Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ સદાશિવ મરાઠે

જ. 8 ડિસેમ્બર, 1877 અ. 18 માર્ચ, 1956

મહારાષ્ટ્રના સંસ્કૃત વિદ્વાન અને ધાર્મિક સુધારક નારાયણ મરાઠેનો જન્મ કોલાબા જિલ્લાના સુડકોલી ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે થયું હતું. સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અધ્યયન માટે તેમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. ઘણા વિદ્વાનો પાસે રહી અધ્યયન કર્યું, પરંતુ તેમના પર પ્રજ્ઞાનંદ સરસ્વતીનો વિશેષ પ્રભાવ પડ્યો. નારાયણે તેમની પાસે વેદાંતનું અધ્યયન કર્યું. તેઓ ઋગ્વેદ, સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. તેમણે ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ભારત અને વિશ્વનો ઇતિહાસ, ખગોળશાસ્ત્ર અને ભૂગોળનું પણ અધ્યયન કર્યું. તેઓ પોતાનાં બધાં જ કામ જાતે કરતા. દિવસભર અભ્યાસ કરતા અને તપસ્વી જેવું જીવન જીવતા. તેમણે તેમના ગુરુના નામ પરથી વાઈમાં ‘પ્રજ્ઞામઠ’ નામના વિદ્યાલયની સ્થાપના કરી. પછીથી એનું નામ ‘પ્રજ્ઞા પાઠશાળા’ રાખવામાં આવ્યું. આ વિદ્યાલયમાં ભારતીય દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. તેમણે વામન કાણે જેવા વિદ્વાનોના સહયોગથી ‘ધર્મ નિર્ણય મંડળ’ની સ્થાપના કરી. તેમણે 1927માં ‘ધર્મકોશ કાર્યાલય’ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોને લગતા વિશ્વકોશ સમાન સાત ખંડો પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે પ્રાચીન શિક્ષણપદ્ધતિને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણપદ્ધતિની રચના કરી. તેમણે 1931માં સંન્યાસ લીધો. સંન્યાસ પછી તેઓ કેવલાનંદ સરસ્વતીના નામે જાણીતા થયા. સંન્યાસ લીધા પછી પણ તેમણે હિંદુ દાર્શનિક વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ‘મીમાંસાદર્શનમ્’ અને ‘અદ્વૈતસિદ્ધિ’નો મરાઠીમાં અનુવાદ કર્યો. ‘કૌશિતાકી બ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીય શાખા’ના વિષયવસ્તુના કોષ્ટક તૈયાર કર્યાં. ‘સત્યશબ્દ સંવાદ’ અને ‘તૈત્તિરીય શાખા’ તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે ‘મીમાંસા કોશ’ અને ‘અદ્વૈત વેદાંત કોશ’ની રચના કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ભોગીલાલ ધીરજલાલ લાલા

જ. 7 ડિસેમ્બર, 1877 અ. 30 ઑગસ્ટ, 1965

ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય સૈનિક અને મુંબઈ વિધાન પરિષદના અધ્યક્ષ ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરીને વકીલોને વકીલાત છોડવાની હાકલ કરી ત્યારે, તેમણે ધીકતી કમાણીવાળી પોતાની વકીલાતનો ત્યાગ કરીને ભારતમાતાની મુક્તિ માટેની ચળવળમાં ઝંપલાવ્યું. 1927થી 1932 દરમિયાન તેમણે લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1920થી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતા જાહેર સેવાનાં સર્વ કાર્યોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કામ કરતા હતા. પરદેશી કાપડ સામે અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ કરવું, ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવો, ગુજરાતમાં રેલસંકટ, દુષ્કાળ, બિહારનો ધરતીકંપ અને અતિવૃષ્ટિ દરમિયાન રાહતકાર્યો કરવાં; સ્વદેશીનો પ્રચાર કરવો વગેરે લોકસેવાનાં કાર્યો તેમણે કર્યાં હતાં. તેઓ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો તેથી તેમની ધરપકડ થઈ. મુંબઈ રાજ્યની વિધાનપરિષદના અધ્યક્ષ તરીકે 1956માં ચૂંટાયા. સરદાર પટેલના વિશ્વાસુ કાર્યકર થયા. તેઓને લોકોએ ‘લાલા કાકા’નું લાડીલું બિરુદ આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રલેખા

