Categories
વાચન સમૃદ્ધિ

અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ખાતે કુદરતી રીતે થોડા સમયગાળા માટે બનતું બરફનું શિવલિંગ. શ્રીનગરની ઈશાને ૧૩૮ કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં ૩,૮૨૫ મીટરની ઊંચાઈ પર કુદરતી રીતે બનેલી ગુફામાં તેનું સ્થાનક છે. ૪૫ મીટર ઊંચી ગુફામાં શ્રાવણી પૂનમને દિવસે આ શિવલિંગ ૪ મીટર જેટલી મહત્તમ ઊંચાઈનું હોય છે. શ્રાવણી સુદ પડવાથી તેના વધવાની અને શ્રાવણ વદ પડવાથી તેના ઘટવાની શરૂઆત થાય છે. શ્રાવણી અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે, જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફની બીજી બે રચનાઓ બને છે, જે પાર્વતી અને ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચડાવે છે. ગુફાની આજુબાજુ લિહાર ખીણની પર્વતમાળા છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. શ્રાવણ સુદ પાંચમે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. છડી મુબારક સાથે આગળના સ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથનું શિવલિંગ, અમરનાથના દર્શને જતા યાત્રીઓ

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (૧) શ્રીનગરથી ૬૫ કિમી. પર આવેલા પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ. (૨) શ્રીનગરથી ૬૧ કિમી. પર આવેલા બાલતાલથી અમરનાથ. આ રસ્તો ટૂંકો પણ વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુઓ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે. હિંદુઓના આ યાત્રાધામ અમરનાથની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી આજે પણ તેની કુલ આવકનો અમુક હિસ્સો આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે. જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી બીજી યાત્રાઓ અધૂરી છે એવી એક માન્યતા હિંદુ સમાજમાં પ્રચલિત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ત્ર્યંબક

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 18,000 (2026, આશરે) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું, જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર તરીકે જાણીતું થયું. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – આ ત્રણે દેવતાઓનું પ્રતીક ગણાય છે. ત્ર્યંબકેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણાં મંદિરો છે; જેમાં શ્રીકૃષ્ણ, શ્રીરામ, પરશુરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિરો મુખ્ય છે. ગામની ઉત્તરે આશરે એક કિમી. અંતરે નીલપર્વત નામની એક ટેકરી છે જેના પર નીલાંબિકા દેવીનું મંદિર છે. બ્રહ્મગિરિ નામક જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે તે પર્વત ગોદાવરી નદીનું ઉદ્ગમસ્થાન છે. પર્વત પર એક કિલ્લો પણ છે. પર્વતના ઢાળ પર નાથપંથીઓનો મઠ છે જ્યાં નાશિકના કુંભમેળા સમયે નાથપંથના અનુયાયીઓ ભેગા થાય છે. પર્વતની તળેટીએ જ ગંગાસાગર નામક જળાશયના પશ્ચિમ તરફના તટ પર જ્ઞાનેશ્વરના મોટા ભાઈ નિવૃત્તિનાથની સમાધિ છે.

ત્ર્યંબકેશ્વર મંદિર, ત્ર્યંબક

કારતક પૂનમ, નિવૃત્તિનાથની પુણ્યતિથિ, પોષ વદ એકાદશી અને માઘ માસની શિવરાત્રી – દિવસોએ આ ગામમાં મોટા મેળા ભરાય છે. 1866થી ગામની નગરપાલિકા સ્થપાઈ. હવે આ ગામમાં શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ગ્રંથાલય, નગરગૃહ, નગર-ઉદ્યાન વગેરે અદ્યતન સુવિધાઓ છે. ત્ર્યંબકેશ્વરના મંદિર વિશે ઘણી પુરાણકથાઓ પ્રચલિત છે. આ મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. મંદિરનો કુલ વિસ્તાર 80.7 × 66.91 મી. છે. તેની આસપાસના કોટનો વિસ્તાર 80.77 × 66.45 મી. જેટલો છે. મંદિરમાંના શિવલિંગની વિશેષતા એ છે કે તે પિંડીની અંદર છે. અને તેની તડમાંથી સતત પાણી ઝરતું હોય છે. શિવલિંગની સામે શુભ્ર પાષાણનો નંદી છે. મંદિરની પાછળના ભાગમાં પવિત્ર જળનો કુંડ છે. મંદિરની દીવાલોના બહારના ભાગ પર સુંદર મૂર્તિઓ કંડારેલી છે. પહેલા પેશવા બાળાજી બાજીરાવે (1740–61) આ મંદિર બંધાવ્યું હતું અને છેલ્લા પેશવા બાજીરાવ-બીજાના દત્તક પુત્ર નાનાસાહેબના સમય દરમિયાન (1851–57) જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

અભયારણ્ય

વન્ય પ્રાણીઓના ભયમુક્ત વિહાર અને નિસર્ગ તથા વનસંપત્તિના જતન અને રક્ષણ માટેનું અનામત સ્થળ કે વિસ્તાર. ભારતના બંધારણમાં વન્ય જીવનને બચાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે દેશની નૈસર્ગિક વનસંપત્તિ અને પ્રાણીસૃષ્ટિનાં જતન અને સંરક્ષણ માટે ખાસ રક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે ઓળખાય છે. આ જોગવાઈને આધારે ત્યાં વસતા વન્ય જીવોને પૂરતું રક્ષણ મળે છે. આ માટેની કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનારને સજા થાય છે. વન અને વનમાંની પ્રાણીસૃષ્ટિ ભારતની અણમોલ રાષ્ટ્રીય સંપત્તિ છે. માનવ, પશુ-પક્ષી, વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય અથવા તેમનો નાશ થાય, તો તેની વિપરીત અસર મનુષ્યજાતિ પર પણ થાય છે. આથી જ અમુક પ્રાણી અથવા વનસ્પતિની કોઈ જાત નામશેષ થવાની સ્થિતિમાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જતું હોવાનો તેમાં સંકેત છે. આથી જ વન્ય જીવજાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને જ દેશના વિકાસની યોજના ઘડાય છે.

કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતમાં અત્યારે ૫૫૬ અભયારણ્યો અને ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી. કેટલાંક ખાસ પ્રાણીઓની જાળવણી માટે છે; જેમ કે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે છે. ત્યાં સિંહ ઉપરાંત જોવા મળતાં બીજાં પ્રાણીઓમાં દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભુંડ, જરખ તેમ જ વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વેળાવદરમાં અભયારણ્યનું મુખ્ય પ્રાણી કાળિયાર છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા તથા ઉત્તરાંચલમાં આવેલું કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના વન્ય જીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે. કાન્હામાં વાઘ, દીપડા, ચિત્તલ, સાબર, બારાસિંગ, જંગલી ભુંડ, મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, જરખ, રીંછ વગેરે પશુઓ અને પક્ષીઓની ૨૦૦ જાતિઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અભયારણ્ય, પૃ. 34)