Categories
વાચન સમૃદ્ધિ

દામિનીબહેન મહેતા

જ. ૬ ઑક્ટોબર, ૧૯૩૦ અ. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯

ખ્યાતનામ ગુજરાતી નાટ્ય અભિનેત્રી અને નિર્દેશિકા દામિનીબહેન મહેતાનો જન્મ અમદાવાદ ખાતે ચુસ્ત, ધાર્મિક અને સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા જીવણલાલ મહેતા. પિતાનું અકાળે અવસાન થતાં કુટુંબ કપરી આર્થિક પરિસ્થિતિમાં આવી પડ્યું. તે સમયે ‘જવનિકા’ નાટક કંપની દ્વારા ભજવાતાં નાટકોમાં બાળકલાકારની જરૂર જણાતાં દામિનીબહેનને અનાયાસે અભિનય કરવાની તક મળી. તેમાં ‘રૂપમતી’ નાટકનો તેમનો અભિનય ખૂબ વખણાયો. અભિનય દ્વારા મળતો પુરસ્કાર તેમના કુટુંબની આર્થિક પરિસ્થિતિમાં ટેકારૂપ બન્યો. ‘જવનિકા’ નાટક કંપનીમાં થોડાં વર્ષ કામ કર્યાં બાદ તેને છોડીને ‘નટરંગ’ નામની સંસ્થા સ્થાપી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ પછી તેઓ દર્પણ સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટમાં નૃત્યકલાગુરુ મૃણાલિનીબહેન સારાભાઈનું આમંત્રણ મળતાં તેમાં જોડાયાં. દર્પણમાં નાટ્યવિદ કૈલાસ પંડ્યાના સહયોગમાં નાટ્યવિભાગ શરૂ કર્યો. ૪૫ વર્ષ સુધી દર્પણ સંસ્થામાં કાર્યરત રહીને અનેક નાટ્યપ્રયોગો કર્યા. દામિનીબહેને તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦ જેટલા નાટકોમાં અભિનય કર્યો. તેમનાં કેટલાંક યાદગાર નાટકોમાં ‘પીળું ગુલાબ’, ‘કોઈ પણ ફૂલનું નામ લો’, ‘કાનન’, ‘લીલા’, ‘નવલશાહ હીરજી’, ‘તારામતી’, ‘મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. આકાશવાણી, દૂરદર્શન તથા માહિતીખાતાનાં દસ્તાવેજી ચિત્રો બનાવવામાં પણ તેમનો ફાળો હતો. ગુજરાતની અતિ પ્રાચીન કલા ભવાઈના જતન અને સંવર્ધન માટે તેમણે ખાસ યોગદાન આપ્યું છે. તે સમયે ભવાઈની પ્રસ્તુતિમાં પુરુષો જ સ્ત્રીની વેશભૂષા સાથે સ્ત્રીનું પાત્ર ભજવતા, પરંતુ દામિનીબહેને સ્ત્રીપાત્રમાં અભિનય કરવાનો નવીન પ્રયોગ શરૂ કર્યો. તેમણે નાટ્યક્ષેત્રે આપેલ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ‘નવલશા હીરજી’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર, પં. ઓમકારનાથ ઠાકુર સન્માન, ૧૯૯૪-૯૫માં ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બાજી રાઉત

જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

રામચન્દ્ર શુક્લ

જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.