Categories
વાચન સમૃદ્ધિ

અમિયભૂષણ મજુમદાર

જ. 22 માર્ચ, 1918 અ. 8 જુલાઈ, 2001

બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના સમયના કૂચબિહાર જિલ્લા(હાલમાં પશ્ચિમ બંગાળ)માં બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 1937માં તેઓએ સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો આરંભ કર્યો, પણ ગંભીર માંદગીને લીધે તેમને કૂચબિહાર પાછા આવવું પડ્યું. થોડા મહિના બાદ તેઓ વિક્ટોરિયા કૉલેજ(હાલમાં આચાર્ય બ્રિજેન્દ્રનાથ સીલ કૉલેજ)માં દાખલ થયા અને 1939માં અંગ્રેજી વિષયમાં ઑનર્સ સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. અંગ્રેજી ઉપરાંત ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, ફિલૉસૉફી અને કાયદાશાસ્ત્રમાં પણ તેમની સારી હથોટી હતી. કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે કૂચબિહાર હેડ પોસ્ટઑફિસમાં નોકરી લેવી પડી અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને તિલાંજલી આપવી પડી. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા અને સાથે સાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ  રાખી. તેઓ એક શક્તિશાળી લેખક હોઈ યુવાન લેખકોના પ્રેરણાસ્રોત બની રહ્યા. 1961માં તેમણે ચાર ટૂંકી વાર્તાઓથી લેખનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ‘રાણી ઇન્દુમતી’, ‘મોહિત સેનેર ઉપાખ્યાન’, ‘અંધકાર’, ‘સ્વર્ણસીતા’, ‘સત્ આચાર’ અને ‘મૃણ્મયી ઑપેરા’ જેવી અનેક વાર્તાઓ દ્વારા આદર્શવાદના અનુસંધાનમાં વાચકોને જોડવા પ્રયત્ન કર્યો. તેમની નોંધપાત્ર નવલકથાઓમાં ‘નીલ ભૂંઈયા’, ‘ગાર શ્રીખંડ’, ‘રાજનગર’, ‘દુખિયાર કુઠિ’, ‘નિર્વાસ’, ઉદ્વાસ્તુ’, ‘માહિષ્કુરાર ઉપકથા’, ‘વિલાસ વિનય વેદના’ તથા ‘ચાંદ બેને’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ ઐતિહાસિક નથી છતાં ઇતિહાસની અસર જોવા મળે છે.  તેમના સાહિત્યમાં સમાજજીવનનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. તેમની શૈલી બૌદ્ધિક પ્રભાવથી છટાદાર અને આકર્ષક લાગે છે. તેમના આવા વિશિષ્ટ પ્રદાન બદલ તેમને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1972માં ત્રિવૃત પુરસ્કાર, 1984માં ઉત્તર બંગ સંવાદસાહિત્ય પુરસ્કાર, 1986માં પશ્ચિમ બંગાળ સરકારનો બંકિમ પુરસ્કાર તથા તે જ વર્ષમાં નવલકથા ‘રાજનગર’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલા. આ ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી, કલ્યાણી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ નૉર્થ બૅંગાલ દ્વારા માનદ ડી.લિટ.ની ઉપાધિ પણ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વેદ મહેતા

