Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક આલ્બર્ટ એક્કા

જ. 27 ડિસેમ્બર, 1942 અ. 3 ડિસેમ્બર, 1971

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદ્વિતીય પરાક્રમ કરી શહીદ થનાર આલ્બર્ટ એક્કાનો જન્મ બિહારના ગુમલા જિલ્લાના જરી ગામમાં થયો હતો. પિતા જુલિયસ અને માતા મરિયમ. પ્રાથમિક શિક્ષણ સી. સી. સ્કૂલ, પટરાટોલીમાં અને માધ્યમિક શિક્ષણ મિડલ સ્કૂલ, ભીખાપુરમાં મેળવ્યું. બાળપણથી સેનામાં જોડાવાની ઇચ્છા હતી. તેઓ સારા હૉકી ખેલાડી હતા. 1962માં ભારતીય સેનામાં જોડાયા. 3 ડિસેમ્બર, 1971ની રાત્રે 14મી ગાર્ડ્ઝની કંપનીના 120 જવાનો સાથે લાન્સનાયક આલ્બર્ટ એક્કા અગરતલાથી ચારેક કિમી.ના અંતરે આવેલા ગંગાસાગર તરફ નીકળ્યા. રસ્તામાં પાકિસ્તાની સૈનિકોએ ઍન્ટિટૅન્ક અને ઍન્ટિપર્સોનેલ સુરંગો પાથરી હતી. રેલવે ટ્રૅકના માટીના પાળા પર ચાલતા એક સૈનિકનો પગ તારમાં આવતાં પ્રકાશ  થયો. થોડે દૂર બંકરની બહાર ઊભેલા પાકિસ્તાની સૈનિકે આ જોયું. આબ્લર્ટે દોડીને તેની છાતીમાં બૅયોનેટ મારી. બીજા સૈનિકો આવી પહોંચતાં બંકરમાંના સૈનિકોને મારી નાખ્યા. ગોળીબારમાં આપણા કેટલાક સૈનિકો શહીદ થયા. આલ્બર્ટને પણ ગોળી વાગી. તેમ છતાં તેઓ ગોળીબાર કરતા દુશ્મનના બંકર તરફ ગયા. આ દરમિયાન તેમને હાથમાં અને ગરદનમાં ગોળી વાગી તોપણ દુશ્મનોને માર્યા. પાકિસ્તાની સૈનિકો રેલવેની ઊંચી કૅબિનમાં હતા. આલ્બર્ટ ઘાયલ થયા હતા તોપણ તેઓ ઘસડાઈને કૅબિન સુધી પહોંચ્યા અને ગ્રેનેડનો મારો કર્યો. ગોળીબાર વચ્ચે તેઓ કૅબિનની સીડી ચડી ઉપર ગયા અને દુશ્મનોનો સફાયો કર્યો. લોહી વહી જવાથી અશક્તિ આવી હતી તોપણ કૅબિનની બહાર નીકળ્યા. સીડીના પગથિયે પડી જતાં તેમનો નિષ્પ્રાણ દેહ ગબડીને જમીન પર નીચે આવ્યો. બહાદુરી અને હિંમતપૂર્વક દુશ્મનોનો સફાયો કરી સાથી સૈનિકોના જીવ બચાવી શહાદત વહોરનાર આલ્બર્ટ એક્કાને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં ‘આલ્બર્ટ એક્કા ચૉક’માં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેબલ અરોલે

જ. 26 ડિસેમ્બર, 1935 અ. 1999

મેડિકલ ડૉક્ટર મેબલ અરોલેનો જન્મ જબલપુરમાં થયો હતો. અરોલે પિતા રાજપ્પાનનું બીજું સંતાન હતી. તેના પિતા ન્યૂ ટેસ્ટામેન્ટ ગ્રીકના પ્રોફેસર હતા અને માતા બીઆટ્રાઇસ ગુનારત્ન પિલ્લાઈ હતાં. મેબલનાં લગ્ન રજનીકાંત અરોલેની સાથે થયાં હતાં. ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલોરમાં તેની મુલાકાત રજનીકાંત સાથે થઈ હતી. 1959માં તેઓ બંને સાથે ગ્રૅજ્યુએટ થયાં અને પોતાની જિંદગી ગરીબ લોકોની સંભાળ કરવા માટે વિતાવવાનો નિર્ણય કર્યો. તેઓ બંનેએ વડાલામાં આવેલ મિશન હૉસ્પિટલમાં 1962થી 1966 સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ચાર વર્ષ માટે ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે મેડિસિન અને સર્જરીમાં રેસિડન્સી ટ્રેનિંગ લેવા માટે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયાં. ત્યાં જનસમૂહના આરોગ્ય માટેના આગેવાન એવા કાર્લ ટેલરની દોરવણી હેઠળ ભારતના ગરીબ લોકો માટેના પ્રાથમિક આરોગ્ય અને વિકાસ માટે તૈયાર થયાં. અભ્યાસ પૂરો થતાં જ તેઓ ભારત પાછાં આવ્યાં પછી એક દુષ્કાળગ્રસ્ત તાલુકો જામખેડમાં કામ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે કુલ 10,000 વસ્તીવાળાં આઠ ગામોમાં કામ શરૂ કર્યું. આ પ્રોજેક્ટનાં પ્રથમ 25 વર્ષમાં તેઓએ 2,50,000 લોકોને આવરી લીધા. ધીમે ધીમે તેઓએ 178 ગામોમાં કામ કર્યું જેનાં પરિણામો ખૂબ આશ્ચર્યજનક હતાં, કારણ કે બાળકોનો મૃત્યુદર 1000 બાળકોમાંથી 176થી ઘટી 23 જેટલો થઈ ગયો. આ ઉપરાંત બીજાં પરિણામો આરોગ્યમાં સુધારો દર્શાવતાં હતાં. સુવાવડી સ્ત્રીઓના આરોગ્ય અને બાળકોનાં કુપોષણનો દર એક ટકાથી ઓછો હતો. 40 વર્ષ સુધી તેઓએ 300 ગામોમાં લગભગ 50,000 લોકોને સેવાઓ આપી. આ પ્રોજેક્ટનો લાભ લગભગ દસ કરોડ લોકોએ લીધો હતો. મેબલને રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળેલો છે.

Categories
વાચન સમૃદ્ધિ

નૌશાદ અલી

જ. 25 ડિસેમ્બર, 1919 અ. 5 મે, 2006

સંગીતકાર, સંગીતદિગ્દર્શક, ફિલ્મનિર્માતા, લેખક અને કવિ નૌશાદ અલીનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા લખનઉ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં તેમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમજ પંડિત ખેમચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓનો સાથ મળ્યો હતો. નૌશાદ અલીને સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. 1940ના વર્ષમાં ‘પ્રેમનગર’ નામની ફિલ્મમાં સંગીત પીરસવાની તક મળી હતી. સંગીતકાર તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને 1944માં રજૂ થયેલ ‘રતન’ નામના ચલચિત્રમાં મળી હતી. જેમાં જોહરાબાઈ આમ્બાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, કરણ દીવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. આ ભવ્ય સફળતા પ્રાપ્ત કર્યા પછી નૌશાદે 35 જેટલી સિલ્વર જ્યૂબિલી હિટ, 12 ગોલ્ડન જ્યૂબિલી તેમજ ત્રણ ડાયમંડ જ્યૂબિલી ફિલ્મો આપી રૂપેરી પડદે ભવ્ય સફળતા મેળવી હતી. જેમાં ‘અંદાઝ’, ‘મધર ઇન્ડિયા’, ‘અનમોલ ઘડી’, ‘બૈજુ બાવરા’, ‘ઉડન ખટોલા’, ‘દીવાના’, ‘મુગલ-એ-આઝમ’, ‘દુલારી’, ‘લીડર’, ‘સંઘર્ષ’, ‘મેરે મહેબૂબ’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘ગંગા જમુના’, ‘આદમી’, ‘ગંવાર’, ‘સાથી’, ‘આઇના’ અને ‘ધર્મકાંટા’ જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે. સિનેમાક્ષેત્રે અપાતા ખ્યાતનામ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી 1981માં અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મભૂષણ ઍવૉર્ડથી નૌશાદ અલીને 1991માં સન્માનિત કરવામાં આવ્યા હતા.