Categories
વાચન સમૃદ્ધિ

જાત્રા

બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતાં. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં લોકોને મનોરંજન તેમજ ઉપદેશ પૂરાં પાડતી. અભિનય, પોશાક, રૂપસજ્જા (મેકપ) ટૅકનિક વગેરે બાબતમાં જાત્રાનો સ્તર નિમ્ન હતો. વળી રંગમંચ તો હતો જ નહિ. પણ પ્રેક્ષકો અને અભિનય વચ્ચેનું અનુસંધાન સંપૂર્ણ હોવાથી શ્રોતા-પ્રેક્ષકને ખૂબ આનંદ મળતો. મધ્યકાળમાં ઘણી વાર જાત્રાને નટ-ગીત કે ગીત-નટ પણ કહેવામાં આવતું, જેમાં જુદાં જુદાં પાત્રો પ્રેક્ષકો સમક્ષ આવી તેમની ભૂમિકાનો ભાગ ગાતાં.

લોકનાટક, લોકગીત, લોકનૃત્ય જેવાં તત્ત્વો જાત્રામાં ભળ્યાં. ‘મંગળચંડી’ અને ‘મનસા’નાં ગીતો આ રીતે ગવાતાં. ‘ગંભીર’, ‘ગજેગણ’, ‘ઝુમુર’, ‘પાંચાલી’ અને ‘ધમાલી’માં જાત્રાનાં લક્ષણો હતાં, જે પાછળથી પૂર્ણવિકસિત જાત્રા–નાટકમાં પરિણમ્યાં.

ચૈતન્યના સમય પહેલાં ભજવાતી જાત્રાઓ ચંડી જાત્રાઓ અથવા રામ-જાત્રાઓ હતી. પણ ચૈતન્ય પછી, રાધા-કૃષ્ણના દૈવી પ્રેમને નિરૂપતી અથવા ચૈતન્યના સંન્યાસને પ્રગટ કરતી જાત્રાઓ  સ્તિત્વમાં આવી. કૃષ્ણ-જાત્રા ‘કાલિયદમન’ નામથી વધુ પ્રચલિત બની. લાંબી પરંપરા પણ રહી, જેમાં ગોવિંદ અધિકારી આ ‘કાલિયદમન’ના બહુ મોટા પ્રણેતા થયા; તે પોતે વૃંદા દૂત્તીની ભૂમિકા ભજવી શ્રોતાઓને રમૂજભર્યાં કથનોથી રંજન પૂરું પાડતા. ‘કાલિયદમન’ જાત્રા-પ્રકાર ચીલાચાલુ બનતાં, ‘સખાર જાત્રા’ નાટક જન્મ્યું, જેમાં હાસ્યગીતો વધારે હતાં. ધાર્મિક મનોવૃત્તિવાળા બંગાળીઓને આ બહુ રુચ્યું નહિ; પરિણામે ધાર્મિક-જાત્રા જેવું ‘ગીતાભિનય’ જાત્રા વિકસ્યું જેમાં રંગમંચ પરના નાટક અને જાત્રાનો સમન્વય કરીને ખુલ્લી જગ્યામાં તેમજ રંગમંચ પર ભજવવામાં આવતાં. મોતીલાલ રાય (૧૮૪૩-૧૯૧૧) ‘ગીતાભિનય’ જાત્રાના પ્રખ્યાત ઉદગાતા થયા. પછી તો, જાત્રા રંગમંચીય પદ્ધતિઓને પણ પ્રયોજવાનું શરૂ કરે છે, ધાર્મિક-પૌરાણિક કથાઓ ઉપરાંત ઐતિહાસિક વિષયો પણ જાત્રામાં લેવામાં આવે છે, દા.ત., ‘પદ્મિની’. લોકજાગૃતિ માટેનું પ્રભાવશાળી માધ્યમ હોવાથી, મુકુંદદાસે (૧૮૮૮-૧૯૩૪) જાત્રા–નાટકને ‘સ્વદેશી જાત્રા પાર્ટી’ નામ આપીને ગામડાંમાં રાષ્ટ્રભાવના જગાડી. જોકે આધુનિક જાત્રા પરંપરાગત જાત્રાથી તદ્દન ભિન્ન થઈ ગઈ છે; તે હવે શિક્ષણ, નીતિ વગેરેના પ્રચારનું લોકમાધ્યમ રહ્યું નથી. આજે ‘બંગાળી જાત્રા’ એ રંગભૂમિનો જ નવો અવતાર છે. ઉત્પલ દત્ત અને રામેન લાહિરી જેવા રંગભૂમિના મોટા અભિનેતાઓ અને લેખકોએ જાત્રા-નાટકો લખ્યાં છે અને તેમાં ભૂમિકા ભજવી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

