Categories
વાચન સમૃદ્ધિ

જામનગર

જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે ૨૨ ૨૮´ ઉ. અ. અને ૭૦ ૦૪´ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ. સ. ૧૫૪૦માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૬૩થી ૧૭૦૯ દરમિયાન અહીં મુઘલ થાણું હતું અને તેને ઇસ્લામાબાદ નામ આપ્યું હતું. જાડેજા રાજાના ‘જામ’ બિરુદ ઉપરથી નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું જણાય છે. ૧૯૧૪ પૂર્વે જામનગર દરવાજાવાળું કિલ્લેબંધ શહેર હતું. જામ રણજિતસિંહે વિશાળ રવેશો (facades), ચોક, વર્તુળો, વિશાળ રાજમાર્ગો અને એકસરખાં મકાનોની શ્રેણી દ્વારા તેની કાયાપલટ કરતાં તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ બિરુદ મળ્યું. શહેરના વિકાસમાં બેડી બંદરનો મહત્ત્વનો ફાળો છે. બંદરની સુધારણા કરાતાં વેપાર અને ઉદ્યોગોની વૃદ્ધિ થઈ હતી. જામનગરના માર્કેટ યાર્ડમાં જિલ્લાના બાજરી, જુવાર, મગફળી, ઘઉં, લસણ વગેરે પાકો વેચાવા આવે છે. ૧૯૪૩માં સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની એક શાખા હતી. આજે મહત્ત્વની રાષ્ટ્રીય બૅન્કોની શાખાઓ તથા જામનગર જિલ્લા સહકારી બૅન્ક અને નાગરિક સહકારી બૅન્ક છે. તેનો વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે.

સોલેરિયમ (જામનગર)

અહીં એક સુતરાઉ અને એક ગરમ કાપડની મિલ ઉપરાંત તેલની મિલો, સૉલ્વન્ટનાં અને બ્રાસનાં વીજળીનાં સાધનોમાં વપરાતા ભાગોનાં તથા સાબુ, મીઠું તથા લોખંડની વસ્તુઓનાં અનેક કારખાનાં છે. જામનગર તેની બાંધણી, ભરત અને જરીકામ, કંકુ, કાજળ અને સુરમા માટે પ્રખ્યાત છે. શહેર વાહનવ્યવહારનું કેન્દ્ર છે. ઓખા-વિરમગામ બ્રૉડ ગેજ રેલવેનું તે જંકશન છે. રાજકોટ-ઓખા અને જામનગર-પોરબંદર રાજ્યધોરી માર્ગ દ્વારા સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો સાથે તે જોડાયેલું છે. વિમાનવ્યવહાર દ્વારા તે રાજકોટ, ભુજ અને મુંબઈ સાથે જોડાયેલું છે. જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન, વિજ્ઞાન તથા વાણિજ્ય વિદ્યાશાખાની કૉલેજો, મેડિકલ કૉલેજ, પૉલિટૅકનિક, આઈ.ટી.આઈ., વાણિજ્ય અને ટૅકનિકલ વિષયોનું શિક્ષણ આપતી વિવિધલક્ષી શાળાઓ, સ્ત્રી અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સંગ્રહસ્થાન, લશ્કરની ત્રણ પાંખોની તાલીમશાળાઓ વગેરે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરમાં સોલેરિયમ સંગ્રહસ્થાન, આદર્શ સ્મશાનગૃહ, પંદરમી-સોળમી સદીનાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો ઉપરાંત લાખોટો, કોઠો, રણજિતસાગર બંધ વગેરે જોવાલાયક છે. સંગ્રહસ્થાનમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષો, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ, ભૂચર મોરીના યુદ્ધનાં દૃશ્યનું ચિત્રપટ વગેરે છે. આદર્શ સ્મશાનગૃહમાં સંતો, દેવ-દેવીઓ વગેરેની સોએક મૂર્તિઓ અને ધાર્મિક ગ્રંથો વગેરેનું પુસ્તકાલય છે. અણદાબાવાની ધાર્મિક સંસ્થા, પાઠશાળા, સદાવ્રત, શાળા વગેરેનું સંચાલન કરે છે. શહેરનું ક્ષેત્રફળ ૧૪.૪૩ ચોકિમી. છે. ૨૦૧૧માં તેની વસ્તી આશરે ૬,૦૦,૪૧૧ હતી. તે સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

શેષનાગ

પૌરાણિક કલ્પના પ્રમાણે જેણે બ્રહ્માંડ પોતાના મસ્તક પર ધારણ કર્યું છે તે નાગ.

