Categories
વાચન સમૃદ્ધિ

મંજુબહેન મહેતા

જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪

પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને તેમની પાસેથી સિતારવાદન શીખતા હતા. મંજુબહેન આઠ વર્ષની વયથી છાનામાના મોટા ભાઈની ગેરહાજરીમાં સિતાર વગાડી લેતાં. મંજુબહેનની આટલી લગની જોઈને શશીમોહનજી તેમના પ્રથમ ગુરુ બન્યા અને તેમને સિતાર શિખવાડવા લાગ્યા. બાળકલાકાર મંજુબહેને ૧૧ વર્ષની વયે સિતારવાદનના કાર્યક્રમો આપવા માંડ્યા. રેડિયો પર પણ કાર્યક્રમ આપતાં. સંગીતમાં વધુ અભ્યાસ માટે સ્કૉલરશિપ મળતાં ૧૫ વર્ષની વયે જોધપુર જઈ સંગીતની સાધના શરૂ કરી. ૧૯૬૮માં ૨૩ વર્ષની વયે તબલાવાદક નંદન મહેતા સાથે લગ્ન થયાં અને તેઓ અમદાવાદ આવ્યાં. અહીં ૩૫ સભ્યોના સંયુક્ત કુટુંબમાં સમાઈ ગયાં. નંદન મહેતાના પિતાએ તેમને અન્યને સિતાર તથા કંઠ્ય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કર્યાં. મંજુબહેને ૧૯૬૯થી ‘દર્પણ’માં સિતાર શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમણે પોતાની સંસ્થા ‘સપ્તક’ની સ્થાપના કરી, જેમાં કંઠ્યસંગીત તથા વાદ્યસંગીતનું શિક્ષણ અપાય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી દર જાન્યુઆરી મહિનામાં ‘સપ્તક’ દ્વારા ૧૪ દિવસના મહોત્સવનું આયોજન થાય છે. તેમાં રાષ્ટ્રીય ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો ભાગ લે છે. ભારતભરમાં તથા વિદેશમાં આ કાર્યક્રમની પ્રશંસા થાય છે. મંજુબહેનને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઍવૉર્ડ, મુંબઈમાં પંડિત જસરાજ ઘરાના ઍવૉર્ડ, સંગીત કલારત્ન માર્તંડ સન્માન, મારવાડ સંગીતરત્ન ઍવૉર્ડ, સંગીત કલા ગૌરવ પુરસ્કાર, નારીશક્તિ ઍવૉર્ડ મળેલ છે. તદુપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કલાક્ષેત્રે અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ વર્ષ ૨૦૧૬માં મળેલો.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી ચંદ્રશેખર સરસ્વતી

જ. ૨૦ મે, ૧૮૯૪ અ. ૮ જાન્યુઆરી, ૧૯૯૪

કાંચી મહાસ્વામી તરીકે ઓળખાતા શ્રી ચંદ્રશેખર સરસ્વતી ૨૦મી સદીના મહાન હિંદુ આધ્યાત્મિક નેતા અને વિચારક હતા. તેઓ કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને સમગ્ર ભારત માટે આધ્યાત્મિક દિશાના પ્રકાશપુંજ હતા. તમિળનાડુના વિલ્લુપુરમમાં સ્વામીનાથ શાસ્ત્રી અને મહાલક્ષ્મી અમ્મળના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સ્વામીનાથન હતું. બાળપણથી જ તેઓ તેજસ્વી, શાંત સ્વભાવના અને ધાર્મિક અભિગમ ધરાવતા હતા. ૧૯૦૫માં તિંદિવનમમાં સ્વામીનાથનનું ઉપનયન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમના ઉછેર દરમિયાન જ તેઓ વેદોમાં પારંગત બની પૂજા કરવા લાગ્યા હતા. ૧૯૦૬માં કામકોટી પીઠના ૬૬મા આચાર્ય શ્રી ચંદ્રશેખર સરસ્વતી છઠ્ઠા, ચાતુર્માસ વ્રતના પાલન માટે તિંદિવનમ્ નજીકના પેરુમુક્કલમ્ ગામમાં રહ્યા હતા જ્યાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પદ સંભાળ્યાના માત્ર એક અઠવાડિયા બાદ તેમનું અવસાન થયું. ત્યારબાદ સ્વામીનાથનના પિતરાઈ ભાઈને ૬૭મા આચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થતાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૦૭ના રોજ કાંચી કામકોટી પીઠના ૬૮મા શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભારતના અનેક પ્રદેશોમાં પદયાત્રા કરીને તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમને તમિળ ભાષા પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો, તેથી અનેક તમિળ વિદ્વાનો સાથે ઘણાં પ્રવચનો પણ કર્યાં હતાં. તેમણે ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપીને આમૂલ સામાજિક ફેરફારો કર્યા હતા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે તેમણે રાષ્ટ્રધ્વજ અને તેમાં દેખાતા અશોક ચક્રના મહત્ત્વ પર ભાષણ પણ આપ્યું હતું. તેઓ જીવનભર નિર્વિકાર રહી, શાંતિ, સાધના અને સંયમમય જીવન જીવ્યા હતા. સંસ્કૃત અને વેદ શાસ્ત્રોમાં પારંગત હોવાથી તેમણે વેદોનું મહત્ત્વ પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગે વળવાની પ્રેરણા આપી હતી. ૯૯ વર્ષની ઉંમરે તેમનું મહાપરિનિર્વાણ થયું. કાંચી મહાસ્વામી માત્ર એક સંત નહિ, પરંતુ એક યુગદ્રષ્ટા હતા. તેમના શિષ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી અને પછી શ્રી વિજયેન્દ્ર સરસ્વતી તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

પુનિત મહારાજ

જ. ૧૯ મે, ૧૯૦૮ અ. ૨૭ ઑગસ્ટ, ૧૯૬૨

સેવાપરાયણ સંત, લોકભજનિક પુનિત મહારાજનો જન્મ ધંધૂકામાં શંકરભાઈ તથા લલિતાબહેનને ત્યાં થયો હતો. છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક સુધી જ અભ્યાસ કરી શક્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરીએ લાગ્યા. માતાથી હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ધંધૂકા જઈ ‘ગર્જના’ દૈનિકમાં કારકુની કરી, આડકતરી રીતે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી સાથે ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક અને ક્લાર્કની  નોકરી પણ કરી. માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કાવ્યસર્જનનાં બીજ રોપાયાં. કાવ્યસર્જનની સરવાણી ફૂટી. રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. નિષ્ઠાપૂર્ણ અભ્યાસ અને લગનના પરિણામે ભજન અને આખ્યાનોની રચના થવા માંડી. એમના જીવન દરમિયાન એમણે ૩૫૦૦થી વધુ ભજનો, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરિંસહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો, ‘નવધાભક્તિ’ના ૧થી ૧૧ ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંતકથાઓ એમ બધા મળીને ૬૦ જેટલા ગ્રંથો આપ્યા છે. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને તરબોળ કરી દેતા. ભાખરીદાન, મફત રોગનિદાન યજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ તેમની માનવસેવા અને સમાજસેવાનાં ઉત્તમ ઉદાહરણ છે. તેમણે અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટનો સ્વીકાર કર્યો નહોતો કે ખર્ચ લઈને ભજન નહોતાં કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા મંડળી સાથે  ચાલી નીકળતા અને સાથે સાથે માનવસેવાનાં કામો અને રાહતકામો કરતા. તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.