Categories
વાચન સમૃદ્ધિ

વેર્નર હાઇઝન્બર્ગ

જ. 5 ડિસેમ્બર, 1901 અ. 1 ફેબ્રુઆરી, 1976

ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝન્બર્ગનો જન્મ વુર્ઝબર્ગ, જર્મનીમાં થયો હતો. 1920 સુધી તેમણે મ્યૂનિકની મેક્સમિલન શાળામાં અભ્યાસ કર્યો. મ્યૂનિક યુનિવર્સિટીમાં સોમરફિલ્ડ, વીન પ્રિન્ગશેઇમ અને રોઝેન્થલના માર્ગદર્શન હેઠળ ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1922-23માં ગોટિંગજનમાં ભૌતિકવિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. 1923માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ હંમેશાં ગ્રીક ભાષાથી પ્રભાવિત હતા. જાપાની ભૌતિકવિજ્ઞાની યુકાવા શોધિત મૂળભૂત કણ મેસોટ્રૉનનું, હાઇઝન્બર્ગે ગ્રીક ભાષાની  જાણકારીને કારણે મેસૉન નામ રાખ્યું જે આજે પણ પ્રચલિત છે. 26 વર્ષની વયે લાઇપઝિંગ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1929માં યુ.એસ., જાપાન અને ભારતમાં વ્યાખ્યાનો આપ્યાં. 1941માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સના નિયામક તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધને અંતે તેમને અમેરિકન લશ્કરી દળોએ કેદી તરીકે ઇંગ્લૅન્ડ મોકલી દીધાં, પરંતુ 1946માં પાછા જર્મની આવી ગયા. તેમણે કેમ્બ્રિજ (ઇંગ્લૅન્ડ), યુ.એસ.માં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે સ્કૉટલૅન્ડમાં ગિફૉર્ડ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોને પાછળથી પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920ના દાયકામાં તેમણે ક્વૉન્ટમ યાંત્રિકીને નવું સ્વરૂપ આપ્યું અને તે ગાળામાં અચોક્કસતા (indeterminancy)નો સિદ્ધાંત આપ્યો. સામાન્ય રીતે આ સિદ્ધાંત હાઇઝન્બર્ગના અચોક્કસતા સિદ્ધાંત તરીકે પ્રચલિત છે. 1957 બાદ તેમણે પ્લાઝમા ભૌતિકી અને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ પર કામ કર્યું. તેમણે એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત (unified field theory) પર પણ ધ્યાન આપ્યું અને તેમને લાગ્યું કે ભૌતિકવિજ્ઞાનમાં મૂળભૂત કણોના અભ્યાસ માટે આ સિદ્ધાંત ચાવીરૂપ છે. ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને પ્રયોજનને કારણે હાઇડ્રોજનનાં વિવિધ સ્વરૂપો(autotropic forms)ની શોધ બદલ 1932માં તેમને ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

રમેશચંદ્ર મજુમદાર

જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980

ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી  પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલૉજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા. રમેશચંદ્ર મજુમદાર ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. તેઓ કૉલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા. ડૉ. રમેશચંદ્ર મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. ‘ધી અર્લી હિસ્ટ્રી ઑફ બૅંગોલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાળથી, પાલવંશનું શાસન સ્થપાતાં સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. આ સિવાય તેમણે ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’ (1944), ‘એશિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા’ (1960) જેવાં પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વભાસ્કર’નું બિરુદ અને મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત હોલકર

જ. 3 ડિસેમ્બર, 1776 અ. 28 ઑક્ટોબર, 1811

અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર ઇન્દોર રાજ્યના છઠ્ઠા હોલકર રાજા યશવંતરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના વડગાંવમાં થયો હતો. પિતા તુકોજીરાવ અને માતા યમુનાબાઈ. તેઓ ફારસી, મરાઠી અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. ગ્વાલિયરના રાજા દૌલતરાવ સિંધિયાએ યશવંતરાવના મોટા ભાઈ મલ્હારરાવની હત્યા કરી એ પછી એમણે પોતાના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે પોતાની સેના તૈયાર કરી. તેમણે શેવેલિયર ડુડ્રેનેકના નેતૃત્વની સેનાને હરાવી આથી અંગ્રેજોએ યશવંતરાવને હોલકરના વડા તરીકે સ્વીકાર્યા. 1802માં તેમણે પુણેના પેશ્વા અને સિંધિયાની સંયુક્ત સેનાને હરાવી. યુદ્ધ જીત્યા પછી પુણેના નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો આદેશ આપ્યો. તેમણે ભારતમાં અંગ્રેજોના વધતા સામ્રાજ્યને રોકવાના પ્રયત્નો કર્યા. નાગપુરના ભોસલે અને ગ્વાલિયરના સિંધિયા તેમની સાથે જોડાયા અને દગો કર્યો. તેમણે એકલા હાથે અંગ્રેજોની સેનાને હરાવી. 11 સપ્ટેમ્બર, 1804માં વેલેસ્લીએ લૉર્ડ લ્યુકને પત્ર લખ્યો કે જો યશવંતરાવને કાબૂમાં નહીં લેવામાં આવે, તો તે અન્ય રાજાઓ સાથે જોડાઈને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. યશવંતરાવે 1804માં દિલ્હી પર હુમલો કર્યો. એક અઠવાડિયા સુધી ઘેરો કર્યો, પરંતુ સફળતા મળી નહીં. તેમની બહાદુરી માટે શાહઆલમે તેમને ‘મહારાજાધિરાજ રાજ રાજેશ્વર અલીજા બહાદુર’નું બિરુદ આપ્યું. સિંધિયા યશવંતરાવની બહાદુરી જોઈને તેમની સાથે જોડાતાં અંગ્રેજોની ચિંતા વધી. આથી અંગ્રેજોએ તેમની સાથે બિનશરતી સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને યશવંતરાવે નકાર્યો. બધા શાસકોને એક કરવામાં નિષ્ફળતા મળતાં તેમણે 1805માં અંગ્રેજો સાથે સંધિ કરી. અંગ્રેજોએ તેમને સ્વતંત્ર શાસક તરીકે માન્ય રાખ્યા અને તેમના બધા પ્રદેશો પાછા આપ્યા. યશવંતરાવે ભાનપુરમાં દારૂગોળો બનાવવા કારખાનું નાંખ્યું. તેમણે દિવસ-રાત કામ કર્યું. તેમણે 200 જેટલી તોપોનું  ઉત્પાદન કરાવ્યું. તેમણે આખું જીવન દેશી રાજ્યોના રાજાઓને એક કરવા અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં વિતાવ્યું.