અનિલા દલાલ

Categories
વાચન સમૃદ્ધિ

શૅરબજાર

શૅરો અને જામીનગીરીઓ(Securities)ના ખરીદ-વેચાણ માટે માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. શૅરબજારનો હેતુ શૅરો અને જામીનગીરીઓના કામકાજમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના ખરીદ-વેચાણ તથા લેવડ-દેવડ માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કામ માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની સ્થાપના કરી છે. આમ શૅરબજાર એ લોકોની બચત અને ઔદ્યોગિક મૂડીરોકાણ વચ્ચે મહત્ત્વની કડી બની નાણાંની તરલતા પૂરી પાડે છે. સામાન્ય રીતે લોકો બચત કરવા માટે સ્થાવર (જમીન અથવા મકાન), જંગમ (સોના, ચાંદી — ઝવેરાત) મિલકતોમાં તથા શૅરો અને જામીનગીરીઓમાં નાણાંનું રોકાણ કરે છે. શૅરો અને જામીનગીરીઓમાં રોકાણ અને વેચાણ માટે શૅરબજાર તથા શૅરદલાલોની જરૂરિયાત ઊભી થઈ.

મુંબઈના શૅરબજારની ઇમારત

ભારતમાં શૅરબજારનો આરંભ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શૅરોની ફેરબદલીથી થયો હતો. ઈ. સ. ૧૮૭૫માં મુંબઈ સ્ટૉકએક્સ્ચેન્જની સ્થાપના થઈ, જે એશિયામાં પહેલું જ સ્ટૉકએક્સ્ચેન્જ હતું. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણીબધી સંગઠિત કંપનીઓની સ્થાપના સાથે શૅરો બજારમાં આવતાં ચેન્નાઈ, દિલ્હી, નાગપુર, કાનપુર, હૈદરાબાદ અને બૅંગાલુરુમાં પણ શૅરબજારો શરૂ થયાં; પણ કાયદાનું કોઈ નિયંત્રણ ન હોવાથી તેમની પ્રવૃત્તિ મોટા ભાગે સટ્ટાલક્ષી રહેતી હતી. શ્રી. જી. એસ. પટેલ કમિટીની ભલામણોને અનુલક્ષીને કેન્દ્રસરકારે ભારતીય જામીનગીરી નિયંત્રણ મંડળ (Securities and Exchange Board of India – SEBI) – સેબીની સ્થાપના કરી. તેને શૅરબજારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી. તેનું ધ્યેય શૅરબજારોનો વિકાસ તેમ જ નિયમન અને નિયંત્રણ દ્વારા રોકારણકારોનાં હિતોની રક્ષા કરવાનું હતું. દરેક શૅરબજારે સેબીને લવાજમ ભરીને માન્યતા મેળવવી ફરજિયાત હોય છે, વળી તેમણે તેમની પ્રવૃત્તિઓનો ઑડિટ-રિપોર્ટ તેમ જ મુશ્કેલીઓ વગેરેની માહિતી સમયાંતરે સેબીને મોકલવી ફરજિયાત બની રહે છે.શૅરબજારમાં શૅરોના દૈનિક ભાવમાં ચઢાવ-ઉતારને દર્શાવતો આંક શૅરભાવસૂચકાંક (Price Index) તરીકે જાણીતો છે. આ સૂચકાંક રોજ ટેલિવિઝન તથા અખબારોમાં વાંચવા મળે છે, જે શૅરોના ભાવની વધઘટનો અંદાજ આપે છે. રાષ્ટ્રીય શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૫૦ અગ્રશૅરોના ભાવની સરેરાશનો સૂચકાંક નિફ્ટી (NIFTY) તરીકે જાણીતો છે. મુંબઈ શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૩૦ શૅરોના ભાવોનો સૂચકાંક બીએસઇ (BSE) ઇન્ડૅક્સ તરીકે જાણીતો છે. આઝાદી મળી ત્યારે ભારતમાં ૭ શૅરબજારો હતાં. અત્યારે અમદાવાદ, મુંબઈ, બૅંગાલુરુ, કૉલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઉપરાંત નૅશનલ સ્ટૉકએક્સ્ચેન્જ ઑવ્ ઇન્ડિયા લિમિટેડ(મુંબઈ)  શૅરબજારો આવેલાં છે. શૅરબજાર કોઈ પણ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે તે દેશમાં વેપાર-ધંધામાં રોકાણકારો વધુ સક્રિય થાય છે. આથી જ જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે દેશનું અર્થતંત્ર પણ પ્રગતિ કરતું હોવાનું મનાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જંગલી બિલાડી (Jungle cat)

