Categories
વાચન સમૃદ્ધિ

બોમ્બી રેડ્ડી નાગી રેડ્ડી

જ. 2 ડિસેમ્બર, 1912 અ. 25 ફેબ્રુઆરી, 2004

હિન્દી અને તેલુગુ ફિલ્મોના નિર્માતા અને પ્રકાશક બી. નાગી રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના પોટ્ટિપાડુ ગામમાં થયો હતો. બાળપણમાં તેમનો ઉછેર તેમનાં નાના-નાની દ્વારા થયો હતો. તેમને બાળપણથી જ કલા પ્રત્યે લગાવ હતો. તેમણે  ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ ફાઇન આર્ટસમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં વિજયાવાહિણી સ્ટુડિયોની સ્થાપના કરી, જે એ વખતનો એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો. તેમણે અલુરી ચકપાણી સાથે મળીને ચાર દાયકામાં ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં પચાસથી વધુ ફિલ્મો બનાવી. પૌરાણિક અને ઐતિહાસિક કથાવસ્તુઓ એ તેમની ફિલ્મોની વિશેષતા હતી. તેઓ ‘આંધ્રજ્યોતિ’ અને ‘ધ હેરિટેજ’ સામયિકોના પ્રકાશક હતા. તેમણે 1947માં બાળકોનું સામયિક ‘ચાંદામામા’ની શરૂઆત કરી. આ સામયિક ભારતની બાર ભાષાઓમાં પ્રગટ થાય છે. તેમણે 1972માં વિજયા મેડિકલ ઍન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા મલ્ટિસ્પેશિયાલિટી વિજયા હૉસ્પિટલ શરૂ કરી. તેમણે બે વખત ફિલ્મ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. તેમણે ચાર ટર્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચેમ્બર ઑવ્ કૉમર્સ અને બે ટર્મ ઑલ ઇન્ડિયા ફિલ્મ સંમેલનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેઓ 1980થી 1983 સુધી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ હતા. તેમણે ‘મિસ્સામ્મા’, ‘માયા બજાર’, ‘પૈગામ’, ‘ગુંડમ્મા કથા’, ‘રામ ઔર શ્યામ’, ‘સ્વર્ગનરક’, ‘યહી હૈ જિંદગી’, ‘જુલી’, ‘સ્વયંવર’ જેવી નોંધપાત્ર અને યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘મદુવે મદીનોડુ’ ફિલ્મ માટે કન્નડમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા ‘માયાબજાર’ અને ‘ગુંડમ્મા કથા’ ફિલ્મ માટે તેલુગુ ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. 1986માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1972 તમિળનાડુ સરકારે ક્લાઈમામણિ પુરસ્કાર અને 1987માં આંધ્રપ્રદેશ સરકારે રઘુપતિ વેંકૈયા પુરસ્કારથી તેમને નવાજ્યા હતા. શ્રી કૃષ્ણદેવરાય યુનિવર્સિટી અને શ્રી વેંકેટેશ્વર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. તેમની સ્મૃતિમાં 23 ફેબ્રુઆરી, 2018ના રોજ ભારતીય ટપાલખાતાએ પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર શૈતાનસિંહ ભાટી

જ. 1 ડિસેમ્બર, 1924 અ. 18 નવેમ્બર, 1962

ચીન સાથેના યુદ્ધ સમયે અજોડ પરાક્રમ કરનાર મેજર શૈતાનસિંહનો જન્મ જોધપુર જિલ્લાના બંસાર ગામમાં થયો હતો. પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમસિંહ અને માતા જવાહરકુંવર. પિતાને બ્રિટિશ સરકારે ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર(OBE)થી સન્માનિત કર્યા હતા. ચોપાસણીની રાજપૂત હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જોધપુરની જશવંત કૉલેજમાંથી સ્નાતક થયા. તેઓ સારા ફૂટબૉલ ખેલાડી હતા. સ્નાતક થયા પછી જોધપુર સ્ટેટના દળમાં અધિકારી તરીકે જોડાયા. આઝાદી પછી જોધપુર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું, આથી તેમને કુમાઉ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. તેમણે 1961માં ‘નાગા હિલ્સ ઑપરેશન’ અને ગોવાના ભારતમાં જોડાણ માટે ‘ઑપરેશન વિજય’માં ભાગ લીધો હતો.  તેમને 1955માં કૅપ્ટન અને 1962માં મેજરના પદ પર બઢતી આપવામાં આવી હતી. 1962માં ચીન સાથેના યુદ્ધ વખતે કુમાઉ રેજિમેન્ટની 13મી બટાલિયનની સી કંપની રેઝાંગ લા ખાતે તૈનાત હતી. મેજર શૈતાનસિંહ તેનું નેતૃત્વ કરતા હતા. 18 નવેમ્બર, 1962ની સવારે પાંચ વાગ્યે ચીની લશ્કરે હુમલો કર્યો, જેમાં ઘણા ચીની સૈનિકો માર્યા ગયા. એ પછી સવારે 5:40 વાગ્યે આગળની અને પાછળની બાજુઓથી ચીની સૈનિકોએ ફરી હુમલો કર્યો. આ હુમલામાંથી 7મી અને 8મી પ્લાટૂનના બધા સૈનિકો શહીદ થયા. યુદ્ધ દરમિયાન શૈતાનસિંહ ભારતીય પોસ્ટ વચ્ચે સંકલન કરી સૈનિકોને પ્રોત્સાહન આપતા હતા. ચીની સૈનિકોમાં મોટી સંખ્યા હતી અને ભારતીય જવાનો ઓછા હતા. તેઓ એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ પર જતા હતા ત્યારે દુશ્મનની ગોળીથી ઘવાયા. તેમના હાથ અને પગમાં ગોળીઓ વાગી. તેમણે સાથીઓને આગળ વધવા કહ્યું. ભારતીય સૈનિકો છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આ યુદ્ધમાં 123 ભારતીય સૈનિકોમાંથી 109 શહીદ થયા. યુદ્ધવિરામ પછી રોઝાંગ લા વિસ્તાર No man’s land જાહેર થયો. ત્રણ મહિના પછી મેજર શૈતાનસિંહ અને સાથી સૈનિકોના બરફથી ઢંકાયેલા મૃતદેહો મળી આવ્યા. તેમના પાર્થિવ દેહને જોધપુર લાવવામાં આવ્યો અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુદ્ધમાં તેમણે દર્શાવેલ બહાદુરીભર્યું પરાક્રમ અને ફરજનિષ્ઠા બદલ 1963માં તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની સ્મૃતિમાં તેમના બંસાર ગામનું નામ શૈતાનસિંહનગર કરવામાં આવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

વિન્સ્ટન ચર્ચિલ

જ. 30 નવેમ્બર, 1874 અ. 24 જાન્યુઆરી, 1965

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન, સમર્થ રાજપુરુષ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર વિન્સ્ટન ચર્ચિલનો જન્મ વુડસ્ટોક, લંડનમાં થયો હતો. પિતા રૅન્ડોલ્ફ ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ હેરો અને સેન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ 1895માં લશ્કરમાં જોડાયા. 1900માં તેઓ ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં જોડાયા, પરંતુ 1906માં ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા. 1908માં તેમને ગૃહખાતાનો હવાલો સોંપવામાં આવ્યો. 1911માં ચર્ચિલને નૌકાખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ એડમિરલ્ટી) તરીકે મૂકવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેનાપતિ લૉર્ડ ફિશર સાથે મતભેદ થતાં રાજીનામું આપી લશ્કરમાં જોડાયા. ફ્રાન્સની ભૂમિ પર જર્મની સામે લડવા પણ ગયા. સમય જતાં ઉદારમતવાદી પક્ષ સાથે પણ મતભેદો થતાં ફરી રૂઢિચુસ્ત પક્ષમાં જોડાયા. 1924માં પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને બોલ્ડવિન પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપાયું. તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું. કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરમાંથી મુક્ત કરી ફરી ચેતનવંતું બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલના પ્રધાનમંડળમાં તેમને નૌકાખાતું સોંપવામાં આવ્યું. 1940માં નેવિલે રાજીનામું આપતાં ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેઓ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તથા હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડવામાં તેમનો મોટો ફાળો હતો. તેમણે દેશને વિજય અપાવવા માટે આપેલો સંકેત V (V for victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો. તેઓ યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તાઓમાંના એક ગણાતા. 1951ની ચૂંટણીમાં ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં 77 વર્ષની વયે પ્રધાનમંડળની રચના કરી. તેમણે લખેલ આત્મકથાત્મક યુદ્ધ-સંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર બની રહ્યું અને મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.