જ. 2 ડિસેમ્બર, 1912 અ. 25 ફેબ્રુઆરી, 2004

હિન્દી અને તેલુગુ ફિલ્મોના નિર્માતા અને પ્રકાશક બી. નાગી રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના પોટ્ટિપાડુ ગામમાં થયો હતો. બાળપણમાં તેમનો ઉછેર તેમનાં નાના-નાની દ્વારા થયો હતો. તેમને બાળપણથી જ કલા પ્રત્યે લગાવ હતો. તેમણે ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ ફાઇન આર્ટસમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં વિજયાવાહિણી સ્ટુડિયોની સ્થાપના કરી, જે એ વખતનો એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો. તેમણે અલુરી ચકપાણી સાથે મળીને ચાર દાયકામાં ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં પચાસથી વધુ ફિલ્મો બનાવી. પૌરાણિક અને ઐતિહાસિક કથાવસ્તુઓ એ તેમની ફિલ્મોની વિશેષતા હતી. તેઓ ‘આંધ્રજ્યોતિ’ અને ‘ધ હેરિટેજ’ સામયિકોના પ્રકાશક હતા. તેમણે 1947માં બાળકોનું સામયિક ‘ચાંદામામા’ની શરૂઆત કરી. આ સામયિક ભારતની બાર ભાષાઓમાં પ્રગટ થાય છે. તેમણે 1972માં વિજયા મેડિકલ ઍન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા મલ્ટિસ્પેશિયાલિટી વિજયા હૉસ્પિટલ શરૂ કરી. તેમણે બે વખત ફિલ્મ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. તેમણે ચાર ટર્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચેમ્બર ઑવ્ કૉમર્સ અને બે ટર્મ ઑલ ઇન્ડિયા ફિલ્મ સંમેલનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેઓ 1980થી 1983 સુધી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ હતા. તેમણે ‘મિસ્સામ્મા’, ‘માયા બજાર’, ‘પૈગામ’, ‘ગુંડમ્મા કથા’, ‘રામ ઔર શ્યામ’, ‘સ્વર્ગનરક’, ‘યહી હૈ જિંદગી’, ‘જુલી’, ‘સ્વયંવર’ જેવી નોંધપાત્ર અને યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘મદુવે મદીનોડુ’ ફિલ્મ માટે કન્નડમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા ‘માયાબજાર’ અને ‘ગુંડમ્મા કથા’ ફિલ્મ માટે તેલુગુ ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. 1986માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1972 તમિળનાડુ સરકારે ક્લાઈમામણિ પુરસ્કાર અને 1987માં આંધ્રપ્રદેશ સરકારે રઘુપતિ વેંકૈયા પુરસ્કારથી તેમને નવાજ્યા હતા. શ્રી કૃષ્ણદેવરાય યુનિવર્સિટી અને શ્રી વેંકેટેશ્વર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. તેમની સ્મૃતિમાં 23 ફેબ્રુઆરી, 2018ના રોજ ભારતીય ટપાલખાતાએ પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.
અનિલ રાવલ


