Categories
વાચન સમૃદ્ધિ

ટેમ્પરા ચિત્રકળા

એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાંની જરદીનો ઉપયોગ થઈ શકે. ટેમ્પરા ચિત્રશૈલીમાં મોટે ભાગે  ઈંડાંની જરદી જ વિશેષ વપરાતી હતી. ટેમ્પરાનું આવું મિશ્રણ કાગળ, કૅન્વાસ, તેલનો હાથ મારેલું લાકડું અથવા સલ્લો (plaster) કરેલી સપાટી પર લગાડી શકાય. ચિત્રકામની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ ઇજિપ્ત, ગ્રીસ તથા રોમની પ્રજામાં વ્યાપક પ્રચારમાં હતી. ચીટકવાનો ગુણધર્મ લાવવા માટે ઈંડાંનો સૌપ્રથમ ઉપયોગ બાઇઝન્ટાઇન પ્રજાએ કર્યો. ત્યારથી લગભગ આખી પંદરમી સદી સુધી આ ચિત્રશૈલીનો બહોળો પ્રસાર રહ્યો.

ટેમ્પરા ચિત્રશૈલીમાં દોરાયેલું એક ચિત્ર

ટેમ્પરાની વિશેષતા એ છે કે તે જલદી સુકાઈ શકે છે અને જળદ્રાવ્ય બનતું અટકી જાય છે; આથી રંગનાં ઘણાં અસ્તર લગાડી શકાય છે અને અર્ધપારદર્શક ઉપરાઉપરી પડના પરિણામે આ શૈલીનાં ચિત્રોમાં અનેરી તેજસ્વિતા ઊભરી આવે છે. જોકે આ પ્રકારના ક્રમિક ચિત્રાંકનમાં ચિત્રકારે ખૂબ ધીરજ તથા પૂર્વતૈયારી દાખવવી પડે છે અને તેમાં સ્ફૂર્તિલી સર્જનાત્મકતા તથા આકારોની તરલતાને અવકાશ રહેતો નથી. અલબત્ત, ટેમ્પરામાં રંગછટાનું વૈવિધ્ય તથા વિગતોની ઝીણવટ સહેલાઈથી આલેખી શકાય છે. પ્રારંભિક સમયથી તે છેક આખી પંદરમી સદી દરમિયાન સહિયારી કાર્યશાળા રૂપે ચિત્રો તૈયાર કરવાની જે પ્રથા હતી તેને માટે આ સુયોગ્ય શૈલી હતી. ટેમ્પરાની વ્યાપક લોકપ્રિયતા દક્ષિણ યુરોપમાં છેક ૧૫૦૦ સુધી રહી, પરંતુ ઉત્તર યુરોપના કલાકારોએ પંદરમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા સાથે તૈલી પદાર્થોના મિશ્રણના પ્રયોગો કરવા માંડ્યા. જૅન વૅન આઇક તૈલી રંગોના શોધક ગણાય છે. તેમણે રંગો સાથે તેલ તથા ઈંડાંનું મિશ્રણ કરવાની પહેલ કરી. તેને પગલે સોળમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા ચિત્રશૈલીના સ્થાને તૈલચિત્રોની શૈલીનો વ્યાપક પ્રસાર થયો. છેક વીસમી સદીમાં કેટલાક અનુ-સંસ્કારવાદી (post-impressionist) કલાકારોએ આ શૈલીમાં અનેકવિધ પ્રયોગો કરીને તેમાંની મનોરમ ખૂબીઓનું નવેસર સર્જન કર્યું. એમાં શાન તથા ઍન્ડ્રૂ વાઇથ અગ્રેસર છે. ભારતમાં પ્રાચીન કાળથી ચિત્રાંકનની ચાર પદ્ધતિઓ વિશેષ રૂપે જોઈ શકાય છે : તેમાં ઈંડાંની જરદીનો ઉપયોગ મુઘલકાલીન ચિત્રો સિવાય બહુ ઓછો થયો છે; પણ તેમાં ગુંદર, ખીરું, સરેશનો ઉપયોગ થયેલો છે. એ રીતે આ ચિત્રોને સાદા ‘ટેમ્પરા’ કહી શકાય. તે પરંપરામાં (૧) ભીંત પરનાં રંગચિત્રો, (૨) કપડાનાં ઓળિયાં પરનું રંગચિત્રાંકન, (૩) લાકડાની પાટી પર રંગચિત્રો, પત્ર પર ચિત્રો તથા (૪) કાગળ પરનાં ચિત્રો – તેમનો ઉલ્લેખ કરી શકાય. ભીંત પર રંગચિત્રો આલેખવાની પદ્ધતિ બુદ્ધકાળમાં વ્યાપક હતી; જેમ કે, જોગીમારા, અજંતા. વસ્ત્રપટ પર ચિત્રાંકનનું ચલણ મૌર્યકાલ શુંગકાળમાં હતું, જેમાં ખાદીના વેજાને દૂર્વાના રસનો પાસ આપી તે પછી રાંધેલા ભાતના ઓસામણની ખેળ ચડાવી ઉપર ગાળેલી ખડીનું અસ્તર લગાવી તેના પર ચિત્રાંકન થતું. લાકડાની પાટીને છોલી, ઘસીને તેના પર ભાતના ઓસામણનો લેપ કરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી ધવનો ગુંદર ઉમેરેલા મિશ્રણથી ચિત્રાંકન થયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેમ્પરા ચિત્રકળા, પૃ. ૩૧૭)

