રશ્મિભાઈ ક્ષત્રિય


જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા

અરિંવદ બૂચ


જ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૨૮ જુલાઈ, ૧૯૯૮

મજૂર નેતા અરિંવદ બૂચનો જન્મ જૂનાગઢમાં નવરંગલાલ અને લજ્જાબહેનને ત્યાં થયો હતો. તેઓ અગ્રણી ગાંધીવાદી હતા અને મજૂર મહાજન સંઘના પ્રમુખપદે તેમણે સેવાઓ આપી હતી. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૪૧માં તેઓ વિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયા. પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા બાદ ૧૯૪૨માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ થયા. સંઘના સ્થાપક નેતાઓ ખંડુભાઈ દેસાઈ અને શ્યામાપ્રસાદ વસાવડા પાસેથી તાલીમ મેળવી ઘડાઈ ગયા. સમય જતાં તેઓ પ્રમુખપદ સુધી પહોંચી ગયા. ૧૯૮૬ સુધી તે પદે કુશળતાથી સેવાઓ આપી પછી નિવૃત્ત થયા. પરંતુ સંઘની કારોબારી સમિતિએ તેમને પ્રમુખપદ માટે ફરી આમંત્રિત કરતાં ઑગસ્ટ, ૧૯૮૯થી પુન: તેઓ સંઘના પ્રમુખ બન્યા. આ કારકિર્દી દરમિયાન કાપડઉદ્યોગના કામદારોના હિતની સતત ચિંતા સેવી, કાપડઉદ્યોગના માલિકો સામે મજૂરો દ્વારા શાંતિમય લડતો ચલાવી. તેમણે મજૂર મહાજન સંઘને એક આદર્શ ઉદાહરણ સંસ્થા તરીકે વિકસાવી. તેઓ ૩૦ જેટલા કામદાર સંઘોના પણ પ્રમુખ બન્યા. જેમાં કેમિકલ ઉદ્યોગ, કામદાર સંઘ, મીઠાપુર અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન ખાસ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત તેમણે ઘણાં બધાં ટ્રસ્ટ અને સંસ્થાઓના પ્રમુખ કે ચૅરમૅનપદે પણ સેવાઓ આપી કુશળતા બતાવી હતી. ‘સેવા અને ‘મહિલા બૅન્ક જેવી ઘણી સંસ્થાઓના તેઓ સ્થાપક પ્રમુખ અને ચૅરમૅન રહ્યા હતા. કામદાર સંઘોની કામગીરી માટે તેમણે કુલ ૨૮ વાર વિદેશપ્રવાસ કર્યો હતો. ૫૫ વર્ષની વયે તેમની કારકિર્દીમાં તેઓ સદાયે કામદારોના પડખે ઊભા રહ્યા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ભારત સરકાર વિરુદ્ધ બંધ મિલોના કામદારોની તરફદારી માટે ૧૨૦૦ દિવસનો ફૂટપાથ સત્યાગ્રહ આદર્યો હતો. મજૂરો માટેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં ‘પદ્મશ્રી, ‘મે ડે’, ‘વિશ્વગુર્જરી’ સન્માનનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી.

અમલા પરીખ

બળવંતરાય મહેતા


જ. ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ અ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫

ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતમાં પંચાયતી રાજના પિતામહ તરીકે જાણીતા બળવંતરાય ગોપાળજી મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૧૬માં મૅટ્રિક થયા. ત્યારબાદ ૧૯૨૦માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી, પરંતુ અસહકારની ચળવળ ચાલતી હોવાથી ડિગ્રી લીધી નહીં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અર્થશાસ્ત્ર-વિશારદ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ અહિંસા અને સાદગીમય જીવન જેવા ગુણો અપનાવ્યા. ૧૯૨૦થી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેઓ મહિલા- ઉત્કર્ષ, હરિજનકલ્યાણ, કુદરતી આપત્તિ સમયનાં રાહતકાર્યો વગેરે માટે તત્પર રહેતા. ૧૯૨૭માં તેમણે ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. ૧૯૨૧માં ગુજરાતી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ની સંપાદક સમિતિમાં જોડાઈને તેમણે દેશી રાજ્યોના લોકોનો અવાજ ચોમેર પહોંચાડ્યો. ૧૯૨૩માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તેમણે નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ વગેરેમાં સક્રિય ભાગ લીધો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. તેમણે બધું મળીને કુલ સાત વર્ષની સજા ભોગવી. ૧૯૪૨ના જેલજીવન દરમિયાન તેમણે મેડમ ક્યૂરીના જીવનચરિત્રનો અનુવાદ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી તરીકે ૧૯૩૧થી ૧૯૪૭ સુધી સેવાઓ આપી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણસભામાં ચૂંટાઈને ૧૯૫૦ સુધી કાર્યરત રહ્યા. જાન્યુઆરી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા. તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો અહેવાલ તૈયાર કર્યો. તેઓ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. ૧૯૫૦-૫૨માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાભાવના તથા નિષ્ઠા માટે નામના પામ્યા. સપ્ટેમ્બર, ૧૯૬૩માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તેઓ કાર્યરત હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરહદના વિસ્તારમાં દુર્ભાગ્યવશ તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું  અને તેમનું તથા તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