જ. 21 જાન્યુઆરી 1923 અ. 3 જુલાઈ 2008

ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, દિગ્દર્શક અને અભિનેતા. જન્મ સાબરકાંઠા જિલ્લાનું કાબોદરા ગામ. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પાસ થયા. તેઓ નાનપણમાં ખૂબ તોફાની હતા. તેમના મોટા ભાઈ જીવતરામ પાસે મુંબઈ રહેતા હતા. વિઠ્ઠલભાઈ નવ વર્ષના હતા ત્યારે તેમને મોટા ભાઈ પાસે મુંબઈ મોકલી દીધા. વિઠ્ઠલભાઈ અનુગાંધીયુગના સર્જક છે. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે સમયના મિત્ર વિઠ્ઠલભાઈને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા. એમની ફિલ્મયાત્રાનો આરંભ થયો. 24 વર્ષ ગુજરાતી અને હિન્દી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં પસાર કર્યાં. 1960થી 1980 દરમિયાન એમણે જે નવલકથાઓ આપી. એમની નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો વિશેષ ધ્યાન ખેંચે એવા છે. તેમણે નવલકથામાં રાજકારણી, પત્રકાર, સંતથી માંડીને મજબૂરીથી દેહવિક્રય કરતી સ્ત્રી, આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળપ્રવૃત્તિ વગેરે વિષયોને તેમણે નવલકથામાં આવરી લીધા છે. તેમની નવલકથાઓ જનસત્તા, લોકસત્તા, પ્રતાપ, ફૂલછાબ, જન્મભૂમિ, જનશક્તિ, અભિયાન, યુવદર્શન વગેરે અખબાર અને સામયિકોમાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહી છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ સામાન્ય વાચકવર્ગને આકર્ષતી રહી છે. વિઠ્ઠલભાઈની ફિલ્મજગતની સંસ્મરણકથા ‘અસલી નકલી ચહેરા’ વાંચી કવિ સુરેશ દલાલે કહ્યું હતું કે ‘વિઠ્ઠલભાઈની મેં દરેક નવલકથા નથી વાંચી, પણ આ સંસ્મરણકથા માટે લોકો એમને યાદ રાખશે.’ ફિલ્મજગત વિશે સંસ્મરણો લખાયાં હોય એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઘટના હતી. આવા સર્જક વિઠ્ઠલ પંડ્યાએ નવલકથા, વાર્તાસંગ્રહ, આત્મકથા (ભીંત ફાડીને ઊગ્યો પીપળો), સંસ્મરણકથા (અસલી નકલી ચહેરા) તથા અન્ય પુસ્તકો મળી કુલ 68 પુસ્તકો આપ્યાં. તેમનાં ત્રણેક પુસ્તકો હિન્દી ભાષામાં અનૂદિત થયાં છે. તેમની નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. ૧૯૫૫માં સવિતા વાર્તાસ્પર્ધામાં એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો.
નલિની દેસાઈ


