Categories
વાચન સમૃદ્ધિ

રોમાં રોલાં

જ. ૨૯ જાન્યુઆરી, ૧૮૬૬ અ. ૩૦ ડિસેમ્બર, ૧૯૪૪

વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધક, નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર રોમાં રોલાંનું પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં હતું. ૧૪ વર્ષની વયે તેઓ પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા હતા. ઈકૉલ નૉર્મેલ સુપિરિયરમાં પ્રવેશ મેળવી તેમણે સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૨૯ વર્ષની વયે તેમણે લખેલ સંશોધનાત્મક પ્રબંધ ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રોમાં થોડો સમય શિક્ષક પણ રહ્યા હતા. રોમાં રોલાંના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી હતી. ‘સમ મ્યુઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’(૧૯૦૮)માં તેમના સંગીત વિષય પરના નિબંધો છે. સંગીત ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી કેવી રીતે લઈ જાય છે તે તેમણે આ નિબંધોમાં સુપેરે દર્શાવ્યું છે. આ સિવાય ‘બીથોવન’ (૧૯૦૩), ‘હેન્દેલ’ (૧૯૧૦), ‘માઇકલૅન્જેલો’ (૧૯૦૫-૦૬) અને ‘ટૉલ્સ્ટૉય’ (૧૯૧૧) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે. ‘ધ પીપલ્સ થિયેટર’ નામના પુસ્તકમાં તેમણે નવી રંગભૂમિ વિશેના વિચારો સ્પષ્ટ કર્યા છે. રોમાં રોલાંએ ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ‘જ્યૉં-કિસ્તોફ’ નામની મહાન નવલકથાનું સર્જન કર્યું હતું. જે જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ વિરાટ નવલકથાએ તેમને ૧૯૧૫નું નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો તેમના સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે. ત્યારબાદ ‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (૧૯૨૨થી ૧૯૩૩) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોમાં રોલાંએ ૧૯૨૪માં ‘ગાંધી’નું જીવનચરિત્ર લખેલું. તેમને ગાંધીજીની અહિંસાની વાત ખૂબ ગમી ગઈ હતી. પહેલી મુલાકાતે તેમને ગાંધીજી સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. મીરાબહેનને ગાંધીજીનો પરિચય પણ તેમણે કરાવ્યો હતો. તેમણે મીરાબહેનને કહેલું કે ગાંધીજી એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક જ વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને ગાંધીજીની ભક્ત બનાવી દીધી હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. જ્યાં બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગને લીધે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

કે. એમ. કરીઅપ્પા

જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩

સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી કરી અને કાબેલ અધિકારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૧-૪૨માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધમોરચા પર કામ કર્યું અને ૧૯૪૩-૪૪માં બ્રહ્મદેશના આરાકાન્ત પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે  ભારતીય લશ્કરની વહેંચણી કરવાનું કામ ખૂબ સારી રીતે તેમણે પાર પાડ્યું. ૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ તેઓ સ્વતંત્ર ભારતના પહેલા સરસેનાપતિ નિમાયેલા. કાશ્મીરનું પહાડી યુદ્ધ તેમની કુશળ નેતાગીરીમાં જ લડાયેલું. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે તેઓ મોરચા પર જઈને જવાનોને પ્રોત્સાહિત કરતા. નિવૃત્તિ બાદ, તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછીના સમયમાં ભારતના લોકોમાં દેશના સંરક્ષણ માટેની સભાનતા વધે તથા ભારતીય યુવાનો લશ્કરમાં જોડાય તે માટેનું પ્રોત્સાહન આપવા માટે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો.

૧૯૭૭માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી હતી. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે તેમને દેશ-વિદેશમાં સન્માનવામાં આવ્યા હતા. ૧૯૪૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને ‘લિજિયન ઑવ્ મેરિટ’ તથા ‘ચીફ કમાન્ડર’ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનાર્હ જનરલના હોદ્દાથી સન્માન્યા હતા. ૧૯૮૬માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ‘ફિલ્ડમાર્શલ’ના સર્વોચ્ચ હોદ્દાથી સન્માન્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ સેમ માણેકશા પછીના બીજા ભારતીય સેનાપતિ હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડબલ્યૂ ડી. વેસ્ટ

જ. ૨૭ જાન્યુઆરી, ૧૯૦૧ અ. ૨૩ જુલાઈ, ૧૯૯૪

ભારતીય ભૂસ્તરશાસ્ત્ર તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનમાં મોટો ફાળો આપનાર વિલિયમ ડિક્સન વેસ્ટનો જન્મ બોર્નમથ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનો મોટા ભાગનો જીવનકાળ ભારતમાં જ વીતેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લીધેલું. ૧૯૨૦માં તેમણે નેચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. ૧૯૨૨માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ શિષ્યવૃત્તિ મેળવેલી. ૧૯૨૩માં જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા ત્યારથી ૧૯૪૨ સુધીના બે દાયકા દરમિયાન તેઓ વિવિધ ભૂસ્તરીય અન્વેષણકાર્યમાં પરોવાયેલા રહ્યા. તેમાં નાગપુર જિલ્લાના સોસરપટ્ટાનું અન્વેષણ, સિમલા હિમાલયના શાલી અને તેની આજુબાજુના વિસ્તારનું નકશાકાર્ય તથા બલૂચિસ્તાનમાં ભૂકંપનો અભ્યાસ અને અફઘાનિસ્તાનમાં કોલસાનું આર્થિક અન્વેષણ વિશેષ ઉલ્લેખનીય છે. ડેક્કન ટ્રેપ લાવા પ્રવાહો પરનું તેમનું કામ પણ આ ખંડીય લાવા શ્રેણીના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહેલું. ૧૯૪૫માં ડૉ. વેસ્ટ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર બન્યા હતા. તેમણે આ ખાતાના ઉત્કર્ષ અને વિકાસ માટે રાષ્ટ્રીય ઉન્નતિના સંદર્ભમાં બે પંચવર્ષીય આયોજનો પણ કરી આપ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણની પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી; જેના પુન: સ્થાપનની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ડૉ. વેસ્ટની દીર્ઘ ષ્ટિએ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાની ભાવિ સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં. તેઓ સાગર યુનિવર્સિટીના જિયૉલૉજી ડિપાર્ટમેન્ટનું એક અવિભાજ્ય અંગ હતા. તેમને ભારત અને ભારતીયો માટે અનહદ પ્રેમ અને લાગણી હતાં. એક માનવી તરીકે તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, માયાળુ અને પદ્ધતિસરની કાર્યશૈલીના આગ્રહી હતા. વિજ્ઞાની સાથીદારો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ સધાય એમાં જ એમની રુચિ અને રસ હતાં. તેમણે ઘણા ભૂસ્તરવિદોની સમસ્યાઓ ઉકેલી આપી હતી. ભારતીયોની યોગ્ય અપેક્ષાઓને હંમેશાં પ્રોત્સાહિત કરી હતી. ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાએ ૨૦૦૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમની એકસોમી જન્મજયંતી ઊજવીને તેમના પ્રત્યેની માનની લાગણીને મૂક અંજલિ આપી હતી.

અમલા પરીખ