Categories
વાચન સમૃદ્ધિ

ચુન્ની ગોસ્વામી

જ. ૧૫ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૩૦ એપ્રિલ, ૨૦૨૦

ફૂટબૉલના સારા ખેલાડી તથા પ્રથમ શ્રેણીનું ક્રિકેટ રમનાર ભારતીય ખેલાડીનું અસલ નામ સુબિમલ ગોસ્વામી હતું. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. તેઓ નાના હતા ત્યારે મિત્રોને ફૂટબૉલ રમતા જોઈને તેમને પણ ફૂટબૉલ રમવાની પ્રેરણા મળી. તેઓની રમતથી પ્રભાવિત મોહન બાગાનના (કૉલકાતાની સ્પૉર્ટ્સ ક્લબ) અધિકારીઓએ જ્યારે ચુન્ની ૧૬ વર્ષના થયા ત્યારે ૧૯૫૪માં ટીમ માટે પસંદ કર્યા અને ચુન્નીએ લીગ મૅચમાં રમવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેઓ ટીમના કૅપ્ટન તરીકે પસંદ થયા. ભારતમાં યોજાતી બધા પ્રકારની ટુર્નામેન્ટમાં તેમણે મોહન બાગાનને વિજય અપાવ્યો હતો. ૧૯૫૫થી તેઓએ નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૯૬૦માં બંગાળની ટીમના કૅપ્ટન બન્યા હતા. ૧૯૬૦માં રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ૧૯૫૮માં ટોકિયોના એશિયન રમતોત્સવમાં ભારતીય ટીમ તરફથી તેઓ રમ્યા હતા. ત્યારબાદ ઑલ ઇન્ડિયા કમ્બાઇન્ડ યુનિવર્સિટી ફૂટબૉલ ટીમના કૅપ્ટન બનીને કાબુલમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સેઇડમાં તથા ૧૯૬૨માં ચુન્નીની ભારતીય ટીમના કૅપ્ટન તરીકે પસંદગી થઈ અને ૮૦ જેટલી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચોમાં ૫૦૦ કરતાં વધારે ગોલ કરવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું. ૧૯૬૨ અને ૧૯૬૪માં ચુન્નીને એશિયાના સર્વશ્રેષ્ઠ ફૉર્વર્ડ ખેલાડી જાહેર કરાયા હતા. ચુન્ની ક્રિકેટ પણ સારું રમતા હતા. બંગાળની ક્રિકેટ ટીમમાંથી તેને રણજી ટ્રૉફી મૅચ અને પૂર્વ અને મધ્ય ઝોનની ક્રિકેટ ઇલેવનમાં પસંદ કરાયા હતા. ચુન્નીને ૧૯૬૩માં અર્જુન ઍવૉર્ડ, એશિયાઈ રમતોત્સવમાં ભારતીય ફૂટબૉલ ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૯૮૩માં પદ્મશ્રી પુરસ્કાર, ૨૦૦૬માં મોહન બાગાન રત્ન મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

