Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ જોઈતારામ પટેલ

જ. ૧૦ જૂન, ૧૯૨૭ અ. ૫ ઑગસ્ટ, ૨૦૧૫

ગાંધીવિચારના અભ્યાસી અને રવિશંકર મહારાજના આરાધક મગનલાલ જોઈતારામ પટેલ મ. જો. પટેલ તરીકે વિશેષ જાણીતા હતા. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના પીંઢારપુરા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં અભણ માતાપિતાને ત્યાં થયો હતો. તેઓ સેલાવી, ધીણોજ અને પીલવાઈ ગામની શાળાઓમાં કારમી ગરીબી વચ્ચે ભણ્યા હતા. ત્યારબાદ તેમણે એક વર્ષ માટે વિસનગર કૉલેજમાં અને સહુથી વધુ વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ જેને ‘ગાંધીજીની પ્રતિમૂર્તિ’ ગણતા તે રવિશંકર મહારાજના સાથી અને સેવક તરીકે ભૂદાનયાત્રાના પાંચ વર્ષને તેમના જીવનનો સૌથી પાવનકારી તબક્કો ગણાવે છે. મગનલાલ જોઈતારામ પટેલે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પસીસેક વર્ષ ગાંધીદર્શન વિષયનું અધ્યાપન કરાવ્યું હતું. તેમણે લખેલ ‘ગાંધીજીનું ધર્મદર્શન’ નામના પુસ્તકને પંડિત સુખલાલજીએ દરેક ઘરમાં વસાવવા જેવું ગણ્યું છે. ‘ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં’ નામના પુસ્તકમાં તેમણે ‘ગાંધીજીના શિક્ષણવિષયક વિચારો આદિથી અંત સુધી સંગૃહિત કર્યા તે ઉત્તમ કામ કર્યું છે’ એમ મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે.

મ. જો. પટેલે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ’, ‘ઇટાલીના ગાંધી દાનિલો દોલ્ચી’, ‘ભારત સેવક મંડળના ઉત્કલ મણિ ગોપબંધુ દાસ’, ‘અર્થશાસ્ત્રી જે. સી. કુમારાપ્પા’ જેવાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. તેમણે દૃષ્ટાંતકથાઓ ‘જીવનનું ભાથું’ અને ‘ધન્ય ગૃહસ્થાશ્રમ’ જેવાં સંકલનો પણ આપ્યાં છે. અજોડ લોકસેવક બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સહિત તેમનાં સ્વકથનનાં પાંચ પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. તેમની આત્મકથા ‘સંતોની છાયા’માં તેમના સંઘર્ષમય અને સેવાભાવી જીવનનું સુરેખ બયાન આપે છે. અઠ્યાસી વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

વસંત કૃષ્ણા દેસાઈ

જ. ૯ જૂન, ૧૯૧૨ અ. ૨૨ ડિસેમ્બર, ૧૯૭૫

ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર અને વી. શાંતારામની ‘શકુન્તલા’ (૧૯૪૩), ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (૧૯૪૬), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (૧૯૫૫), ‘તૂફાન ઔર દિયા’ (૧૯૫૬), ‘દો આંખેં, બારા હાથ’ (૧૯૫૭) તથા વિજય ભટ્ટની ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (૧૯૫૯), ‘સંપૂર્ણ રામાયણ’ (૧૯૬૧), ‘આશીર્વાદ’ (૧૯૬૮)  અને  હૃષીકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ (૧૯૭૧)માં  સ્વરકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ થયા. ‘પ્રભાત’ ફિલ્મ કંપનીની ‘ધર્માત્મા’ અને ‘સંત ધ્યાનેશ્વર’ જેવી ફિલ્મોમાં ગાયક-કલાકાર અને સ્વરકારની એમણે ભૂમિકા ભજવી, પરંતુ એ પછી માત્ર સ્વરકાર તરીકે જ પોતાની કારકિર્દીને આગળ ધપાવી. વી. શાંતારામ ઉપરાંત વિજય ભટ્ટ અને બાબુભાઈ મિસ્ત્રી જેવા નિર્માતાઓએ તૈયાર કરેલાં અનેક પૌરાણિક ચલચિત્રોની પણ એમણે સ્વરરચના કરી. શાંતારામની મોટા ભાગની ફિલ્મોમાં સંગીત આપનાર વસંત દેસાઈએ પ્રભાત ફિલ્મ કંપનીથી જુદા થઈને પોતાનો ફિલ્મ સ્ટુડિયો તૈયાર કર્યો અને ૧૯૫૦ના દાયકામાં શાંતારામ સાથેના સંબંધો વણસી જતાં એ પછી એમણે ક્યારેય પોતાના મેન્ટર વી. શાંતારામની ફિલ્મો માટે કામ કર્યું નથી. ૬૬ જેટલાં ચલચિત્રોની સ્વર-રચના કરનાર વસંત દેસાઈને રાષ્ટ્રપતિનાં સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘દો આંખે, બારહ હાથ’નું ‘યે માલિક તેરે બંદે હમ’ (૧૯૭૫) અને ‘ગુડ્ડી’ ફિલ્મમાં વાણી જયરામે ગાયેલા એમના સર્વપ્રથમ ગીત ‘બોલ રે પપિહરા’ (૧૯૭૧) યાદગાર ગીતો બની રહ્યાં. વસંત દેસાઈએ ‘રામમાલિકા’માં સ્વરબદ્ધ કરેલા કાચી મઠનાં જગદગુરુ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીનાં સંસ્કૃત ભક્તિકાવ્યને ૧૯૬૬ની ૨૩મી ઑક્ટોબરે ‘યુનાઇટેડ નૅશન્સ દિવસે’ યુનોમાં ભારતરત્ન શ્રીમતી એમ. એસ. સુબ્બલક્ષ્મી દ્વારા ગાવામાં આવ્યું હતું. તેમણે તેમની કેટલીક સ્વરરચનાઓમાં મરાઠીના પવાડા અને લાવણીના પરંપરાગત સંગીતપ્રકારોને વણી લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. તેમના સંગીતનિર્દેશન હેઠળ તૈયાર થયેલ તેમના છેલ્લા ચલચિત્ર ‘તૂચ માઝી રાણી’(મરાઠી)ના રેકૉર્ડિંગ પછી તેઓ નિવાસ તરફ પરત જતા હતા ત્યારે લિફ્ટ તૂટી પડતાં અકસ્માતથી તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ગંભીરસિંહ ગોહિલ

જ. ૮ જૂન, ૧૯૩૪ અ. ૯ મે, ૨૦૨૫

ગુજરાતની આચાર્ય પરંપરામાં જેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે તે ગંભીરસિંહનો જન્મ સિહોર તાલુકાના સેંદરડા ગામમાં થયો હતો. ત્યાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં કોઈક બીમારીને કારણે બહેરાશ આવી ગઈ. આથી પિતા ભૂરુભાએ ઢોરઢાંખરના કામમાં જોડી દીધા. કોઈક કારણસર ભાવનગર ગયા. ત્યાંની મનહરકુંવરબા રાજપૂત છાત્રાલયમાં ગયા. ત્યાંના ગૃહપતિના પ્રેમને કારણે ભાવનગરમાં રહી પોતાને ભણવું છે તેવી પિતા પાસે જીદ કરી. અંતે છાત્રાલયમાં રહી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ૧૯૫૪માં પૂના બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા. તે સમયે તેમના સહાધ્યાયીઓ હતા દિનકર જોષી, માય ડિયર જયુ અને ખોડીદાસ પરમાર. છાત્રાવાસ દરમિયાન તેઓ ‘ઉદય’ નામનું ભીંતપત્ર ચલાવતા હતા. પછી શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.; એમ.એ. થયા. ત્યાં ફેલો તરીકે થોડું અધ્યાપનકાર્ય પણ કર્યું. ૧૯૬૬થી ઉપલેટા કૉલેજના અધ્યાપક, અધ્યક્ષ અને આચાર્ય થયા ને તેમની કારકિર્દી ઘડાતી ગઈ. ત્યારબાદ સાવરકુંડલા, પછી ભાવનગરની વળિયા આર્ટ્સ કૉલેજ અને અંતે ભાવનગરની શામળદાસ કૉલેજના આચાર્યપદેથી ૧૯૯૪માં નિવૃત્ત થયા. ગંભીરસિંહ એક એવા આચાર્ય હતા જેઓ નિવૃત્ત થયા પછી ૨૦૦૬માં પીએચ.ડી. થયા હતા, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. તેમની પાસેથી મળેલ ‘પ્રજાવત્સલ રાજવી’ જીવનચરિત્રમાં તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ચરિત્ર ઘણા અભ્યાસથી આલેખ્યું છે. સાડાચારસોથી વધુ પૃષ્ઠો ધરાવતા આ ચરિત્રને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને બીજાં અનેક સન્માનો મળ્યાં છે. તેમની પાસેથી ‘ગ્રંથવિવેક’ (૨૦૧૦), ‘ગ્રંથવિશેષ’ (૨૦૧૧) જેવા વિવેચનગ્રંથો મળ્યા છે. ‘ખિસકોલી તો ખિસકોલી જ’ અને ‘પંખીડું ઊડી ઊડી જાય’ જેવા બાળવાર્તાસંગ્રહો પણ મળ્યા છે. તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચૅરમૅનપદને પણ શોભાવ્યું હતું. ‘ભાવનગર ગદ્યસભા’ના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કેટલાંય વર્ષો સુધી નવોદિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ એક સાહિત્યકાર તથા ઉમદા, શિસ્તપ્રિય વહીવટકર્તા તરીકે જાણીતા હતા.