Categories
વાચન સમૃદ્ધિ

જરદાલુ

દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, ૧૦ મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં – ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ ૩૦૦૦ મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. પર્ણો સાદાં, અંડાકારથી માંડી ગોળ-અંડાકાર કે કેટલીક વાર ઉપ-હૃદયાકાર (sub-cordate) અને ૫–૯ સેમી. જેટલાં લાંબાં તથા ૪–૫ સેમી. પહોળાં, ઘટ્ટ ચળકતાં લીલાં હોય છે. પુષ્પો ગુલાબી, સફેદ અને એકાકી હોય છે. માર્ચ-એપ્રિલમાં પર્ણો કરતાં પુષ્પો વહેલાં દેખાય છે. ફળ પાંચ સેમી. જેટલા વ્યાસવાળું ગોળાકાર, કાચું હોય ત્યારે રોમિલ અને પાકે ત્યારે લગભગ અરોમિલ (glabrous). તેની છાલ પીળાશ સાથે લાલાશ પડતા મિશ્ર રંગવાળી હોય છે. ગર પીળો કે પીળાશ પડતો નારંગી રંગનો અને મીઠો તથા ચપટા કઠણ ઠળિયામુક્ત હોય છે. ઠળિયો સુંવાળી સપાટીવાળો અને એક ધારવાળો હોય છે. મીંજ કેટલીક જાતમાં મીઠી તો અન્ય જાતમાં કડવી હોય છે.

જરદાલુની પુષ્પ, ફળ સહિતની શાખા

વિતરણ : જરદાલુ ચીન અને મધ્ય એશિયાઈ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે; જ્યાંથી તેનો ભારત, ઈરાન, ઇજિપ્ત અને ગ્રીસમાં આર્મેનિયા થઈને પ્રસાર થયો છે. ભારતમાં અમેરિકા અને યુરોપની કેટલીક જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી. દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું વ્યાપારિક ઉત્પાદન કરતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, મોરોક્કો, તુર્કી, ઈરાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ફળો સૂકી, હિમશીતિત (frozen), ડબ્બાબંધ (canned) કે ગર-સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

જાતો : જરદાલુની ઘણી જાતો છે. તે પૈકી મહત્ત્વની જાતોમાં કાળું કે જાંબલી જરદાલુ (Prunus dasycarpa syn. P. armeniaca var. dasycarpa), રશિયન કે સાઇબેરિયન જરદાલુ (P. sibirica), જાપાની જરદાલુ (P. mume) અને મંચુરિયન જરદાલુ(P. mandschurica)નો સમાવેશ થાય છે. આ બધી જાતોનાં ફળો P. armeniaca  કરતાં નાનાં અને હલકી કક્ષાનાં હોય છે. કાળી કે જાંબલી જાતનાં કાષ્ઠ અને કલિકા સખત હોય છે. સાઇબેરિયન અને મંચુરિયન જાત આમૅનિયેકા કરતાં વધારે ઠંડી સહન કરી શકે છે. મંચુરિયન જાત ૪૫ સે. તાપમાન સહી શકે છે. જાપાની જાત તેના ફળ ઉપરાંત શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

વાવણી : ઉનાળામાં મધ્યમસરનું તાપમાન ધરાવતા વિસ્તારોમાં ૮૫૦-૧૭૦૦ મી.ની ઊંચાઈએ જરદાલુ સારી રીતે થાય છે. જરદાલુને છિદ્રાળુ, હલકી છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જંગલી જરદાલુ, આડૂ કે સતાલુ (Peach) (Prunus persica) કે માયરોબેલન પ્લમ(P.carasibera)ના મૂલકાંડ (rootstocks) પર ‘T’ કે ઢાલ (Shield) કલિકારોપણ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. પાનખર કે વસંતઋતુની શરૂઆતમાં તૈયાર થયેલી કલમોને ૬–૮મી.ના અંતરે વાવવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જરદાલુ, પૃ. ૫૮૦)

સુરેન્દ્ર દવે, બળદેવભાઈ પટેલ

Categories
વાચન સમૃદ્ધિ

શામળાજી

ગુજરાત રાજ્યનાં જાણીતાં વૈષ્ણવ તીર્થોમાંનું એક. તે ૨૩° ૪૧´ ઉ. અ. અને ૭૩° ૨૩´ પૂ. રે. વચ્ચે મેશ્વો નદીને કાંઠે અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પ્રાચીન કાળમાં તે ‘હરિશ્ચંદ્રપુરી’, ‘રુદ્રગયા’, ‘ગદાધરક્ષેત્ર’ વગેરે નામે ઓળખાતું હતું.

