Categories
વાચન સમૃદ્ધિ

જેતલપુર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે ૨૨° ૫૪´ ઉ. અ. અને ૭૨° ૩૦´ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ ૧૬ કિમી.ને અંતરે તથા બારેજડીથી ૯ કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા ૮ નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે. જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે ૩૦થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો સ્થાપવામાં આવેલી છે.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો  બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે. ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. ૧૩૩૯ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે ૧૪ જૂન, ૧૬૨૩ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. ૧૮૦૯ સુધી રહ્યું. જેતલપુર મુકામે ઈ. સ. ૧૮૦૯માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે. ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ

Categories
વાચન સમૃદ્ધિ

સરીસૃપ પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈને ચાલતો એક વર્ગ.

 કાચબો

આ પ્રાણીઓ ભીંગડાંવાળી સૂકી ચામડી ધરાવે છે. ફેફસાં વડે શ્વાસ લે છે. કાચબો, કાચિંડો, ગરોળી, મગર, સાપ, ઘો, અજગર વગેરે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ છે. આશરે ૬,૦૦૦ જુદી જુદી જાતિનાં સરીસૃપ પ્રાણીઓ છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : તેઓ પૃષ્ઠવંશી છે, કરોડસ્તંભ ધરાવે છે. તેઓ ફેફસાં વડે શ્વાસ લે છે. મોટા ભાગનાં સરીસૃપો ઈંડાં મૂકે છે, કેટલાંક બચ્ચાને જન્મ આપે છે. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. પાણીમાં રહેતાં સરીસૃપો પણ જમીન પર આવીને ઈંડાં મૂકે છે. આ પ્રાણીઓ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે, પણ વિશેષ કરીને ઉષ્ણપ્રદેશોમાં સવિશેષ. તેઓ ઍન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં તથા બધા સમુદ્રોમાં વસે છે. તેઓ રણમાં, જંગલમાં, જમીનની અંદર તથા દરિયા કે અન્ય જળાશયના પાણીમાં પણ વસે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરી શકતાં નથી, તેથી ઉષ્ણપ્રદેશમાં તેઓ પથ્થરની નીચે કે છાંયડામાં રહે છે. તેમને પર્યાવરણ પર આધાર રાખવો પડે છે. અતિ ઉષ્ણપ્રદેશમાં તેઓ રાત્રે જ બહાર નીકળે છે. ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ શીતનિદ્રા (hibernation) લઈ લે છે. આમ અતિશય ઠંડી અને ગરમીથી બચવાનો તેમનો પ્રયત્ન હોય છે.

મગર

તેઓના કદમાં પણ મહાકાય અજગર, મગરથી માંડી નાની અમથી ગરોળીઓનો પણ સમાવેશ થાય છે. સરીસૃપવર્ગમાં સૌથી મોટામાં મોટું પ્રાણી છે એનાકોન્ડા સાપ(દક્ષિણ અમેરિકા). એશિયા ખંડમાં મહાકાય અજગર (૧૦ મીટર) તથા મહાકાય મગર (૭ મીટર લાંબા) મળે છે. આ વર્ગનાં સૌથી વજનદાર પ્રાણીઓ કાચબાઓમાં મળે છે. અમુક પ્રકારના કાચબા ૧ ટન સુધીનું વજન ધરાવે છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કેટલાંક ખૂબ લાંબું જીવે છે. ઘણા કાચબા લગભગ ૧૦૦ વર્ષ જીવે છે. માદા પોતાનાં ઈંડાં જમીનમાં ખાડો ખોદીને અથવા પાંદડાંના ઢગલામાં મૂકે છે. જ્યાં સૂર્યની ગરમી કે સડતાં પાંદડાંની ગરમીથી ઈંડાં સેવાય છે. આ વર્ગનાં પ્રાણીઓ ઈંડાં કે બચ્ચાંની કાળજી નહીંવત્ લે છે. મોટા ભાગે તેઓ વધારે સંખ્યામાં ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મે ત્યારે તેમનાં મા-બાપ જેવાં લાગે છે અને જન્મ થતાં જ સ્વતંત્ર રીતે રહી શકે તેવાં તે હોય છે. સરીસૃપો પોતાના શરીર પરની ચામડી વર્ષમાં એકાધિક વાર ઉતારે છે. — તેને ‘કાંચળી ઉતારવી’ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પૃથ્વી પર સરીસૃપ વર્ગનાં ઘણાં પ્રાણીઓ હતાં. ડાયનોસૉર સરીસૃપ વર્ગનાં મહાકાય પ્રાણીઓ હતાં. પૃથ્વી પર ત્યારે સરીસૃપનું જ રાજ હતું. કોઈ કારણસર તેમનો નાશ થયો. હાલમાં ચાર મુખ્ય જાતિઓ કાચબો, ગરોળી, સાપ અને મગર રહ્યાં છે. ઘણાં મનુષ્યોને સરીસૃપ પ્રાણીઓની બીક લાગે છે. ખરું જોતાં તે પ્રાણીઓ મનુષ્યથી ડરતાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ નિરુપદ્રવી હોય છે. જોકે મગર તથા અમુક ઝેરી સાપ મનુષ્ય માટે ભયજનક છે. મનુષ્યો મગર, સાપ અને ગરોળીને તેમની ચામડી માટે મારી નાખે છે, તેમાંથી કમરપટ્ટા, પર્સ, પાકીટ વગેરે બનાવાતાં હોય છે. હવે ઘણાંબધાં પ્રાણીઓ નામશેષ થઈ ગયાં હોવાથી તેમના શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. મગર, કાચબા, સાપ જેવાં સરીસૃપો પાણીમાં રહેવા છતાં જમીન ઉપરનાં પ્રાણીઓ ગણાય છે, કેમ કે તે બધાં ભૂસ્તર પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ પોતાનાં ફેફસાં વડે જ લે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જેટ પ્રપલ્શન લૅબોરેટરી(JPL),

