Categories
વાચન સમૃદ્ધિ

જગદીપ

જ. 29 માર્ચ, 1939 અ. 8 જુલાઈ, 2020

હિંદી ફિલ્મજગતના હાસ્યઅભિનેતાનો જન્મ મધ્યપ્રદેશના દતિયા ગામે થયો હતો. હિંદી સિનેમામાં પોતાના આગવા અભિનયથી આગવી ઓળખ ધરાવતા જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તાક જાફરી હતું. એમના પિતા દતિયામાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. એમનો પરિવાર સમૃદ્ધ હતો. દસ ભાઈ-બહેનોમાં જગદીપ સૌથી નાના હતા. એમણે આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સંતાનો સાથે કરાંચીમાં પોતાનાં સગાંસંબંધીઓ પાસે સ્થળાંતર કર્યું, પરંતુ ત્યાં તેમનું જીવન વધુ કપરું બન્યું. પરિવાર વિખરાઈ ગયો. માતા બાળક જગદીપ સાથે મુંબઈ આવ્યાં, જ્યાં બાળપણમાં જગદીપે સાબુ, રમકડાં, પતંગ જેવી ચીજો વેચીને માતાને મદદ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર ફેંકાયેલો ખોરાક ખાઈને પણ દિવસો વિતાવ્યા. દરમિયાન નિર્દેશક-નિર્માતા બી. આર. ચોપરાની નજર જગદીપ ઉપર પડતાં 1951માં ફિલ્મ ‘અફસાના’માં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક મળી. ત્યારબાદ ‘દિલ્લી દૂર નહિ’,  ‘હમ પંછી એક ડાલ કે’, ‘આરપાર’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ થઈ. ગુરુદત્ત એ. એ. અબ્બાસ, બિમલ રૉય જેવા નિર્માતા-નિર્દેશકો સાથે કામ કરતાં કરતાં અભિનય શીખતા ગયા. યુવાન અભિનેતા તરીકે ‘ભાભી’, ‘બરખા’, ‘બિંદિયા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક સાંપડી. 1968માં ફિલ્મ ‘બ્રહ્મચારી’માં એમનો હાસ્ય-અભિનય દર્શકોએ આવકાર્યો. ત્યારથી હાસ્યઅભિનેતા તરીકે એમની ઓળખ બની. આગવી સંવાદપ્રસ્તુતિ, આગવો આંખોનો અભિનય અને અવાજપ્રક્ષેપણે (voice projection) એમને અનોખા અભિનેતા તરીકે અનોખું સ્થાન અપાવ્યું. ‘પુરાના મંદિર’, ‘3 D સામરી’ જેવી કેટલીક હૉરર ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો. પરંતુ દર્શકોએ એમને હાસ્યઅભિનેતા તરીકે જ આવકાર્યા. 1975માં ફિલ્મ ‘શોલે’માં સૂરમા ભોપાલીના પાત્રએ એમને હાસ્યની દુનિયામાં એક અમર મુકામ ઉપર મૂકી દીધા. એમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો જે લગભગ યાદગાર બની રહ્યો. ‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મોમાં એમનું પાત્ર દર્શકોના ચિત્તમાં આજે પણ અકબંધ છે. 2009માં ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં એમનો અભિનય એમની અંતિમ યાદ બની રહ્યો. મુંબઈમાં કૅન્સરની બીમારીમાં 81 વર્ષની વયે એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. વીણા મઝુમદાર

જ. 28 માર્ચ, 1927 અ. 30 મે, 2013

ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મઝુમદાર. પાંચ ભાઈબહેનોમાં સૌથી નાનાં વીણા મઝુમદાર હતાં. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કૉલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કૉલેજ અને કૉલકાતાની આશુતોષ કૉલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કૉલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનનાં સેક્રેટરી બન્યાં. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડની સેન્ટ હ્યુજ કૉલેજમાં ગયાં. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી. દેશમાં પાછાં ફર્યાં. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતાં હતાં. થોડા જ સમયમાં ત્યાં ટીચર્સ ઍસોસિયેશનનાં સેક્રેટરી બન્યાં. આમ, કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુ ભૂષણ દાસની ભલામણથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડાં વર્ષો કાર્ય કર્યાં પછી ભારત આવ્યાં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણઅધિકારી તરીકે જોડાયાં હતાં. તેમનો વિશેષ અભ્યાસ દેશમાં મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ(CWDS)નાં સ્થાપક ડિરેક્ટર હતાં અને બે વર્ષ ફેલો તરીકે પણ કાર્ય કરેલું. તેમનાં સંસ્મરણોનું પુસ્તક ‘મેમોરિઝ ઑફ એ રોલિંગ સ્ટોન’ નામે પ્રકાશિત થયું છે.

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત દેસાઈ

જ. 27 માર્ચ, 1934 અ. 2 ઑક્ટોબર, 2011

ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંત દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ મંજુલાબહેન. 1957માં બી.એ.; 1959માં એમ.એ. અને 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાર્ડા કૉલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉશનસ્ ના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયંત પાઠકનું સાન્નિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકિન ઠાકોર વગેરે કવિ-વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા, વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. ડી. આર્ટસ કૉલેજ અને સાબરમતી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવાનિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ‘ઇંગિત’, ‘મ્હેંક નજરોની ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’, ‘વરદાન ફૂલનું’ અને ‘સહજતયા’ એમના કાવ્યસંગ્રહો છે. ‘ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘કવિતાની સમજ’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’, ‘કાવ્યસંગતિ’, ‘કલાપી’, તેમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. ‘કૂણાં સમણાંની જૂની ડાળ’ (શિશિરઋતુનાં કાવ્યોનો સંચય), ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે પીયૂષ પંડ્યાના કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય) અને ‘ગુજરાતી કવિતાચયન’ તેમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્યસર્જનને વિવિધ ચંદ્રકો પણ મળ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી ઍવૉર્ડ, ‘કવિતાની સમજ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે.