જ. ૧૮ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ કરી જીત અપાવનાર લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પૂર્વજ રતનજીબા છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં હતા. શિવાજીએ તેમને તારાપોર સહિત ૧૦૦ ગામ ઇનામ સ્વરૂપે આપ્યાં હતાં. આથી તેઓ તારાપોર કહેવાયા. પુણેની સરદાર દસ્તુર બૉય્ઝ સ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૪૦માં મૅટ્રિક થયા પછી પહેલી જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ સાતમી હૈદરાબાદ ઇન્ફન્ટ્રીમાં જોડાયા. હૈદરાબાદ ભારતમાં વિલીન થયું પછી તેઓ ભારતીય સેનામાં પૂના હોર્સમાં સામેલ થયા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ફિલોરા પર આક્રમણ કરવા તારાપોર એમની ટુકડી સાથે આગળ વધ્યા. દુશ્મનોએ મોટી સંખ્યામાં રણગાડીઓ સાથે હુમલો કર્યો. ધમસાણ યુદ્ધ થયું. દુશ્મનની શક્તિનો તાગ મેળવવા તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા ત્યાં જ દુશ્મનનો તોપગોળો તેમની નજીક ફૂટ્યો, આથી તેઓ ઘાયલ થયા. સારવાર માટે યુદ્ધમેદાન ન છોડ્યું અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેમણે દુશ્મનની ટૅન્કોનો ખાતમો બોલાવ્યો અને ફિલોરા જીત્યું. ફિલોરાથી ચવિન્દા જવાનું હતું. માર્ગમાં વઝીરવાલી મુકામે પાકિસ્તાની સેનાએ ભારે હુમલો કર્યો. તારાપોરે દુશ્મનોની ટૅન્કો ઉડાવી વઝીરવાલી કબ્જે કર્યું. ત્યાંથી આગળ વધી બુતુર દોગરણ પહોંચતાં જ કૅપ્ટન અજયિંસહના કાફલા પર હુમલો થયો. તારાપોર તેમના કાફલા સાથે બુતુર દોગરણ પહોંચ્યા. કલાકો સુધી ગોળાબાજી ચાલી. એમાં તારાપોરની ટૅન્કનું બખ્તર ભેદાયું. તેમ છતાંય તેઓ લડતા રહ્યા. સાંજ સુધીમાં ભારતીય સૈન્યએ જીત મેળવી પણ પાકિસ્તાનની ટૅન્કના ગોળાથી તારાપોર શહીદ થયા. તારાપોરની ટુકડીએ પાકિસ્તાનની ૬૦ ટૅન્કોનો નાશ કરી અસાધારણ શૌર્યથી દુશ્મનોને હરાવ્યા હતા. યુદ્ધભૂમિમાં કરેલ અપ્રતિમ પરાક્રમ માટે ભારત સરકારે પરમવીર ચક્ર(મરણોત્તર)થી અરદેશર તારાપોરને સન્માનિત કર્યા.
અનિલ રાવલ