Categories
વાચન સમૃદ્ધિ

ત્રિચુર (ત્રિશુર)

ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક તે 10° 52´ ઉ. અ. અને 76° 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ ઘાટ સીમા બનાવે છે. ઐતિહાસિક મલબાર કિનારાનો થોડો ભાગ પણ આવેલો છે. આ જિલ્લાની કુરુવન્નુર નદીની શાખાઓ પેરિયાર, ચલાકુડી અને કુરુવન્નુર તેમજ પોન્નાની નદી મુખ્ય નદીઓ છે. અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ(ઊંચાઈ આશરે 30 મીટર)ની વિશાળતા અને સૌંદર્યને કારણે ‘ભારતનો નાયગરા’ કહેવામાં આવે છે. આ જિલ્લાનો વિસ્તાર 3,032 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે 32,80,000 (2025) છે. જિલ્લાને વહીવટી દૃષ્ટિએ 7 તાલુકામાં વિભાજિત કરેલ છે. સાક્ષરતાનું પ્રમાણ 95.32% છે.

અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. માર્ચથી મે માસ ઉનાળાની ઋતુ અનુભવાય છે. વરસાદની માત્રા 3000 મિમી. જેટલી રહે છે. આ જિલ્લામાં આવેલાં જંગલો નિત્ય લીલાં અને ભેજવાળાં પાનખર જંગલોનું મિશ્રિત સ્વરૂપ છે. અહીં ભેજનું પ્રમાણ 80% કરતાં વધુ છે. વાંસનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ સરગવો, આમલી, રોઝવુડ, કદમ, કુસુમ, ભારતીય ચેસ્ટનટ જેવાં વૃક્ષો અધિક છે. ફળાઉ વૃક્ષોમાં ફણસ, કેરી, નાળિયેરી, સોપારી જ્યારે બાગાયતી ખેતીમાં રબર, ચા, કૉફી, મરી, લવિંગ, ઇલાયચી વગેરે છે. અહીં ખેતી લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. જમીનનો રંગ કાળો, ભૂરો કે લાલ રંગનો હોય છે. આ જમીનમાં પોટાશ, ફૉસ્ફરસ તત્ત્વોની ઊણપ હોય છે. આવી જમીનમાં રબર, ચા, કૉફી, મસાલા, ફળો, શાકભાજીની ખેતી ‘બાગાયતી ખેતી’ સ્વરૂપે લેવાય છે. ખાદ્યાન્ત તરીકે ડાંગર, જવ, ઘઉં મુખ્ય છે. જ્યારે કપાસ, તમાકુ, નાળિયેરીની ખેતી જોવા મળે છે. અહીં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝ અને કાપડ બનાવવાની મિલો આવેલી છે. કાથી અને નળિયાં બનાવવાના નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ સિવાય દવાઓ, રંગ બનાવવાના એકમો આવેલા છે. કેરળ રાજ્યમાં સૌપ્રથમ કૉફી બનાવવાનો પ્લાન્ટ 1957માં અહીં સ્થપાયો હતો. પુન્તાથુર કોટા હાથી અભયારણ્ય, પેરસી બંધ, પેચી-વાઝાની વન્ય અભયારણ્ય, પુનમાલા બંધ, પેરુવનમાલાની ટેકરી, વાઝાની બંધ, સ્નેહાથીરમ રેતીપટ, ચીમોની બંધ, કુડાલ મનીકયામ મંદિર, ત્રિચુર પ્રાણીસંગ્રહાલય વગેરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિચુર (ત્રિશુર), પૃ. 45 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિચુર/)

Categories
વાચન સમૃદ્ધિ

અડાલજની વાવ

અમદાવાદની ઉત્તરે આશરે ૨૦ કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પોતાના પતિના સ્મરણાર્થે સંવત ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯ ?)માં બંધાવી હતી. આ વાવ બંધાવવામાં તે સમયના પાંચ લાખ ટાકા(રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એક એક પ્રવેશદ્વાર – મુખ છે અને તેથી તે ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ ૭૫.૩ મીટર છે. તેને ચાર મંડપ છે. ત્રણેય પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ ભેગા થાય છે.

