Categories
વાચન સમૃદ્ધિ

દારાસિંહ

જ. 19 નવેમ્બર, 1928 અ. 12 જુલાઈ, 2012

પ્રખ્યાત પહેલવાન અને અભિનેતા તરીકે જાણીતા દારાસિંહનો જન્મ પંજાબના અમૃતસર પાસે ધરમૂચક નામના ગામમાં થયો હતો. તેમનું આખું નામ દીદારસિંહ રંધાવા હતું. તેમના પિતાનું નામ સૂરતસિંહ અને માતાનું નામ બલવંત કૌર હતું. મજબૂત કદકાઠી ધરાવતા હોવાથી નાનપણથી જ કુસ્તીનો શોખ જાગ્યો હોવાથી તેમણે અખાડામાં જવાનું શરૂ કર્યું હતું. અખાડામાં કુસ્તીના દાવપેચ શીખી પહેલાં મેળા અને અન્ય સમારંભોમાં યોજાતી કુસ્તી હરીફાઈમાં તેઓ ભાગ લેવા લાગ્યા. ધીરે ધીરે તેમની પહેલવાનીને લોકોની માન્યતા મળવા લાગી અને તેઓ ભારતમાં કુશળ પહેલવાન તરીકે જાણીતા થયા. 1947માં દારાસિંહ સિંગાપુર ગયા હતા, ત્યાં તેમણે ભારતીય શૈલીની કુસ્તીમાં ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. એ પછી તેમણે પહેલવાન તરીકે અનેક દેશોમાં પોતાની ધાક જમાવી દીધી હતી. 1952માં તેઓ ભારત પાછા ફર્યા અને 1954માં ભારતીય ચૅમ્પિયન બન્યા. ત્યારબાદ તેમણે બધા રાષ્ટ્રમંડળ દેશોની મુલાકાત લીધી અને ઓરિએન્ટલ ચૅમ્પિયન કિંગકાંગને હરાવી દીધો. દારાસિંહના નામનો દેશ અને દુનિયામાં ડંકો વાગવાને કારણે કૅનેડા અને ન્યૂઝીલૅન્ડના પહેલવાનો દ્વારા તેમને કુસ્તી લડવાની ચુનૌતી મળી. કૉલકાતામાં આયોજિત રાષ્ટ્રમંડળ-કુસ્તી ચૅમ્પિયનશિપમાં કૅનેડાના ચૅમ્પિયન જ્યોર્જ ગાડીયાંકા અને ન્યૂઝીલૅન્ડના ચૅમ્પિયન જોન ડિસિલ્વા તથા અન્ય કુસ્તીબાજોને હરાવીને 1959માં તેમણે ચૅમ્પિયનશિપ પોતાના નામે કરી 1968માં અમેરિકાના વિશ્વચૅમ્પિયન લાઉ થેજને હરાવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીના વિશ્વચૅમ્પિયન બની ગયા અને તેમણે વિશ્વવિજેતાનો તાજ ભારતને અપાવ્યો. 1983માં તેમણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, એ સમયે તેમને અપરાજય ચૅમ્પિયનના ખિતાબથી નવાજવામાં આવ્યા. 500થી વધુ કુસ્તીજંગમાં તેમણે ભાગ લીધો હતો અને ક્યાંય પણ તેમનો પરાજય થયો ન હતો. એક નિર્માતાના આગ્રહને લીધે તેમણે ફિલ્મોમાં ઝંપલાવ્યું. મુમતાઝ સાથે 16 ફિલ્મોમાં અભિનય ઉપરાંત દારાસિંહે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. રામાયણ અને મહાભારતમાં તેમની હનુમાનની ભૂમિકા આજે પણ વખણાય છે. તેઓ 60થી 70ના દાયકામાં બોલિવુડના ઍક્શનકિંગ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝુબીન ગર્ગ

જ. 18 નવેમ્બર, 1972 અ. 19 સપ્ટેમ્બર, 2025

ભારતીય સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કવિ, અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મનિર્માતા તરીકે જાણીતા ઝુબીન ગર્ગ મુખ્યત્વે અસમીઝ, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીતક્ષેત્રે કામ કરતા હતા. તેમણે 40 અન્ય ભાષા અને બોલીઓમાં પણ ગીત ગાયાં હતાં. ગર્ગે ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમનાં પ્રથમ ગુરુ તેમની માતા હતાં. તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલાં વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. ગુરુ રમણી રાયે તેમને અસમીઝ લોકસંગીતનો પરિચય કરાવ્યો હતો. શાળાના દિવસોથી જ તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ઝુબીન ગર્ગે 1992માં અસમીઝ સોલો આલબમ ‘અનામિકા’ સાથે એમ. કે. પ્રોડક્શનના બૅનર હેઠળ પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમણે યુવા મહોત્સવમાં તેમના વેસ્ટર્ન સોલો પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1995માં તેમનું પ્રથમ બિહુ આલબમ ‘ઉજાન પિરિતી’ રિલીઝ થયું હતું જે વ્યાપારિક રીતે સફળ રહ્યું હતું. 1990ના મધ્યમાં તેઓ મુંબઈ બોલિવુડના સંગીતઉદ્યોગમાં કામ કરવા ગયા, જ્યાં તેમનું પ્રથમ ઇન્ડિપોપ સોલો આલબમ ‘ચાંદની’ રિલીઝ થયું હતું અને ત્યારબાદ તેમણે હિન્દી આલબમ અને રિમિક્સ જેવાં કે ‘ચંદા’ (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-1 (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-2 અને 3 (1997), ‘જલવા’ (1998), ‘યૂં હી કભી’ (1998), ‘જાદુ’ (1999) અને ‘સ્પર્શ’ (2000) અને અન્ય આલબમ રેકૉર્ડ કર્યાં હતાં. ઝુબીન ગર્ગને બોલિવુડમાં તેમની સૌથી મોટી સફળતા મૂવી ‘ગેંગસ્ટર’માંથી મળી હતી જ્યાં તેમણે ‘યા અલી’ ગીત ગાયું હતું. ગર્ગનું સંગીત આત્માથી ભરેલું અને તેમનું કાર્ય લોકથી પોપ સુધી વિસ્તરેલું હતું. તેમના સંગીતમાં રોમૅન્ટિક અને ભક્તિમયથી માંડી બિહુ અને આધુનિક ગીતો સુધીની વિવિધતા જોવા મળે છે. સંગીત ઉપરાંત તેમણે અનેક અસમીઝ ફિલ્મ લખી, નિર્દેશિત અને અભિનીત કરી હતી. પરંપરાગત ગીત અને નૃત્ય વાર્તાઓને બદલે તેમણે વાસ્તવિક અને રાજકીય થીમ્સ વધુ પસંદ કરી હતી. આ ઉપરાંત તેઓ તેમનાં બોલ્ડ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ઝુબીન ગર્ગને 1996માં તેમના આલબમ ‘ચાંદની રાત’ માટે ચૅનલ વી મ્યુઝિક ઍવૉર્ડથી અને 2011માં અસમ કન્વેન્શન ઑફ બુક, ઇલિનિયોસ, યુ.એસ. દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે, 2024ના રોજ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, મેઘાલય દ્વારા માનદ ડૉક્ટર ઑફ લિટરેચર ડી.લિટ્.ની ડિગ્રી આપવામાં આવી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શોભના સમર્થ

જ. 17 નવેમ્બર, 1916 અ. 9 ફેબ્રુઆરી, 2000

ત્રીસના દાયકાની સ્વરૂપવાન અને સફળ અભિનેત્રી શોભના સમર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. મૂળ નામ સરોજ શિલોત્રી હતું. પિતા પી. એસ. શિલોત્રી અને માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. સરોજે ‘શોભના સમર્થ’ નામે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. કુમારસેન સમર્થ સાથેના લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતા હતા, પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. ભૂમિકા ટૂંકી હતી પણ શોભનાના દમદાર અભિનયને કારણે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા માટે તેમને જ પસંદ કર્યાં. આ ચિત્રને ખૂબ સફળતા મળી. તે પછી શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. ‘રામબાણ’ અને ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે ‘નલ દમયંતી’ પણ સફળ રહ્યું. કિશોર સાહુનિર્મિત ‘વીર કુણાલ’માં તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. 1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતાં શોભના પણ વ્યક્તિગત જીવનમાં પરોવાઈ ગયાં. છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમને ત્રીજી દીકરી ચતુરા અને પુત્ર જયદીપ હતાં. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘વિલાસી ઈશ્વર’, ‘દો દીવાને’, ‘સવેરા’, ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’, ‘તારામતી’, ‘હમારી બેટી’, ‘રામજન્મ’, ‘ઇન્સાનિયત’, ‘લવ ઇન સિમલા’, ‘છલિયા’, ચિત્રલેખા’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘દો ચોર’ ‘ઘરદ્વાર’ વગેરેને ગણાવી શકાય.

અમલા પરીખ