Categories
વાચન સમૃદ્ધિ

રામનારાયણ વિ. પાઠક

જ. 8 એપ્રિલ, 1887 અ. 21 ઑગસ્ટ, 1955

ગુજરાતી સાહિત્યના સર્જક અને અધ્યાપક રામનારાયણ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ગણોલમાં થયો હતો. પિતાની અવારનવાર બદલી થવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ મેળવ્યું. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં મેળવ્યું. 1904માં મૅટ્રિક તથા 1908માં પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ક્ષય રોગ થવાથી સાદરા રહેવા ગયા. 1920માં ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા અને જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા, પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં શાળા છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1928 સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1926માં ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી પૂર્ણકાલીન તંત્રી બન્યા. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજના અધ્યાપક બન્યા અને ‘પ્રસ્થાન’નું તંત્રીપદ છોડ્યું. તેઓ ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે જાણીતા છે. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે જોડાયા. તેમણે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો. એક વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું હતું. તેઓ ‘શેષ’ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખતા હતા. તેમણે 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. એ પછી એક વખત ‘ભૂલારામ’ ઉપનામ પણ રાખ્યું હતું. ‘શેષનાં કાવ્યો’, ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર), ‘દ્વિરેફની વાતો’ ભાગ 1થી 3, ‘સ્વૈરવિહાર’ ભાગ 1-2, ‘મનોવિહાર’, ‘આલોચના’, ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’, ‘નર્મદાશંકર કવિ’, ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’, ‘બૃહત્ પિંગળ’ તેમનાં નોંધપાત્ર સર્જનો છે. તેઓ 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને 1949માં નર્મદચંદ્રક અને 1956માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ વર્ડઝવર્થ

જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.

Categories
વાચન સમૃદ્ધિ

જેમ્સ વૉટ્સન

જ. 6 એપ્રિલ, 1928 અ. 6 નવેમ્બર, 2025

પ્રસિદ્ધ અમેરિકન જનીન-વિજ્ઞાની, જૈવ-ભૌતિકવિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિક સહવિજેતા. જન્મ શિકાગો, ઇલિનોય, યુ.એસ.એ.માં અને બાળપણ પણ શિકાગોમાં વિતાવ્યું. અભ્યાસ હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં 1943માં 15 વર્ષની વયે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રયોગલક્ષી કૉલેજમાં દાખલ થયાં અને 1947માં સ્નાતકની ઉપાધિ મેળવી. બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશોધનોથી તેઓ પ્રભાવિત હતા અને પક્ષીનિરીક્ષણનો રસ પણ તેમને જનીનવિદ્યાના અભ્યાસ તરફ દોરી ગયો. આથી શિષ્યવૃત્તિ મળતાં ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને વિષાણુશાસ્ત્રમાં જીવાણુભોજી વિષાણુઓ પર સંશોધન કરી 1950માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ હાંસલ કરી. 1950-51માં તેઓ મર્ક-ફેલો તરીકે કોપનહેગનમાં ગયા અને જીવાણુસંલગ્ન વિષાણુઓ પર સંશોધન કર્યું. 1951-53 દરમિયાન ક્વૅન્ડિશ પ્રયોગશાળામાં સંશોધક તરીકે જોડાયા અને X-કિરણ વિવર્તન ટૅકનિકનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ જૈવ-ભૌતિકવિદ ફ્રાન્સિસ ક્રિકને મળ્યા અને બંનેએ DNA અણુઓની સંરચના ઉકેલવાના પ્રયત્નો કર્યા. પરિણામરૂપ 1953માં બ્રિટિશ જર્નલ ‘નેચર’માં DNA અણુના પ્રતિરૂપ વિશેનું પ્રકાશન બે સંશોધનપત્રો રૂપે કર્યું. આ દરમિયાન નોબેલવિજેતા ભૌતિકવિદ શ્રોડિન્જરના ‘What is life’ પુસ્તકના વાચનથી પ્રભાવિત થઈ સંભાવ્ય જટિલ સ્વરૂપના એક અણુ દ્વારા આનુવંશિકતાને લગતી જૈવિક વિધિનું નિયમન કઈ રીતે થાય છે તે જાણવા પ્રેરિત થવાથી લંડનના બાયૉફિઝિકલ યુનિટમાં જોડાયા અને કોષાંતર્ગત ન્યૂક્લીઇડ ઍસિડના પારજાંબલી સૂક્ષ્મવર્ણપટનો સ્પેક્ટ્રૉફોટોમિતીય અભ્યાસ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ન્યૂક્લીઇડ ઍસિડના અણુની સૂક્ષ્મતમ રચનાના અને આ અણુમાં સંકેતના સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી સંતાનમાં કઈ રીતે સ્થાનાંતર પામે છે તેને લગતા મૌલિક સંશોધન બદલ ક્રિક–વૉટ્સન–વિલ્કિન્સ ત્રિપુટીને 1962ના વર્ષનું દેહધર્મવિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વૉટ્સનનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘મોલેક્યુલર બાયૉલૉજી ઑવ ધ જીન’ (1965) અને ‘ધ ડબલ હેલિક્સ’(1968)ને ગણાવી શકાય. 1981માં તેમણે જોહન ટૂઝ સાથે લખેલ ‘ધ ડી.એન.એ. સ્ટોરી’ પ્રકાશિત કર્યું. 1988થી 1992 દરમિયાન ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ખાતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ફાળો આપ્યો.