Categories
વાચન સમૃદ્ધિ

નરેન્દ્ર કોહલી

જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત દિલ્હીની પી.જી.ડી.એ.વી. કૉલેજથી કરી. 1965માં મોતીલાલ નહેરુ કૉલેજ, દિલ્હીમાં જોડાયા અને 1 નવેમ્બર, 1995ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપન કર્યું. તેમને બાળપણથી જ લેખનનો શોખ હતો. આઠમા ધોરણમાં હતા ત્યારે શાળાના મુખપત્રમાં ઉર્દૂમાં ‘હિન્દુસ્તાન : જન્નત નિશાન’ વાર્તા પ્રકાશિત થઈ હતી એ પછી ‘કિશોર’, ‘અવાજ’ વગેરે સામયિકોમાં રચનાઓ પ્રગટ થઈ. તેમની નવલકથાઓમાં આધુનિકતા હોવા છતાં તે પાશ્ચાત્ય અસરથી મુક્ત છે. તેમણે ભારતની સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને પ્રતિબિંબિત કર્યાં છે. તેમણે રામાયણની કથાનો ઉપયોગ કરીને ચાર ખંડોમાં 1800 પાનાંની નવલકથા લખી. 1975માં ‘દીક્ષા’ના પ્રકાશનથી હિન્દી સાહિત્યમાં નવો યુગ શરૂ થયો. તેમણે શ્રીકૃષ્ણની કથા પર આધારિત ‘અભિજ્ઞાન’, મહાભારત આધારિત ‘મહાસમર’ અને સ્વામી વિવેકાનંદના જીવન આધારિત ‘તોડો કારા તોડો’ નવલકથા લખી. તેમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત નવલિકા, નાટક, વ્યંગ્ય, નિબંધ, પ્રવાસવર્ણન અને બાળસાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમનાં પુસ્તકોનો કન્નડ, નેપાળી, ઊડિયા, મરાઠી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં અનુવાદ થયો છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2023થી તેમનો જન્મદિવસ 6 જાન્યુઆરી હિન્દી સાહિત્યજગતમાં ‘સાહિત્ય લેખક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

મન્સૂર અલીખાન પટૌડી

જ. 5 જાન્યુઆરી, 1941 અ. 22 સપ્ટેમ્બર, 2011

ફક્ત 21 વર્ષ 77 દિવસની વયે ભારતીય ક્રિકેટટીમના સૌથી યુવા કપ્તાન નિયુક્ત થનારા અને ‘ટાઇગર પટૌડી’ના હુલામણા નામે પ્રખ્યાત મન્સૂર અલીખાન પટૌડીનો જન્મ ભોપાલમાં થયો હતો. તેઓ પ્રખ્યાત ક્રિકેટર ઇફ્તિખાર અલીખાન અને બેગમ સાજીદા સુલતાનના પુત્ર હતા. તેમણે અલીગઢમાં મિન્ટો સર્કલ અને દેહરાદૂનમાં વેલ્હામ બૉય્ઝ સ્કૂલ, હર્ટફોર્ડશાયરમાં લોકર્સ પાર્ક પ્રેપ સ્કૂલ અને વિન્ચેસ્ટર કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાં અરબી અને ફ્રેન્ચ ભાષા શીખી હતી. 1952માં તેમના અગિયારમા જન્મદિવસે દિલ્હીમાં પોલો રમતી વખતે તેમના પિતાનું અવસાન થતાં, મન્સૂર પટૌડી નવમા નવાબ બન્યા હતા. તેઓ જમોડી બૅટ્સમૅન હતા. તેમણે 1957માં 16 વર્ષની ઉંમરે સસેક્સ માટે ફર્સ્ટક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને યુનિવર્સિટીમાં હતા ત્યારે ઑક્સફર્ડ માટે પણ રમ્યા હતા. 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં તેમને જમણી આંખની રોશની લગભગ ગુમાવવી પડી હતી. તેમ છતાં બે ઑપરેશન અને ચાર મહિનાના પ્રયત્ન બાદ તેમણે એક આંખે રમવાનું શીખી લીધું હતું. અકસ્માતના માત્ર છ મહિના બાદ ચેન્નાઈમાં એમણે ભારત વતી સદી નોંધાવી હતી. તેમણે 1961થી 1975 દરમિયાન ભારત માટે 46 ટેસ્ટ રમી હતી, જેમાં 34.91ની ટેસ્ટ બૅટિંગ એવરેજથી 2793 રન બનાવ્યા હતા, જેમાં છ ટેસ્ટ-સદીનો સમાવેશ થાય છે. પટૌડી તેમની 46 મૅચોમાંથી 40 મૅચોમાં ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન હતા, જેમાંથી માત્ર નવ મૅચોમાં તેમની ટીમને વિજય મળ્યો હતો, જેમાં 19 હાર અને 19 ડ્રૉ રહી હતી. તેમની જીતમાં 1968માં ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો વિદેશમાં પ્રથમ ટેસ્ટમૅચ વિજયનો સમાવેશ થતો હતો. 1970થી 72 સુધી તેઓ ટેસ્ટ રમ્યા નહોતા. 1973માં અજિત વાડેકરની આગેવાનીમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે તેઓ ભારતીય ટીમમાં પાછા ફર્યા હતા. 1974-75માં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યાં હતાં. 1971માં તેમણે ગુડગાંવ મતવિસ્તારમાંથી અને 1991માં ભોપાલ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી પણ અસફળ રહ્યા હતા. 1964માં અર્જુન પુરસ્કાર, 1967માં પદ્મશ્રી અને 2001 સી. એ. નાયડુ પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમણે ‘ટાઇગર્સ ટેલ’ નામની ક્રિકેટકથા લખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપાલદાસ સક્સેના ‘નીરજ’

