Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સુરિન્દરિંસહ નરૂલા

જ. ૮ નવેમ્બર, ૧૯૧૭ અ. ૧૬ જૂન, ૨૦૦૭

પંજાબના પ્રગતિવાદી સાહિત્યકાર સુરિન્દરસિંહ નરૂલાનો જન્મ અમૃતસરમાં થયો હતો. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને બી.એ. થયા અને ૧૯૩૮માં રાજ્ય સચિવાલયમાં કાર્યરત બન્યા. ૧૯૪૨માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના અનુસ્નાતક વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. રાવલપિંડીની ખાલસા કૉલેજમાં પણ થોડા સમય માટે કામ કર્યું. સુરિન્દરસિંહે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદનો આરંભ કર્યો અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અસંખ્ય પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. તેમની પ્રથમ નવલકથા ‘પિયો પુત્તર’(પિતા-પુત્ર)માં અમૃતસરના શહેરીજીવનનું સર્વવ્યાપી ચિત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. તેમની બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલાં હત્યાકાંડનાં હૃદયદ્રાવક દૃશ્યોનો ચિતાર આલેખ્યો છે. તેમની કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘રંગમહલ’, ‘જગબીતી’, ‘રાહે કુરાહે’, ‘નીલીબાર’, ‘દીનદુખિયા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં લખાણોનો હિન્દી, ગુજરાતી, બંગાળી તથા મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં કેટલાંક પુસ્તકોનો રશિયન તેમજ કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ૧૨ નવલકથાઓ, ૭ ટૂંકી વાર્તાનાં પુસ્તકો, કવિતાસંગ્રહો તથા વિવેચનકાર્ય પંજાબી અને અંગ્રેજી ભાષામાં લખ્યાં છે. તેમનાં લખાણોમાં ડાબેરી વિચારસરણીની છાંટ જણાય છે.

તેમની પ્રસિદ્ધ નવલકથા ‘સિલાલૂની’ માટે પંજાબ સરકાર તરફથી ૧૯૫૫માં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં પંજાબ સરકારના સાહિત્ય વિભાગ તરફથી વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકારનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સી. વી. રામન

જ. ૭ નવેમ્બર, ૧૮૮૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૭૦

‘રામન પ્રભાવ’ના શોધક અને ભારતીય ભૌતિકવિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનનો જન્મ થીરુવનૈક્કવલમાં થયો હતો. પિતા ચંદ્રશેખર અને માતા પાર્વતીદેવી. બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. માત્ર ૧૧ વર્ષની ઉંમરે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮મા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબર સાથે અનુસ્નાતક  થયા અને ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૦૬માં ‘લાઇટ સ્પેક્ટ્રમ’ પરનો લેખ લંડનથી પ્રકાશિત પત્રિકા ‘ફિલૉસૉફિકલ’માં અને બીજો લેખ ‘સરફેસ ટેન્શન’ પરનો લેખ લંડનની ‘નેચર’ પત્રિકામાં પ્રસિદ્ધ થયો હતો. ૧૯૦૭માં સિવિલ સર્વિસની પરીક્ષા પ્રથમ ક્રમાંકે  ઉત્તીર્ણ કરતાં અંગ્રેજ સરકારે નાણાખાતામાં કૉલકાતામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલના હોદ્દા પર નિમણૂક કરી. ૧૯૧૧માં એકાઉન્ટન્ટ જનરલ બન્યા. તેમણે નોકરીની સાથે સાથે ૨૭ સંશોધન લેખો લખ્યા. એ બદલ ‘કર્ઝન રિસર્ચ ઍવૉર્ડ’ અને ‘તુડબર્ન રિસર્ચ મેડલ’થી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૯૧૭માં કૉલકાતા યુનિવર્સિટીની વિજ્ઞાન કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે શોધેલ ‘રામન પ્રભાવ’ પર હજારો સંશોધનપત્રો પ્રસિદ્ધ થયાં છે.

તેમણે ૧૯૪૮માં બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમને મળેલા નોબેલ પ્રાઇઝ અને લેનિન પીસ પ્રાઇઝની રકમ તેમણે આ ઇન્સ્ટિટ્યૂટને ચલાવવા આપી હતી. તેમણે ‘સાયન્સ’, ‘કરન્ટ સાયન્સ’, ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ફિઝિક્સ’ જેવાં સામયિકો અને જર્નલો શરૂ કર્યાં. તેમણે ‘ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસ’ની સ્થાપના કરી. તેઓ સંગીતનાં અનેક વાદ્યોના નિષ્ણાત હતા.  અમેરિકાની સંગીતની સંસ્થા ‘કેટગટ એકોસ્ટિકલ સોસાયટી’એ તેમની માનદ સભ્યપદે નિયુક્તિ કરેલી. તેઓ બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના પ્રથમ ભારતીય ડાયરેક્ટર હતા.

૧૮થી વધુ યુનિવર્સિટીઓએ તેઓને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. ૧૯૨૯માં નાઇટહુડ ‘સર’, ૧૯૩૦માં હ્યુજ ચંદ્રક અને નોબેલ પારિતોષિક, ૧૯૪૧માં ફ્રેંકલીન ચંદ્રક, ૧૯૫૪માં ભારતરત્ન, ૧૯૫૭માં લેનિન પીસ પ્રાઇઝ જેવાં અનેક સન્માનો મળ્યાં હતાં. પોતાને મળેલું નોબેલ પારિતોષિક તેમણે સ્વાતંત્ર્યસંગ્રામના ક્રાંતિકારીઓને અર્પણ કર્યું હતું.

અનિલ રાવલ