Categories
વાચન સમૃદ્ધિ

હુંદરાજ દુઃખાયલ

જ. 16 જાન્યુઆરી, 1910 અ. 21 નવેમ્બર, 2003

સિંધી અને હિન્દી સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હુંદરાજ દુઃખાયલનો જન્મ સિંધના લાડકાણામાં થયો હતો. પિતા લીલારામ માણેક અને માતા હિરલબાઈ. શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. આઠ-દસ વર્ષની વયે ગીતો લખવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરે ભજનસંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. એ પછી ‘આર્ય ભજનાવલિ’ સંગ્રહ પ્રગટ થયો.

1921માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. સરકારી શાળા છોડી લાડકાણાની કોમી શાળામાં દાખલ થયા. ફરી શાળા છોડી અને આઝાદીની લડતમાં જોડાયા. શાળા છોડી દવાઓ બનાવી તેમજ સોના-ચાંદીની દુકાન કરી. પછી સ્ટૅમ્પવેન્ડર બન્યા, પરંતુ આઝાદીની લડતમાં જોડાવાથી સરકારે લાઇસન્સ રદ કર્યું. તેમને છ વખત જેલવાસ થયો હતો. તેઓ ખંજરી લઈને આઝાદીનાં ગીતો ગાતા. તેમણે ‘હનુમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમના ‘ફાંસી ગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકને અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેઓ 1949માં ભારત આવ્યા. ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ-આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ની સ્થાપના કરી. વિનોબા ભાવે સાથે 12 વર્ષમાં 30,000 માઈલની પદયાત્રા કરી. તેમણે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મશ્રી, સાધુવાણી ઍવૉર્ડ, સિંધુરતન ઍવૉર્ડ, રામ પંજવાણી ઍવૉર્ડ, સહયોગ ઍવૉર્ડ, સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેનિયમ ઍવૉર્ડના 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ ઇનામ-ઍવૉર્ડની રકમ તથા તમામ સંપત્તિ શિક્ષણસંસ્થાઓને દાનમાં આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)

જ. 15 જાન્યુઆરી, 1929 અ. 4 એપ્રિલ, 1968

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના નેતા. તેઓનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા તથા મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હતા. તેઓએ ઈ. સ. 1948માં ગ્રૅજ્યુએટ થયા બાદ 1951માં ‘બેચલર ઑવ્ ડિવિનિટી’ની પદવી મેળવી. 1953માં કોરટ્ટા સ્કૉટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1954માં મોન્ટગૉમેરીના બૅપ્ટિસ્ટ દેવળમાં જોડાયા. 1955માં બોસ્ટન યુનિવર્સિટીની થિયૉલૉજીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે યુ.એસ.માં અશ્વેત લોકોના નાગરિક હકો માટે અહિંસક ચળવળ શરૂ કરી. સૌપ્રથમ તેમણે જાહેર બસમાં રંગભેદની અને અલગતાની નીતિનો વિરોધ કરનાર રોઝાપાર્કની ધરપકડ થતાં, જાહેર બસવ્યવહારનો વરસ સુધી બહિષ્કાર પોકાર્યો. આને કારણે હિંસક બનાવો બન્યા. છેવટે સુપ્રીમ કોર્ટે રંગભેદના અને અલગતાના કાયદાને ગેરકાયદેસર ઠરાવ્યો.  આ બનાવ પછી કિંગ લ્યૂથરને રાષ્ટ્રવ્યાપી નામના મળી અને આ વિજયથી અહિંસક સત્યાગ્રહમાં લોકોનો વિશ્વાસ વધ્યો. 1957માં તેમણે સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કૉન્ફરન્સની સ્થાપના કરી. તેમણે ઘાના, ભારત વગેરે દેશોમાં અને અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં ફરીને પ્રવચનો કર્યાં. રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે લોકમત જાગૃત કર્યો. આ કારણે તેમના પર ખૂની હુમલો થયો, પણ તેઓ બચી ગયા. 1959માં તેઓ ભારતની મુલાકાતે આવેલા અને વડાપ્રધાન નહેરુને મળ્યા હતા. 1960માં તેઓ સહપાદરી થયા. તેમણે અશ્વેત લોકોના હકો માટે અનેક મંડળો સ્થાપ્યાં. રંગભેદના પ્રશ્ને તેમણે ઘણી વખત ધરપકડ વહોરી, હડતાળો અને રેલીઓ યોજી લોકોને  જાગૃત કર્યા, તેને લગતાં પુસ્તકો લખ્યાં. અશ્વેત લોકોના હકો માટે ધર્મગુરુને અપીલ કરી. તેમના પ્રયાસોના ફળ રૂપે જ્હોન કૅનેડીએ અમેરિકાની કૉંગ્રેસમાં ‘નાગરિક હક’ માટેનું બિલ રજૂ કર્યું. 1964માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. 4 એપ્રિલ, 1968ના રોજ તેમની હત્યા થઈ. ભારત સરકારે તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિ માટે પુરસ્કાર તેમનાં પત્નીને એનાયત કર્યો.

Categories
વાચન સમૃદ્ધિ

મહાશ્વેતાદેવી

જ. 14 જાન્યુઆરી, 1926 અ. 28 જુલાઈ, 2016

સામાજિક કાર્યકર્તા અને બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મ ઢાકામાં સાહિત્યપ્રેમી માતાપિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મનીષ ઘટક જાણીતા કવિ તથા નવલકથાકાર હતા અને માતા ધારત્રીદેવી લેખિકા તથા સામાજિક કાર્યકર હતાં. ભારતના ભાગલા બાદ તેઓ ભારતમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરિત થયાં. મહાશ્વેતાદેવીએ વિશ્વભારતી અને કલકત્તા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરીને અંગ્રેજી વિષયમાં કૉલેજમાં અધ્યાપકની તાલીમ લીધી હતી. તેઓ હિન્દી, ઊડિયા તથા સાંથાલી ભાષાનાં પણ જાણકાર હતાં. અભ્યાસ દરમિયાન તેઓ સમતાવાદી સામ્યતાવાદી વિચારધારા તરફ આકર્ષાઈ ગયાં હતાં. 1943માં બંગાળમાં દારુણ દુકાળ પડ્યો ત્યારે કૉલેજિયન મહાશ્વેતાદેવી સામ્યવાદી પક્ષનાં ગર્લ સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનનાં આગેવાન બની ગયાં. તેઓએ રાહત કામગીરી બજાવી હતી. ગરીબી અને ભૂખમરો નિકટથી નિહાળી તેઓ માનવતાવાદી અને માર્કસવાદી બની ગયાં. 1947માં જાણીતા અભિનેતા-નાટ્યકાર બીજન ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં, પણ 1961માં છૂટાછેડા લીધા. 1965માં અસિત ગુપ્તા સાથે પુનર્લગ્ન કર્યાં. 1956માં તેમની સૌપ્રથમ ઐતિહાસિક નવલકથા ‘ઝાંસીની રાણી’ પ્રગટ થઈ. તેઓએ 42 નવલકથાઓ, 15 નવલિકાસંગ્રહો, બાળકો માટેનાં પાંચ પુસ્તકો તથા 30 જેટલાં પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમની સૌથી પ્રખ્યાત કૃતિ ‘હજાર ચુરાશીર મા’ છે. તેના ઉપરથી હિંદી ચલચિત્ર ‘હજાર ચૌરાસી કી માં’ પણ બન્યું હતું. 1994માં આવેલી ‘રુદાલી’ ફિલ્મથી તેઓ વધુ જાણીતાં થયાં. જે તેમની નવલકથા ‘રુદાલી’ પરથી બનાવવામાં આવી હતી. તેમની કૃતિઓ હિંદી, ઊડિયા, તેલુગુ, મલયાળમ, કન્નડ, ગુજરાતી, મરાઠી તથા પંજાબી ભાષામાં ઉપરાંત અંગ્રેજી, ઇટાલિયન, જાપાની ભાષામાં અનૂદિત થઈ છે. તેઓએ આદિવાસી સમુદાયના હિત માટે ઝંડો ઉઠાવ્યો હતો. તેમના વિકાસ માટે તનતોડ મહેનત કરી હતી. બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આદિવાસી લોકોના સંઘર્ષો માટે સમર્પિત હતાં. તેમને મળેલાં સન્માનોમાં 1979માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1986માં પદ્મશ્રી, 1996માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ, 1997માં રોમન મેગ્સેસે ઍવૉર્ડ તથા 2006માં પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે.