Categories
વાચન સમૃદ્ધિ

મનમોહન દેસાઈ

જ. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૭ અ. ૧ માર્ચ, ૧૯૯૪

મનોરંજનના મહારથી ગણાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા હતા. ચલચિત્રજગતમાં તેઓ ‘મનજી’ તરીકે ઓળખાતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવાર ઉપર ભારે આર્થિક સંકટ આવી પડ્યું. સ્ટુડિયોની દેખરેખ રાખનારું કોઈ હતું નહિ અને પૈસાના અભાવે સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને તેઓ સ્નાતક થયેલા, પરંતુ મનમાં દિગ્દર્શક બનવાનો કીડો સળવળતો હતો તેથી દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને નિર્દેશનની જવાબદારી યુવાન મનમોહનને સોંપી તેમને આગળ વધવાની તક પૂરી પાડી. ‘છલિયા’ની પટકથા મનમોહને પોતે લખી હતી અને રાજ કપૂર, નૂતન, પ્રાણ જેવા નામી કલાકારોને સફળતાપૂર્વક નિર્દેશિત કરી પોતાનું કસબ બતાવી આપ્યું.

૧૯૭૭માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરી. મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય – એમ કહી એમની ટીકા કરાતી. પણ તેઓ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. મોટા ભાગે તેમની બધી જ ફિલ્મો સફળ રહેતી અને પ્રેક્ષકોનો આવકાર પામતી.

૨૮ વર્ષની કારકિર્દીમાં ૨૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને ૧૬ સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. તેમની ફિલ્મો હંમેશાં પરિવાર સાથે બેસીને જોઈ શકતો. ૧૯૮૯માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ ફિલ્મ નિષ્ફળ જતાં તેમણે નિવૃત્તિ લઈ લીધી.

તેમનાં સફળ ચલચિત્રોમાં ‘સચ્ચાજૂઠા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’, ‘પરવરિશ’, ‘ધરમવીર’, ‘અમર અકબર ઍન્થની’, ‘સુહાગ’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસનાથ વાંછુ

જ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૮

ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશપદે રહી ચૂકેલ કૈલાસનાથ વાંછુનો જન્મ અલાહાબાદમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના નૌગોંગમાં અને માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પંડિત પીર્થીનાથ હાઈસ્કૂલ, કાનપુર, મુઇર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદ અને વાઘમ કૉલેજ, ઑક્સફર્ડથી પ્રાપ્ત કર્યું હતું. કૈલાસનાથ વાંછુ ૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઉત્તરપ્રદેશમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફેબ્રુઆરી, ૧૯૪૭થી જાન્યુઆરી ૧૯૫૧ સુધી સેવા આપ્યા બાદ ૧૯૫૧થી ૧૯૫૮ સુધી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સૌથી લાંબા સમય સુધી તેમણે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સમયાંતરે તેઓ ૧૯૫૦-૫૧માં ઉત્તરપ્રદેશ ન્યાયિક સુધારણા સમિતિના અધ્યક્ષપદે પણ હતા. ૧૯૫૪માં ફાયરિંગ ઇન્ક્વાયરી કમિશનના એકમાત્ર સભ્ય તરીકે સ્થાન શોભાવ્યા બાદ ૧૯૫૫માં તેઓ ધોલપુર ઉત્તરાધિકારી કેસ કમિશનના અધ્યક્ષસ્થાને અને કાયદા પંચના સભ્ય તરીકે પણ ફરજ પર હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૭ના રોજ કૈલાસનાથે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે ૩૫૫ ચુકાદાઓ લખ્યા હતા.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શારદા મુખરજી

જ. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ અ. ૬ જુલાઈ, ૨૦૦૭

રાજકીય ક્ષેત્રે સફળ મહિલા અને ગુજરાતનાં પૂર્વરાજ્યપાલ શારદા મુખરજીનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સામાજિક કાર્યકર અને લોકસભાનાં પૂર્વસદસ્ય હતાં. પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી પંડિત. તેમનો પરિવાર વર્ષો સુધી રાજકોટમાં વસવાટ કરતો.

તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટમાં લીધું. ત્યારબાદ એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને લૉ કૉલેજ, મુંબઈમાં ઉચ્ચશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે ઍરફોર્સ અધિકારી સુબ્રતો મુખરજી સાથે લગ્ન કર્યાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઍર ચીફ માર્શલ હતા. ૧૯૬૧માં ટોકિયો ખાતે શાહી ભોજનસમારંભ દરમિયાન સુબ્રતો મુખરજીનું અચાનક અવસાન થયું. ત્યારબાદ શારદા મુખરજી કૉંગ્રેસમાં જોડાયાં અને રાજકારણમાં સક્રિય બની ગયાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી લોકસભા માટે તેઓ ચૂંટાયાં(૧૯૬૨-૬૭). તે જ મતદાર મંડળમાંથી ૧૯૬૭માં ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં, પરંતુ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ૧૯૭૭-૭૮ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં. ૧૯૭૮-૮૩ દરમિયાન તેઓએ ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલારાજ્યપાલ અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેઓ યોજના આયોગમાં સંરક્ષણ બાબતોની અધ્યયન ટીમનાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં હતાં. લોકસભાના સભ્યપદે હતાં ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, પ. જર્મની અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે સેવાઓ આપી.

શુભ્રા દેસાઈ