સસ્તન વર્ગની માંસાહારી (Carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. જંગલી બિલાડીની વિવિધ જાતોમાં ભારતમાં મળતી સામાન્ય જાતિ Felis chaus છે : જેની ઉપજાતિઓ attinis, kutas, praleri અને kelaarti મુખ્ય છે. તે ભારતના વિવિધ વિસ્તારોમાં વિવિધ નામે ઓળખાય છે. શરીર ૬૦ સેમી. કરતાં સહેજ વધારે અને પૂંછડી ૨૫થી ૩૦ સેમી. જેટલી લાંબી હોય છે. અમુક જાતો ૫૦ સેમી.થી ૮૦ સેમી.ની લંબાઈ પણ ધરાવે છે. વજન આશરે ૬થી ૭ કિગ્રા. હોય છે. લાંબા પગ અને પ્રમાણમાં નાની પૂંછડી જંગલી બિલાડીને એક અનોખું સ્વરૂપ આપે છે. એની આછી નીલી આંખો એના લુચ્ચા દેખાવમાં વધારો કરે છે. શરીર પર રેતાળ ભૂરાથી પીળાશ પડતા ભૂરા રંગની રુવાંટીનું પડ આવેલું હોય છે. પૂંછડીના છેડે કાળી પટ્ટી અને ટોચ પર કાળું ટપકું આવેલું હોય છે. કાન છેડેથી સાંકડા અને પીળાશ પડતા કથ્થાઈથી કાળા-કથ્થાઈ રંગના હોય છે, જે તેને ઘરેલુ બિલાડીના પૂર્વજ હોવાનું દર્શાવે છે. કાન લાલાશ પડતા અને એના છેડે કાળા વાળની કુર્શાકા આવેલી હોય છે. શરીરની વક્ષસપાટી પર આછા અવશિષ્ટ પટ્ટા આવેલા હોય છે, જે દરેક જાતિમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. શુષ્ક પ્રદેશમાં જોવા મળતી જાતિના શરીરનો રંગ મુખ્યત: આછો રેતાળુ હોય છે, જ્યારે આર્દ્ર વિસ્તારની જાતિ લાલાશ કથ્થાઈ રંગની હોય છે. શરીરના ઘેરા રંગમાં પણ ફેરફાર જોવા મળે છે; પરંતુ દરેક જાતિમાં એક ઘેરી લીટી આંખની કિનારીના છેડેથી કાન સુધી અને એક ઘેરું ટપકું આંખની નીચે હંમેશાં જોવા મળે છે. બિલાડીના મુખ પાસે મૂછો જેવા વાળ હોય છે.