જ. 6 ડિસેમ્બર, 1928 અ. 30 ડિસેમ્બર, 2006

ભરતનાટ્યમની પારંપરિક શૈલીને આધુનિક સ્પર્શ આપનાર પ્રભાવશાળી નૃત્યકાર ચંદ્રલેખાનો જન્મ વાડા ગામ(મહારાષ્ટ્ર)માં થયો હતો. પિતા પ્રભુદાસ પટેલ અજ્ઞેયવાદી તબીબી અને માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમનું બાળપણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીત્યું. ચંદ્રલેખાએ નાની વયથી જ અભ્યાસની સાથોસાથ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. શાળાના શિક્ષણ પછી તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ તેને અધવચ્ચે છોડીને નૃત્ય પાછળ જ પોતાનો સમય તથા શક્તિ સમર્પી દીધાં. થોડાં વર્ષોમાં જ ચેન્નાઈમાં શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું. તેમની માન્યતા હતી કે કલાને આધુનિક યુગ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. આધુનિક યુગના પ્રશ્નો, વિષયો, હકીકતોનું પ્રતિબિંબ કલા અને નૃત્યમાં ઝિલાવું જોઈએ.

પારંપરિક ભરતનાટ્યમ્ શૈલીમાં આ શક્ય ન જણાતાં તેમણે પોતાની શક્તિઓ અન્ય ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી. તેઓ મહિલા અને માનવઅધિકારોની ચળવળમાં જોડાયાં. થોડું લેખનકાર્ય કર્યું, પોસ્ટર અને પુસ્તકોના જૅકેટની ડિઝાઇનિંગનું કામ પણ કર્યું, પરંતુ તેમની અંદરનો કલાકાર તેમને પુનઃ નૃત્યની દુનિયામાં કૉરિયૉગ્રાફર તરીકે ખેંચી લાવ્યો. તેમણે ભરતનાટ્યમની પારંપરિક શૈલીને નવીન અને આધુનિક ઓપ આપ્યો. તેમણે યોગની કેટલીક મુદ્રાઓ અને આસનોનો પોતાની નૃત્યશૈલીમાં સુંદર રીતે ઉપયોગ કર્યો. તેમની નૃત્યશૈલીમાં માનવદેહને, સુંદરતાના પ્રતીકને બદલે પુરુષ અને સ્ત્રીની શક્તિ, સત્તા તથા સ્વતંત્રતાના પ્રતીક તરીકે  પ્રયોજવામાં આવ્યો છે. તેમની ‘આંગિકા’, ‘લીલાવતી’, ‘શ્રી’ તથા ‘મહાકાલ’ જેવી નૃત્યનાટિકાઓને દેશ-વિદેશમાં ખૂબ પ્રશંસા મળી હતી. પાંત્રીસ વર્ષની લાંબી કારકિર્દીમાં ચંદ્રલેખાએ અનેક સંઘર્ષો, ટીકાઓ, વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો. મજબૂત મનોબળ ધરાવતાં અને સ્વતંત્ર મિજાજનાં આ સ્ત્રીકલાકાર હંમેશાં પોતાના ધ્યેયમાં અડગ રહ્યાં. હૃદયરોગ જેવી ગંભીર માંદગીમાંથી ઊઠીને તેમણે હિંમતપૂર્વક પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલા ઍવૉર્ડમાં સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ : ક્રિએટિવ ડાન્સ (1991), કાલિદાસ સન્માન (2003-2004), સંગીત નાટક અકાદમી ફેલોશિપ (2004) વગેરેનો સમાવેશ  થાય છે.