જ. ૧૧ જૂન, ૧૮૯૭ અ. ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭

ભારતીય ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની અને દેશભક્ત કવિ તરીકે જાણીતા રામ પ્રસાદનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. તેમના પિતા મુરલીધર શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા પાસેથી શીખવા મળી હતી, જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. રામ, અજ્ઞાત અને બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી અને ઉર્દૂમાં કવિતાઓ લખી હતી જે પૈકી તેઓ ‘બિસ્મિલ’ તરીકે વધુ જાણીતા બન્યા હતા.
રામ પ્રસાદ બિસ્મિલે ૧૮ વર્ષની વિદ્યાર્થીવયે ક્રાંતિકારી, લાલા હરદયાળના સહયોગી તથા વિદ્વાન એવા પરમાનંદની મોતની સજા વિશે સાંભળ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ નિયમિત રીતે આર્ય સમાજના મંદિરે જતા હોવાથી ત્યાં તેમની મુલાકાત પરમાનંદના મિત્ર સોમદેવ સાથે થઈ. મોતની સજા વિશે સાંભળ્યા બાદ તેમણે હિંદી ભાષામાં રચેલી કવિતા ‘મેરા જન્મ’ સોમદેવને વંચાવી. આ કાવ્ય સમગ્ર ભારત પરથી બ્રિટિશ નિયંત્રણ હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું. ભગતસિંહે પણ તેમની હિંદી અને ઉર્દૂ કવિ તરીકે પ્રશંસા કરી હતી. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક ઍસોસિયેશનની સ્થાપના કરી હતી જે પાછળથી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક ઍસોસિયેશન એવા નામથી જાણીતું થયું હતું. આ સંગઠનનો મુખ્ય હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતને સ્વરાજ અપાવવાનો હતો. સંગઠન માટે ફાળો મુખ્યત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો હતો. ૯ ઑગસ્ટ, ૧૯૨૫ના દિવસે થયેલ કાકોરી કાંડ સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન, ઠાકુર રોહનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિડી સહિત તમામને ફાંસીની સજા થઈ હતી અને ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગોરખપુરની જેલમાં તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. તેમની યાદમાં અનેક સ્મારક અને ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.
અશ્વિન આણદાણી