જંગલી બિલાડી ખુલ્લા અને શુષ્ક વિસ્તારો જેવા કે ઘાસના પ્રદેશો, નાનાં જંગલો કે નદીના કિનારે અને કળણભૂમિમાં જોવા મળે છે. ભારત સિવાય ઉત્તર આફ્રિકાથી દક્ષિણ-પશ્ચિમ એશિયા થઈ ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને ઇન્ડોચાઇનાના વિસ્તારોમાં જોવા મળે છે. ભારતીય જાતિ Felis chaus સામાન્યત: દ્વીપકલ્પ(peninsula)ના વિસ્તારમાં હિમાલયથી કન્યાકુમારીમાં જોવા મળે છે. ઉત્તર ભારતીય જાતિ નાની અને વજનમાં હલકી નાની પૂંછડી ધરાવે છે. હિમાલયની જાતિ શરીર પર જાડા રુવાંટીના પડને કારણે જુદી પડે છે. દક્ષિણ ભારતીય જાતિના શરીર પર ભૂખરી રુવાંટીના પડમાં નાનાં કાળાં અને સફેદ ટપકાં જોવા મળે છે. ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલોમાં વર્ષ દરમિયાન એકસરખો પુષ્કળ ભેજ અને તાપમાનનો ફેરફાર ૧૮થી ૩૫ સે. હોવાને કારણે જંગલી બિલાડીને વધારે માફક આવે છે. આ ઉપરાંત તે સમશીતોષ્ણ પાનખર જંગલોમાં પણ જોવા મળે છે. એનું આશ્રયસ્થાન ખડકો કે ચટ્ટાનોનાં પોલાણમાં અથવા જૂનાં એકાકી મકાનોમાં હોય છે. આ પ્રાણી મુખ્યત: સવારે કે સાંજે બહાર નીકળે છે. તે ખૂબ જ ચપળ હોય છે અને એની ગતિ નાના ચિત્તા જેવી ઝડપી હોય છે. તે હંમેશાં માણસ સાથેનો સંપર્ક અથવા સંઘર્ષ ટાળે છે. તેનાં જડબાં અને ગરદનના સ્નાયુઓ સુવિકસિત હોય છે. દાંત માંસ કાપવા અને ચીરવા માટે અનુકૂળ હોય છે. આગળના દાંત નાના હોય છે. અગ્ર દાઢ અને નીચલા જડબાની પ્રથમ દાઢની ધાર તીક્ષ્ણ હોય છે અને કાતરનાં પાંખિયાંની જેમ કાપે છે. આ દાંતને છેદક (carnassial) દાંત કહે છે. તે ખોરાક રૂપે નાનાં સસ્તન પક્ષી અને અમુક સંજોગોમાં ગામડાંનાં મરઘાં પણ આરોગે છે. શરીરના કદના પ્રમાણમાં તે વધારે શક્તિશાળી અને મજબૂત હોય છે, જે મોટા પ્રાણીને પણ હરાવવાની શક્તિ ધરાવે છે. જંગલી બિલાડીમાં બચ્ચાંઓનો જન્મ મુખ્યત: જાન્યુઆરીથી એપ્રિલ અને ઑગસ્ટથી નવેમ્બર દરમિયાન જોવા મળે છે. એકસાથે માદા સામાન્યત: ૩ અને અમુક સંજોગોમાં ૫ બચ્ચાંને જન્મ આપે છે. માદાના શરીરમાં ગર્ભ ૬૦ દિવસ સુધી વિકાસ પામે છે. જન્મેલાં બચ્ચાંની આંખ ૧૧થી ૧૫ દિવસ પછી ખૂલે છે. જંગલી બિલાડીનાં બચ્ચાંને સહેલાઈથી સંપર્ક દ્વારા પાલતુ બનાવી શકાય છે. આ જાતિ ઉપરાંત સિલ્વેસટરીસ લાયર્બાકા આફ્રિકામાં જોવા મળે છે. સિલ્વેસટરીસ જાતિ એશિયા વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત ઑકરેટા (ocreata) અને ઓર્નાટા(ornata) જાતિ પણ ત્યાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન