Categories
વાચન સમૃદ્ધિ

મનોહર શ્યામ જોશી

જ. ૯ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૩૦ માર્ચ, ૨૦૦૬

હિંદી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને પટકથાલેખક મનોહર શ્યામ જોશીનો જન્મ અજમેર, રાજસ્થાનમાં કુમાઓની બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારબાદ લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’, ‘મૉર્નિંગ ઇકો’, અંગ્રેજી દૈનિક તથા ‘વીક ઍન્ડ રિવ્યૂ’ના સંપાદક રહ્યા. ૨૯ વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘કરુ-કરુ સ્વાહા’ ૧૯૮૧માં પ્રગટ થઈ. આ ઉપરાંત તેમણે ૧૩ જેટલા ગ્રંથો આપ્યા છે. ભારતીય દૂરદર્શનના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય ધારાવાહિકો ‘હમલોગ’ (૧૯૮૨), ‘બુનિયાદ’(૧૯૮૭-૮૮)ના લેખન દ્વારા તેઓ હિંદી ટેલિવિઝન શ્રેણીઓના અગ્રેસર બન્યા અને ભારતીય ‘સોપ ઓપરાના પિતા’ તરીકે ઓળખાયા. હમલોગમાં મધ્યમવર્ગના ભારતના લોકોના રોજિંદા સંઘર્ષોને બતાવવામાં આવ્યા છે તો બુનિયાદ ૧૯૪૭માં ભારતના ભાગલા દ્વારા વિસ્થાપિત પરિવારના જીવન પર આધારિત હતી. બંનેએ ભારતીયોની આખી પેઢી તેમજ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ પર ઊંડો પ્રભાવ પાડ્યો. પછીનાં વર્ષોમાં ‘મુંગેરી લાલ કે હસીન સપને’, ‘કાકાજી કહીં’, ‘હમરાહી’, ‘જમીન આસમાન’ અને ‘ગાથા’ જેવી ઘણી લાંબી ચાલતી ધારાવાહિકો પણ લખી. તેમની પુરસ્કૃત રચના ‘ક્યાપ’ દુનિયામાં પરિવર્તન લાવવાનાં સ્વપ્ન અને આદર્શોના કરુણાજનક પરિણામ વર્ણવતી નવલકથા છે. તેમને વર્ષ ૨૦૦૫નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. તેમને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ સન્માન, શરદ જોષી સન્માન, શિખર સન્માન, દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, ઓનિડા પિનકેલ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વ. વડાપ્રધાન મનમોહન સિંહે તેમને ‘તાજેતરના સમયમાં હિન્દીના સૌથી પ્રભાવશાળી લેખકો અને વિવેચકોમાંથી એક’ ગણાવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ પટેલ ‘પતીલ

જ. ૮ ઑગસ્ટ, ૧૯૦૫ અ. ૧૮ માર્ચ, ૧૯૭૦

ગુજરાતી ભાષાના કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ના ઉપનામથી વધુ જાણીતા છે. જોકે એમણે ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’,‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અને ‘યશોબાલા’ જેવાં અનેક ઉપનામોથી લખ્યું છે. અંકલેશ્વરમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરી મહેસૂલ અને કેળવણી ખાતામાં નોકરી કરી. તેમનું પ્રથમ કાવ્ય ‘નર્મદાને’ ૧૯૩૧માં ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું. તેમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા મળે છે. તેમજ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ૧૯૪૦માં પ્રકાશિત થયેલા તેમના ‘પ્રભાત-નર્મદા’ કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે તો કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. તેમના પદ્યપ્રયોગોમાં તેમણે છંદમિશ્રણોનો તેમજ ખૂબ ઓછા જાણીતા એવા પુષ્પિતાગ્રા, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો જોવા મળે છે. આ પ્રયોગોએ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિદ્વાન વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ‘વાસવક્લેશપરિહાર’ નામના હાસ્યરસિક આખ્યાનમાં શચી અને ઇન્દ્રે માનેલ કંથાના પ્રસાદ માટે ખાંડ મેળવવા નારદે કેવી હાડમારી વેઠવી પડી તેનું ઉપહાસાત્મક નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત હિંદી ભાષામાં રચેલ ગઝલ અને તરાનાને ‘નયી તર્ઝે’ નામનો તેમનો સંગ્રહ ૧૯૫૩માં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘ગુજરાત’ દૈનિકમાં સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (૧૯૭૫), ‘અટૂલી અનાર’ (૧૯૭૫) અને ‘વ્યામોહજવનિકા’ (૧૯૭૫) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે. ૬૫ વર્ષની વયે તેમનું વડોદરામાં અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ઝવેરીલાલ દલપતરામ મહેતા

જ. ૭ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૨૭ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો જન્મ હળવદમાં થયો હતો. મૅટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધા બાદ સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું, પરંતુ અમદાવાદની અરિંવદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી અને સત્તર વર્ષ કામ કર્યું. એ સમય દરમિયાન તેઓ ફોટોગ્રાફી કરતા હતા. તેમની લાક્ષણિક તસવીરો જીવન-વિષયને સ્પર્શતી અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત થતી. ૧૯૭૨થી તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયા. તેમને માત્ર તસવીરથી સંતોષ થતો નહીં, તેઓ હંમેશાં તસવીરની નીચે સુંદર શબ્દોમાં તેમને લગતું લખાણ લખતા અને એ રીતે લોકોને તેમની ‘ફોટો સ્ટોરી’ વાંચવામાં અત્યંત રસ પડતો. તેમને કારણે તેમની ‘ફોટો સ્ટોરી’ અખબારના પ્રથમ પાને અથવા છેલ્લા પાને આવવા લાગી. આમ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી. તેઓ ક્યારેય ફ્લૅશનો ઉપયોગ નહોતા કરતા. કુદરતી પ્રકાશમાં જ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા પાડતા. ડિજિટલ કૅમેરા આવ્યા છતાં ફિલ્મ કૅમેરાનો જ ઉપયોગ કરતા હતા. તેઓ તસવીરકલા ક્ષેત્રે રઘુ રાય અને કિશોર પારેખને પોતાના ગુરુ માનતા. કિશોરકુમાર જેવી મૂછો, જીન્સ અને માથે હૅટ જેવા વિશિષ્ટ લાક્ષણિક પહેરવેશથી એમના વ્યક્તિત્વની આગવી છાપ ઊપસતી. તેમની ચાર દાયકાની કારકિર્દી  દરમિયાન ગુજરાતના તેર મુખ્યમંત્રીઓનાં જીવન અને કાર્યકાળનું  દસ્તાવેજીકરણ કર્યું. તે  ઉપરાંત ૧૯૮૭માં રાજસ્થાનના દેવરાલામાં સતીની ઘટના, ૧૯૮૮માં કચ્છમાં આવેલ વાવાઝોડું, અયોધ્યાયાત્રા, ૨૦૦૧નો કચ્છમાં આવેલો ધરતીકંપ જેવી ઘટનાઓની અનેક કલાત્મક તસવીરો પ્રકાશિત થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.