Categories
વાચન સમૃદ્ધિ

ટૅક્સાસ

છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : ૨૬° ઉ. અ. થી  ૩૬° ઉ. અ. અને ૯૪° પ. રે. થી ૧૦૬° પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં સૌથી મોટાં ક્ષેત્રો આ રાજ્યમાં આવેલાં છે. ક્ષેત્રફળ ૬,૭૮,૦૫૧ ચોકિમી. તથા વસ્તી ૩,૧૨,૯૦,૦૦૦ (૨૦૨૪, આશરે). આ રાજ્યની પૂર્વમાં લ્યુઇઝિયાના અને ઈશાન તરફ આરકાન્સાસ રાજ્યો આવેલાં છે. તેની દક્ષિણે મેક્સિકોની આંતરરાષ્ટ્રીય સરહદ અને મેક્સિકોના અખાતની જળસીમા આવેલી છે, જ્યારે તેની ઉત્તરે ઓક્લોહોમા અને પશ્ચિમે ન્યૂ મેક્સિકો રાજ્યો આવેલાં છે. નદીઓના મેદાની પ્રદેશમાં આવેલા આ રાજ્યની જમીન કાંપની બનેલી છે. રિઓ-ગ્રાન્ડ નદી ટૅક્સાસ રાજ્ય અને મેક્સિકો દેશની જળસીમા બનાવે છે, જ્યારે ઉત્તરે રેડ નદી ઓક્લોહોમા અને લ્યુઇઝિયાના રાજ્યને ટૅક્સાસથી જુદાં પાડે છે.

