Categories
વાચન સમૃદ્ધિ

મૈથિલીશરણ ગુપ્ત

જ. ૩ ઑગસ્ટ, ૧૮૮૬ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૬૪

હિન્દી ભાષાસાહિત્યના રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ઝાંસી પાસેના ચિરગાંવમાં થયો હતો. માતાનું નામ કાશીબાઈ અને પિતાનું નામ રામચરણ કનકને. પિતા રામભક્ત હતા. પ્રાથમિક શિક્ષણ ચિરગાંવમાં અને માધ્યમિક શિક્ષણ મૈકડોનલ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. શાળામાં રમતગમતમાં ધ્યાન હોવાથી અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે ઘરમાં જ હિન્દી, બંગાળી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ૧૨ વર્ષની ઉંમરે વ્રજભાષામાં ‘કનકલતા’ નામે કાવ્યરચના લખવાનો આરંભ કર્યો. તેમણે ખડી બોલીમાં કવિતાઓ લખી. તેમણે ‘રસિકેન્દ્ર’ નામથી કવિતાઓ, દોહા, છપ્પા, ચોપાઈ વગેરે લખ્યાં. તેમણે હિન્દીમાં પ્રબન્ધ કાવ્યપ્રકારનો આરંભ કર્યો. તેમણે એક મહાકાવ્ય, ૧૯ ખંડકાવ્યો, પાંચ પદ્યનાટકો, ૩ નાટકો, ઊર્મિગીતો દ્વારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું. પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગ મેં ભંગ’ અને પછી ‘જયદ્રથ વધ’ પ્રગટ થયો. ‘ભારત ભારતી’ (૧૯૧૨) કાવ્યસંગ્રહે તેમને રાષ્ટ્રકવિ બનાવ્યા. એમણે બંગાળીમાંથી ‘મેઘનાદ વધ’, ‘વિહરિણી વજ્રાંગના’ અને ‘પલાસીકા યુદ્ધ’, સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તા’, ‘પ્રતિમા’, ‘અભિષેક’, ‘અવિમારક’ અને ‘રત્નાવલી’ તેમજ ફારસીમાંથી ‘રુબાઇયાત ઉમર ખય્યામ’નો હિંદી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે ૧૯૧૧માં ‘સાહિત્ય સદન’ નામે પોતાનું પ્રેસ શરૂ કર્યું. ઝાંસીમાં ‘માનસ-મુદ્રણ’ની સ્થાપના કરી. ૧૯૪૧માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો આથી એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપો પુરવાર ન થતાં સાત મહિના પછી છોડવામાં આવ્યા.  તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. ‘સાકેત’ મહાકાવ્ય માટે ૧૯૩૫માં હિંદુસ્તાન અકાદમી પુરસ્કાર અને ૧૯૩૭માં મંગલાપ્રસાદ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૪૬માં ‘સાહિત્યવાચસ્પતિ’ અને ૧૯૪૮માં આગરા વિશ્વવિદ્યાલય દ્વારા ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ ૧૯૫૨થી ૧૯૬૪ સુધી રાજ્યસભાના સભ્ય હતા. ભારત સરકારે હિન્દી સાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન માટે ૧૯૫૪માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પચ્ચીસ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેન્દ્ર દેસાઈ

જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમદાસ ટંડન

જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.