Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલ કૃપારામ પંડ્યા

જ. 21 જાન્યુઆરી 1923 અ. 3 જુલાઈ 2008

ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, દિગ્દર્શક અને અભિનેતા. જન્મ સાબરકાંઠા જિલ્લાનું કાબોદરા ગામ. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પાસ થયા. તેઓ નાનપણમાં ખૂબ તોફાની હતા. તેમના મોટા ભાઈ જીવતરામ પાસે મુંબઈ રહેતા હતા. વિઠ્ઠલભાઈ નવ વર્ષના હતા ત્યારે તેમને મોટા ભાઈ પાસે મુંબઈ મોકલી દીધા. વિઠ્ઠલભાઈ અનુગાંધીયુગના સર્જક છે. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે સમયના મિત્ર વિઠ્ઠલભાઈને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા. એમની ફિલ્મયાત્રાનો આરંભ થયો. 24 વર્ષ ગુજરાતી અને હિન્દી ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં પસાર કર્યાં. 1960થી 1980 દરમિયાન એમણે જે નવલકથાઓ આપી. એમની નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો વિશેષ ધ્યાન ખેંચે એવા છે. તેમણે નવલકથામાં રાજકારણી, પત્રકાર, સંતથી માંડીને મજબૂરીથી દેહવિક્રય કરતી સ્ત્રી, આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળપ્રવૃત્તિ વગેરે વિષયોને તેમણે નવલકથામાં આવરી લીધા છે. તેમની નવલકથાઓ જનસત્તા, લોકસત્તા, પ્રતાપ, ફૂલછાબ, જન્મભૂમિ, જનશક્તિ, અભિયાન, યુવદર્શન વગેરે અખબાર અને સામયિકોમાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહી છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ સામાન્ય વાચકવર્ગને આકર્ષતી રહી છે. વિઠ્ઠલભાઈની ફિલ્મજગતની સંસ્મરણકથા ‘અસલી નકલી ચહેરા’ વાંચી કવિ સુરેશ દલાલે કહ્યું હતું કે ‘વિઠ્ઠલભાઈની મેં દરેક નવલકથા નથી વાંચી, પણ આ સંસ્મરણકથા માટે લોકો એમને યાદ રાખશે.’ ફિલ્મજગત વિશે સંસ્મરણો લખાયાં હોય એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઘટના હતી. આવા સર્જક વિઠ્ઠલ પંડ્યાએ નવલકથા, વાર્તાસંગ્રહ, આત્મકથા (ભીંત ફાડીને ઊગ્યો પીપળો), સંસ્મરણકથા (અસલી નકલી ચહેરા) તથા અન્ય પુસ્તકો મળી કુલ 68 પુસ્તકો આપ્યાં. તેમનાં ત્રણેક પુસ્તકો હિન્દી ભાષામાં અનૂદિત થયાં છે. તેમની નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. ૧૯૫૫માં સવિતા વાર્તાસ્પર્ધામાં એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

રતનજી જમશેદજી ટાટા

જ. 20 જાન્યુઆરી, 1871 અ. 5 સપ્ટેમ્બર, 1918

ભારતીય ઉદ્યોગપતિ અને દાનવીર સર રતનજી જમશેદજી ટાટાનો જન્મ મુંબઈમાં થયો હતો. જમશેદજી ટાટાના તેઓ નાના પુત્ર હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું. પછી પિતાની કંપનીમાં જોડાયા. 1893માં નવાજબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. 1904માં જમશેદજી ટાટાના અવસાન પછી તેમના ભાગે વારસામાં મળેલી સંપત્તિના મોટા ભાગનો ઉપયોગ પરોપકારી કાર્યો અને ભારતનાં સંસાધનોના વિકાસ માટે વિવિધ ઉદ્યોગસાહસો શરૂ કરવામાં કર્યો. 1905માં બૅંગાલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપના કરી. 1912માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં રતન ટાટા ડિપાર્ટમેન્ટ ઑફ સોશિયલ સાયન્સ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરી. આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લંડન યુનિવર્સિટીમાં રતન ટાટા ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમણે 1909માં આફ્રિકાના ટ્રાન્સવાલમાં ન્યાય માટે લડનારા ભારતીયોની લડત માટે મદદ કરવા ગાંધીજીને 50,000 રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે ગોપાલકૃષ્ણ ગોખલેના સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીને સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન કર્યું હતું. મુંબઈ મ્યુનિસિપાલિટી દ્વારા શરૂ કરાયેલ કિંગ જ્યોર્જ પંચમ ઍન્ટિટ્યુબર ક્યુલોસિસ લીગને દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, ભારતમાં તેના સ્થાપક જનરલ બૂથના સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. 1913માં પાટલીપુત્રમાં થયેલ પુરાતત્ત્વીય ઉત્ખનન માટે મોટું ભંડોળ આપ્યું હતું. તેઓ કલાપ્રિય હતા. પ્રાચીન વસ્તુઓ ખરીદવાનો અને સંગ્રહ કરવાનો તેમને શોખ હતો. તેમણે એકઠાં કરેલાં ચિત્રો, વાસણો, કાર્પેટ, હસ્તપ્રતો વગેરે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈને આપ્યાં હતાં. આજે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયમાં સર રતનજી ટાટાના સંગ્રહોનો એક વિભાગ છે. તેમણે સંબંધીના પરિવારમાંથી નવલ ટાટાને દત્તક લીધા. 1918માં તેમનું અવસાન થતાં તેમને લંડન નજીક બ્રુકવુડ કબ્રસ્તાનમાં તેમના પિતા જમશેદજી ટાટાની બાજુમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમનાં પત્નીએ 1919માં સર રતન ટાટા ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને 1916માં નાઇટની ઉપાધિ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

