જ. ૧૦ જૂન, ૧૯૨૭ અ. ૫ ઑગસ્ટ, ૨૦૧૫

ગાંધીવિચારના અભ્યાસી અને રવિશંકર મહારાજના આરાધક મગનલાલ જોઈતારામ પટેલ મ. જો. પટેલ તરીકે વિશેષ જાણીતા હતા. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના પીંઢારપુરા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં અભણ માતાપિતાને ત્યાં થયો હતો. તેઓ સેલાવી, ધીણોજ અને પીલવાઈ ગામની શાળાઓમાં કારમી ગરીબી વચ્ચે ભણ્યા હતા. ત્યારબાદ તેમણે એક વર્ષ માટે વિસનગર કૉલેજમાં અને સહુથી વધુ વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ જેને ‘ગાંધીજીની પ્રતિમૂર્તિ’ ગણતા તે રવિશંકર મહારાજના સાથી અને સેવક તરીકે ભૂદાનયાત્રાના પાંચ વર્ષને તેમના જીવનનો સૌથી પાવનકારી તબક્કો ગણાવે છે. મગનલાલ જોઈતારામ પટેલે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પસીસેક વર્ષ ગાંધીદર્શન વિષયનું અધ્યાપન કરાવ્યું હતું. તેમણે લખેલ ‘ગાંધીજીનું ધર્મદર્શન’ નામના પુસ્તકને પંડિત સુખલાલજીએ દરેક ઘરમાં વસાવવા જેવું ગણ્યું છે. ‘ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં’ નામના પુસ્તકમાં તેમણે ‘ગાંધીજીના શિક્ષણવિષયક વિચારો આદિથી અંત સુધી સંગૃહિત કર્યા તે ઉત્તમ કામ કર્યું છે’ એમ મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે.
મ. જો. પટેલે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ’, ‘ઇટાલીના ગાંધી દાનિલો દોલ્ચી’, ‘ભારત સેવક મંડળના ઉત્કલ મણિ ગોપબંધુ દાસ’, ‘અર્થશાસ્ત્રી જે. સી. કુમારાપ્પા’ જેવાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. તેમણે દૃષ્ટાંતકથાઓ ‘જીવનનું ભાથું’ અને ‘ધન્ય ગૃહસ્થાશ્રમ’ જેવાં સંકલનો પણ આપ્યાં છે. અજોડ લોકસેવક બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સહિત તેમનાં સ્વકથનનાં પાંચ પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. તેમની આત્મકથા ‘સંતોની છાયા’માં તેમના સંઘર્ષમય અને સેવાભાવી જીવનનું સુરેખ બયાન આપે છે. અઠ્યાસી વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.
અશ્વિન આણદાણી