જ. 21 માર્ચ 1934 અ. 9 જાન્યુઆરી 2021

ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર અને લેખક વેદ મહેતાનો લાહોરમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે દૃષ્ટિ ગુમાવી. તેમને મુંબઈની દાદર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં મૂકવામાં આવ્યા. પછી તેઓ અર્કાન્સાસ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં ભણવા ગયા. તેઓ 1956માં પોમોના કૉલેજમાંથી અને 1959માં ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી બી.એ. થયા. 1961માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. વિદ્યાર્થીકાળમાં જ ‘ધ ન્યૂ યૉર્કર’ માટે લખવાનું શરૂ કર્યું. તેઓ 1975માં અમેરિકન નાગરિક બન્યા હતા. તેઓ 1961થી ધ ન્યૂ યૉર્કર સામયિકમાં જોડાયા અને 1994 સુધી સ્ટાફલેખક તરીકે કામ કર્યું. તેમણે 27 જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનું પ્રથમ પુસ્તક ‘ફેસ ટુ ફેસ’ 1957માં પ્રકાશિત થયું, જે તેમની આત્મકથાનું હતું. ‘વૉકિંગ ધી ઇન્ડિયન સ્ટ્રીટ્સ’(1963), ‘ફ્લાય ઍન્ડ ફ્લાય બૉટલઃ એન્કાઉન્ટર્સ વિથ બ્રિટિશ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ’(1962), ‘ડેલિન્ક્વન્ટ ચાચા’, ‘પૉર્ટ્રેટ ઑવ્ ઇન્ડિયા’, તેમના પિતા અમોલક રામ મહેતાનું જીવનચરિત્ર ‘ડેડીજી’ (1972), ‘મહાત્મા ગાંધી ઍન્ડ હિઝ અપોસ્ટલ્સ’ (1977), ‘ધ ન્યૂ ઇન્ડિયા’ (1978), ‘મામાજી’ (1979), ‘વેદી’ (1982), ‘ધ લેજ બિટવીન ધ સ્ટ્રીમ’ (1984), ‘સાઉન્ડ-શેડોસ ઑવ્ ધ ન્યૂ વર્લ્ડ’ (1986), ‘ધ સ્ટોલન લાઇટ’ (1989) નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં લખ્યું છે, પરંતુ તેમની કૃતિઓના અનેક ભાષામાં અનુવાદો થયા છે. તેમણે અનેક કૉલેજોમાં અને યેલ તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં પણ શીખવ્યું હતું. 1982માં તેઓ મેકઆર્થર ફેલો થયા હતા. 1971 અને 1977માં તેમને  ગુગેનહેમ ફેલોશિપ મળી હતી. 2009માં રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમને પોમોના કૉલેજ, બાર્ડ કૉલેજ, વિલિયમ્સ કૉલેજ, બોડોઇન કૉલેજ તથા યુનિવર્સિટી ઑવ્ સ્ટર્લિંગ દ્વારા માનદ પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વસંત કાનેટકર

જ. 20 માર્ચ, 1922 અ. 30 જાન્યુઆરી, 2001

લોકપ્રિય મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનો જન્મ સતારા જિલ્લાના રહીમતપુર ગામમાં થયો હતો. માતા ઉમા અને પિતા શંકર કાનેટકર જે મરાઠી કવિ હતા અને ‘ગિરીશ’ ઉપનામથી લખતા હતા. તેમનું શિક્ષણ સાંગલી અને પુણેમાં થયું હતું. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એ. અને સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાંથી એમ.એ. થયા. 1946માં નાશિકની હંસરાજ પ્રાગજી ઠાકરે કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ મૅટ્રિકમાં હતા ત્યારથી કવિતા, વાર્તા અને નિબંધ લખતા. તેમની પ્રથમ વાર્તા 1939માં ‘મનોહર’ માસિકમાં પ્રકાશિત થઈ હતી. તેઓ 1973માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણકાલીન વ્યાવસાયિક નાટ્યકાર થયા. તેમણે 54 વર્ષમાં 42 ત્રિઅંકી નાટકો, 4 નવલકથાઓ, એકાંકીઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ફિલ્મો અને ટીવી સિરિયલો માટે પટકથાઓ લખી હતી. ‘લાવણ્યમયી’ વાર્તાસંગ્રહ; ‘ઘર’, ‘પંખ’, ‘પોરકા’ મૌલિક અને ‘તેથે ચલ રાણી’ અનૂદિત નવલકથા એમણે આપ્યાં છે. તેમનું પ્રથમ નાટક ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ રંગભૂમિ પર સફળ રહ્યું. તેમણે ‘દેવાંચે મનોરાજ્ય’, ‘ગોષ્ટ જન્માંતરીચી’, ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘પ્રેમા તુઝા રંગ કસા’, ‘સૂર્યાચી પિલ્લે’, ‘વિષવૃક્ષાચી છાયા’ વગેરે નાટકો આપ્યાં છે. ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’ મરાઠી રંગભૂમિ પર સીમાચિહન બની રહ્યું. એ નાટક માટે એમને સંગીત નાટક અકાદમીનો શ્રેષ્ઠ ભારતીય નાટક પુરસ્કાર મળ્યો હતો. આ નાટક ભારતની ચૌદ ભાષાઓમાં ભાષાંતરિત થયું હતું અને તેનો મુંબઈ યુનિવર્સિટીના અંડર ગ્રૅજ્યુએટ આર્ટસ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતી નાટકો ‘અમે બરફનાં પંખી’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘પુનર્મિલન’, ‘પઢો રે પોપટ બોલ પ્રેમના’, ‘રાયગડ જ્યારે જાગે છે’, ‘પારિજાત’, ‘નોખી માટી ને નોખા માનવી’, ‘ઉપર ગગન નીચે ધરતી’ તેમનાં મરાઠી નાટકોનાં રૂપાંતરણ છે. 1966માં હિંદી ફિલ્મ ‘આંસુ બન ગયે ફૂલ’ની શ્રેષ્ઠ વાર્તા માટે ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1990માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર અને 1992માં પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં ‘કસ્તુરીમૃગ’ નાટક માટે શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ નાટ્યકારનો કદાદર્પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.