કૃષ્ણા સોબતી


જ. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ અ. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯

જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં ખ્યાતનામ હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ દિલ્હી અને શિમલામાં લીધું. ત્યારબાદ લાહોરમાં ફતેહચંદ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાગલા પડતાં તેઓ ભારત આવી ગયાં. બે વર્ષ સિરોહીના મહારાજાના પૌત્ર તેજસિંગને ત્યાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ૧૯૮૦-૮૨માં પંજાબ યુનિવર્સિટીમાં ફેલો, નવી દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ફેલો રહ્યાં. તેમનું લેખનકાર્ય ટૂંકી વાર્તાઓથી શરૂ થયું. ૧૯૪૪માં તેમની ‘લામા’ અને ‘નફિસા’ વાર્તા પ્રકાશિત થયેલી. તે જ વર્ષમાં ‘સિક્કા બદલ ગયા’ નામથી હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલાની કથા લખી. તેમની માતૃભાષા તો પંજાબી હતી પણ તેમણે હિંદીમાં લેખન કર્યું છે. ત્રીસ વર્ષના ગાળામાં તેમણે ૧૯૮૦માં વાર્તાસંગ્રહ ‘બાદલોં કે ઘેરે’, આખ્યાયિકા ‘ડાર સે બિછુડી’ (૧૯૫૮), ‘મિત્રો માર્જની’ (૧૯૬૭), ‘યારોં કે યાર’ (૧૯૬૮), ‘તિન પહાડ’ (૧૯૬૮), ‘એ લડકી (૧૯૯૧), ‘જૈની મહેરબાન સિંહ’ (૨૦૦૭), ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિંદુસ્તાન’ (૨૦૧૭) જે તેમના નિજી જીવનને સ્પર્શતી નવલકથા છે. તેમની વાર્તાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયેલા છે. એમની નવલકથા ‘જિંદગીનામા’ને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૮૦) મળેલો. તેઓ પોતાની કૃતિઓમાં પંજાબી, ઉર્દૂ અને રાજસ્થાની શબ્દપ્રયોગો કરતાં. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત સાહિત્ય શિરોમણિ પુરસ્કાર, મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર, સાહિત્યકલા પરિષદ પુરસ્કાર, ૧૯૯૯માં કથાચૂડામણિ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવેલા. હિંદીમાં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે. ૨૦૧૭માં ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન ગણાય એવો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલ છે.

રાજશ્રી મહાદેવિયા

હરસિદ્ધભાઈ દિવેટિયા


જ. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૬ અ. ૩ ઑગસ્ટ, ૧૯૬૮

ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે રહી ચૂકેલા હરસિદ્ધભાઈ દિવેટિયાનો જન્મ અમદાવાદના વડનગરા નાગર પરિવારમાં થયો હતો. તેમના પિતામહ છોટાભાઈ પર્શિયન ભાષાના ઊંડા અભ્યાસી હતા. તેમના પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ હતા. તેમનો સમસ્ત પરિવાર પોરબંદર પાસે આવેલા હરસિદ્ધ માતાજીની ભક્તિના રંગે રંગાયેલો હોવાથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું હતું. હરસિદ્ધભાઈ દિવેટિયાએ ગુજરાત કૉલેજમાં ભણીને ૧૯૦૬માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૦૮માં તેઓએ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન સાથે અને ૧૯૦૯માં તેઓએ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૦થી ૧૯૧૨ સુધી સંયુક્ત પ્રાંત(યુ.પી.)ની બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૧૨થી ૧૯૩૩ સુધી મુંબઈની વડી અદાલતમાં પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. ૧૯૩૩થી ૧૯૪૬ દરમિયાન તેઓએ મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૧૯૪૯થી ૧૯૫૭ દરમિયાન પ્રથમ કુલપતિ તરીકે દિવેટિયાસાહેબે પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજીને બદલે માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલ વિશાળ પુસ્તકાલય, બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન તેમજ વિદ્યાર્થીકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં થઈ હતી. હરસિદ્ધભાઈ પાસેથી આપણને ‘મનોવિજ્ઞાન’, ‘લેખસંચય’ અને ‘નરિંસહ અને મીરાંનાં ભજનો’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘What Life Has Taught Me’ એ એમનો સ્વતંત્ર અભ્યાસલેખ છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ અને ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષનો હોદ્દો પણ તેમણે શોભાવ્યો હતો.

અશ્વિન આણદાણી

માધવરાવ પહેલા


જ. ૧૬ ફેબ્રુઆરી, ૧૭૪૫ અ. ૧૮ નવેમ્બર, ૧૭૭૨

પેશ્વા બાલાજી બાજીરાવના વચેટ પુત્ર માધવરાવ મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા હતા. તેઓને રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ સાથે લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન ન હતું, આથી તેમના અનુગામી તરીકે નાના ભાઈ નારાયણરાવને તેઓએ પસંદ કર્યા હતા. તેમનાં માતા ગોપિકાબાઈએ માધવરાવને રાજકારભાર અને નીતિનિયમો સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. પિતાનું મૃત્યુ થતાં માત્ર ૧૬ વર્ષની વયે માધવરાવે વહીવટ સંભાળ્યો હતો. ૧૭૬૧માં નિઝામઅલી સાથે પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પેશ્વા માધવરાવે સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતની બદીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપી હતી. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ કર્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કર્યા. ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું. પેશ્વા માધવરાવ ઉત્તમ ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ ધરાવતા હતા. પ્રજાનું વધુ કલ્યાણ થાય તે જોવાની તેમની તમન્ના હતી. ૧૧ વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિખાલસતાથી ફરજો અને જવાબદારી તેઓએ અદા કરી. સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં વ્યસ્ત હોવાથી તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો, ૨૭ વર્ષની વયે માધવરાવની તબિયત બગડી. મૃત્યુ પહેલાં હૈદરની  શરણાગતિની વાત તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર સાંભળી શાંતિથી પ્રાણ છોડ્યો.

અંજના ભગવતી