વિનોદ જશવંતલાલ ભટ્ટ

જ. ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૨૩ મે, ૨૦૧૮

ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં થયો હતો. ૧૯૬૪માં એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ વીસેક વર્ષ વેચાણવેરાના અને ત્યાર બાદ આવકવેરાના સલાહકાર તરીકે સેવા આપી. ૧૯૯૭થી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જનને લગતી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. તેમણે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) એ પુસ્તકથી લેખનકાર્યનો આરંભ કર્યો. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’ વગેરેથી તેમની સર્જક પ્રતિભાનો પરિચય થયો. ‘વિનોદની નજરે’ એ ગુજરાતી હાસ્યસાહિત્યનું અનોખું પુસ્તક છે. ‘અને હવે ઇતિ-હાસ’, ‘ગ્રંથની ગરબડ’, ‘અથથી ઇતિ’, ‘પ્રભુને ગમ્યું તે ખરું’ વગેરે તેમનાં વિશિષ્ટ પુસ્તકો છે. અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નોંધનીય છે. ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ એમની આત્મકથા છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના અને વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવી શૈલીમાં પરિચય કરાવતી અનેક પુસ્તિકાઓ લખી છે. તેમણે પોતાની ચરિત્રલેખનની કુશળતાનો પણ પરિચય આપ્યો. સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં ૩૨ વર્ષ સુધી તેમની ‘ઇદમ્ તૃતીયમ્’ કટાર પ્રગટ થઈ. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મગનું નામ મરી’ કટાર લખી. કટોકટી દરમિયાન પણ તેમણે નિર્ભયતાપૂર્વક કટારલેખન કર્યું હતું. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે’ કહેનારા આ લેખકે સંપાદનક્ષેત્રે અગત્યનું કામ કર્યું છે. જુદા જુદા લેખકોની હાસ્યરસની રચનાઓનાં તેમણે સંપાદન કર્યાં છે. તટસ્થ નિરીક્ષણ અને માર્મિક, વેધક કટાક્ષને કારણે તેમના લેખો ખૂબ નોંધપાત્ર બન્યા. ‘વિનોદવિમર્શ’ પૂર્વ-પશ્ચિમમાં થયેલી વિચારણાનો અભ્યાસ કરી લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. આ દ્વારા તેમણે સૌને પોતાની વિવેચનશક્તિથી પરિચિત કર્યા. વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું  પ્રમુખપદ (૧૯૯૫) પણ શોભાવ્યું હતું. હાસ્ય સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૯), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તથા કુમાર ચંદ્રક (૧૯૭૬)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પં. શિવકુમાર શર્મા

જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૧૦ મે, ૨૦૨૨

હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સૌપ્રથમ સંતૂરવાદ્ય પર વગાડનાર ભારતના મહાન સંતૂરવાદક પં. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં ગાયક પિતા ઉમાદત્ત શર્માને ત્યાં થયો હતો. કુશળ ગાયક અને તબલાં તથા દિલરુબાના નિષ્ણાત પિતા પાસેથી માત્ર ૭ વર્ષની ઉંમરથી શિવકુમાર શર્માએ કંઠ્યસંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને રિયાઝ દ્વારા રાગ-રાગિણીઓનો પરિચય કરવા માંડ્યો. તેમણે તબલાં, સરોદ અને સિતારવાદનમાં પણ કુશળતા મેળવી, પરંતુ સંતૂરવાદ્ય પર વધારે રુચિ ધરાવનાર શર્માજીએ તેમનું સમગ્ર કૌશલ્ય સંતૂરવાદનમાં કેન્દ્રિત કર્યું. સંતૂરવાદ્ય મૂળ કાશ્મીરનું છે. પ્રાચીન વાદ્ય ‘શતતંત્રી વીણા’માં રહેલા ૧૦૦ તારમાં અનુરૂપ ફેરફારો કરીને તેમાં કુલ ૧૧૬ તાર લગાવીને પિતા-પુત્રએ હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સંતૂર જેવા લોકવાદ્યમાં ઝાલા, જોડ તથા ગતકારી અસરકારક રીતે વગાડી શકાય તે પ્રકારનું સક્ષમ બનાવ્યું. સંતૂરવાદનના તેમના રેડિયો ઉપર આપેલા કાર્યક્રમોમાં સંતૂરના મધુર સ્વરોએ ભારતના લોકોનાં દિલ જીતી લીધાં. ૧૯૫૫માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને લોકોએ ખૂબ વખાણ્યો. પછીથી તેમના સંતૂરના સુમધુર સ્વરનો આસ્વાદ ભારતનાં નાનાંમોટાં શહેરો ઉપરાંત વિદેશોના લોકોને પણ માણવા મળ્યો. સૂર અને સ્વર પર મજબૂત પકડ ધરાવનાર પં. શિવકુમાર શર્માની સંતૂરના શ્રેષ્ઠતમ વાદક તરીકેની કીર્તિ ચોમેર વ્યાપી ગઈ. હિન્દી ફિલ્મો ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘ડર’માં તેમનું મધુર સંતૂરવાદન લોકોને સાંભળવા મળ્યું. તેમના આલબમ ‘કૉલ ઑફ ધ વેલી’એ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. સંતૂરવાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનું સમગ્ર શ્રેય પં. શિવકુમારને ફાળે જાય છે. ફિલ્મ પુરસ્કારો ઉપરાંત ૧૯૮૬માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં ‘પદ્મશ્રી’ અને ૨૦૦૧માં ‘પદ્મવિભૂષણ’ની પદવીઓથી તેઓ સન્માનિત થયા છે.

પ્રીતિ ચોકસી