Categories
વાચન સમૃદ્ધિ

તારંગા

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગાહિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન થયું છે. તારંગાની મુખ્ય ટેકરીનું શિખર સમુદ્રસપાટીથી 486 મી. અને તારામાતાના મંદિર પાસેની ટેકરીનું શિખર 446 મી.ની ઊંચાઈ ધરાવે છે. તારંગાની ટેકરીઓમાંથી રૂપેણ નદી નીકળે છે. આ સમગ્ર પ્રદેશ આછી વનરાજિથી છવાયેલો છે. વળી આ ટેકરીઓના પૂર્વભાગમાં થઈને સાબરમતી નદી વહે છે અને તેના પરનો ધરોઈ બંધ નજીકમાં આવેલો છે.

તારંગાનું પ્રસિદ્ધ જૈન દેરાસર

‘પ્રભાવકચરિત’માં જૈન તીર્થ તારંગનાગ ગિરિનો ઉલ્લેખ છે. ‘વ્રજસ્વામિ પ્રબંધ’માં તારણગિરિનો ઉલ્લેખ છે, જે તારંગગિરિ હોવાનું જણાય છે. આર્ય ખપુટાચાર્યના સમકાલીન વેણી વત્સરાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રાજાએ ગિરિ (તારંગા) ઉપર તારાઉર (તારાપુર) નામનું નગર વસાવી એમાં બૌદ્ધ દેવી તારાનું મંદિર બંધાવ્યું, આર્ય ખપુટાચાર્યના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં એણે મહાવીરની શાસનદેવી સિદ્ધાર્થિકાનું મંદિર બંધાવ્યું. તારંગા ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી અંદાજે 2.5 કિમી.ના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકની બાજુમાં એક ગુફામાં ધારણદેવીનું સ્થાનક છે. અહીંની એક બીજી ગુફા જોગીડાની ગુફા તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બૌદ્ધિવૃક્ષ નીચે ચાર બૌદ્ધમૂર્તિઓ કંડારેલી છે. તારંગા ડુંગર પર કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો ‘કુમારપાલપ્રતિબોધ’, ‘પ્રભાવકચરિત’, ‘કુમારપાલપ્રબંધ’, ‘વીરવંશચરિત’ તથા ‘ઉપદેશતરંગિણી’માં મળે છે. વસ્તુપાલે તારંગાના અજિતનાથચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ વિ. સં. 1284 (ઈ. સ. 1228)માં સ્થાપ્યાનો અભિલેખ મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાળના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. 1230 (ઈ.સ. 1174–75)નો અભિલેખ છે. તીર્થસ્થાનની આજુબાજુનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી પર્યટકો માટે પણ આ તીર્થધામ આકર્ષણનું સ્થાન બન્યું છે. અહીંની વસ્તી 1,687 (2011) હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તારંગા, પૃ. 806 અથવા જુઓ https://gujarativishwakosh.org/તારંગા/)

Categories
વાચન સમૃદ્ધિ

હસ્તિનાપુર

મહાભારતના સમયમાં કુરુવંશીઓના રાજ્યની રાજધાની.

તે હાલના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. દિલ્હીના ઈશાન ખૂણે આશરે ૯૧ કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. જોકે તેમનું ગંગા નદીના પ્રવાહથી ધોવાણ થયેલું જણાય છે. પુરાણકાળમાં અત્રિપુત્ર સોમ અહીંના વનમાં ફરતો હતો, ત્યારે તેણે કોઈ પક્ષીને ચાંચમાં હાથીને પકડીને ઊડી જતું જોયું, તેથી તેણે અહીં નગર વસાવ્યું. પાછળથી ભરતપુત્ર હસ્તિ રાજાના સમયમાં તેનું નામ ‘હસ્તિનાપુર’ રખાયું. હસ્તિનાપુરમાં કૌરવોએ રાજ્ય કર્યું. પાંડવો આ હસ્તિનાપુરમાં કૌરવો સાથે જુગાર રમ્યા. તેમાં પાંડવો દ્રૌપદી સહિત પોતાનું સર્વસ્વ હારી ગયા અને દ્રૌપદી અપમાનિત થઈ. યુદ્ધમાં ભાઈઓની હત્યાથી મળેલા હસ્તિનાપુર પાટનગરનો પાંડવોએ અસ્વીકાર કર્યો. તેમણે હસ્તિનાપુર ત્યજી દીધું અને નવું ઇન્દ્રપ્રસ્થ પાટનગર વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પાટનગર વર્તમાન દિલ્હીની નિકટ આવેલું હતું.

હસ્તિનાપુરમાં આવેલું મહાદેવનું એક પ્રાચીન મંદિર, હસ્તિનાપુરમાં આવેલું જૈનોનું એક મંદિર – જંબુદ્વીપ જૈન મંદિર

દુર્યોધનના સમયમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ક્રોધમાં નગરને ધ્વસ્ત કર્યું હતું. ફરી વસાવાયેલા નગરને નિમિચક્ર રાજાના સમયમાં ભાગીરથી નદીના પૂરથી ભારે હાનિ થઈ. તેને ફરીથી ઊભું કરાયું. સમય પ્રમાણે તેનાં ‘નાગપુર’ અને ‘ગજપુર’ જેવાં નામો પ્રચલિત બન્યાં. પાછલાં વર્ષોમાં રાજાઓ આ નગરને સાચવી શક્યા નહિ તેથી તેનો નાશ થયો. હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાંસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ ‘દાનીતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ જૈન ધર્મના શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ નામના તીર્થંકરો સાથે પણ હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

તામ્ર તકનીકી

તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)