Categories
વાચન સમૃદ્ધિ

ત્રિપોલી (લિબિયા)

: લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24´ ઉ. અ. અને 13° 11´ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 12,10,000 (2026, આશરે). લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય બજાર-કેન્દ્ર પણ છે. તેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, ખાદ્ય-પ્રક્રમણ, મત્સ્ય-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, તમાકુ, કાપડ, ઈંટ અને મીઠું બનાવવાના ઉદ્યોગો ઉપરાંત ગાલીચા વણવાના હસ્તકલા-ઉદ્યોગનો સમાવેશ થાય છે. જૂના શહેરવિસ્તારમાં વણકરો, સોની, કંસારા અને ચામડાની વસ્તુઓ બનાવનારાઓનું મોટું બજાર છે.

એક વખતનો ભવ્ય શાહી મહેલ, ત્રિપોલી

‘મુરીશ’ સ્થાપત્યના નમૂના અહીં મોજૂદ છે. બંદરની પાસે આવેલ સોળમી સદીનાં ભવ્ય સ્પૅનિશ મહેલમાં પ્રાગ્ ઇતિહાસ, પુરાતત્ત્વ, નૃવંશવિદ્યા, પ્રકૃતિવિજ્ઞાન તેમજ પ્રાચીન શિલાલેખોનું પ્રખ્યાત સંગ્રહાલય છે. શહેરનાં અનેક આકર્ષણો પૈકી વાસ્તુવિધાન અને કલાકારીગીરીના ઉત્તમ નમૂના તથા અઢારમી સદીની પુરાણી મસ્જિદો છે. આ મસ્જિદોના વિસ્તારમાં જૂના જમાનામાં સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા. હાલનું નવું શહેર સમુદ્રકિનારા પર નીલગિરિનાં વૃક્ષોની વીથિકા અને રોમન સમયનાં સ્થાપત્યોથી શોભે  છે. 1911–12ના ઇટાલી તથા લિબિયા વચ્ચેના યુદ્ધમાં તેના પર ઇટાલીએ વિજય મેળવ્યો હતો. 1943–51 દરમિયાન તે બ્રિટનના કબજામાં હતું. 1951માં લિબિયા સ્વતંત્ર થતાં તે દેશનું પાટનગર બન્યું. આ શહેરની સ્થાપના ફિનીશિયનોએ ઈ. સ. પૂ. આશરે 7મી સદીમાં કરેલી અને રોમન સામ્રાજ્યના સમયમાં તેને ઓપ આપવામાં આવ્યો. સ્થાપના પછીના ગાળામાં તેના પર રોમનો (ઈ. સ. પૂ. 146), વડાલો (આશરે ઈ. સ. 450), છઠ્ઠી સદીમાં બાઇઝેન્ટાઇનો તથા સાતમી સદીમાં આરબોનું શાસન દાખલ થયું હતું. 1146–58નો ગાળો બાદ કરતાં ઈ. સ. 1510 સુધી તેના પર આરબોનું શાસન હતું. 1551માં તેને તુર્કોએ જીતી લીધું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિપોલી (લિબિયા), પૃ. 59 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિપોલી/)

Categories
વાચન સમૃદ્ધિ

અપુચ્છ વાનરો (Apes)

પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે. ચિમ્પાન્ઝી આફ્રિકાના બહુવર્ષાળુ વનોમાં વાસ કરનાર ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે; જ્યારે ઉરાંગઉટાન, ગિબન્સ તથા સિયામાંગ બોર્નિયો તથા સુમાત્રાનાં વર્ષાવનોમાં રહે છે. આ પ્રાણીઓના વસવાટના પ્રદેશો પર માનવીની ખલેલ થયા કરે છે. આથી ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ આ પ્રાણીઓને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યાં છે.

ઉરાંગઉટાન

માણસની જેમ આ વાનર બાહ્ય પુચ્છ વગરના હોય છે. માણસ જેવું શરીર ધરાવે છે. તેમને ૩૨ દાંત અને તીવ્ર દૃષ્ટિ હોય છે. બીજાં સસ્તન પ્રાણીઓ રંગ પારખી નથી શકતાં, જ્યારે અપુચ્છ વાનરો રંગોમાં ભેદ જોઈ શકે છે. તેમના શરીર પર ઘણા વાળ હોય છે. માદા વાનર સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને મા છાતીએ વળગાડીને ફરે છે. બચ્ચું માનું દૂધ પીએ છે અને તેની પાસેથી શીખવાનું શીખે છે. તેઓ લાકડીનો ઉપયોગ કરી રાફડામાંથી ઊધઈ બહાર કાઢી તેને ખાઈ જાય છે. બચ્ચું ૪ વર્ષ જેવડું થાય પછી જ માદા બીજું બચ્ચું લાવે છે. અપુચ્છ વાનર મોટા ભાગે ફળો અને પાંદડાં ખાય છે. કોઈક વાર જીવડાં પણ ખાય છે. સવારે વહેલા ઊઠી જંગલમાં ફરીને ખોરાક મેળવે છે, બપોરે જમીન પર આરામ કરે છે, જ્યારે રાત્રે તેઓ ઝાડની ઉપર મોટો માળો બનાવી તેમાં સૂઈ જાય છે. વરસાદ તેમને ગમતો નથી. ઘણી વાર ઝાડનાં મોટાં પાંદડાંની આડશ કરી વરસાદથી બચે છે. તેઓ ગીચ જંગલોમાં વસે છે. અપુચ્છ વાનરના હાથ માનવની સરખામણીમાં લાંબા અને મજબૂત હોય છે. તેમના પગ ટૂંકા અને નબળા હોય છે. તેઓ ઝાડ પર ચઢી જાય છે અને ડાળી પર ઝૂલા પણ ખાય છે. ચારેય પગનો ઉપયોગ કરીને ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અપુચ્છ વાનરો, પૃ. 25)

Categories
વાચન સમૃદ્ધિ

અનાજ

ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જવ, ઓટ, જુવાર જેવી તૃણ(ઘાસ)કુળની વનસ્પતિઓના દાણા. માનવ-ઇતિહાસમાં આ વનસ્પતિઓ સૌથી અગત્યનો પાક ગણાય છે. શરૂઆતમાં આ વનસ્પતિઓ કુદરતી રીતે જંગલી ઘાસસ્વરૂપે ઊગતી હતી. હજારો વર્ષ પહેલાં તેની ખોરાક તરીકેની ઉપયોગિતા સમજાતાં આદિમાનવે તેની વ્યવસ્થિત રીતે ખેતી કરવાની શરૂઆત કરી. આદિમાનવે તેનાં અવલોકનોના આધારે આ પાકોમાં સુધારણા કરવા માંડી; જેના કારણે કૃષિવિદ્યા (agriculture) નામની વિજ્ઞાનની શાખાનો ઉદય થયો. અનાજના દાણા વિજ્ઞાનની દૃષ્ટિએ ધાન્યફળ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયથી ધાન્યોનો બીજા પાક કરતાં ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેના ખોરાક તરીકે ઘણા ફાયદા છે. તેમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પોષક છે. અનાજના દાણામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. તેમજ લાંબા અંતર સુધી તેની હેરફેર પણ કરી શકાય છે.

અનાજ

વિશ્વમાં તથા ભારતમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધારે છે. ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ રાંધવામાં અને મમરા-પૌંઆ જેવી બનાવટમાં થાય છે. આ ઉપરાંત ચોખા કાઢી લીધા પછી તેના છોડનો ઉપયોગ ઢોરના ચારા તરીકે અને પૂંઠા, કાગળ વગેરે બનાવવામાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરેનો સામાન્ય રીતે દળીને તેનો લોટ બનાવી તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, પૂરી, બ્રેડ, બિસ્કિટ વગેરે બનાવવામાં આવે છે. ઘઉંના લોટમાંથી શીરો, લાડુ, લાપસી, સેવ વગેરે પણ બનાવાય છે. અનાજના આથવણ દ્વારા દારૂ (બિયર અને વ્હિસ્કી) જેવાં પીણાં બનાવવામાં આવે છે. સામો, મોરૈયો, કોદરા, નાગલી વગેરે અન્ય ધાન્યપાકોનો ઉપયોગ ગ્રામલોકો તથા આદિવાસીઓ વધારે કરે છે. હાલમાં સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવવાથી અન્ય લોકો પણ પોતાના આહારમાં તેનો ઉપયોગ કરે છે. અનાજના મુખ્ય પ્રકારો ને તેમના ઉત્પાદક દેશો-પ્રદેશો – ઘઉં : સમશીતોષ્ણ કટિબંધના દેશોનો આ પાક છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારનાં રાજ્યો તેનું ઉત્પાદન વધુ કરે છે. વિશ્વમાં યુ.એસ., ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કૅનેડા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાના ઘઉં આગળ પડતું સ્થાન ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અનાજ, પૃ. 22)