Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયા

જ. 24 ડિસેમ્બર, 1880 અ. 17 ડિસેમ્બર, 1959

સ્વાતંત્ર્યસેનાની ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયાનો જન્મ ગંડુગોલાણુમાં થયો હતો. પિતા સુબ્રહ્મણ્યમ્ અને માતા ગંગામ્મા. બાળપણમાં પિતાને ગુમાવ્યા. તેમણે ઇલોરની ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1901માં એમ.બી. ઍન્ડ સી.એમ.ની પદવી મેળવી. મસુલિપટનમમાં દવાખાનું શરૂ કર્યું. 1907માં તેમણે આગેવાનો સાથે મળીને નૅશનલ કૉલેજ માટે ફાળો એકઠો કર્યો અને 1910માં આંધ્રજાતીય કલાસલની સ્થાપના કરી. શરૂઆતમાં તેઓ લાલ-બાલ-પાલ પ્રત્યે આકર્ષાયા. હોમરૂલલીગના સભ્ય થયા. તેમણે ‘જન્મભૂમિ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ‘આંધ્ર સહકાર પત્રિકા’ શરૂ કરી. તેમણે આંધ્ર બૅન્ક, ભારતલક્ષ્મી બૅન્ક, આંધ્ર ઇન્સ્યૉરન્સ કંપની, હિંદુસ્તાન ઇન્સ્યૉરન્સ કંપની વગેરેની સ્થાપના કરી. તેઓ 1916માં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય થયા. તેઓ કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયા હતા. સાયમન કમિશનનો વિરોધ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે મસુલિપટનમના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 1938માં કૉંગ્રેસના પ્રમુખપદ માટે ગાંધીજીએ તેમનું નામ સૂચવ્યું હતું, પરંતુ ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝનો વિજય થતાં તેઓ હારી ગયા હતા. તેમણે આઝાદીનાં આંદોલનોમાં ભાગ લઈ ઘણી વખત ધરપકડ વહોરી હતી. તેઓ 1946માં ચેન્નાઈમાંથી બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1948માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના જયપુર અધિવેશનના પ્રમુખ હતા. જુલાઈ, 1952થી જૂન, 1957 સુધી મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી હતી. ‘ઇન્ડિયન નૅશનાલિઝમ’, ‘હિસ્ટરી ઑફ ધ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ વૉલ્યુમ 1 અને 2, ‘નૉન-કો-ઑપરેશન’, ‘ગાંધી ઍન્ડ ગાંધીઝમ્’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. ભારત સરકારના ટપાલખાતાએ 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ચૌધરી ચરણસિંહ

જ. 23 ડિસેમ્બર, 1902 અ. 29 મે, 1987

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા ભારતના પૂર્વવડાપ્રધાન ચરણસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના  મેરઠના નૂરપુર ગામે એક જાટ પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. 1929માં તેઓ મેરઠ પાછા ફર્યા અને કૉંગ્રેસમાં જોડાયા હતા. ચરણસિંહ ચૌધરી છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશની વિધાનસભામાં 1937માં ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1946, 1952, 1962 અને 1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. જૂન, 1951માં રાજ્યના કૅબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 1954માં તેઓ ડૉ. સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં મહેસૂલ અને કૃષિ કૅબિનેટ મંત્રીપદે રહ્યા હતા. અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા ચૌધરી ચરણસિંહ પોતાના કઠોર પરિશ્રમ માટે ખૂબ જાણીતા હતા. સંસદીય અને વ્યવહારુ વલણ ધરાવતા હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા માટે પણ તેમની પ્રસિદ્ધિ હતી. તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીનસુધારણાના શિલ્પી હતા. તેમણે કરેલી પહેલને પગલે જ  ઉત્તરપ્રદેશના મંત્રીઓને મળતા ઊંચા પગાર અને અન્ય અધિકારો પર કાપ મુકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે લૅન્ડ હોલ્ડિંગ ઍક્ટ, 1960ને અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. એક સમર્પિત જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ એમની તાકાત હતી. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. ફુરસદના સમયનો ઉપયોગ વાંચન-લેખનમાં કરતા હોવાથી ‘જમીનદારીનાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ‘ગ્રામીણોની માલિકી અને કામદારોની જમીન’ જેવાં પુસ્તકો અને ચોપાનિયાંના તેઓ લેખક રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

યારોસ્લાવ હેરૉવ્સ્કી

જ. 20 ડિસેમ્બર,1890 અ. 27 માર્ચ, 1967

ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમનો જન્મ તે સમયના ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ 1909 સુધી પ્રાગમાં સેકન્ડરી સ્કૂલમાં કર્યો. ત્યારબાદ પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કર્યો. 1910થી 1914 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1913માં જ બી.એસસી.ની ઉપાધિ મેળવી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ થતાં તેમણે મિલિટરી હૉસ્પિટલમાં કેમિસ્ટ અને રેડિયોલૉજિસ્ટ તરીકે કાર્ય કર્યું. 1918માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને 1921માં ડૉક્ટર ઑફ સાયન્સની ઉપાધિ મેળવી. ચાર્લ્સ યુનિવર્સિટી ખાતેની તેમની કારકિર્દી લાંબી અને વિશિષ્ટ પ્રકારની હતી. તેમની કારકિર્દીની શરૂઆત પ્રાગની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍનાલિટિકલ કેમિસ્ટ્રી ઑફ ચાર્લ્સ યુનિવર્સિટીમાં કરી. ત્યાં પ્રાધ્યાપક બી. બ્રાઉનરના હાથ હેઠળ કાર્ય કર્યું. ત્યારબાદ 1922માં તેમને સહાયક પ્રાધ્યાપક તરીકેની બઢતી મળી. 1926માં તેઓ યુનિવર્સિટીના પ્રથમ ભૌતિક-રસાયણશાસ્ત્રના અધ્યાપક બન્યા. અહીં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા બાદ તેઓ 1926-1954 સુધી ભૌતિક-રસાયણ વિભાગમાં પ્રાધ્યાપક અને પછી નિયામક બન્યા. 1950 અને 1952-1963 દરમિયાન તેઓ ચેકોસ્લોવાક એકૅડેમી ઑફ સાયન્સીઝના પોલેરોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટના નિયામક રહ્યા હતા. હેરૉવ્સ્કીએ પ્રથમ પોલેરોગ્રાફ 1924માં વિકસાવ્યો હતો, પણ તેને સામાન્ય વપરાશમાં આવતાં અને માનક (સ્ટાન્ડર્ડ) પદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થતાં દસ વર્ષ જેટલો સમય લાગેલો. 1941માં હેરૉવ્સ્કીનું વિવરણાત્મક પુસ્તક (મૉનોગ્રાફ) પોલેરોગ્રાફિક પર પ્રકાશિત થયું હતું. તેમને ચેકોસ્લોવાકિયા, જાપાન, ઑસ્ટ્રિયા, ઇંગ્લૅન્ડ અને ભારતમાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. વિશ્લેષણની પોલેરોગ્રાફિક પદ્ધતિની શોધ અને વિકાસ બદલ તેમને 1959ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1965માં તેમને ‘ફૉરેન મેમ્બર ઑફ ધ રૉયલ સોસાયટી’ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના વિશિષ્ટ પ્રદાન માટે પ્રાગની કાપ્રોવા શેરીમાં તેમની ધાતુની નકશીદાર તકતી મૂકવામાં આવી છે.