્ષમતાની બાબતમાં સબમરીન પર તેની સરસાઈ હોય તે જરૂરનું છે. તેની ઝડપ વધુ હોવી જોઈએ, અવાજ કર્યા વિના નિશાન સુધી પહોંચવાની તથા નિશાનની નજીક પહોંચતાંની સાથે જ નિશાન પર મારો કરવાની ક્ષમતા તેમાં હોવી આવશ્યક છે. પહેલી વાર નિશાન ચૂકી જાય તોપણ ફરી વાર નિશાન પર ધસી જવાની શક્તિ તેમાં હોવી જાઈએ તથા તેના પર સવાર કરવામાં આવેલાં આયુધાગ્રો(warheads)માં મોટા ભાગની સબમરીનોની હોય છે તેવી બે કાંઠાને વીંધવાની ક્ષમતા પણ હોવી જોઈએ. સામાન્ય રીતે ટૉર્પીડો પર પરંપરાગત વિસ્ફોટકો ગોઠવેલા હોય છે, જે સબમરીન પર સીધો મારો કરીને તેનો નાશ કરી શકે છે. અમેરિકાએ MK 45 ટૉર્પીડો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવવાના પ્રયોગો કર્યા, પરંતુ પાછળથી તે પડતા મૂકવામાં આવ્યા. વિઘટિત સોવિયેત સંઘે તેનાં કેટલાંક શસ્ત્રો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવ્યાં હતાં.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટૉર્પીડો, પૃ. ૩૬૦)

Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટૉરન્ટો

કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : ૪૩° ૩૯´ ઉ. અ. અને ૭૫° ૨૩´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી ૨૭.૯૫ લાખ (૨૦૨૧) તથા મહાનગરની વસ્તી ૬૨.૦૨ લાખ (૨૦૨૧) છે. તેના બંદર દ્વારા મુખ્યત્વે અનાજ, માંસ અને પશુઓનો વ્યાપાર કરવામાં  આવે છે. ટૉરન્ટો બંદર ઉપર વર્ષે સરેરાશ ૧.૮૦ લાખ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. તે ઑન્ટેરિયો સરોવરને કિનારે આવેલું હોવાથી તેની આબોહવા પર આગવી અસર થાય છે. શિયાળાનું તાપમાન વારંવાર ૦° સે.થી પણ નીચું જાય છે; પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઠંડામાં ઠંડા મહિના હોય છે. ત્યાં ભારે હિમવર્ષા ભાગ્યે જ થાય છે. જુલાઈ–ઑગસ્ટ ભેજવાળા મહિના હોય છે. તેમાં તાપમાન ૩૦° સે.ની આસપાસ રહે છે.

ટૉરન્ટો શહેર

કૅનેડાના સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળા રાજ્યની આ રાજધાની હોવાને લીધે તેનું અર્થતંત્ર વૈવિધ્યપૂર્ણ છે. અહીં ખનિજો, ઇમારતી લાકડું, પાણી, જળવિદ્યુત અને ખેતપેદાશો જેવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળે છે. વીજળીનાં સાધનો, લોખંડ-પોલાદ, હવાઈ જહાજ, ખેતીનાં સાધનો, ખાદ્ય પદાર્થો પર પ્રક્રમણ, મુદ્રણ અને પ્રકાશન, કાગળ, રબરની બનાવટો વગેરે વિવિધ ઉદ્યોગો આ નગરમાં વિકસ્યા છે. અહીં ૫,૭૦૦ જેટલાં કારખાનાં છે, જે વાર્ષિક સરેરાશ ૭ અબજ યુ.એસ. ડૉલરનો માલ ઉત્પન્ન કરે છે. તેનું શૅરબજાર ઉત્તર અમેરિકાનું ચોથા નંબરનું મોટું શૅરબજાર ગણાય છે. અહીંનો મધ્યસ્થ બજારવિસ્તાર સરોવરની નજીક છે. વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારતોમાંથી ત્રણ અહીં આવેલી છે. વિશ્વમાં ઊંચા ગણાતા ટાવર પૈકીનો એક સી.એન. ટાવર (ઊંચાઈ ૫૩૩ મી.) આ વિસ્તારમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાંથી સ્થળાંતર કરી આવેલા લોકોએ તેને ઉત્તર અમેરિકાનું ગીચ વસ્તીવાળું નગર બનાવ્યું છે. અહીંની કુલ વસ્તી પૈકીની 2/3 વસ્તી ભૂતકાળમાં ઇંગ્લૅન્ડથી સ્થળાંતર કરી આવેલી પ્રજાની વારસદાર છે. ઉપરાંત ઇટાલિયન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ચીની અને ગ્રીક લોકો પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં વસ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધસામગ્રીની વધેલી માગને લીધે ટૉરન્ટોનું ઔદ્યોગિક વિસ્તરણ થયું હતું. અહીં અનેક જોવાલાયક સ્થળો અને પ્રવાસન-કેન્દ્રો વિકસ્યાં છે, જેમાં રૉયલ ઑન્ટારિયો સંગ્રહાલયમાં ચીની કળાના ઉત્તમ નમૂના છે. નગરમાં ૮૨૭ જેટલી ખાનગી કલા-દીર્ઘાઓ (art galleries) આવેલી છે. કૅનેડિયન રાષ્ટ્રીય પ્રદર્શન અહીં કાયમી સંગ્રહાલય છે. હેલી બ્યુરટન હાઈલૅન્ડ, જ્યૉર્જિન ખાડી અને શિકાર-મચ્છીમારી તેમજ કૅમ્પિંગની સુવિધાવાળાં નાનાંમોટાં ઘણાં પ્રવાસન-કેન્દ્રો અહીં આવેલાં છે. વિશ્વ-વિખ્યાત નાયગરા ધોધ અહીંથી ૧૨૮ કિમી. દૂર છે. ૧૭૦૦માં ફ્રેન્ચોએ ટૉરન્ટોને પોતાનું વેપારી મથક બનાવ્યું હતું. ૧૭૮૭માં અંગ્રેજોએ તેનો કબજો મેળવ્યો. ૧૭૯૩માં જ્હૉન સીમકૉકે અહીં બ્રિટિશ સંસ્થાનની વસાહત સ્થાપી અને ડ્યૂક ઑવ્ યૉર્ક પરથી તેને ‘યૉર્ક’ નામ આપ્યું. હાલનું ‘ટૉરન્ટો’ નામ તેને ૧૮૩૪માં આપવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