સૌમિત્ર ચટ્ટોપાધ્યાય

જ. 19 જાન્યુઆરી, 1935 અ. 15 નવેમ્બર, 2020

બંગાળી સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા ખૂબસૂરત અભિનેતા સૌમિત્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ બંગાળમાં થયો હતો. તેમને બાળપણથી જ નાટકો ભજવવાનો શોખ હતો. ઘરમાં જ ભાઈ-બહેનો તથા દોસ્તો સાથે મળીને નાટકો ભજવતા. વડીલોએ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. પિતા તેમના વ્યવસાય અંગે કૉલકાતા ગયા અને સૌમિત્ર પણ ત્યાં કૉલેજમાં અભ્યાસ કરવા ગયા. કૉલેજમાં તેમનો પરિચય સત્યજિત રે સાથે થયો, જે સમય જતાં ગાઢ દોસ્તીમાં પલટાઈ ગયો. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’માં ભજવેલી ભૂમિકાથી થયો. ‘અપૂર સંસાર’ના તેમના અભિનયથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી. તે પછી તેમને અન્ય સર્જકોનાં ચલચિત્રોમાં પણ કામ મળવા માંડ્યું. સાઠના દાયકામાં તે સમયના જાણીતા અભિનેતા ઉત્તમકુમારના પ્રતિસ્પર્ધી અભિનેતા તરીકે ખૂબ પ્રશંસા મળી. ‘અપરિચિત’ જેવા ચલચિત્રમાં તેમની ભૂમિકા ખૂબ વખણાઈ. ‘સ્ત્રી’, ‘દેવદાસ’, ‘ઝિંદેર બંદી’ જેવાં ચલચિત્રોમાં તેમણે ઉત્તમકુમારની સમકક્ષ ભૂમિકા કરી. તેમની અભિનયક્ષમતાથી વિશ્વભરના સમીક્ષકો, ફિલ્મસર્જકોનું ધ્યાન આકર્ષિત થયું. સત્યજિત રે સાથે લગભગ સાડા ત્રણ દાયકાની સફરમાં તેમનાં 28 ચલચિત્રોમાંથી 14માં સૌમિત્રએ પ્રમુખ ભૂમિકા નિભાવી જે સર્વ ભારતીય સિનેમાઉદ્યોગ માટે અમૂલ્ય ગણાય છે. તેમણે તેમની પ્રતિભાથી દર્શકોનાં દિલ જીત્યાં અને તેમને વૈશ્વિક ઓળખ મળી. તેમણે સત્યજિત રે ઉપરાંત મૃણાલ સેન, તપન સિંહા, તરુણ મજમુદાર સહિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નિર્દેશકો સાથે પણ કામ કર્યું. જોકે તેઓ રંગમંચ સાથે તો હંમેશાં જોડાયેલા રહ્યા. તેમની ભૂમિકાવાળાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘અપૂર સંસાર’ ઉપરાંત ‘સાત પાકે બાંધા’, ‘ચારુલતા’, ‘અપરિચિત’, ‘અભિજાન’, ‘ગણદેવતા’, ‘સમાપ્તિ’, ‘ઘરે-બાહિરે’, ‘સ્વયંવરા’, ‘ઉર્વશી’, ‘વસુંધરા’, ‘ક્ષુધિત પાષાણ’, ‘અભિમન્યુ’ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ ગુરુદેવ ટાગોરના ભક્ત હતા. તેઓ પોતે કાવ્યો લખતા. તેમનું પ્રથમ પુસ્તક ‘જલપ્રપાતેર ધારે દાડાવ બોલે’ 1974માં પ્રગટ થયું હતું. તેમને પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.