Categories
વાચન સમૃદ્ધિ

ગુરુદયાલ મલ્લિક

જ. ૭ જુલાઈ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૭૦

‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મનોજ ખંડેરિયા

જ. ૬ જુલાઈ, ૧૯૪૩ અ. ૨૭ ઑક્ટોબર, ૨૦૦૩

ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો  કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.

‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.

મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

રશીદ ખાન

જ. ૫ જુલાઈ, ૧૯૧૫ અ. ૭ નવેમ્બર, ૧૯૭૨

સાઠથી વધુ હિન્દી ચલચિત્રોમાં અભિનય કરનાર ચરિત્ર અભિનેતા રશીદ ખાનનો જન્મ વડોદરા, ગુજરાતમાં થયો હતો. ૧૯૪૬માં ફિલ્મ ‘ધરતી કે લાલ’થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૪૬થી ૧૯૭૪ની વચ્ચે તેમણે સાઠથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા દેવ આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા અને તેમણે લગભગ દેવ આનંદનાં મોટા ભાગનાં ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની નવકેતન ફિલ્મ્સની સૌથી પહેલી ફિલ્મ ‘અફસર’થી લઈને ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઇ કા બાબૂ’ અને ‘કાલા બઝાર’ જેવી હિટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ કરી હતી. ૧૯૫૦થી ૧૯૭૦ના સમયમાં તેમણે રાજ કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા અનેક મશહૂર અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું.  મોટા ભાગે તેઓ પિતા, હીરોના સહાયક, વિલન, હાસ્ય કલાકારની ભૂમિકાઓ ભજવતા હતા. ૧૯૭૨માં ૫૭ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ પછી પણ ૧૯૭૪ સુધી તેમની ફિલ્મો આવી હતી. તેમની અભિનીત જાણીતી ફિલ્મોમાં ‘ધરકી કે લાલ’, ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘શ્રી ૪૨૦’, ‘નવ દો ગ્યારહ’, ‘કાલા પાની’, ‘મુઝે જીને દો, ‘કાલા બાઝાર’, ‘પ્રોફેસર’, ‘દો દૂની ચાર’, ‘રાજકુમાર’, ‘બનારસી બાબૂ’ અને ‘છુપા રુસ્તમ’નો સમાવેશ થાય છે.