શામળાજીનું મુખ્ય મંદિર ભગવાન ગદાધરનું છે. બે મોટા હાથીનાં શિલ્પવાળાં દ્વારેથી પ્રવેશતાં વિશાળ પ્રાંગણમાં ૫૦૦ વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની વિષ્ણુની પ્રતિમા છે. લોકો તેને ‘શામળિયા દેવ’ – ’કાળિયા દેવ’ તરીકે પૂજે છે. મંદિરની શિલ્પકલા અનન્ય છે. મંદિર મહાપીઠ પર ઊભું છે. આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે શિલ્પથરો વડે સુશોભિત છે. ગર્ભગૃહની બહારની દીવાલ પણ વિવિધ થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર શિલ્પથરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા ૧૬ ટેકાઓ નૃત્યાંગનાઓના શિલ્પથી શોભે છે. મધ્યમાં ગદાધરની મૂર્તિ છે. મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. શિલ્પોમાં ભૂમિતિની ફૂલવેલો, પ્રાણીઓ, માનવો અને દેવ-દેવીઓની તેમ જ ભૌમિતિક આકૃતિઓની કોતરણી છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણોના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. શિખરની ઉપર અગ્નિખૂણે ધ્વજ છે.

ગદાધરના મંદિર ઉપરાંત અહીં ત્રિલોકનાથ, રણછોડજી, રઘુનાથજી, ગણેશ અને કાશી વિશ્વનાથનાં મંદિરો, હરિશ્ચંદ્રની ચૉરી વગેરે આવેલાં છે. હરિશ્ચંદ્રની ચૉરી નામના પ્રાચીન મંદિરની સન્મુખે આવેલું તોરણ ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ છે. કર્માબાઈનું તળાવ, નાગધરો, પ્રાચીન કિલ્લો, પ્રાચીન વાવ નજીક આવેલો સર્વોદય આશ્રમ વગેરે જોવાલાયક છે. ‘કળશી છોરાંની મા’ નામની વિષ્ણુમૂર્તિ પ્રસિદ્ધ છે અને આદિવાસી સ્ત્રીઓ તેની વિશેષભાવે પૂજા કરે છે. શામળાજી પાસે દેવની મોરીના સ્થળેથી એક બૌદ્ધ મહાસ્તૂપ અને વિહારના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપના પેટાળમાંથી પથ્થરનું એક અસ્થિપાત્ર મળી આવ્યું છે, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સચવાયેલા છે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન આ અવશેષો છે અને તે હાલ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સચવાયેલા છે. વળી શામળાજીની આસપાસથી ક્ષત્રપકાલ અને ગુપ્તકાલનાં છૂટાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. શામળાજીમાં દર વર્ષે કારતકી પૂનમના રોજ મેળો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, ઉદયપુર, ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી ભાગ લે છે. યાત્રીઓ-પર્યટકો માટે અહીં રહેવાજમવાની સગવડો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જમ્મુ

કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન ૩૨° ૪૪´ ઉ. અ. ૭૪° ૫૨´ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (૩૨૭ મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં છે. વસ્તીની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમનું નગર છે. વસ્તી ૨૦૧૧ મુજબ ૯,૫૧,૩૭૩ છે. દંતકથા પ્રમાણે જમ્બુલોચન નામનો રાજવી એક વખત શિકાર માટે નીકળ્યો ત્યારે એક પુલ નજીક વાઘ અને બકરી એકસાથે પાણી પીતાં જોઈને વિસ્મય પામ્યો અને તેણે અહીં આ નગરની સ્થાપના કરી. તાવી નદીના તટે બહુકોટ નામનો કિલ્લો આ રાજવીના સમયનો છે. દિલ્હીથી આશરે ૫૯૧ કિમી. દૂર રેલમાર્ગ પર તે આવેલું છે. સમગ્ર ભારત સાથે રેલસેવાથી જોડાયેલું છે. નગરથી ૭ કિમી. દૂર વિમાનીમથક આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, કાલિદેવી મંદિર તેમજ ડોગરા ચિત્રશાળા મુખ્ય છે. નિકટનાં પર્યટનસ્થળોમાં વૈષ્ણોદેવી, માનસરોવર, પટનીટૉપ, સણાસર, મંડલેખ આદિ મુખ્ય છે. રઘુનાથ મંદિરમાં સેંકડો શાલિગ્રામ એકત્રિત કરીને હારબંધ ગોઠવેલા છે. વિવિધ રંગના આરસપહાણમાંથી કંડારાયેલાં મંદિરોની કલાત્મકતા આ સફેદ બરફની ચાદર ધરાવતા પ્રદેશમાં મોહક લાગે છે. અહીંની ચિત્રકલા પણ મનોહર છે. જમ્મુના ડોગરા રાજવીઓ શૈવ ઉપાસક હતા તેની સાબિતી આ મંદિરો પૂરી પાડે છે. ભારતીય ભૂમિસેનામાં ડોગરા રેજિમેન્ટ અહીંના જૂના રાજપૂતોની ગાથા સાકાર કરે છે. અહીંનાં મંદિરોમાં રણવીરેશ્વર તથા કાલિદેવીનું મંદિર વિશેષ દર્શનીય છે. ડોગરા રાજપૂતોના કલાપ્રેમ અને વારસાની ઝાંખી કરાવતું સ્થળ ડોગરા ચિત્રશાળા છે. પહાડી શૈલીના અવશેષો પણ ભગ્નદશામાં જોવા મળે છે. અહીંની પહાડી ચિત્રશૈલી આગવી વિશિષ્ટતા ધરાવે છે.

વૈષ્ણોદેવી : જ્મ્મુથી આશરે ૬૨ કિમી. દૂર વૈષ્ણોદેવી અથવા વિષ્ણોદેવીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. ત્યાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જમ્મુથી કટરા આશરે ૫૦ કિમી. અને ત્યાંથી ૧૨ કિમી. દૂર પગદંડીથી પહાડી પર ચડતાં વૈષ્ણોદેવી પહોંચાય છે. પગપાળા કે ખચ્ચર–ટટ્ટુ દ્વારા પણ અહીં કેટલાક યાત્રિકો પહોંચે છે. ત્રિકૂટ પહાડી પર આવેલી ભગવતી વૈષ્ણોદેવીની ગુફાનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું છે તેથી પ્રવાસીઓને આશરે ૩.૦૫ મી. જેટલું અંતર પેટે ઘસડાતાં ચાલીને કાપવું પડે છે. ગુફામાં વૈષ્ણોદેવી, મહાસરસ્વતી અને મહાકાલી તેમજ મહાલક્ષ્મીની મૂર્તિઓ આવેલી છે. આ દેવીઓનાં ચરણોમાંથી બાણગંગા નામનું ઝરણું વહે છે. આસો માસની નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાં આ સ્થળ તેની કઠિન યાત્રા માટે જાણીતું છે. હવે અહીં રિક્ષા તેમજ હેલિકૉપ્ટર દ્વારા પણ પહોંચી શકાય છે. માનસરોવર : માનસરોવર જમ્મુથી પૂર્વમાં આશરે ૮૦ કિમી. દૂર તથા સૂરીઓન સરોવર લગભગ ૨૪ કિમી. દૂર આવેલું છે. દંતકથાઓ પ્રમાણે વીરબાહુએ માનસરોવરના તળિયે તીર માર્યું હતું જે સૂરીઓન સરોવરમાં પહોંચ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓને વિશેષ આકર્ષે છે. જમ્મુથી અહીં પહોંચવા માટે નિયમિત બસ-સેવા મળી રહે છે. પટનીટૉપ તથા સણાસર : પટનીટૉપ જમ્મુથી આશરે ૧૧૨ કિમી. દૂર આવેલું છે, જે સાગરસપાટીથી આશરે ૨,૦૦૦ મી.ની ઊંચાઈ પર છે.

મહેશ ત્રિવેદી, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જમ્મુ, પૃ. ૫૫૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી