Categories
વાચન સમૃદ્ધિ

જૉસેફ મૅકવાન

જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમાર

જ. ૮ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૩ જુલાઈ, ૧૯૯૬

ભારતીય હિન્દી સિનેમાજગતના અભિનેતા રાજકુમાર અનોખા અવાજ, અનોખી સંવાદ-રજૂઆત અને અનોખી અદાકારી માટે લોકપ્રિય અભિનેતા હતા. તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. અભિનયક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટે રાજકુમારના નામ સાથે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૦માં શ્રીનગરથી મુંબઈ આવીને સ્થાયી થયા. જ્યાં મુંબઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી. દરમિયાન દિગ્દર્શક નજમ નક્વી રાજકુમારના વ્યક્તિત્વથી અભિપ્રેત થયા અને ૧૯૫૨માં ફિલ્મ ‘રંગીલી’માં અભિનય કરાવ્યો. ૧૯૫૭માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધરઇન્ડિયા’માં અભિનય કર્યો અને પ્રતિભાવંત અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘ઘમંડ’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘વક્ત’, ‘કાજલ’, ‘હીર-રાંઝા’, ‘નીલકમલ’, ‘હમરાઝ’, ‘પાકિઝા’, ‘કર્મયોગી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને એક આગવી ઓળખ ઊભી કરી. ‘જાની’ શબ્દ રાજકુમારના મોટા ભાગના સંવાદોની શરૂઆતનો અપેક્ષિત શબ્દ રહેતો. એક સમયે રાજકુમારના સંવાદો ઉપર સિનેમાઘરોમાં પડદા ઉપર સિક્કાઓનો વરસાદ થતો. કારકિર્દીના પાછલા પડાવમાં પણ ‘સૌદાગર’, ‘તિરંગા’, ‘બેતાજ બાદશાહ’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં એમનો અભિનય અને પડદા પરની ઉપસ્થિતિ (screen presence) ફિલ્મના મુખ્ય અભિનેતા માટે પડકાર સમી રહેતી. પત્ની ગાયત્રી કુમાર, બે પુત્રો તથા એક પુત્રી તેમનો પરિવાર હતો. ગળાના કૅન્સરની બીમારીમાં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. રાજકુમાર દર્શકોની સ્મૃતિમાં સદા અમર અભિનેતા તરીકે અંકિત થયેલા રહેશે.

અલ્પા શાહ

Categories
વાચન સમૃદ્ધિ

નરહરિ દ્વારકાદાસ પરીખ

જ. ૭ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૧૫ જુલાઈ, ૧૯૫૭

લેખક, સંપાદક, સમાજસુધારક અને સ્વાતંત્ર્યસેનાની નરહરિ પરીખનો જન્મ અમદાવાદમાં. વતન કઠલાલ. શાળેય શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૧૧માં ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૧૩માં એલએલ.બી. થયા પછી વકીલાત શરૂ કરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં ૧૯૧૬માં વકીલાત છોડી અને સ્વતંત્રતાના આંદોલનમાં જોડાયા. તેઓ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના શિક્ષક બન્યા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં બારડોલી પાસેના સરભોણમાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી અને દૂબળાઓને ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહમાં લાઠીચાર્જથી ઘવાયા અને જેલવાસ થયો. ૧૯૩૪માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક બન્યા. ૧૯૩૭માં રચાયેલ બુનિયાદી શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમાયા. તેઓ સેવાગ્રામમાં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓ પૈકી એક નરહરિ પરીખ હતા. તેમણે અસ્પૃશ્યતા, દારૂ તેમજ નિરક્ષરતા નાબૂદી માટે કાર્ય કર્યું. તેઓ થોડાં વર્ષો સુધી ગાંધીજીના અંગત સચિવ રહ્યા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. તેમણે અનેક મૌલિક પુસ્તકો લખ્યાં. સંપાદનો અને અનુવાદ પણ કર્યા છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’, ‘સરદાર વલ્લભભાઈ’ (ભાગ-૧, ૨), ‘માનવ અર્થશાસ્ત્ર’, ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘નામદાર ગોખલેનાં ભાષણો’, ‘ગોવિંદગમન’, ‘કરંડિયો’, ‘મહાદેવભાઈની ડાયરી’ (ભાગ ૧થી ૭), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’નો તથા ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનો ‘જાતે મજૂરી કરનારાઓને’ અને ‘ત્યારે કરીશું શું ?’ નામે અનુવાદ કર્યો છે. તેમના ‘કન્યાને પત્રો’નો હિન્દી, મરાઠી અને ઊડિયામાં અનુવાદ થયો છે.

અનિલ રાવલ