અડાલજની કલાત્મક વાવ                    અડાલજની વાવમાંનો એક સુંદર ગોખ

વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : (૧) કુંભી, (૨) સ્તંભ, (૩) ભરણું, (૪) સરું. સરુંના ભાગ પર આડા પાટડા છે. બધા જ પાટડા શિલ્પકામથી ભરપૂર છે. પ્રથમ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ બાર સ્તંભ છે. સરું અને સ્તંભને જોડતાં ત્રાંસાં નેજવાં છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે. બીજે માળે ઊતરતાં સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે. વાવમાં ૫૬ જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે.

શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ આખી વાવ સર્જનકળાનો શ્રેષ્ઠ નમૂનો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ત્બિલિસિ (Tbilisi)

એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43´ ઉ. અ. તથા 44° 49´ પૂ. રે. પર કુરા નદીના બંને કાંઠે વસેલું છે. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી જ્યૉર્જિયા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. આ નગરની કુલ વસ્તી 13,30,000 (2025, આશરે) હતી. તેના વાયવ્ય ખૂણે ગોરિ, નૈઋત્યે તેલાવિ તથા અગ્નિખૂણે રુસ્તાવિ નગરો આવેલાં છે. આઝરબૈજાન પ્રજાસત્તાકના પાટનગર બાકુથી તે નૈઋત્યમાં આશરે 435 કિમી.ના અંતરે છે. સમુદ્રની સપાટીથી તે 406થી 522 મી. ઊંચાઈ એ છે. નદીના કાંઠે તેનો પ્રલંબિત ભાગ 27 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાં વિદ્યુતશક્તિ પર ચાલતાં રેલ-એન્જિનો, એન્જિનિયરિંગને લગતી વસ્તુઓ, મશીનટૂલ્સ, સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાગળ, લાકડાનું રાચરચીલું, યંત્રો, તમાકુની બનાવટો, ધાતુની ચીજવસ્તુઓ, રેશમની વસ્તુઓ, ખનિજતેલની પેદાશોનાં તથા દારૂ ગાળવાનાં કારખાનાં વિકસ્યાં છે. પચરંગી વસ્તી ધરાવતું આ શહેર સડક તથા રેલવ્યવહારનું કેન્દ્ર હોવાથી તથા બાજુના જળવિદ્યુત મથકમાંથી તેને વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે તેણે હરણફાળ પ્રગતિ કરી છે.

ત્બિલિસિ શહેર

નગરમાં જ્યૉર્જિયા યુનિવર્સિટી(1918)નું મથક, જ્યૉર્જિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ (1941), કલા અકાદમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિન તથા કૃષિ, વનવિજ્ઞાન, ઉદ્યોગો અને ટૅકનૉલૉજીને લગતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. ત્યાં પાંચમી સદીનું યહૂદીઓનું દેવળ, છઠ્ઠી સદીનું આન્ચિખાટિ દેવળ, તેરમી સદીનાં મેટેખિ દુર્ગ તથા દેવળ અને નદીના જમણા કાંઠા પર આવેલ ટેકરી પર પ્રાચીન કિલ્લો, આધુનિક સમયગાળામાં ઊભાં કરવામાં આવેલ વસ્તુસંગ્રહાલયો, ઉદ્યાનો, નાટ્ય તથા સંગીતગૃહો વગેરે પર્યટકો માટે આકર્ષણનાં સ્થળો ગણાય છે. ઇતિહાસ : ચોથી સદીથી છઠ્ઠી સદી દરમિયાન જ્યૉર્જિયાના શાસકોનું તે પાટનગર હતું. સાતમી, આઠમી તથા નવમી સદી દરમિયાન તેના પર પર્શિયનો, આરબો તથા ગ્રીકોનાં આક્રમણો થતાં રહ્યાં. 1387માં મૉંગોલવિજેતા તૈમુર લંગે તેના પર આધિપત્ય જમાવ્યું હતું. 1795માં પર્શિયન આક્રમણખોરોએ તેનો સંપૂર્ણ વિનાશ કર્યો હતો. 1801માં રશિયાના ઝાર શાસકોએ કૉકેસસ પર્વતમાળાના તેમના પ્રદેશના પાટનગર તરીકે તેની પસંદગી કરી. 1918–21 દરમિયાન જ્યૉર્જિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનું તથા 1991માં જ્યૉર્જિયા સ્વતંત્ર થયું ત્યારથી તે નવા પ્રજાસત્તાકનું પાટનગર છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9