કપાસનું ઉત્પાદન

રાજ્યમાં આવેલા સાન ઍન્ટોનિયો, કૉર્પસ ક્રિસ્ટી, હ્યૂસ્ટન, ડલાસ, બિગ સ્પ્રિંગ, એલ્પાસો શહેરો અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. નિગ્રો લોકોની સવિશેષ વસ્તી ધરાવતું આ રાજ્ય ગુનાઇત પ્રવૃત્તિઓ માટે સમગ્ર યુ.એસ.માં જાણીતું છે. કપાસ, મકાઈ અને ઘઉંનાં ખેતરોથી લીલુંછમ આ રાજ્ય આર્થિક સમૃદ્ધિમાં યુ.એસ.માં અગ્રસ્થાન ધરાવે છે. કૃષિઆવકમાં રાજ્યના પશુધનનો ફાળો અડધોઅડધ હોય છે. રાજ્યમાં યંત્રો, વાહનવ્યવહારનાં ઉપકરણો, વીજળીનાં સાધનો, રસાયણો, ખાદ્ય પ્રક્રમણ તથા ખનિજતેલની પેદાશોના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખનિજોમાં (ખનિજ)તેલ તથા કુદરતી વાયુનો જથ્થો સારા પ્રમાણમાં  મળે છે. રિયો-ગ્રાન્ડ એ રાજ્યની સૌથી મોટી નદી છે, જે ઉત્તર અમેરિકાની મોટી નદીઓમાંની એક છે. રાજ્યમાં ઘણાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલાં સરોવરો છે. પશ્ચિમ તરફના પ્રદેશમાં ઘણાં સરોવરો એવાં છે જેમાં માત્ર તોફાની વરસાદને લીધે જ પાણી હોય છે. કૃત્રિમ સરોવરના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે થાય છે. લગભગ દસ વર્ષ સુધી (૧૮૩૫–૪૫) સ્વતંત્ર પ્રજાસત્તાક ઘટક તરીકે રહ્યા બાદ ૧૮૪૫માં તેને અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકે સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. માર્ચ, ૧૮૬૧માં આ રાજ્ય અમેરિકાના સંઘમાંથી અલગ થઈ ‘કૉન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’માં સંલગ્ન રાજ્ય તરીકે ફરી સંઘમાં જોડાઈ ગયું. અમેરિકાના અંતરિક્ષ કાર્યક્રમમાં આ રાજ્યનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ૧૯૬૯માં અંતરિક્ષ યાન ‘ઍપોલો ૧૧’ રાજ્યના હ્યૂસ્ટન નગરની પડખે આવેલા ‘નાસા’ના મુખ્ય મથકથી છોડવામાં આવ્યું હતું તેના દ્વારા માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિદ્ધપુર

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર સિદ્ધપુર મહેસાણાની ઉત્તરે મુખ્ય રેલમાર્ગ પર સરસ્વતી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. પ્રાચીન કાળમાં તેનું નામ ‘શ્રીસ્થલ’ હતું. સોલંકી-વંશના સ્થાપક મૂલરાજના સમયમાં પણ તે નામ પ્રચલિત હતું. પુરાણો તથા મહાભારતમાં તેનો મહત્ત્વના તીર્થ તરીકે ઉલ્લેખ છે. મૂલરાજ સોલંકીએ અહીં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી ‘સિદ્ધપુર’ તરીકે જાણીતું થયું. બીજા મંતવ્ય પ્રમાણે અહીં સાંખ્યના આચાર્ય ભગવાન કપિલમુનિનો આશ્રમ હતો. ત્યાં તેમણે માતા દેવહૂતિને ઉપદેશ કરેલો. કપિલમુનિ સિદ્ધોના પરમ પુરુષ ગણાતા હોઈ ૧૩મી-૧૪મી સદીમાં ‘સિદ્ધપુર’ નામ પ્રચલિત થયું. ઈ. સ. ૧૫૩૯માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજીસાહેબ યૂસુફ બિન સુલેમાને અહીં સિદ્ધપુરમાં આવી પોતાના ધર્મની ગાદી સ્થાપી.

સિદ્ધપુરમાં રુદ્રમાળ

હાલનું સિદ્ધપુર શહેર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાધામ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગરમાં છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. આ નગર ભારતભરમાં જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે જાણીતું છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમ જ ઇજનેરી ઉદ્યોગને લગતા એકમો આવેલા છે. અહીં શિક્ષણસંસ્થાઓ, બૅંકો, આરોગ્ય-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં ઘણાં મકાનો આવેલાં છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વ-વિરાસત(‘વર્લ્ડ હેરિટેજ’)ની યાદીમાં કર્યો છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ૧૧મી સદીમાં મૂલરાજે બંધાવેલા રુદ્રમાળ કે રુદ્રમહાલય નામના ભવ્ય શિવાલયના અવશેષો ઉલ્લેખનીય છે. આ રુદ્રમાળને ભારતના પુરાતત્ત્વખાતાએ મહત્ત્વ આપ્યું છે. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. વળી રાજવિહાર નામે જૈનમંદિર, મૂલનારાયણ સ્વામી વૈષ્ણવ મંદિર, ગોવિંદમાધવનું મંદિર, સિદ્ધેશ્વર તથા નીલકંઠ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક તથા પ્રાચીન બ્રહ્માણી મંદિર પણ દર્શનીય છે. અહીં અલર્ક ગણેશની યાદ આપતાં ચકલો અને કૂઈ પણ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી