Categories
વાચન સમૃદ્ધિ

જિનીવા

સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન ૪૬° ૧૨´ ઉ. અ. અને ૬° ૦૯´ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર ૧૮ ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર ૨૮૨ ચોકિમી. છે. તેની વસ્તી ૪,૨૭,૩૯૬ (૨૦૦૪) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું.

જિનીવા વિશ્વવિદ્યાલય

સેન્ટ પીટરનું દેવળ

બે હજાર વર્ષ જૂના આ નગરનો ૧૯૪૫ પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્ત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅન્કો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી ૧૫૫૯માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. ૧૮૬૪માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા ૧૯૧૯માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, ૧૯૫૪માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ ૧૯૫૫માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ ૧૯૬૨–૬૩માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જિનીવા, પૃ. ૭૭૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીલંકા

ભારતની દક્ષિણે આવેલો એક પડોશી દેશ.

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ છાજલી પર આશરે ૩૫ કિમી. દૂર આવેલો નાનો ટાપુરૂપ દેશ છે. તે લગભગ ૫ ૫૫´થી ૯ ૫૦´ ઉ. અ. તથા ૭૯ ૪૨´થી ૮૧ ૫૨´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની ચારે બાજુ સમુદ્ર છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર મોતી અથવા નાળિયેર જેવો છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દી મહાસાગરમાં થઈને વિષુવવૃત્તની રેખા પસાર થાય છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬૫,૬૧૦ ચોકિમી. જેટલું છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ ૪૩૫ કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે ૨૪૦ કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તે ૧૫૦૦ કિમી. લાંબો સમુદ્રતટ ધરાવે છે. તેની વસ્તી આશરે ૨,૦૮,૧૦,૮૧૬ (૨૦૧૭) જેટલી છે.

કોલંબો

શ્રીલંકા અને ભારત વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જેમાં બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. ધનુષ્કોડી (ભારત) અને તલાઈમનાર (શ્રીલંકા) વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેના સાથે આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા ભેજવાળા ભાગોમાં સદાહરિત જંગલો આવેલાં છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. નદીકિનારા પાસે વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીલંકામાં જોવા મળતાં પ્રાણીઓમાં સ્લોથ બૅર (રીંછ), હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં અને સ્લેન્ડર લૉરિસ મુખ્ય છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં વિશિષ્ટ પ્રકારના હાથી થાય છે. સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા એ અહીંની વિશિષ્ટ જાત છે. અહીં ચામાચીડિયાની ૨૮ જાતો જોવા મળે છે. તે સિવાય અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્ત્વનાં છે. નદીઓ તથા સમુદ્રમાં સંખ્યાબંધ મગર જોવા મળે છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે સામાન્ય છે. પાટનગર કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું નગર તથા બંદર છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જાલોર

રાજસ્થાનના ૩૩ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન ૨૫ ૨૧´ ઉ. અ. ૭૨ ૩૭´ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે બાડમેર જિલ્લો, પૂર્વ તરફ પાલી અને શિરોહી જિલ્લાઓ અને ઉત્તર તરફ જોધપુર જિલ્લો છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૬૪૦ ચોકિમી. અને વસ્તી ૧૮,૩૦,૧૫૧ (૨૦૧૧) છે. જાલોર જિલ્લાનો મોટો ભાગ શુષ્ક રણપ્રદેશ છે. વચ્ચે રેતીના ઢૂવા અને છૂટીછવાઈ ટેકરીઓ આવેલાં છે. આ ટેકરીઓ આશોર, દોરા, ભીનમાલ અને બકવાસ આસપાસ આવેલી છે. ઊંચાઈ આશરે ૭૩૬ મી. છે. આ પ્રદેશમાં થઈને જાવાઈ, ખારી, સાગી અને સુકલ નદીઓ વહે છે જે લૂણીને મળે છે. અહીં ઉનાળામાં મે માસમાં તાપમાન ૪૪ સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં ૮ સે. રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોવાથી આબોહવા વિષમ છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. પ્રદેશમાં ૨૫૦ મિમી.થી ૫૦૦ મિમી. વરસાદ પડે છે પણ તે અનિયમિત પડે છે. ઉનાળાની શરૂઆતમાં વાવાઝોડાને કારણે રેતી ખૂબ ઊડે છે. વરસમાં આવાં ૯થી ૧૫ જેટલાં વાવાઝોડાના પ્રસંગો બને છે.

જાલોરનો કિલ્લો

અહીં ઘાસનાં બીડ તથા કાંટાવાળાં, ઊંડાં મૂળવાળાં કુમતા, હિંગોર, આલર, રોહીડા, ગોલ, લીંબડો, જાળ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. રીંછ, શિયાળ, જંગલી બિલાડી, લોંકડી, છીંકારાં, સસલાં, રોઝ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ચકલી, બુલબુલ, બયા, પોપટ, કોયલ, ગીધ, કાબર, કાગડો વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત, કાળોતરો નાગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મારવાડી ઘેટાં-બકરાં સારી ગુણવત્તાનું ઊન આપે છે. જાલોરી ગાય અને જાલોરી ઘોડા સારી ઓલાદનાં છે. અહીં ફીલાઇટ, શિસ્ટ, આરસ, ક્વાર્ટ્ઝાઇટ, ગ્રૅનાઇટ અને રહાયો- લાઇટ મુખ્ય ખડકો છે. ગુલાબી અને ભૂખરા ગ્રૅનાઇટ અને જાલાની રહાયોલાઇટ પથ્થરો જાણીતા છે. થોડા પ્રમાણમાં ફ્લોરાઇટ પણ મળે છે. જિલ્લામાં ૬,૦૭,૫૫૦ હેક્ટરમાં ખેતી થાય છે, જ્યારે ૧૭,૦૪૪ હેક્ટરમાં જંગલો છે. ૨,૫૧,૨૬૧ હેક્ટર જમીન ગૌચરની અને પડતર છે. જુવાર, બાજરી, ચણા, કઠોળ અને ઘઉં મુખ્ય પાક છે. પાણીની સગવડ હોય ત્યાં ડાંગર ને તમાકુ થાય છે. જિલ્લામાં જાવાઈ નદી ઉપર બંધ બાંધીને નહેરો વાટે ખેતી માટે પાણી અપાય છે. કૂવા દ્વારા મુખ્યત્વે સિંચાઈ થાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે લઘુઉદ્યોગો આવેલા છે. આહોરમાં પાવરલૂમ ઉપર સુતરાઉ કાપડ વણાય છે. ભીનમાલમાં તેલની મિલ છે. જાલોરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે સાંચોરમાં લાકડાની વસ્તુઓ બને છે. ગુજરાતમાંથી અમદાવાદ-પાલનપુર અને આબુરોડથી જતી મીટર ગેજ રેલવે જાલોર થઈને પાકિસ્તાનની સરહદે બાડમેર સુધી જાય છે. બાડમેરથી બિશનગઢ, સંગેરાવ અને બરનેસરથી કેનિયા થઈને સાંચોર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ જાય છે. જાલોર, ભીનમાલ, આહોર અને સાંચોર જિલ્લાનાં મુખ્ય શહેરો છે. વરાહ શ્યામ, ચંડીનાથ મહાદેવ, હનુમાનજી તથા ચામુંડાનાં મંદિરો ચૌહાણ રજપૂતોએ બંધાવ્યાં છે. ભીનમાલ કે ભિન્નમાલ ઉર્ફે શ્રીમાલ ગુર્જર પ્રતિહાર રાજાઓની રાજધાનીનું શહેર હતું અને અહીંથી શ્રીમાળી બ્રાહ્મણ, વણિકો, સોની તથા પોરવાડ વણિકો વગેરે સ્થળાંતર કરી ગુજરાતમાં વસ્યા હતા. સાંચોર અને જાલોરના બ્રાહ્મણો ગુજરાતમાં વસ્યા હતા. તે રેલવે દ્વારા તથા રસ્તા દ્વારા જોધપુર સાથે જોડાયેલું છે. ખેતીના પાકો માટેનું મુખ્ય બજાર કે વેપારી કેન્દ્ર છે. બારમી સદીમાં ચૌહાણ રાજપૂતોની રાજધાનીનું શહેર હતું. ૧૩૧૦માં અલ્લાઉદ્દીન ખલજીએ જીતી લીધું. શહેરના બહારના ભાગમાં અગિયારમી સદીનો કિલ્લો છે. તેનું પ્રાચીન નામ જાબાલિપુર છે અને તે જૈન ધર્મનું કેન્દ્ર હતું. જિલ્લાનું વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે. રામદેવજી અને સુધામાતાના મેળા ભાદરવા સુદ તેરસથી પૂનમ દરમિયાન ભરાય છે. આ ઉપરાંત જાલોર, ચનોદર, મુન્થાલી અને સિળિમાં શીતળા માતાના મેળા ભરાય છે. સતી માતાનો મેળો પણ પ્રખ્યાત છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંકરલાલ ત્રિવેદી