જે રીતે ગણિતમાં ‘શેષ’નો અર્થ કોઈ રકમનો ભાગાકાર કરતાં છેવટે જે વધે તે, તે રીતે જ્યારે બધું નાશ પામતાં જે છેવટે રહે તેનું પ્રતીક મનાય છે શેષનાગ. તેનાં ‘અનંત’, ‘આદિશેષ’, ‘સંકર્ષણ’ જેવાં અનેક નામો છે. મહાભારત પ્રમાણે કશ્યપથી કદ્રુના પેટે જન્મેલા હજારો નાગમાં સૌથી મોટો તે શેષનાગ. વાસુકિ, ઐરાવત અને તક્ષક શેષનાગના ભાઈઓ છે. કેટલાક નાગ તો ક્રૂર અને અન્યને હાનિ પહોંચાડે તેવા પણ ખરા. શેષનાગ તો તેનાં ભાઈઓ તથા માતાને છોડી ખૂબ તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી તે પોતાના મન પર કાબૂ રાખી શકાય એવી શક્તિનું વરદાન માગે છે. બ્રહ્મા તેની માગણી સ્વીકારે છે અને તેને અસ્થિર પૃથ્વીને તેની સહસ્ર ફેણ પર ધારણ કરી સ્થિરતા આપવા કહે છે. ત્યારથી આજ સુધી શેષનાગે પૃથ્વીને પોતાની ફણા પર ધારણ કરી છે. તે પાતાળમાં વસે છે.

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે

શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે ‘નાગોમાં હું અનંત નાગ છું.’ શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે, તેથી વિષ્ણુ ‘શેષશાયી’ પણ કહેવાય છે. શેષનાગ બ્રહ્માંડના સર્જન પહેલાં પણ હતો. કલ્પને અંતે શેષનાગ ઝેરી અગ્નિ ઓકે છે. અગિયાર રુદ્રોનું સર્જન કરી તેના દ્વારા બ્રહ્માંડનો નાશ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર શ્રીવિષ્ણુ અવતાર લે છે ત્યારે ત્યારે તેની રક્ષા માટે શેષનાગ અવતાર લે છે. એ રીતે રામાવતારમાં લક્ષ્મણના રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામના રૂપે તેણે જન્મ ધારણ કર્યો હતો. વ્યાકરણકાર પતંજલિ પણ શેષનાગનો અવતાર ગણાય છે. કલિયુગમાં રામાનુજ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજાચાર્યને પણ શેષાવતાર માનવામાં આવ્યા છે. શેષનાગે તેની હજાર ફેણ પર પૃથ્વી ધારણ કરી હોઈ જ્યારે તે બગાસું ખાય છે ત્યારે ધરતી ધ્રૂજે છે. આવી ધરતીકંપ અંગેની પૌરાણિક માન્યતા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના જન્મ પછી કંસના ભયથી વાસુદેવ તેમને નંદરાયના ત્યાં મૂકવા જાય છે, ત્યારે જમુના નદી ઓળંગતી વેળાએ મુશળધાર વરસાદથી બાલકૃષ્ણનું રક્ષણ કરવા શેષનાગ જ તેમના પર છત્ર ધારણ કરીને ચાલ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા શહેરનું ‘તિરુવનંતપુરમ્’ (જૂનું ત્રિવેન્દ્રમ) નામ ‘અનંત’ પરથી પડ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જાફરાબાદ

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.

નવું બંદર, જાફરાબાદ

સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ

જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર