Categories
વાચન સમૃદ્ધિ

ધીરેન્દ્ર ગાંગુલી

જ. 26 માર્ચ, 1893 અ. 18 નવેમ્બર, 1978

એક સફળ ઉદ્યોગપતિ, હિન્દી તથા બંગાળી સિનેજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા-નિર્દેશક તથા લેખક. જેમણે અનેક ફિલ્મનિર્માણ કંપનીઓની સ્થાપના કરી. વિશેષ કરીને એ સમયમાં રમૂજી અભિનય તથા ફિલ્મો માટે એમને ઓળખવામાં આવતા હતા. તેમણે કૉલકાતામાં શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય કલા શાળાના મુખ્ય અધ્યાપક બન્યા અને શિક્ષણજગતમાં કારકિર્દી શરૂ કરી. દરમિયાન તેમણે ‘ભાવ કી અભિવ્યક્તિ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં મેકઅપની કમાલથી પોતાનાં વિવિધ સ્વરૂપનાં ચિત્રો એમાં પ્રકાશિત કર્યાં હતાં. પોતાની આ કલા એમણે બ્રિટિશ ભારત તથા આઝાદ ભારતના સી.આઈ.ડી. અધિકારીઓને શિખવાડી. ત્યારબાદ એમનું આ પુસ્તક નિર્માતા જે. એફ. મદનના ધ્યાનમાં આવ્યું અને ફિલ્મજગતમાં યોગદાન આપવા માટે એમને તક મળી. 1918માં ઇન્ડો-બ્રિટિશ કંપની શરૂ કરી. અહીં હૈદરાબાદના નિઝામની મદદથી એમણે ફિલ્મ સ્ટુડિયો તથા સિનેમાઘર પણ શરૂ કર્યાં. ત્યારબાદ ધીરેન્દ્ર ગાંગુલીના નિર્માણ અને નિર્દેશનમાં ફિલ્મ ‘રઝિયા બેગમ’ પ્રકાશિત થઈ. જેમાં મુસલમાન રાણીને પરજાતિના ગુલામ સાથે પ્રેમ થતો બતાડવાના ગુના બદલ નિઝામે એમને હૈદરાબાદની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ કૉલકાતા પાછા ફરીને લોટસ ફિલ્મ કંપની શરૂ કરી, ન્યૂ થિયેટર્સ સાથે પણ ઘણું કામ કર્યું. પોતાની ફિલ્મી કારકિર્દીમાં એમણે અનેક ફિલ્મોનું નિર્માણ, નિર્દેશન, લેખન કર્યું અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મજગતમાં એમણે સિનેજગતનાં શરૂઆતનાં વર્ષોમાં પાયાનું કામ કર્યું.  ફિલ્મજગત એમને ધીરેન ગાંગુલીના હુલામણા નામથી જાણતું હતું. હિન્દી સિનેમાના એમના યોગદાન બદલ ભારત સરકારે 1974માં એમને પદ્મભૂષણ અને 1975માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એ. એમ. અહમદી

જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023

ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. જૂન, 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં વકીલાત શરૂ કરી. 1961માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્થાપના થતાં તે કોર્ટમાં સરકારી વકીલ નિમાયા. 1964માં ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યું. 1976માં ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. તેઓ કાયદાના ઊંડા અભ્યાસી હતા. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં તેમના કેટલાક શકવર્તી ચુકાદા જાણીતા થયા છે. વિદેશી મુદ્રા સંરક્ષણ તેમજ તસ્કરી નિવારણ અધિનિયમ અને ગુજરાત રાજ્ય તૃતીય વેતન આયોગ જેવા અનેક સલાહકાર બોર્ડના તેઓ સદસ્ય હતા. તેમણે દાણચોરો તથા કાળાબજાર કરનારાની અટકાયત અંગેના સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેમણે રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું. 14 ડિસેમ્બર, 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કોર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ બન્યા. 25 ઑક્ટોબર, 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા. ભારતમાં કાનૂની સહાયતા યોજનાઓના તેઓ પ્રમુખ સંરક્ષક હતા. અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેમને દેશ-વિદેશમાંથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતક, કાનપુર વિશ્વવિદ્યાલય વગેરે દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.

Categories
વાચન સમૃદ્ધિ

પી. વી. નરસિંહ ભારતી

જ. 24 માર્ચ, 1924 અ. 11 મે, 1978

તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક પી. વી. નરસિંહ ભારતીનો જન્મ મદુરાઈના સૌરાષ્ટ્ર વણકર સમાજમાં થયેલો. તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી સ્થાળાંતર કરેલું. વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબમાં નરસિંહ ભારતીનો ઉછેર થયો. 11 વર્ષની ઉંમરે તેઓ ‘boys’ company માટે મંચ પર સ્ત્રીપાત્રો ભજવી જાણતા. તે સમયે નાટકોમાં મંચ પર અભિનય સાથે જાતે જ ગાવું પડતું. તેઓ મધુર અવાજના કારણે ખૂબ લોકપ્રિય થયા. દેવી સરસ્વતી(વિદ્યાની દેવી)ના અદ્ભુત અભિનય માટે તેઓ ‘ભારતી’ કહેવાયા. (‘ભારતી’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવાયો છે, મા સરસ્વતી દેવીની કૃપા જેના પર ઊતરી છે તે). શાસ્ત્રીય ગાયક અને સારા અભિનેતા તરીકે સિનેમા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું અને પૌરાણિક ફિલ્મો માટે તેઓ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી રહ્યા. કૃષ્ણ ભગવાનના પાત્રમાં તેઓ ‘કુરુક્ષેત્ર’ (1945), ‘અભિમન્યુ’ (1948)  અને લક્ષ્મણના પાત્રમાં ‘સંપૂર્ણ રામાયણ’(1958)માં ખૂબ લોકચાહના પામ્યા. શિવાજી ગણેશન અને એમ. જી. રામચંદ્રન જેવા સમકાલીન કલાકારોના પ્રભુત્વ વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. તેમણે જ ફિલ્મ ‘કૃષ્ણ વિજયમ’ (1950) માટે જાણીતા ગાયક ટી. એમ. સૌદરારાજનની ભલામણ કરી હતી. 1940થી કારકિર્દીની શરૂઆત કરનાર ભારતીએ લગભગ 50 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું. તેમાંની મહત્ત્વની ફિલ્મો ‘પોન્મુડી’ (1949), ‘મદનમોહિની’ (1953), ‘થીરુમ્બી પાર’ (1953) વગેરે છે.