જ. 4 જાન્યુઆરી, 1925 અ. 19 જુલાઈ, 2018

હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ ગોપાલદાસનો જન્મ ઉત્તરપ્રદેશના પુરાવલી ગામમાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમણે 1942માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી. ઇટાવાની કચેરીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું પછી ટૉકીઝમાં નોકરી કરી. દિલ્હીમાં પણ ટાઇપિસ્ટની નોકરી કરી. નોકરી છૂટતાં કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. વળી પાંચ વર્ષ સુધી ખાનગી કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. તેઓ 1951માં બી.એ. અને 1953માં એમ.એ. થયા. એ પછી થોડો વખત મેરઠ કૉલેજમાં હિન્દીના અધ્યાપક બન્યા. કૉલેજના વહીવટીતંત્રે કેટલાક આરોપો મૂકતાં તેમણે રાજીનામું આપ્યું. તેઓ અલીગઢની ધર્મસમાજ કૉલેજમાં પ્રોફેસર અને અલીગઢની મંગલાયતન યુનિવર્સિટીના ચાન્સેલર પણ બન્યા હતા. તેઓ કાવ્યલેખન કરતા અને કવિસંમેલનોમાં ભાગ લેતા. કવિસંમેલનોમાં તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમને સૌપ્રથમ હિન્દી ફિલ્મ ‘નઈ ઉમર કી નઈ ફસલ’ માટે ગીત લખવાનું આમંત્રણ મળ્યું. એ ગીતો લોકપ્રિય બન્યાં. એ પછી તેમણે ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યાં, જેમાં ‘સિલસિલા’, ‘શર્મીલી’, ‘મેરા નામ જોકર’ અને ‘પ્રેમ પૂજારી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મુંબઈના જીવનથી કંટાળી તેઓ અલીગઢ ગયા. તેમણે અનેક લોકપ્રિય ગીતો લખ્યાં છે. જેવાં કે – ‘કાલ કા પહિયા ઘૂમે રે ભઈયા !’ ‘એ ભાઈ જરા દેખ કે ચલો’, ‘રંગીલા રે…’, ‘ખિલતે હૈં ગુલ યહાં….’, ‘લિખે જો ખત તુઝે…’, ‘ફૂલોં કે રંગ સે…’, ‘કરવટેં બદલતે રહે સારી રાત હમ…’, ‘જીના યહાં મરના યહાં…’, ‘મૈયા યશોદા…’, ‘ચૌદવી કા ચાંદ હો…’ વગેરે. તેમણે ‘સંઘર્ષ’, ‘અન્તર્ધ્વનિ’, ‘વિભાવરી’, ‘પ્રાણગીત’, ‘દર્દ દિયા હૈ’, ‘નદીકિનારે’, ‘તુમ્હારે લિયે’ જેવા કાવ્યસંગ્રહોથી હિન્દી પદ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેઓ સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે ત્રણ વખત ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. ઉત્તરપ્રદેશ સરકારે ભાષા સંસ્થાનના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરી કૅબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો. તેમને વિશ્વઉર્દૂ પરિષદ પુરસ્કાર, યશભારતી પુરસ્કાર, પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.