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ ૧૯૩૬માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી ૧૯૩૦થી ૧૯૪૯ સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ પડે એવી પ્રયોગશાળાની સ્થાપના કરવાનું વિચાર્યું અને અમેરિકાની તત્કાલીન સરકારે તેને માટે સહાય પણ આપી. ૧૯૩૦ના અરસામાં આ સંસ્થાએ અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડ(૧૮૮૨–૧૯૪૫)ને રૉકેટ અંગેના એમના પ્રારંભિક પ્રયોગો માટે મદદ કરી હતી; પરંતુ તેની વિધિસર સ્થાપના ૧૯૩૬માં થઈ. ૧૯૪૪થી તે ‘જેટ પ્રપલ્શન લૅબોરેટરી’ તરીકે ઓળખાય છે.

જેટ પ્રપલ્શન લૅબોરેટરી

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જેપીએલ મોટા સંશોધન-મથકમાં ફેરવાઈ અને મુખ્યત્વે તેનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં થતો હતો. રશિયાના સ્પુટનિક પછી દુનિયાનો બીજો અને અમેરિકાનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘એક્સપ્લૉરર ૧’ આ જ પ્રયોગશાળામાં તૈયાર થયો હતો. આ ઉપગ્રહ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ પૃથ્વીની આસપાસ તરતો મૂકવામાં આવ્યો હતો. પાછળથી એ જ વર્ષના અંતે એટલે કે ૧ ઑક્ટોબર, ૧૯૫૮ના રોજ અમેરિકાના ‘નાસા’(નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થતાં આ સંસ્થાને એમાં ભેળવી દેવામાં આવી, પણ તેનું સંચાલન ‘નાસા’ વતી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)ને સોંપવામાં આવ્યું.

આ સંસ્થા ‘નાસા’ના ‘ડીપ-સ્પેસ નેટવર્ક’(DSN)નું મહત્ત્વનું મથક છે. સૌરમાળાના ગ્રહો, ઉપગ્રહો કે પછી ચંદ્ર, હેલીનો ધૂમકેતુ જેવા સૂર્ય-પરિવારના પિંડો તરફ જનારાં અન્વેષી-યાનો સાથે સંદેશાવિનિમય કે સંદેશાવ્યવહાર જાળવણીની કામગીરી અહીંથી થાય છે. આ માટે એક મુખ્ય રેડિયો-ઍન્ટેના કૅલિફૉર્નિયામાં ગોલ્ડસ્ટોન ખાતે આવેલું છે. તેનો વ્યાસ ૬૪ મીટર છે. એની સાથે બીજાં ૨ સહાયક રેડિયો-ઍન્ટેના પણ ગોઠવેલાં છે; તેમનો વ્યાસ ૨૬ મીટર છે. ‘ડીપ-સ્પેસ નેટવર્ક’ અંતરિક્ષ-યાનો સાથે સંદેશાવ્યવહાર સ્થાપવા ઉપરાંત, ઘણા રેડિયો-પ્રયોગોમાં પણ પ્રયોજાય છે, જેમાં ગ્રહની સપાટીનો રડાર વડે અભ્યાસ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં માનવવિહોણાં આંતરગ્રહીય (interplanetary) અંતરિક્ષ-અન્વેષી યાનો બનાવવામાં, વિકસાવવામાં અને એમના સંચાલનમાં આ સંસ્થાનો ફાળો બહુ મોટો છે. ૧૯૫૮થી આ સંસ્થાએ રેન્જર સર્વેયર, મરિનર જેવાં વિવિધ અન્વેષી-યાનો બનાવ્યાં છે. તે ઉપરાંત વાઇકિંગ, વૉયેજર, ગૅલિલિયો અને મૅગેલન જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લગતી સઘળી કે કેટલીક કામગીરી પણ અહીંથી જ કરવામાં આવી હતી. આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સંશોધન ઉપરાંત, અંતરિક્ષ-યાન કે રૉકેટના પ્રણોદન(propulsion)ને લગતું સંશોધન પણ થાય છે. વધુમાં આ સંસ્થા કૅલિફૉર્નિયાના ટેબલ માઉન્ટન ખાતેની એક ખગોળીય વેધશાળાનું પણ સંચાલન કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

સુશ્રુત પટેલ