જ. ૧ એપ્રિલ, ૧૯૪૧ અ. ૧૫ ઑગસ્ટ, ૨૦૧૮
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અજિત લક્ષ્મણ વાડેકરનો જન્મ મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાની ઇચ્છા તેમને એન્જિનિયર બનાવવાની હતી, પરંતુ તેમણે ક્રિકેટની રમત ઉપર પસંદગી ઉતારી. છ ફૂટ ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. ડાબોડી મધ્યમ બૉલિંગ પણ તેઓ કરતા હતા. તેઓ હંમેશાં ત્રીજા ક્રમાંક ઉપર રમવા ઊતરતા.
પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૯૫૮થી ૧૯૭૫ દરમિયાન તેઓ મુંબઈ અને વેસ્ટ ઝોન તરફથી રમ્યા હતા. રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈનું કપ્તાનપદ દીર્ઘકાળ સુધી સંભાળ્યું હતું. તેમની ગણના ‘હાર્ડ હિટર’ તરીકે થતી હતી. તેઓ ‘હાફ વૉલી’ દડાને ફટકારવાનું ભાગ્યે જ ચૂકતા હતા.
૧૯૬૬-૬૭માં રાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર બૅટિંગના પ્રતાપથી તેમણે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈ ખાતે ૧૩મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૬૭માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં અને ૧૯૬૭-૬૮માં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. ૧૪૩ રન ફટકારી તેમણે ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બન્યા હતા. ૧૯૭૧માં કૅંરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેમણે ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરી હતી. તેમણે ૧૬ ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતની પ્રથમ એકદિવસીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પણ તેઓ સભ્ય હતા. ૧૯૭૪માં વાડેકરે નિવૃત્તિ જાહેર કરી હતી.
અજિત વાડેકર સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં જનસંપર્ક વિભાગમાં જનરલ મૅનેજરના હોદ્દા પર હતા. તેઓ જૂજ એવા ભારતીય ક્રિકેટરોમાંના હતા જેમણે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ખેલાડી, કપ્તાન, કોચ, મૅનેજર અને પસંદગીકાર (સિલેક્ટર) તરીકે સેવાઓ આપી હતી.
૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન ઍવૉર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીના ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમલા પરીખ