Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

જ. ૨૫ જૂન, ૧૯૦૭ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪

તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, બાળસાહિત્યકાર, અનુવાદક અને જીવનચરિત્રકાર હતા. તેમણે બાળસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. ભાવનગરમાં મોહનલાલ અને રેવાબહેનને ત્યાં જન્મેલા મૂળશંકરભાઈએ ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મૅટ્રિક પાસ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૭માં મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે સ્નાતક(સંગીતવિશારદ)ની પદવી પ્રાપ્ત કરી હતી. મૂળશંકર ભટ્ટે તેમના શિક્ષણકાર્યની શરૂઆત ૧૯૨૯માં મુંબઈના વિલેપાર્લે સ્થિત બૉમ્બે નૅશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓએ ભાવનગરમાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી શિક્ષક અને રેક્ટર તરીકે, ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૫ સુધી શિક્ષક તરીકે, ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આચાર્ય તરીકે અને ત્યારબાદ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી અને એ જ સમયગાળા દરમિયાન તેમણે લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી. ૧૯૬૫માં નિવૃત્ત થયા પછી પણ અનેક સંસ્થાઓમાં તેમણે માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. જૂલે વર્ન(ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર)ની વિજ્ઞાન-સાહસકથાઓ જેમાં ‘સાગરસમ્રાટ’, ‘ગગનરાજ’, ‘પાતાળપ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘બલૂન પ્રવાસ’ વગેરે તેમની મુખ્ય અનુવાદની કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની વિશ્વવિખ્યાત નવલકથા ‘લા-મિઝરેબલ’નો ‘દુ:ખિયારાં’ નામે તેમનો અનુવાદ જાણીતો છે. આવા મહાન ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મૂળશંકર મોહનલાલ ભટ્ટે ભાવનગરમાં અંતિમ શ્વાસ લીધો. મૂળશંકર ભટ્ટને નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદોની પરંપરામાં અંતિમ કડી માનવામાં આવે છે. તેમની શિક્ષણપદ્ધતિઓ અને સાહિત્યિક યોગદાન આજે પણ પ્રેરણારૂપ છે.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત ઓમકારનાથ ઠાકુર

જ. ૨૪ જૂન, ૧૮૭૯ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭

ભારતના શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના મહાન ગાયક, સંગીતજ્ઞ. પંડિતજીનો જન્મ શિવઉપાસક દંપતી ગૌરીશંકર તથા ઝવેરબાને ત્યાં થયો હતો. પિતાનું અકાળે અવસાન અને વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે બાળપણમાં રામલીલામાં કલાપ્રસ્તુતિની નોકરી સ્વીકારી. ત્યાં શ્રેષ્ઠી શાપુરજીની નજરમાં આવતાં એમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપવામાં આવી. ઓમકારનાથજીની સંગીત પ્રત્યેની નિષ્ઠા, ખંત અને નિપુણતા જોતાં તાલીમને અંતે પલુસ્કરજીએ પંડિતજીના લાહોર ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે નિમણૂક કરી, સાથે ભારત તથા યુરોપમાં પંડિતજીએ અનેક કાર્યક્રમો આપ્યા. પંડિતજીએ ગાયનમાં પલુસ્કરજીની સાથે ઉસ્તાદ રહેમત ખાનની ગાયનશૈલી પણ અપનાવી હતી. પંડિતજી ખયાલશૈલીની સાથે ધ્રુપદ-ધમાર તેમ જ ઠૂમરી પણ અદભુત રીતે પ્રસ્તુત કરતા. શાસ્ત્રીય સંગીતની શુદ્ધતા જાળવીને હૃદયને સ્પર્શે એવી પોતાની આગવી શૈલીમાં ભજન ગાયન એ પંડિતજીની ઓળખ બની હતી. પંડિતજીનો ગાયેલો રાગ નીલાંબરી, માલકોશમાં ‘પગ ઘૂંઘર બાંધ’, ભૈરવીમાં ‘જોગી મત જા’ તેમ જ કવિ શ્રી ન્હાનાલાલની રચના ‘વિરાટનો હિંડોળો’ સંગીતના ભાવકો માટે સાંગીતિક તૃપ્તિની સાથે એક તરસ છોડી જનાર કલાકૃતિ સમાન હતાં. તેઓ કુશળ તરવૈયા પણ હતા. પંડિતજીનાં પત્ની ઇંદિરા દેવી તેમજ નવજાત સંતાનના અવસાન બાદ પંડિતજીએ તોડી રાગને સદાને માટે તિલાંજલિ આપી. પંડિતજી સંગીતના મર્મજ્ઞ, પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત, હિન્દી, વેદો, શાસ્ત્રોના જ્ઞાતા અને અભ્યાસી હતા. ‘પ્રણવ રંગ’ તખલ્લુસથી એમણે અનેક શાસ્ત્રીય બંદિશોની રચના કરી. ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ છ ભાગમાં તેમજ ‘પ્રણવભારતી પંડિતજીરચિત પુસ્તકો છે. પદ્મશ્રી અને અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. પંડિતજીની જન્મશતાબ્દીએ ભારત સરકાર દ્વરા એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરવામાં આવી હતી. બુલંદ છતાં મીઠા સુરીલા અવાજ, સંગીતના જ્ઞાન અને સેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકુર સદાય યાદ રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રબોધ બેચરદાસ પંડિત

જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.